અશ્વિની ભટ્ટ
વિકિપીડિયા થી
અહીં અશ્વિની ભટ્ટની નવલકથાઓની સૂચી આપી છે અને મારી પસંદગી મુજબ તેને ક્રમ આપવાનો પ્રયાસ કરેલ છે. દરેક નવલકથા વિશેના મારા વિચારો માત્ર છે. અહી કોઇ ક્રિટિકલ એનાલિસીસ કરવાનો પ્રયત્ન કે ઇરાદો નથી.
(૧) આખેટ - મારા મતે આખેટ અશ્વિની ભટ્ટની શ્રેષ્ઠ નવલકથા કહી શકાય. મેં વાંચેલી બીજા લેખકો સહિતની બધી નવલકથાઓમાં પણ હું આને શ્રેષ્ઠ ગણુ છુ. ખુબ જ લાંબી હોવા છતાં વાંચતી વખતે જરા પણ બોરીંગ ન લાગે. અને પુરી વાંચ્યા પછી પણ લાગે કે હજુ લાંબી હોત તો પણ મજા આવત. ખરા અર્થમાં થ્રીલર છે. ભાગ ૧ માં નાયક હવેલીમાંથી ભાગે છે પછીનું વર્ણન ખરેખર થ્રીલનો અનુભવ કરાવે તેવું છે. થ્રીલરના ચાહકોએ જરૂરથી વાંચવા જેવી નવલકથા છે.
(૨) કટિબંધ - આ નવલકથાને હું બીજા ક્રમે મુકુ છું. ત્રણ ભાગમાં પથરાયેલી આ કથાનો દરેક ભાગ સ્વતંત્ર કથા જેવો છે કેમ કે ત્રણે ભાગમાં ત્રણ અલગ અલગ સમય, ત્રણ અલગ અલગ જનરેશનની વાત છે પણ ત્રણે ભાગમાં કેન્દ્રસ્થાને કટિબંધ જ છે. પ્રથમ ભાગમાં પ્રેમકથા વધારે છે પણ બાકીના બે ભાગમાં થ્રીલર ભારોભાર છે.
(૩) ફાંસલો - બે ભાગમાં કહેવાયેલી આ કથામાં પણ બન્ને ભાગ બે અલગ અલગ સમયની કથા છે. પ્રથમ ભાગ વાંચ્યા પછી થાય કે આ વાતા તો અહી પુરી થઇ ગઇ હવે આગળ બીજા ભાગમાં શું હશે? પણ પુરી થયેલી જણાતી વાર્તાને અશ્વિની ભટ્ટે ગજબ રીતે આગળ વધારી છે. બન્ને ભાગ બે અલગ અલગ નવલકથા જેવા લાગે છે તેમ છતાં સળંગ વાર્તા જેવી અનુભૂતિ પણ થાય છે.
(૪) નિરજા ભાર્ગવ - અશ્વિની ભટ્ટની ત્રણ નાની થ્રીલરમાં આ વધારે થ્રીલીંગ છે. જેમણે અશ્વિની ભટ્ટને હજુ સુધી વાંચ્યા નથી અને પ્રથમ વખત વાંચવા ચાહતા હોય એ લોકો એ આ નવલકથાથી શરુઆત કરવી જોઇએ. બહુ લાંબી પણ નહી અને બહુ ટૂંકી પણ નહી એવી આ કથામાં શરૂઆતથી જ થ્રીલનો અનુભવ થવા લાગે છે.
(૫) આશકા માંડલ - રેગીસ્તાનની સફર કરાવતી આ કથામાં થ્રીલરનો રોમાંચ તો છે જ પણ સાથે સાથે રણનુ વર્ણન એટલું અદ્દભૂત અને સચોટ લાગે કે તમે પોતે એ સફર કરી રહ્યા છો એવું લાગ્યા કરે. વાર્તામાં થોડુ સસ્પેન્સ પણ છે.
(૬) ઓથાર - વલોવતા હૈયા અને ન કહેવાયેલી અધૂરી ઇચ્છાઓ.. થ્રીલર કરતાં સામાજીક વાર્તા વધારે લાગે, પણ છતાં સુંદર કથાનક છે. રાજવી કુટુંબની આસપાસની વાત છે. આશકા માંડલ સાથે એ રીતે તેનું સામ્ય છે.
(૭) લજ્જા સન્યાલ - ન કરેલા ગુનામાં સંડોવાયેલી અભિનેત્રીની નિર્દોષતા પુરવાર કરવાની આ વાર્તામાં જંગલનો અદ્દભૂત રોમાંચ છે.
(૮) શૈલજા સાગર - બ્લેક મેઇલીંગમાં ફસાયેલી યુવતીની આસપાસ ફરતી આ વાર્તા એક દિવસમાં વાંચી શકાય એટલી નાની છે. થ્રીલર તો છે પણ બીજી નવલકથા જેવું નહિ. છતાં વાંચવી ગમે તેવી વાર્તા છે.
(૯) કમઠાણ / કરામત / કસબ / રમણ ભમણ - આ ચારેય કોમેડી થ્રીલર છે. નામ પ્રમાણેની જ વાર્તા છે દરેકમાં. વાંચવામાં મજા આવે તેવી લઘુનવલ છે.
(૧૦) અંગાર - રજનીશ અને તેમના આશ્રમમાં ચાલતી પ્રવૃત્તિ પરથી બનેલી આ વાર્તામાં આચાર્ય અવનીશની મુખ્ય ભુમિકા છે. આ થ્રીલર નથી, સામાજીક-આધ્યાત્મિક કહી શકાય એવી વાર્તા છે માટે થ્રીલર રસિકો નિરાશ થાય છે. શરુઆતમાં ગમે એવી વાર્તા છે પણ ત્રણ ભાગની વાર્તા વધુ પડતી લાંબી અને સમાનતા ધરાવતા પ્રસંગોથી ભરેલી લાગે છે. અને નવલકથાનો અંત વધુ પડતી ઉતાવળથી લાવી દીધો હોય એવુ લાગે છે. હા પણ, નવલકથા આધ્યાત્મિક અને ઉચ્ચ કક્ષાના ક્વોટ્સથી ભરપુર છે.
(૧૧) આયનો - ખબર ના પડે એવી વિચિત્ર અને કંટાળાજનક આ લઘુનવલ અશ્વિની ભટ્ટે લખી છે એ આશ્ચર્યજનક વાત છે. મે વાંચેલી અશ્વિની ભટ્ટની વાર્તાઓમાં આને હું અંતિમ સ્થાન જ આપી શકુ.
આ સિવાય 'અરધી રાતે આઝાદી', 'ધ ગેમ ઇઝ અપ', 'આક્રોશ અને આકાંક્ષા', 'શ્રેષ્ઠ ભયાનક કથાઓ' પણ અશ્વિની ભટ્ટની કલમે લખાયેલ કે અનુવાદિત થયેલ અન્ય પુસ્તકો છે. 'શ્રેષ્ઠ ભયાનક કથાઓ' એ વિશ્વભરના લેખકોમાંથી પસંદ કરીને અનુવાદિત કરેલ, ખરેખર વાંચતી વખતે બીક લાગે તેવી વાર્તાઓ છે. જ્યારે 'આક્રોશ અને આકાંક્ષા'માં ૨૦૦૨માં થયેલ ગોધરાકાંડ અને અમદાવાદમાં થયેલ હુલ્લડોની વાત છે.
અશ્વિની ભટ્ટની નવલકથામાંથી થોડુંક
માણસ જ્યારે વેદનાની પરાકાષ્ટાની સીમા વટાવી જાય પછી એક એવી પરિસ્થિતિ આવે છે જ્યારે દર્દ-વેદના નથી રહેતી, વેદના છે કે નહિ તેનો પણ કોઇ ખ્યાલ નથી રહેતો. માણસ માણસ નથી પણ જાણે તેનો આત્મા ઊભો રહે છે. -"નિરજા ભાર્ગવ"
તુ સમજી નહિ શકે, કારણ તુ પુરુષ છે અને અધિપત્ય સિવાય સ્ત્રીને જોવાની તમારા કોઈમાં શક્તિ નથી. સ્ત્રીને જો થોડાક મિત્રો રાખવાની, ક્યારેક ભૌતિક છૂટ લેવાની, અને ક્યારેક ભાઇ, પિતા કે પતિના સંબંધોથી પર થઇને કેવળ પુરુષ સંબંધ માણી લેવાની છૂટ હોય તો સમાજમાં લગ્ન વિચ્છેદ ન થાય. -"લજ્જા સન્યાલ"
સત્ય એ જ, આ વિચિત્ર દુનિયાનો મોટો ભ્રમ છે, છેતરપિંડીની એક સુજ્ઞ પરિભાષા છે. -"લજ્જા સન્યાલ"
પ્રેમ વિશ્વાસથી પર છે કે પછી વિશ્વાસ સુધી જ પ્રેમ મર્યાદિત છે ! -"શૈલજા સાગર"
જ્યારે તમે જીવ પર આવી જાવ છો ત્યારે હારવાની બીક ચાલી જાય છે. -"લજ્જા સન્યાલ"
અચલે એટલી જ સંલન્નતાથી ખોબલામાં મારા ગાલ લીધા હતા. શું કરવું તે મને સમજાતું ન હતું. કબૂતરની માફક મેં આંખો મીંચીં લીધી હતી. મારા હોઠ કાંપતા હતા. અચલનો ચહેરો મારી સમીપ આવતો હતો. ધીરેથી એના હોઠ મારા હોઠને અડ્યા હતા. ગુલાબની પાંદડીને સ્પર્શતો હોય તેમ તેણે મારા હોઠ સાથે તેના હોઠ ચાંપ્યા હતા. કોઇ અજબ માર્દવતાથી હું ભીંજાઇ રહી હતી. તેનો હાથ મારા વાળમાં ફરી રહ્યો. અનંગ આવેગથી તેણે ચુંબન કર્યુ. કોઇ વિસ્ફોટ થયો હોય તેમ હું ખસી ગઇ. અચલના ચહેરા પર સ્મિત રમતું હતુ. જમીન પર પડેલુ તણખલું લઇને ધરતી ખોતરવા સિવાય હું કરી પણ શું શકું ? ક્યાય સુધી અમે વાત પણ ન કરી. એ કોઇ આધ્યાત્મિક પળ હતી કે બેચેન ઘડી તે મને સમજાતું નહી. -"લજ્જા સન્યાલ"
ઊંઘમાં પણ તેના સુરેખ હોઠ પર એક પાવક સ્મિત જડાયેલુ હતુ. કેટલું નિર્મળ લાગતી હતી ! તેનું સ્મિત કેવું નાજુક અને નીતર્યુ હતુ ! હું નીચે વળ્યો. કોઇ મૂર્તિમંત, કોઇ શાશ્વત રહેનારી કલાકૃતિ જેવી તેના હોઠ પર ધીરેથી ચુંબન કર્યુ. કોમળ ચામડીનો સ્વાદ કેટલો અવર્ણનીય હતો, કારણ એ સ્વાદ સ્પર્શથી જ માણી શકાતો. -"શૈલજા સાગર"
પ્રેમ ક્શાથી મર્યાદિત નથી. પ્રેમ વિશ્વાસથી પર છે, પ્રેમ ચિરંતન છે... અસ્ખલિત છે... અનર્ગલ છે. -"શૈલજા સાગર"
તેના અવાજમાં નશો હતો. સંવેગની ભરતીથી ઉશ્કેરાયેલી ઓરતનો મને અનુભવ ન હતો તેવું કહું તો હું જુઠ્ઠો છું. મને તેના શરીરમાં, તેની આંખોમાં, મારાં શરીરને, મારાં અંગોને શોધતાં તેના હોઠોમાં એ ઉન્માદ દેખાયો. જો હું પોતે એ પળે આશકા-મય ન હોત તો મેં એને માણી હોત. -"આશકા માંડલ"
જીવનનું અસ્તિત્વ આનંદ અને અનુકંપા, સદ્ભાવ અને પ્રેમ, એ સ્વસંપન્ન માટે છે, એથી વિશેષ કંઇ નહિ.
દરેક સબંધમાં સીમાઓ હોય છે, પણ મૈત્રીમાં નહિ. મૈત્રી તો અમાપ અસીમ સંબંધ છે. તેમાં ક્યારેય ગણતરી નથી હોતી. હોય છે માત્ર 'કમીટમેન્ટ', સ્વેચ્છાએ સ્વીકારેલું કોઇ આચરણ્.. વચનબધ્ધતા... -"ફાંસલો"
પ્રેમ શું છે તે કોણ સમજી શક્યું છે કે વ્યાખ્યા કરી શક્યું છે? પ્રેમ શરીરનાં સંવેદનોથી જ થાય છે, પણ તેમાં લજ્જા ભળે છે. ઉત્ક્રાંતિથી તે સંસ્કાર સુધીની માનવવિકાસની યાત્રામાં પ્રેમ કેવળ પાશવી કે ઐહિક સંવેદનોમાં મર્યાદિત રહ્યો નથી. તેમાં પણ ઉત્ક્રાંતિ થઇ છે. અને તેથી જ સંકોચ અને વિવેકે પ્રેમને અદ્ભૂત સંવેગ બનાવ્યો છે. એ વિચિત્ર ન સમજાય તેવી અને કંઇક અંશે મૂર્ખતાભરી પરિસ્થિતી છે, તેમ કહુ તો ખોટુ નથી. પુરુષ અને સ્ત્રી બંને સમજે છે કે પ્રેમનું પરિણામ જિન્સી આવેગમાં આવે છે. એ સામીપ્યમાં, સાનિધ્યમાં અને છેવટે સંમિલનમાં પરિણમે છે. છતાં તેનો પૂર્વાલાપ એક વિશિષ્ટતા બની રહે છે.
આસંગ એ આરાધના છે. સર્જ્નાત્મક કર્મ છે. પ્રકૃતિક્રમની સહજ પ્રક્રિયા છે. ઉત્સર્પણ છે. જે લોકો તેને યજ્ઞ તરીકે પિછાણે છે તે જ તેના પાવિત્ર્યને સમજે છે. આ સમજ એ જ ખરો સંયમ છે. એ જ યમનિયમ છે. -"અંગાર"
જગતમાં પોતે જીવવું કે ન જીવવું તેનો નિર્ણય કરવાનો માણસનો અબાધિત અધિકાર હોવો જોઇએ. -"અંગાર"
પ્રેમની પરાકાષ્ટા શરીરના માધ્યમ વગર પામવી અશક્ય છે.
પ્રબુધ્ધતાનો માર્ગ ચિદાનંદ શક્ય છે અને સતચિત આનંદ કેવળ આસંગથી પ્રાપ્ત થાય છે. કારણ ત્યાં ઊર્જા અને ઊર્મિ, શક્તિ અને શરીર(પદાર્થ) એકરૂપ થાય તેવી પરાકાષ્ઠા સર્જાય છે. એ પરાકાષ્ઠાનો અહર્નિશ અનુભવ કરવાની એવી સ્થિતિએ પહોચવું કે જ્યારે શરીરનો ખપ ન રહે અને શરીર પોતે જ એક ઊર્જા બની રહે. -"અંગાર"
પ્રેમને, પ્રેમના આવેગને કોઇ સીમા નથી હોતી. સમય-અંતર કે સ્થળની મર્યાદા નથી હોતી. હજારો ફૂટ ઊંચે ઝૂમતાં સફેદ વાદળોની જેમ તેને કોઇ ગતિ નથી કે દિશા નથી. એ વાદળોની જેમ સ્વાયત્ત - સ્વચ્છંદ એ પરિસ્થિતિ છે જેમાં કેવળ ઉષ્મા જ અગત્યની હોય છે. ઉષ્મા અને સાનિધ્ય. પવનની લહેર સાથે ઉડતાં વાદળોની જેમ બસ હૈયું પણ હિલોળે ચડે છે. જ્યારે પુરુષ અને સ્ત્રી, નિતર્યું અસ્તિત્વ અનુભવે છે, સંવેગને શરીરમાં સાકાર થતો જુએ છે, એ ધ્વૈતમાંથી અધ્વૈતમાં જવાની કોઇ ક્રિયા-પ્રક્રિયા હશે ! પુરુષ અને પ્રકૃતિની આ માયા, શું અલૌકિક આ સર્જનનું મૂળ્ભૂત કારણ હશે ! -"ઓથાર"
કામુકતાનો અતિરેક એક સાપેક્ષ પરિસ્થિતિ છે. આવેગનું શમન કે આવેગ પર સંયમ રાખી શકતા લોકોમાં આવેગનું અસ્તિત્વ નથી તેમ કહેવું ખોટું છે. બાહ્યાચારે જે આવો સંયમ નથી રાખી શકતા તે જ લોકો દૃષ્ટિમાં આવે છે. બાકીનાઓ પવિત્રાત્માઓ છે તેવું માનવાને કોઇ કારણ નથી. જે નૈસર્ગિક છે તેની અવહેલના જ દર્દ છે. તેને જ આપણે સમજીએ તે અર્થહીન છે અને એ દર્દનો નિકાલ સમજમાં છે. તંત્રનો એ સિદ્ધાંત છે. નૈસર્ગિક સહજવ્રુત્તિને આનંદવાનો માર્ગ એ જ સિદ્ધિ છે. -"અંગાર"
મૃત્યુ પર ત્યારે જ વિજય મળે છે જ્યારે માણસ તેની અનિવાર્યતાને સહજતાથી સ્વીકારી લે છે. આપણે સૌ પળે પળે મૃત્યુ તો પામીએ જ છીએ. શાશ્વત તો કશું છે જ નહિ. અને જે શાશ્વત છે તે ક્યારેય જીવંત નથી હોતું. શાશ્વત્પણું જડતામાં છે, જે ચેતન છે તે શાશ્વત ન હોઇ શકે. નિજાનંદની મસ્તી મેળવી લેવી તે જ મોક્ષ છે. જો આત્મા અમર હોય, મહાભૂતના કે ઇશ્વરના કોઇ અંશરૂપે શાશ્વત હોય તો એ આત્મા પાસે કશી સંવેદના હોય નહિ. અને જેને સંવેદના નથી તેને માટે અસ્તિત્વ્ ઉદય, વિલય, દુઃખ, સુખ, આનંદ, શોક એવાં કોઇ ઉપહિતોની જરૂર હોતી નથી. -"અંગાર"
સામાન્ય આલિંગન, ચુંબન કે જિન્સી આવેગના પૂર્વારંભો પૂરા થાય ત્યાંથી જ ધ્યાનની શરૂઆત થાય છે અને આસંગમાં તેની પરાકાષ્ઠા સર્જાય છે ત્યારે તે ક્ષણે 'સ્વ' નું વિસર્જન થાય છે અને આપણે સૌ સમયવિહીન અવકાશમાં ફેરવાઇ જઇએ છીએ. જે લોકો એ નથી સમજી શકતા તે બધા જ પ્રાણીસહજ આનંદ મેળવે છે, ચિદાનંદ નહિ. આનંદના બાહ્ય સ્વરૂપ કરતાં આનંદનું ભીતરનું ચેતસ જ્યારે સમગ્ર શરીરમાં છવાય છે ત્યારે માણસમાત્રમાં સૌંદર્ય પેદા થાય છે. સેક્સ એ પ્રેમ નથી. પ્રેમના અનેક આવિષ્કારમાંનો એક છે. એ ચિહન છે. એક માણસ તેના મિત્રને ભેટે છે કારણ મિત્રના મિલાપથી તેને જે આનંદ થાય છે તે આનંદ પ્રદર્શિત કરવા માટે તેની પાસે બીજું કોઇ માધ્યમ નથી. જો એવું કોઇ માધ્યમ હોય તો આપણે જેને સેક્સ કહીએ છીએ તેવું કશું હોત નહિ. -"અંગાર"
ઐહિક આનંદ જ્યારે આત્માને પણ આનંદમય બનાવે છે ત્યારે જ સાચું લગ્ન રચાય છે. પ્રેમ અને અહમ ક્યારેય સાથે સંભવી ન શકે. અહમનો વિન્યાસ પ્રેમને નષ્ટ કરે છે અને પ્રેમની સ્થાપના અહમ વિલોપાય પછી જ થઇ શકે છે. 'હું તને ચાહું છું' આ શબ્દો વાપરવા પડે છે કારણ કે ભાષા વગર આપણે કશું સમજી શકતા નથી. સમજાવી શકતા નથી. ભાષાથી જ્ઞાન સંપાદન થઇ શકે છે. વિજ્ઞાની બની શકાય છે. તર્કપંડિત થવાય છે પણ પ્રેમનો મર્મ, પ્રેમની દિવાનગી, પ્રેમની સૃષ્ટિ, આનંદનો ભાવ કે નિજાનંદની પરિસ્થિતિ ભાષાથી સમજાવી કે સમજી શકાતી નથી. જે એ સમજી શકે છે તે જ પ્રબુદ્ધ છે. -"અંગાર"
એ ઘડી, એ સ્પર્શ, એ સંવેગ, એ ભડભડતી જ્વાલામાંથી આવતી શીતળતા... માઇ ગોડ ! તેના હોઠ ! તેનું ગળું ! તેનું બહેતરીન સ્તનયુગ્મ ! તે ચિત્કારી રહી અને હું ચુંબનો કરતો રહ્યો. તેના અવરોધમાં મને આહ્વાન દેખાતું. તેના પ્રતિકારમાં મને પ્રેરણા સાંપડતી હતી. 'નહિ.. નહિ..' તે બોલતી રહી પણ મને એ સંભળાતું ન હતું. મને તેનો આસવ ચડ્યો હતો. મારી જાત પર હું કાબું ખોઇ બેઠો હતો. હું કેવળ એક આદમ હતો અને સામે ઇવ ઊભી હતી. મને શું ઇજા થઇ હતી, આવતીકાલે આ સૃષ્ટિમાં મારે શું કરવાનું આવશે, તેના કોઇ પણ વિચાર વગર, તેના આખા દેહને મારી ભીતરમાં સમાવી લેવા માંગતો હતો. મેં તેને લગભગ ઊંચકી લીધી હતી. મને કેવળ તે જ દેખાતી હતી. અદ્વૈતના આવિષ્કારની માફક એક જ સત્ય લાગતું હતું. તે... તે મારાથી બચવા માગતી હતી કે મારાથી અપ્રસન્ન થઇને પતિકાર કરતી હતી કે પછી નકાર કરીને મને પ્રેરતી હતી તે મને સમજાતું ન હતું. -"આશકા માંડલ"
ક્યારેક હું એવી પરિસ્થિતિમાં મુકાતો કે જેથી મારે એ યુવતીઓમાંથી એકાદ સાથે 'વીક-એન્ડ' ગાળવાનો આવે. આવી મુલાકાતો, આવો સંસર્ગ મને ગમતો નહિ એવું કહું તો હું હિપોક્રિટ કહેવાઉ. મઘમઘતા અત્તરો, સુંદર વસ્ત્રો, આભૂષણો, છેલ્લી ઢબના વેસ્ટર્ન કોસ્મેટિક્સ, શેમ્પેન, ગોલ્ફ અને ઘોડેસવારી... પારાવાર વિવેક અને રાજકુટુંબ ઘરાનાની અસ્મિતા, તસતસતા દેહ અને આંજી નાખે તેવા રૂપથી મઢેલી એ યુવતીઓનો સહવાસ હું માણતો. ઉશ્કેરાટ પણ અનુભવતો. જિન્સી આવેગો આવતા છતાં કંઇક એમાં ખૂટતું. પણ આશકાને જોઇને હું એ બધું વીસરી ગયો હતો. જાણે પહેલી અને છેળ્લી વાર હું કોઇ સ્ત્રીને જોતો હતો. સર્વાંગસંપૂર્ણ મૂર્તિને જોતો હતો. મારા મનમાં અને શરીરમાં શું ચાલી રહ્યું હતું તે વર્ણવવા મારી પાસે શબ્દો નથી. મને જે થતું હતું તે ક્યારેય થયું ન હતું. શું થતું હતું તે કહી શકતો નથી. કદાચ એ જ પ્રેમ હશે. કદાચ પ્રેમની વ્યાખ્યા એ રોમાંચ જ આપી શકે. ગમે તેમ આશકાન સાંનિધ્યમાંથી હું એક પળ પણ અળગો થવા તૈયાર ન હતો. -"આશકા માંડલ"
તેના ગાલ અને હોઠ તેની છાતીમાં ડૂબ્યા. દમ-બ-દમ ઊછળતા સીનાના સ્નિગ્ધ સ્પર્શમાં હિમાલયની શીતળતા હતી. સ્પર્શાનંદમાં તેણે આંખો મીંચી લીધી અને તેને નજીક ખેંચી લીધી. એ ક્ષણોમં નિર્વાણની અનુભૂતિ હતી. રોમરોમમાંથી ઉત્સર્ગ પામતી ઊર્જાનું કેન્દ્રીકરણ થતું હતું. -"આશકા માંડલ"
"અરે ભાઇ ! રામ જેવા પુરુષોએ પણ સીતા જેવી પત્નીનો ત્યાગ નહોતો કર્યો?" સંજીવે પ્રશ્ન કર્યો. "મને એ જ નવાઇ લાગે છે. કહે છે, રામે એક અદના માનવીની વાતથી સીતાનો ત્યાગ કર્યો, એ અપરિપક્વતા નથી? કેરેક્ટરનો અભાવ નથી? તેનો અર્થ તો એ જ ને કે રામને સીતા પર સંપૂર્ણ વિશ્વાસ ન હતો..." "એવું કેવી રીતે કહેવાય ! તેમનું વલણ તો એવું હતું કે રાજ્યરાણી શંકાથી પર જ હોવી જોઇએ. સીઝર્સ વાઇફ જેવો એ ઘાટ હતો." "પણ તો પછી રામે પોતે જ રાજા તરીકે રહેવાની શી જરૂર ? જો લોકોને સીતા વિશે શંકા હતી તો પોતે શા માટે તેના પક્ષે ઊભા રહી લોકોને તજી ન શક્યા ? મને તો લાગે છે પુરુષો શાશ્વતકાળથી સરખા જ હોય છે. તેમનો પ્રેમ માત્ર સ્વતઃ માલિકીપણાનો જ પર્યાય છે." -"શૈલજા સાગર"