અખંડ આનંદ
અખંડ આનંદ એ જાણીતું તથા ભારતની આઝાદી પહેલાનું ગુજરાતી સામાયિક છે. આ સામાયિક દર માસે પ્રકાશીત કરવામાં આવે છે.
ભિક્ષુ અખંડાનંદજીએ ઘર ઘરમાં હોંશે હોંશે વંચાય એવું સામાયિક શરૂ કરવા વિચાર કર્યો અને આ વિચારના પરિપાકરૂપે સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય દ્વારા ઈ. સ. ૧૯૪૬ના વર્ષથી આ માસિક શરૂ કરવામાં આવ્યું હતું. અમદાવાદ શહેરમાં શરૂ કરાયેલ આ માસિકના પ્રારંભમાં શ્રી મોહનલાલ મહેતા તેના તંત્રીપદે હતા. આ પછી આવેલા ત્રિભુવનદાસ ઠક્કર લાંબા સમય સુધી સંપાદકીય સેવા આપતા રહ્યા હતા.
અખંડ આનંદ માસિક પ્રોઢવાચક વર્ગને સાત્વિક વાંચન પૂરું પાડે છે. ધર્મ, તત્વજ્ઞાન, કેળવણી, ઈતિહાસ, આયુર્વેદ, અર્થકારણ, ખગોળ જેવા વિષયોને પ્રાધાન્ય આપતું આ માસિક વાર્તા, નિબંધ, કવિતા, વાર્તાલાપ, પ્રશ્નોત્તર, ચરિત્ર, પ્રસંગકથા જેવાં જુદા જુદા સાહિત્યસ્વરૂપો અને વચ્ચે વચ્ચે કલાત્મક તસવીરોથી અત્યંત આકર્ષક તથા ભાતીગળ લાગે છે.
૪૩ વર્ષની સતત મજલ કાપી આ માસિક ઈ. સ. ૧૯૯૦ અને ૧૯૯૧ દરમિયાન થોડો વખત બંધ રહ્યું હતું. ફરી શ્રી પ્રકાશ ન. શાહના તંત્રીપદે આ માસિક ફરી શરૂ થયું હતું.