કમળાશંકર ત્રિવેદી

વિકિપીડિયામાંથી
કમળાશંકર ત્રિવેદી

ત્રિવેદી કમળાશંકર પ્રાણશંકર (૧૧-૧૦-૧૮૫૭, ૧૯૨૫) ગુજરાતી ભાષાના સંપાદક, વ્યાકરણવિદ તરીકે જાણીતા છે.


જીવન[ફેરફાર કરો]

તેમનો જન્મ સુરત ખાતે થયો હતો.તેમનુ પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ સુરતમાં જ થયુ હતુ.તેમણે ૧૮૭૪માં મૅટ્રિક પાસ કર્યુ હતુ.ત્યારબાદ તેમણે ૧૮૭૮માં ઍલ્ફિન્સ્ટન કૉલેજમાંથી અર્થશાસ્ત્ર-ઇતિહાસ વિષયો સાથે બી.એ (બેચલર ઓફ આર્ટસ)ની ની પદવી મેળવી હતી.પરંતુ,આર્થિક મુશ્કેલીને કારણે આગળ અભ્યાસ ન થઇ શકતા તેઓ સુરતની મિશન હાઈસ્કૂલમાં અવેજી શિક્ષક તરીકે જોડાયા હતા.ત્યારબાદ તેમણે પછીથી ભરૂચ, નડિયાદ, સુરત, અમદાવાદ, ભાવનગર, મુંબઈ અને પૂનામાં માધ્યમિક તથા ઉચ્ચ સ્તરે શિક્ષણકાર્ય કર્યુ હતુ. ત્યારબાદ તેમણે ૧૯૦૨માં અમદાવાદની પ્રેમચંદ રાયચંદ ટ્રેનિંગ કૉલેજમાં આચાર્ય તરીકે ફરજ બજાવી હતી તથા ‘ગુજરાત શાળાપત્ર’ નું સંપાદન પણ કર્યુ હતુ.તેઓ મુંબઈ તથા પંજાબ યુનિવર્સિટીમાં સંસ્કૃતના પરીક્ષક પણ રહી ચુક્યા છે. તેઓ ૧૯૧૪માં નિવૃત્ત થયા હતા. ઉપરાંત તેઓ ૧૯૨૪ ની સાતમી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ બન્યા હતા.

સર્જન[ફેરફાર કરો]

તેમણે ઇતિહાસ અને અર્થશાસ્ત્ર જેવા વિષયો નુ અધ્યયન અને અધ્યાપન સંસ્કૃત વિષયમાં કર્યું છે.વિવિધ વ્યાકરણગ્રંથોની રચના તથા સંસ્કૃતગ્રંથોનાભાષાંતરમાં એમનું મહત્વનું પ્રદાન છે. વિવિધ સંપાદન પર પણ એમના સંસ્કૃતઅધ્યાપનનો સ્પષ્ટ પ્રભાવ જણાય છે. ઇતિહાસ, શિક્ષણ, વ્યાકરણ, કાવ્ય, અલંકાર, ગણિત, તત્વજ્ઞાન જેવા વિવિધ વિષયોમાં સક્રિય રસ દાખવી એમણે જુદા-જુદા પુસ્તકો સંપાદિત કર્યા છે.

તેમણે સેમ્યુઍલ સ્માઇલ કૃત ડ્યુટી પુસ્તકનો ગુજરાતીમાં અનુવાદ કરેલ છે.[૧]

મૌલિક ગ્રંથો[ફેરફાર કરો]

  • ‘ઈંગ્લૅન્ડનો ટૂંકો ઇતિહાસ’ (૧૮૮૭)
  • ‘ગોડ્સ ઑવ ઇન્ડિયા’ (૧૯૧૩)
  • ‘શિક્ષણશાસ્ત્રનાં મૂળતત્વો’ (૧૯૧૩)
  • ‘શંકરજ્યંતી વ્યાખ્યાનમાળા’ (૧૯૧૩)
  • ‘ગુજરાતી ભાષાનું વ્યાકરણ’ (૧૯૧૪/૧૬)
  • ‘કારકમીમાંસા’ (૧૯૧૫)
  • ‘મધ્યમ વ્યાકરણ’ (૧૯૧૭)
  • ‘બૃહદ્ વ્યાકરણ’ (૧૯૧૯)
  • ‘હિંદુસ્તાનનો સંક્ષિપ્ત ઇતિહાસ’ (૧૯૨૦)
  • ‘કાવ્યસાહિત્ય મીમાંસા’ (મરણોત્તર, ૧૯૩૦)
  • ‘અનુભવવિનોદ’ (મરણોત્તર, ૧૯૩૩)

સંપાદિત પાઠ્યપુસ્તકો[ફેરફાર કરો]

  • ‘સંસ્કૃત’-પુ. ૧-૨ (૧૮૯૬)
  • ‘ સંસ્કૃતશિક્ષિકા’ (૧૯૧૧)
  • ‘સાહિત્યમંજરી’ (૧૯૧૫)
  • ‘ગુજરાતી/ત્રિવેદી વાચનમાળા’ (૧૯૨૧)

સંપાદન[ફેરફાર કરો]

  • ‘ભટ્ટીકાવ્ય/રાવણવધ’ (૧૮૯૮) [પાણિનીનાં સૂત્રોની સમજ આપતું દ્રષ્ટાંતકાવ્ય]
  • ‘રેખા ગણિત’ (૧૯૦૧-૧૯૦૨) [જગન્નથકૃત]
  • ‘એકાવલિ’ (૧૯૦૮) [વિદ્યાધરકૃત]
  • ‘પ્રતાપરુદ્રયશોભૂષણ’ (૧૯૦૯) [વિશ્વનાથકૃત]
  • ‘ષડ્ભાષાચંદ્રિકા’ (૧૯૧૮) [લક્ષ્મીધરકૃત]
  • ‘પ્રક્રિયાકૌમુદી’ [રામચંદ્રકૃત]
  • ‘પ્રાકૃત પ્રકાશ’ [ વરરુચિકૃત ]
  • ‘વૈયાકરણભૂષણ’ [કોંડ ભટ્ટકૃત ]


ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ (૧૯૧૯) : કમળાશંકર પ્રાણશંકર ત્રિવેદીનો આ ગ્રંથ ચાલીસ પ્રકરણોમાં વહેંચાયેલો છે. ગુજરાતી ભાષામાં અત્યાર સુધી લખાયેલા વ્યાકરણવિષયક ગ્રંથોમાં આ ગ્રંથ ઐતિહાસિક મહત્વે ધરાવે છે. આ વ્યાકરણ રચવામાં લેખકે મોટે ભાગે સંસ્કૃત તથા અંગ્રેજી વ્યાકરણોનો પ્રતિમાન તરીકે ઉપયોગ કર્યો છે. શરૂઆતમાં સામાન્ય ભાષાશાસ્ત્રની થોડીક ચર્ચા છે પણ પછી તત્કાલીન વ્યાકરણવિષયક વિભાવના રજૂ થઈ છે. સાતમા, આઠમા અને નવમા પ્રકરણોમાં કંઈક સાહિત્યિક કહી શકાય તેવી ચર્ચા છે, જે એ સમયના વ્યાકરણવિષયક ગ્રંથોનું એક અંગ લેખાતું હતું. ગ્રંથના શેષ ભાગમાં પદ, વાક્યાર્થ, નામ, જાતિ (લિંગ), વચન, વિભક્તિ, કારક, સર્વનામ, વિશેષણ, ક્રિયાપદના પ્રકારો, ધાતુના પ્રકારો, કૃદન્ત, કાળ, પ્રયોગ, ઉપસર્ગ, પૂર્વગ, અવ્યય, પદવિન્યાસ, વાક્યપૃથ્થકરણ વગેરેનો સમાવેશ થયો છે. સાત દાયકા પહેલાં લખાયેલો વ્યાકરણ પરનો આ ગ્રંથ આજના સંશોધકને એના સંશોધનકાર્યના પ્રસ્થાન-બિંદુ તરીકે અથવા એ દિશામાં વિચારણાર્થ સામગ્રી તરીકે ઉપયોગી છે.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. આર્ટિસ્ટ, પુરુષોત્તમ વ્રજલાલ. ગુજરાતના સાક્ષરો. પૃષ્ઠ 166.

બાહ્ય કડિઓ[ફેરફાર કરો]