ઇસ્કોન

વિકિપીડિયા થી

સીધા આના પર જાઓ: ભ્રમણ, શોધો
ઇસ્કોન સંસ્થાપક આચાર્ય એ.સી. ભક્તિ વેદાંત સ્વામિ પ્રભુપાદ

અંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવનામૃત સંઘ (ઇસ્કોન-International Society for Krishna Conciousness) સામાન્ય રીતે 'હરે કૃષ્ણ' તરીકે પ્રચલિત છે. આ સંસ્થાની સ્થાપના એ.સી. ભક્તિ વેદાંત સ્વામી પ્રભુપાદે અમેરિકાના ન્યૂ યોર્ક શહેરમાં ઇ.સ્. ૧૯૬૬માં કરી. ઘણા લોકો ઇસ્કોનની ગણના એક નવા ધર્મ કે સંપ્રદાય તરીકે કરે છે, પરંતુ હકિકતમાં તો તેનો પાયો શ્રીમદ્ ભાગવતમ્ અને ભગવદ ગીતાનાં મુળ ઉપદેશો ઉપર જ આધારિત છે, અને આ બન્ને ગ્રંથો સનાતન ધર્મનાં આધારભુત શાસ્ત્રો છે. આ સંસ્થા (ઘણી વખત હરે કૃષ્ણ આંદોલન તરીકે ઓળખાતી) મુળભુત રીતે પશ્ચિમ બંગાળની ગૌડીય વૈષ્ણવ પરંપરા ઉપર આધારિત છે, જે ભારતમાં લગભગ ૧૫મી સદીથી અસ્તિત્વમાં છે.

ઇસ્કોન બિન સાંપ્રદાયિક વિચારસરણી[૧] ધરાવતી સંસ્થા છે, એનો અર્થ એ નથીકે તે ધાર્મિક સંસ્થા નથી, પણ અહીં બિન સાંપ્રદાયિક એટલે તેમાં કોઇ પણ જાતિ, વર્ણ કે ધર્મના લોકો જોડાઇ શકે છે. ઇસ્કોનની સ્થાપના ભક્તિ યોગના ફેલાવા માટે કરવામાં આવી છે, જ્યાં ભક્ત વિચારોથી અને કર્મોથી કૃષ્ણ (કે જે પૂર્ણ પુરૂષોત્તમ છે)ને પરાયણ હોય છે.

અનુક્રમણિકા

[ફેરફાર કરો] માન્યતા અને ઇતિહાસ

વધુ માહિતિ માટે અચિંત્ય ભેદાભેદનો અભ્યાસ કરી શકો છો.

હરે કૃષ્ણ ભક્તો એમ માને છે કે કૃષ્ણ વિષ્ણુના પણ ઉત્પત્તા છે. ઇસ્કોન એમ શીખવે છે કે કૃષ્ણ સર્વોપરિ દેવ છે અને માટે જ તેમને પૂર્ણ પુરૂષોત્તમ ભગવાન તરિકે સંબોધિત કરવામાં આવે છે, બીજા બધા તે તેમના વિશિષ્ટ અવતારો છે. ભક્તો રાધા અને કૃષ્ણ ને યુગલ સ્વરૂપે ભજે છે, તેઓ રાધાને રાધા રાણી તરીકે સંબોધે છે અને તેને કૃષ્ણ પ્રેમનું સ્વરૂપ માને છે. ઇસ્કોનના તત્ત્વજ્ઞાનની વિશેષતા એ છે કે, તેઓ આત્માને સાશ્વત માને છે અને તે વાતનું ખંડન કરે છે કે આત્મા અંતે નિરાકાર બ્રહ્મ જ્યોતિમાં લિન થઇ જાય છે અથવાતો આત્મા નાશ પામે છે, અને આ કારણે તે અદ્વૈત વાદીઓથી જુદો તરી આવે છે.

હરે કૃષ્ણ ભક્તો ગૌડીય વૈષ્ણવ પરંપરામાં આવે છે. વિષ્ણુ (કૃષ્ણ)ને ભજે તે વૈષ્ણવ અને ગૌડ, તે પશ્ચિમ બંગાળમાં આવેલો પ્રદેશ છે, વૈષ્ણવ ધર્મની આ શાખાનો ઉદ્ભવ ગૌડ પ્રદેશમાંથી થયો હોવાથી, તેને ગૌડીય વૈષ્ણવ પરંપરા તરીકે ઓળખવામાં આવે છે. ગૌડીય વૈષ્ણવ પરંપરા ભારતમાં ખાસ કરીને બંગાળ અને ઓરિસ્સામાં છેલ્લ પાંચસો વર્ષોથી અતુટ રીતે ચાલી આવી છે, શ્રીલ પ્રભુપાદે આ વૈષ્ણવ પરંપરાનાં સિધ્ધાંતો અને શિક્ષા પાશ્ચાત્ય દેશો સુધી પહોંચાડ્યા અને તે માટેનું માધ્યમ હતું તેમણે લખેલા પુસ્તકો અને શાસ્ત્રોના કરેલા અનુવાદો. તેમણે ભગવદ્ ગીતા (ભગવદ્ ગીતા તેના મૂળ રૂપે; અંગ્રેજીમાં Bhagavad Gita), શ્રીમદ્ ભાગવતમ્ , ચૈતન્ય ચરિતામૃત તથા અન્ય અનેક પુસ્તકોના અનુવાદ અંગ્રેજીમાં ટિકા સાથે કર્યા છે. આ અનુવાદો આજે ૬૦થી વધુ ભાષાઓમાં ઉપલબ્ધ છે અને ઇસ્કોનનાં પ્રચાર કાર્યમાં પાયાનાં શસ્ત્રો તરિકે ભાગ ભજવે છે. આ પૈકીનાં ઘણા પુસ્તકો ઑનલાઇન (ઇન્ટરનેટ પર) પણ ઉપલબ્ધ છે.[૨] [૩]

[ફેરફાર કરો] 'મહા મંત્ર'

ઇસ્કોનના અનુયાયીઓ મોટેભાગે 'હરે કૃષ્ણ' કે 'હરે કૃષ્ણ ભક્તો' તરીકે ઓળખાય છે, જે ઓળખ તેમને આ મંત્ર ઉપરથી મળી છે. આ એ મંત્ર છે જે ભક્તો મોટેથી વાધ્યો સાથે મંદિરમાં અને નગર સંકિર્તન દરમ્યાન તાલબધ્ધ રીતે ગાય છે અને જપ માળા ઉપર તેનો જાપ કરે છે. સોળ શબ્દોના બનેલા આ મંત્રમાં કૃષ્ણ, રામ અને ભગવાનની અંતરંગ શક્તિ હરે (રાધા રાણી અને સીતા)નું ઉચ્ચારણ છે. આ મંત્રના સતત ઉચ્ચારણથી ઉત્પન્ન થતાં તરંગો ભગવદ્ ભક્તિ અને કૃષ્ણ ભાવનામૃતની વૃધ્ધિ કરે છે.

મહામંત્ર:

હરે કૃષ્ણ હરે કૃષ્ણ
કૃષ્ણ કૃષ્ણ હરે હરે
હરે રામ હરે રામ
રામ રામ હરે હરે

[ફેરફાર કરો] સંપ્રદાયનાં સાત મુખ્ય ઉદ્દેશો

225px ઇસ્કોનનાં દેશ વિદેશનાં મંદિરો દ્વારા વર્ષ દરમ્યાન વિવિધ રથયાત્રાઓનું આયોજન કરવામાં આવે છે, જેમકે લંડનમાં નીકળેલી આ રથયાત્રા

પ્રભુપાદે ઇ.સ્. ૧૯૬૬માં ન્યૂ યોર્કમાં ઇસ્કોન નામે સંસ્થાની નોંધણી કરાવી ત્યરે આ ૭ ઉદ્દેશો ઘડ્યાં હતાં:

  1. સમાજમાં પધ્ધતિસર રીતે આધ્યાત્મિક જ્ઞાન બહોળા પ્રમાણમાં ફેલાવવું અને લોકોને ધાર્મિક જીવન પધ્ધતિથી માહિતગાર કરવા જેથી કરીને જીવનનાં બદલાતાં મુલ્યોને અટકાવિ શકાય અને વિશ્વમાં સાચી એકતા અને શાંતિ સ્થાપી શકાય.
  2. ભગવદ્ ગીતા અને શ્રીમદ્ ભાગવતમ્ માં જણાવ્યા પ્રમાણે સમાજમાં કૃષ્ણ ભાવના જગાવવી.
  3. સમાજની દરેક વ્યક્તિને અકબીજાની સાથે અને કૃષ્ણની નજીક લાવવી, જેથી કરીને સમાજનાં સભ્યોમાં અને બહોળા પ્રમાણમાં સમસ્ત વિશ્વમાં એ ભાવના કેળવી શકાય કે દરેક આત્મા તે પરમાત્મા (કૃષ્ણ)નાં ગુણોનો અંશ છે.
  4. લોકોને ચૈતન્ય મહાપ્રભુનાં આદેશાનુસાર સંકિર્તન આંદોલનની અને સમુહમાં ભગવાનનાં પવિત્ર નામના જપ કરવાની શિક્ષા આપવી.
  5. સમાજનં સભ્યો અને અન્યા લોકો માટે કૃષ્ણને સમર્પિત, દિવ્ય લીલાઓ વર્ણવતાં ધર્મિક સ્થાનકો ઉભા કરવાં.
  6. સભ્યોને સાદી, સરળ અને કુદરતની વધુ નજીક હોય તેવી જીવન પધ્ધતિ શિખવવાનાં ઉદ્દેશ્યથી એકબીજાની વધુ નજીક લાવવાં.
  7. ઉપર વર્ણવેલાં ઉદ્દેશોની પ્રાપ્તિ અર્થે પુસ્તકો, સામયિકો, તથા અન્ય સાહિત્ય પ્રકાશિત કરવું.

[ફેરફાર કરો] ચાર નિયમો

શ્રીલ પ્રભુપાદે આધ્યાત્મિક જીવનમાં પ્રગતિ સાધવા માટે નીચેના ચાર નિયમોનું દ્રઢ પણે પાલન કરવા જણાવ્યું છે:

  • માંસાહાર ન કરવો (ઈંડા, લસણ, ડુંગળી, મશરૂમ ઇત્યાદિ પણ ત્યજવા)
  • વ્યભિચાર ન કરવો (પરસ્ત્રી ગમન)
  • જુગાર ન રમવો (લોટરી, ઇત્યાદિ પણ વર્જ્ય)
  • નશો ન કરવો (બીયર, કોઇ પણ પ્રકારનો આલ્કોહોલ, ચા, કૉફી, સોપારી, તમાકુ, વિગેરે)

[ફેરફાર કરો] પ્રચાર કાર્ય

તિરૂપતિખાતેનું ઇસ્કોન મંદિર

ઇસ્કોન પ્રચાર કાર્ય ઉપર ભાર મુકે છે. અનુયાયીઓ નગર સંકિર્તન (જાહેર સ્થળોએ મહામંત્રનું સમુહમાં ગાન કરવું) અને શ્રીલ પ્રભુપાદે લખેલાં પુસ્તકોનું વિતરણ કરે છે, જે દ્વારા સમાજમાં ભગવાન કૃષ્ણ પ્રત્યે અને હરે કૃષ્ણ આંદોલન વિષે જાગૃતિ કેળવાય. શ્રી ચૈતન્ય મહાપ્રભુ દ્વારા સ્થાપવામાં આવેલા આ પંથમાં વૈષ્ણવ ધર્મ અંગિકાર કરવા માટે વ્યક્તિનું હિંદુ કુળમાં જન્મેલા હોવું જરૂરી નથી, અર્થાત કોઇ પણ વ્યક્તિ અમુક નિયમોનું પાલન કરવાથી ભગવાનનું સામિપ્ય પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરી શકે છે. ઇસ્કોનની આ માન્યતા તેને હિંદુત્વની અન્ય અનેક શાખાઓથી અલગ તારવે છે, જેમાં વ્યક્તિનું કોઇક ચોક્કસ કુળમાં જન્મવું તેના ધર્મ પાલન માટે મહત્વનું હોય છે. વિશ્વનાં અનેક શહેરોમાં 'ઇસ્કોન સમાજ' (ISKCON Community) અસ્તિત્વ ધરાવે છે, જ્યાં શાળાઓ, ખેતરો અને રૅસ્ટોરન્ટો (ભોજનાલયો) આવેલાં છે અને અનુયાયિઓ એક્બીજાની સાથે અડોશ પડોશમાં રહે છે. અનેક મંદિરો દ્વારા Food for Life (સહુને માટે પ્રસાદ) નામે કાર્યક્રમ ચલાવે છે, જેમાં જરૂરિયાત મંદોને માટે કૃષ્ણ પ્રસાદનાં રૂપમાં ભોજન પુરૂં પાડવામાં આવે છે. તાજેતરમાં ઇસ્કોન દ્વારા પાશ્ચાત્ય શિક્ષણ જગતમાં કૃષ્ણોલોજી (કૃષ્ણ વિષે અભ્યાસ) નામે અભ્યાસક્રમ પણ રજૂ કરવામાં આવ્યો છે.

[ફેરફાર કરો] ગુજરાતમાં ઇસ્કોનના (કેન્દ્રો) મંદિરો

અમદાવાદ

વલ્લભ વિદ્યાનગર

વડોદરા

સુરત

રાજકોટ

[ફેરફાર કરો] સંદર્ભ

  1. ગોષ્ઠી ૨૨ ઑગષ્ટ, ૧૯૭૬ "ઇસ્કોન, એક વિશ્વવ્યાપી બિન સાંપ્રદાયિક આંદોલન છે જે લોકોના કલ્યાણ માટે વેદોનું જ્ઞાન અને તેમા રહેલા સંદેશાનો પ્રચાર કરવા માટે સમર્પિત છે."
  2. ઇસ્કોન વેદાબેઝ
  3. વેદ વિશ્વકોષમાં શ્રીલ પ્રભુપાદ દ્વારા રચિત સાહિત્ય

[ફેરફાર કરો] બાહ્ય કડીઓ

[ફેરફાર કરો] સત્તાવાર વેબસાઇટો

[ફેરફાર કરો] બિનસત્તાવાર વેબસાઇટો

અભ્યાસાર્થે
સમાચાર
સાહિત્ય

ઓડિયૉ વિઝયુઅલ

વિચારધારા
અન્ય/પરચુરણ