કલ્યાણભાઇ બાબરભાઇ પટેલ
વિકિપીડિયા થી
કલ્યાણભાઇ બાબરભાઇ પટેલનો જન્મ દક્ષિણ ગુજરાતમાં આવેલા વાંસદા તાલુકાના ભિનાર ગામમાં ૨૭-૧૨-૧૯૩૬ના દિને નિરક્ષર ખેડુત તથા આદિવાસી કુટુંબમાં થયો હતો. વારસાઇમાં માત્ર ગરીબાઇ અને આંનદી સ્વભાવ.
અનુક્રમણિકા |
[ફેરફાર કરો] અભ્યાસ
કપરા સંજોગોમાં ફાઇનલ પાસ કરીને તેઓ પ્રાથમિક શિક્ષક બન્યા. આ ભણતર માટે તેઓએ ગોવાળીયા અને ટપાલી તરીકે કાર્ય પણ કરવું પડયું હતું.
[ફેરફાર કરો] કારકિર્દી
તેઓને ૧૯૫૯ના વર્ષમાં વાંસદા તાલુકાના કુકડા ગામે શિક્ષકની નોકરી મળી. આ દરમ્યાન તેમનાં લગ્ન તે સમયના મુંબઇ રાજ્યના સુરગાણા મતવિસ્તારના ધારાસભ્ય શ્રી નારણભાઇ લાછાભાઇનાં જ્યેષ્ઠ પુત્રી નંદુબહેન સાથે થયાં. થોડા જ સમયમાં ગુજરાત રાજ્યની રચના થતાં અને ડાંગ વિસ્તારનો એમાં સમાવેશ થતાં ગુજરાત સરકારને ડાંગ વિસ્તાર માટે શિક્ષકોની જરૂર પડી. આ માટે કલ્યાણભાઇ અને નંદુબહેને પહેલ કરી સરકારને ત્યાં જવા માટે ખુશીથી હા પાડી હતી. પરિણામે તેમની નિમણુંક સરકારી આશ્રમશાળા, બારીપાડા ખાતે થઇ હતી. આ સમયે તેમણે ખાદીનાં કપડાં આજીવન પહેરવાનું નક્કી કર્યું હતું, જે આજપર્યંત એમણે જાળવી રાખ્યું છે.
સને ૧૯૯૪ના વર્ષમાં ધરમપુર તાલુકાના કેળવણી નિરીક્ષકના પદ પરથી વયમર્યાદાને કારણે તેમની નિવૃતિ થઇ.નિવૃતિ બાદ સામાજિક, રાજકીય, સહકારી ક્ષેત્રે તેમનો ઉદય થયો. હાલમાં તેઓ વાંસદા તાલુકાના કુરેલિયા ગામે નંદુવાડી ખાતે રહી વિવિધ ક્ષેત્રે પોતાની સેવાઓ પ્રદાન કરી રહ્યા છે. ૭૨ વર્ષની વયે તેઓ કોઇપણ યુવાનને પડકારી શકે તેવી તંદુરસ્તી તથા વાકછટા ધરાવે છે.
[ફેરફાર કરો] સન્માન
તેમની આશ્રમશાળાના વિદ્યાર્થીઓનાં ઉત્તમ પરિણામો મેળવતા. તેઓ શારિરીક શિક્ષણની ફરજિયાત તાલિમ અને શિસ્તના આગ્રહી હતા. શિક્ષક તરીકેની આવી સરસ કામગીરી, ફરજનિષ્ઠા, તેજસ્વિતા, સાદાઇ, પરિશ્રમ, પ્રામાણિકતા, સ્વચ્છતા, દક્ષતા, વહીવટી કુશળતા જેવા ઉમદા ગુણોને ધ્યાનમાં લઇ ગુજરાત સરકાર દ્વારા કલ્યાણભાઇને સને ૧૯૭૬માં તે સમયના રાજ્યપાલ શ્રી કે.કે.વિશ્વનાથનના હસ્તે શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો.
[ફેરફાર કરો] સમાજસેવા
પ્રખર વક્તા તથા ઉમદા વ્યક્તિત્વ ધરાવતા શ્રી કલ્યાણભાઇ સને ૧૯૯૫ના વર્ષમાં તેઓએ પોતાના સમાજ(શ્રી સમસ્ત ધોડિયા સમાજ)ના પ્રમુખ તરીકેના પદે આરુઢ થયા, જ્યાં તેઓ આજ પર્યંત સેવા આપી રહ્યા છે.
ભિનાર ગામની દૂધ ઉત્પાદક મંડળીના પ્રમુખ તરીકે કલ્યાણભાઇ છેલ્લાં ૧૦ વર્ષથી કાર્યરત રહ્યા છે. છેલ્લાં ૪ વર્ષથી તેઓ વલસાડ જિલ્લા સહકારી બેંકના ડીરેક્ટર પદે સેવા આપી રહ્યા છે.
છેલ્લા ૮ વર્ષથી કલ્યાણભાઇ ગુજરાત રાજ્ય આદિવાસી વિકાસ સંઘના પ્રમુખ છે. તેઓએ ખૂબ જ નીડરતાથી અને અભ્યાસ કરી સચોટ રીતે તાલુકામાં, જિલ્લામાં તથા રાજ્યસ્તરે આદિવાસીઓને લગતા પ્રશ્નોની અવારનવાર રજૂઆત કરી, ઉકેલો પણ મેળવ્યા છે.
સેવા કેન્દ્ર, બીલીમોરાના ઉપપ્રમુખ તરીકે લાંબા સમયથી સેવા આપી રહ્યા છે, જેના ઉપક્રમે ડાંગ જિલ્લામાં કાંતણ, વણાટ અને અન્ય પ્રવૃતિઓ ચાલે છે.
ગુજરાત વિદ્યાપીઠ દ્વારા ચાલતી નઇ તાલીમના કાયમી આમંત્રિત સભ્ય છે. આશ્રમશાળા અને ઉત્તર બુનિયાદી પગલાં સમિતિના સભ્ય છે.
[ફેરફાર કરો] સ્કાઉટ અને ગાઇડ
ભારત સ્કાઉટ અને ગાઇડના ગુજરાત રાજ્યના મદદનીશ કમિશનર અને નવસારી જિલ્લાના ચીફ કમિશનર છે.
[ફેરફાર કરો] રાજકારણ
વલસાડ જિલ્લા પંચાયતની ચુંટણીમાં સભ્ય તરીકે ભાજપમાંથી વિજયી બની તેઓ સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ બન્યા. આ સમયમાં વલસાડ જિલ્લાનુ વિભાજન થતાં તેઓ નવસારી જિલ્લા પંચાયતના ન્યાય સમિતિના અધ્યક્ષ બન્યા હતા.
હાલ તેઓ ગુજરાત રાજ્યના ભાજપ આદિવાસી મોરચાના સભ્ય છે.
[ફેરફાર કરો] સંદર્ભ
- શ્રી જ્ઞાનકિરણ ધોડિયા જ્ઞાતિ મંડળનો અંક-વડલો