ગોવર્ધનરામ ત્રિપાઠી
[ફેરફાર કરો] સવિશેષ પરિચય
ત્રિપાઠી ગોવર્ધનરામ માધવરામ (૨૦-૧૦-૧૮૫૫, ૪-૧-૧૯૦૭) : નવલકથાકાર, કવિ, ચરિત્રકાર, વિવેચક. જન્મ વતન ખેડા જિલ્લાના નડિયાદમાં. પ્રાથમિક શિક્ષણ મુંબઈની બુદ્ધિવર્ધક શાળામાં. અંગ્રેજી ત્રણ ધોરણ નડિયાદમાં. ચોથા ધોરણથી મુંબઈની ઍલ્ફિન્સ્ટન હાઈસ્કૂલમાં. ૧૮૭૧માં મૅટ્રિક. ૧૮૭૫માં મુંબઈની ઍલ્ફિન્સ્ટન કૉલેજમાંથી અંગ્રેજી, સંસ્કૃત, અર્થશાસ્ત્ર, ઇતિહાસ, ન્યાયશાસ્ત્ર, નીતિશાસ્ત્ર વિષયો સાથે બી.એ. કૉલેજના અભ્યાસકાળ દરમિયાન જીવન જીવવા અંગે ત્રણ સંકલ્પ કર્યા : એલએલ.બી થઈ મુંબઈમાં વકીલાત કરવી; ક્યારેય નોકરી કરવી નહીં; અને ચાળીસમે વર્ષે વ્યવસાયમાંથી નિવૃત્ત થઈ શેષ જીવન સાહિત્ય અને સમાજની સેવામાં સમર્પિત કરવું. એલએલ.બી.ના અભ્યાસની સાથે ‘ભાષા અને સાહિત્ય’ ના વિષયમાં એમ.એ.નો અભ્યાસ શરૂ કર્યો, પરંતુ નાજુક તબિયતને લીધે છોડવો પડયો. ૧૮૭૬માં પહેલી એલએલ.બી. અને ૧૮૮૩માં બીજી એલએલ.બી. પરીક્ષા પાસ કરી. એની વચ્ચેના વર્ષો પૈકી ૧૮૭૯-૮૩ દરમિયાન અનિચ્છાએ પણ આર્થિક કારણોસર ભાવનગરના દીવાનના અંગત સેક્રેટરી તરીકે કામ કર્યું. ૧૮૮૩ થી ૧૮૯૮ સુધી મુંબઈમાં વકીલાત. વકીલાત સારી ચાલતી હતી તોપણ સંકલ્પ અનુસાર વ્યવસાયમાંથી નિવૃત્ત થઈ ૧૮૯૮માં લેખનકાર્યના સાતત્ય સારુ નડિયાદ આવીને રહ્યા. ૧૯૦૫માં અમદાવાદની પહેલી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ. નડિયાદમાં અવસાન.
દાદાના સમયથી ઘરમાં રહેતા મુનિ મહારાજ પાસે વીતેલા બાળપણ અને ઘરના ધાર્મિક વાતાવરણથી ચિત્ત પર પડેલો વૈષ્ણવધર્મ ને વેદાંતવિચારનો પ્રભાવ, કિશોરાવસ્થાથી વાચનનો અતિ શોખ, કાકા મનઃસુખરામ સાથેનો સહવાસ વગેરેએ ગોવર્ધનરામને ધાર્મિક, વિદ્યાવ્યાસંગી અને આર્યસંસ્કૃતિ પ્રત્યે અનુરાગી બનાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો.
કૉલેજકાળ દરમિયાન કાવ્યરચના કરવાનો અને લેખો લખવાનો પ્રારંભ થઈ ગયેલો. પ્રારંભના વર્ષોમાં ગુજરાતી કવિતા કરતાં સંસ્કૃત કવિતા રચવા તરફ વિશેષ રુચિ હતી તે સંસ્કૃતમાં એમણે કરેલા ગિરનારવર્ણન પરથી તેમ જ કાલિદાસના ‘મેઘદૂત’ ના અનુકરણમાં શરૂ કરેલું ‘મનોદૂત’ કે પ્રથમ પત્ની હરિલક્ષ્મીના અવસાનથી જન્મેલા શોકથી ૧૮૭૫માં રચાયેલું ‘હૃદયરુદિતશતક’ એ કાવ્યો પરથી જોઈ શકાય છે. એ સિવાય ૧૮૭૩ ના વર્ષમાં અંગ્રેજીમાં લખાયેલા ‘ઈઝ ધેર એની ક્રિયેટર ઑવ ધ યુનિવર્સ ?’, ‘ઘ સ્ટેટ ઑવ હિંદુ સોસાયટી ઈન ધ બોમ્બે પ્રેસિડન્સી’ કે એવા અન્ય લેખો એમની વ્યાપક વિષયોને ઊંડળમાં લેવાની મનોવૃત્તિના સૂચક છે. પરંતુ આ પ્રારંભિક લેખોમાં એમના જીવન-વિચારને સમજવામાં ખૂબ ઉપયોગી, ૧૮૭૭માં લખાયેલો ‘એ રુડ આઉટલાઈન ઑવ ધ જનરલ ફિચર્સ ઑવ ઍસેટિઝમ ઈન માય સેન્સ ઑવ ધ વર્ડ’ લેખ છે. સંસારત્યાગમાં નહીં, સંસારસેવા અર્થે જીવન સમર્પિત કરવું એ જ સાચો સંન્યાસ એવી પ્રવૃત્તિમય સંન્યાસની ભાવના એમણે એ લેખમાં રજૂ કરી છે.
અલબત્ત, ૧૮૮૩ થી જેની રચનાનો પ્રારંભ થઈ ગયો હતો તે ‘સરસ્વતીચંદ્ર’ : ભા.૧ (૧૮૮૭) નવલકથા એમની ગ્રંથરૂપે પ્રગટ થયેલી પહેલી કૃતિ છે. પછી ક્રમશઃ તેના ભા. ૨ (૧૮૯૨), ભા.૩ (૧૮૯૮) અને ભા.૪ (૧૯૦૧) ચૌદ વર્ષ દરમિયાન પ્રગટ થયા. યુનિવર્સિટીની ઉચ્ચ કેળવણીને લીધે પાશ્ચાત્ય સાહિત્ય સાથે પ્રાચીન ભારતીય સંસ્કૃતિ અને સાહિત્યથી પરિચિત સર્જકોનો જે વર્ગ ગુજરાતી સાહિત્યમાં આવ્યો તે વર્ગની સુધારાલક્ષી દ્રષ્ટિ નર્મદ-દલપત કરતાં વધારે સ્વસ્થ અને પર્યેષક વૃત્તિવાળી હતી. આ લેખક એ વર્ગના અગ્રયાયી સર્જક હતા. પશ્ચિમની પ્રવૃત્તિપરાયણ ભૌતિકવાદી સંસ્કૃતિ, ભારતની નિવૃત્તિપરાયણ અધ્યાત્મવાદી પ્રાચીન આર્ય સંસ્કૃતિ અને તેનું અર્વાચીન સ્વરૂપ-એ ત્રણેના સંગમસ્થાને ઊભેલી
ભારતીય પ્રજાએ નવી સંસ્કૃતિનું નિર્માણ કરવા માટે આ ત્રણે સંસ્કૃતિમાંથી શું ગ્રહણ કરવું ને શું છોડી દેવું એ અંગે તે સમયના બુદ્ધિજીવી વર્ગે જે મંથન અનુભવ્યું તે એના સર્વગ્રાહી સૂક્ષ્મ રૂપમાં આ નવલકથામાં પ્રગટ થયું છે. ઓગણીસ વર્ષ જેના પર કામ કર્યું એવી, આશરે અઢારસો પૃષ્ઠમાં વિસ્તરેલી, ગુજરાતી સાહિત્યની શકવર્તી બનેલી આ નવલકથામાં લેખકની સર્જકચિંતક તરીકેની સમગ્ર શક્તિનો નિચોડ છે.
સરસ્વતીચંદ્ર-કુમુદના ભગ્નાશ પ્રણયની કથા, ચારે ભાગને આવરી લેતી હોવા છતાં ‘સરસ્વતીચંદ્ર’ માત્ર પ્રણયકથા નથી; પ્રણયકથા નિમિત્તે એ સંસ્કૃતિકથા છે. તેથી સરસ્વતીચંદ્ર-કુમુદ સાથે સંકળાયેલાં પાત્રોનાં જીવનમાં લઈ જઈને લેખકે દરેક ભાગમાં પ્રણયકથાની આસપાસ જુદીજુદી એકાધિક કથાઓ ગૂંથી છે. પહેલા ભાગમાં કુમુદસુંદરીના શ્વસુર, સુવર્ણપુરના અમાત્ય બુદ્ધિધન સાથે સંકળાયેલી રાજખટપટનું અને બુદ્ધિધન તેમ જ શઠરાયના કૌટુંબિક જીવનનું ચિત્ર વિશેષ ધ્યાન ખેંચે છે. એની સાથે સરસ્વતીચંદ્ર અને તેનાં કુટુંબજીવનની કથા નિમિત્તે મુંબઈના ધનાઢ્ય મનુષ્યોનો જીવનવ્યવહાર આલેખાયો છે. બીજા ભાગમાં કુમુદની માતા ગુણસુંદરીના સંયુક્ત કુટુંબની કથા છે. ત્રીજા ભાગમાં કુમુદના પિતા વિદ્યાચતુર જે રત્નનગરીના અમાત્ય છે તે નગરીના રાજ્યતંત્રની કથા છે. ચોથા ભાગમાં સરસ્વતીચંદ્ર-કુમુદનું જયાં પુનર્મિલન થયું એ સુંદરગિરિ પર્વત પરના સાધુઓના જીવનની કથા અને એ દ્વારા મનુષ્યના જીવનકર્તવ્યની વિશદ મીમાંસા તેમ જ સરસ્વતીચંદ્ર-કુમુદનાં સહસ્વપ્નોની કથા દ્વારા ભવિષ્યના ભારતનું દર્શન છે. દરેક ભાગમાં વહેતી પ્રણયકથા સાથે સંબંધિત ઘટનાઓનો સમયપટ બે ત્રણ માસથી વધુ ન હોવા છતાં આ પ્રકારના કથાસંયોજનથી જાણે કોઈ બૃહદ્ સમયપટમાંથી પસાર થયાં હોઈએ તેવો અનુભવ કૃતિ વાંચતા થાય છે. આમ, લેખકે કથાને અનેક-કેન્દ્રી અને સંકુલ બનાવી છે.
ગૃહ, રાજ્ય ને ધર્મ વિશેના પોતાના વિચારો પ્રજાના બહોળા વર્ગ સુધી પહોંચી શકે એ હેતુથી પોતે નિબંધને બદલે નવલકથાનો આશ્રય લીધો એવું લેખકે સ્પષ્ટ સ્વીકાર્યું છે, તોપણ એમની સર્જક તરીકેની ઊંચી શક્તિ ઘટનાસંયોજન, પાત્રનિરૂપણ ને ભાષામાં પ્રગટ થઈ છે. સંઘર્ષના તત્વથી પહેલા બે ભાગ કથાની દ્રષ્ટિએ વધારે રસિક બન્યા છે. પહેલા ભાગમાં બુદ્ધિધન-શઠરાય એ સદ્-અસદ્ બળો વચ્ચે ચાલતા સત્તાના સ્થૂળ સંઘર્ષના તથા બુદ્ધિધન અને શઠરાયનાં કુટુંબોના વિરોધી ચિત્રોના આલેખનથી કથારસ મળે છે. બીજા ભાગમાં ગુણસુંદરીના ત્યાગશીલ વ્યક્તિત્વથી અને વિદ્યાચતુરનાં કુટુંબીજનોના સ્વાર્થપટુ માનસમાંથી જન્મતી પરિસ્થિતિથી કથા રસિક બની છે. ત્રીજા ભાગમાં સંઘર્ષ વિશેષતઃ વૈચારિક ભૂમિકાએ રહે છે. ચોથા ભાગમાં સંઘર્ષનું તત્વ અલ્પ અને વિચારનું તત્વ વધુ હોઈ નવલકથા નિબંધાત્મક બનતી જાય છે. પરંતુ ચારે ભાગમાં સસ્વતીચંદ્ર-કુમુદના પ્રણયસંદર્ભમાં લાગણીના સૂક્ષ્મ સંઘર્ષનું જ્યાં આલેખન થયું છે ત્યાં
એ ખંડો સંતર્પક બન્યા છે. સંઘર્ષના નિર્વહણમાં લેખકની નીતિમૂલક દ્રષ્ટિને લીધે ભાવનાત્મક બળોનો વાસ્તવિક બળો પર કે સદ્ તત્વોનો અસદ્ તત્વો પર વિજય થતો દેખાય છે; તોપણ લેખકની માનવમન અને માનવજીનવ પરની પકડ એટલી મજબૂત છે કે સમગ્ર નિરૂપણ ભાવનારંગી ન બનતાં પ્રતીતિકર લાગે છે. પહેલા ભાગમાં ‘જવનિકાનું છેદન અને વિશુદ્ધિનું શોધન’ માં નિરૂપાયેલો કુમુદસુંદરીના ચિત્તમાં ચાલતો સંઘર્ષ એનો ઉત્તમ નમૂનો છે.
વિપુલ પાત્રો આ નવલકથાની બીજી વિશેષતા છે. જીવનના વિવિધ સ્તરમાંથી આવતાં, ભૂત-વર્તમાન-ભવિષ્યનાં પ્રતિનિધિ, વાસ્તવદર્શી ને ભાવનાદર્શી આ પાત્રો દ્વારા ૧૯મી સદીના ગુજરાતના સમાજજીવનનું એક ભાતીગળ ને સંકુલ ચિત્ર અહીં ઊભું થાય છે. પોતાના અનુભવમાં આવેલી વ્યક્તિઓ પરથી ઘણાં મુખ્ય-ગૌણ પાત્રોનું સર્જન લેખકે કર્યું છે છતાં વિભિન્ન પરિસ્થિતિમાં દરેક પાત્રને પોતાના સ્થાન પ્રમાણે મૂલ્ય પ્રાપ્ત થાય છે. અલબત્ત, સરસ્વતીચંદ્રના પાત્રને કોઈ પણ પરિસ્થિતિમાં વિશેષ મહત્વ મળતુ હોય એવો અનુભવ થાય. જે તે પાત્રના વ્યક્તિત્વને ઘડનારાં પરિબળોનું વિગતે આલેખન કરી જે તે પાત્રના વ્યવહારવર્તનને પ્રતીતિકર ભૂમિકાએ મૂકવાની ઊંડી સૂઝ લેખકે બનાવી છે. કથન, વર્ણન, સંવાદનો આશ્રય લેતી નવલકથાની શૈલી પ્રસંગાનુરૂપ વિવિધ મુદ્રા ધારણ કરે છે. વિગતપ્રચુર વર્ણનોમાં બાણ અને બર્કના ગદ્યની યાદ અપાવતી ને છતાં એ ગદ્યથી જુદી પડતી પ્રલંબ વાક્યોવાળી શૈલી, આવેશસ્પૃષ્ટ વાર્તાલાપ ને પત્રાલાપમાં જોવા મળતી ઉદબોધનશૈલી કે લાગણીના આવેગવાળી કવિત્વમય શૈલી-એમ વિવિધ સ્તર એમાં છે. અપરિચિત તત્સમ શબ્દોને પ્રયોજતું, નવા શબ્દો બનાવતું, આલંકારિક, મૌલિક તેમ જ અનૂદિત કાવ્યો તથા અવતરણોને ગૂંથતું આ કૃતિનું ગદ્ય પાંડિત્યસભર બને છે; તો અલ્પશક્તિ, અલ્પરુચિ કે અલ્પબુદ્ધિવાળાં પાત્રોની વાણીમાં રૂઢપ્રયોગો-કહેવતો ને ગ્રામ્ય શબ્દોને ગૂંથતું તળપદી ભાષાના સંસ્કારવાળું પણ બને છે.
કથાના સંયોજનમાં કેટલાંક વિસ્તારી ચિંતન-મનનની કળાકીય દ્રષ્ટિએ અનુપયુક્તતા, શૈલીની કેટલીક કૃત્રિમતા વગેરે જેવી મર્યાદાઓને અહીં સ્વીકાર્યા પછી પણ આ બૃહત્કાય નવલકથા અનેક દ્રષ્ટિએ ગુજરાતી સાહિત્યની શકવર્તી કૃતિ છે. પ્રથમ પત્ની હરિલક્ષ્મીના અકાળ અવસાનના આઘાતમાંથી રચાયેલું કાવ્ય ‘સ્નેહમુદ્રા’ લખાવાનું શરૂ થયેલું ૧૮૭૭થી, પરંતુ તે પ્રગટ થતું ૧૮૮૯માં. સ્વજનમૃત્યુના અંગત શોકમાંથી જન્મ્યું હોવા છતાં કથા અને પાત્રોના સંયોજનથી પ્રેમજન્ય શોકના સંવેદનને લેખકે પરલક્ષી રૂપ આપ્યું છે. એક રાત્રિ દરમિયાન બનતી ઘટનાઓવાળું, પાંખુ, કૃત્રિમ ને અસ્વાભાવિક લાગતું શિથિલ વસ્તુ, વાયવીય પાત્રો, ચિંતનનો ભાર અને ઊર્મિની મંદતા; દેશીઓ, માત્રામેળ છંદો, ભજનના ઢાળ, નાટકનાં ગાયન ને સંસ્કૃતવૃત્તોનું ઔચિત્ય વગરનું મિશ્રણ; અપરિચિત સંસ્કૃતશબ્દો અને અતિ-ગ્રામ્ય શબ્દોના સંસ્કારવાળી કિલષ્ટ ભાષા-આદિ અનેક ઊણપો ધરાવતું છતાં આ કાવ્ય એમાં થયેલી સ્નેહમીમાંસા તથા એનાં પ્રકૃતિવર્ણનોમાં અનુભવાતા કાવ્યત્વથી કવિના ચિંતનને અને ઊઘડતી સર્જકપ્રતિભાને સમજવા માટે મહત્વનું છે.
‘સ્વ.સાક્ષર નવલરામ લક્ષ્મીરામનું જીવનવૃત્તાંત’ (૧૮૯૧)એ ગુજરાતના આદ્યવિવેચક નવલરામનું જીવનચરિત્ર છે. નવલરામના અંગત પરિચય પરથી નહીં, પરંતુ એમના જીવન વિશે મળેલી માહિતી અને એમનાં લખાણો પરથી આ ચરિત્ર લખાયું છે, તેથી અહીં વ્યક્તિ નવલરામ કરતાં વિવેચક નવલરામનો પરિચય વિશેષ થાય છે. ‘માધવરામ સ્મારિકા’ (૧૯૦૦)માં નાગર જ્ઞાતિનો પરિચય, નડિયાદના વડનગરા નાગરોની વંશાવળીઓ અને લેખકના પૂર્વજોનું વૃત્તાંત છે. ‘લીલાવતી જીવનકલા’ (૧૯૦૫) એ પોતાની જયેષ્ઠ પુત્રી લીલાવતીનું, એના અવસાન પછી લેખકે રચેલું જીવનચરિત્ર છે. લોકહૃદયમાં પ્રતિષ્ઠા પામવા યોગ્ય પોતાની પુત્રીના ગુણોને નજર સમક્ષ રાખવાથી આ ચરિત્ર ગુણાનુરાગી વિશેષ છે. ‘કવિ દયારામનો અક્ષરદેહ’ (મરણોત્તર પ્રકાશન, ૧૯૦૮)માં લેખકે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના છેલ્લા કવિ દયારામના સાહિત્યમાં રહેલી તત્વવિચારણાને સ્પષ્ટ કરી છે.
મરણોત્તર પ્રકાશિત અને અધૂરી રહેલી કૃતિ ‘સાક્ષરજીવન’ (૧૯૧૯)માં સાક્ષરજીવન ગાળતા વિદ્યાપુરુષોનું ઐતિહાસિક અને વર્તમાનકાળનું જીવન, એવા સાક્ષરોના પ્રકાર, સાક્ષરજીવનના આદર્શો, પ્રજાજીવનમાં સાક્ષરોનું સ્થાન ઇત્યાદિની ચર્ચા છે. ‘અધ્યાત્મજીવન અથવા અમર જીવનનો શ્રુતિબોધ’ (૧૯૫૫) એ ૧૯૦૨-૦૩ ની આસપાસ લખેલી અને પછી અધૂરી છોડેલી કૃતિમાં જીવન્મુક્ત મનુષ્ય કોને કહેવાય તેની સૂક્ષ્મ ને શાસ્ત્રીય ચર્ચા છે.
લેખકની અંગ્રેજી કૃતિ ‘કલાસિકલ પોએટ્સ ઑવ ગુજરાત ઍન્ડ ધેર ઈન્ફલુઅન્સ ઑન ધ સોસાયટી ઍન્ડ મોરલ્સ’ (૧૯૯૪)માં લેખકે પોતાને ઉપલબ્ધ સામગ્રીને આધારે, મધ્યકાલીન ગુજરાતી કવિતાએ તત્કાલીન સામાજિક, રાજ્કીય અને ધાર્મિક જીવન પર શી અસર કરી તેની ચર્ચા કરી છે. ‘સ્ક્રેપ બુક્સ’-પાર્ટ ૧,૨,૩ (૧૯૫૭, ૧૯૫૯, ૧૯૫૯) એ મરણોત્તર પ્રકાશિત કૃતિમાં લેખકની ૧૮૮૮ થી ૧૯૦૬ દરમિયાનની સાત ખંડમાં લખાયેલી અંગત નોંધો છે. લેખકની આત્મપરીક્ષક પ્રકૃતિની નીપજરૂપ આ નોંધો રોજનીશી અને આત્મચરિત્રથી ભિન્ન સ્વરૂપવાળી છે. પોતાને વિશે, પોતાના કુટુંબ વિશે, સમકાલીન ઘટનાઓ વિશે ચિંતન-મનન કરતી આ નોંધો લેખકે પોતાના અંગત જીવનમાં કેવું મનોમંથન અનુભવેલું તે સમજવા માટે ઉપયોગી છે. ‘ચૂની ધ સતી’ (૧૯૦૨) એ ભરૂચની એક સન્નારીના જીવન પરથી લખાયેલી વર્તાત્મક કૃતિ છે.
એ સિવાય અન્યત્ર પ્રકાશિત થયેલાં પણ ગ્રંથસ્થ ન થયેલાં કવિતા તથા સાહિત્યવિવેચન, ધર્મ, તત્વજ્ઞાન, સામાજિક ને રાજ્કીય વિષયો પરના લેખો એમની પાસેથી મળ્યાં છે. પ્રકાશિત ન થયેલી લેખકની કૃતિઓમાં ૧૯૦૧માં રચાયેલું ‘ક્ષેમરાજ અને સાધ્વી’ નાટક ‘સરસ્વતીચંદ્ર’ ની કથાને આગળ લંબાવે છે એ દ્રષ્ટિએ નોંધપાત્ર છે. (-જયંત ગાડીત)
સરસ્વતીચંદ્ર –ભા. ૧,૨,૩,૪ (૧૮૮૭, ૧૮૯૨, ૧૮૯૮, ૧૯૦૧) : ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીની બૃહત્કાય નવલકથા. આશરે અઢારસો પૃષ્ઠમાં વિસ્તરેલી આ કથાને ‘પુરાણ’, ‘પંડિતયુગનું મહાકાવ્ય’, ‘મહાનવલ’ વગેરે રૂપે ઓળખાવવામાં આવી છે. ગાંધીજી પૂર્વે ગુજરાતના શિક્ષિત સમાજ પર ઊંડો પ્રભાવ આ નવલકથાએ પાડ્યો એનું કારણ આ કૃતિમાં વ્યક્ત થયેલું જીવનવિષયક ઊંડું વ્યાપક ચિંતન તથા એ ચિંતનને કળારૂપ આપનારી સર્જકપ્રતિભા છે. પ્રાચીન પૂર્વ, અર્વાચીન પૂર્વ ને અર્વાચીન પશ્ચિમ-એ ત્રણ સંસ્કૃતિઓનાં સંગમકાળે ઊભેલા ભારતીય પ્રજાજીવનનાં ધર્મ, રાજ્ય અને ગૃહ વિશેના પોતાના વિચારો પ્રજા સમક્ષ મૂકવાનો ઉચ્ચાશય કૃતિના સર્જન વખતે સર્જકના મનમાં હતો; ને તેથી નવલકથાનું વસ્તુ અનેકકેન્દ્રી નિરૂપણવાળું બન્યું છે.
બધી કથાઓ સાથે ઓછેવત્તે અંશે સંબંધિત અને ચારે ભાગમાં સેરરૂપે વહેતી કથા સરસ્વતીચંદ્ર અને કુમુદસુંદરીના પ્રણયની છે. મુંબઈના ધનવાન વેપારી લક્ષ્મીનંદનનો યુનિવર્સિટીની કેળવણી પામેલો, વિદ્યાવ્યાસંગી, વૈરાગ્યવૃત્તિવાળો અને ગુણવાન પુત્ર સરસ્વતીચંદ્ર અપરમા ગુમાનની કાનભંભેરણીથી પિતાએ કહેલાં કટુ વચનો અને કરેલા આક્ષેપોથી આવેશમાં આવી પિતાની સંપત્તિનો તથા પોતાની વાગ્દત્તા અને રત્નનગરીના અમાત્યની પુત્રી કુમુદસુંદરીનો ત્યાગ કરી ઘર છોડી ચાલ્યો જાય છે એ આ પ્રણયકથાનો ધરીરૂપ પ્રસંગ છે. સરસ્વતીચંદ્રના ગૃહત્યાગથી કુમુદસુંદરીનાં લગ્ન સુવર્ણપુરના અમાત્ય બુદ્ધિધનના અલ્પશિક્ષિત અને દુરાચારી પુત્ર પ્રમાદધન સાથે થાય છે. વિદ્યાચતુરના ઘરમાં મળેલાં કેળવણી ને સંસ્કારને લીધે વિધારસિક કુમુદસુંદરી મનોમન પ્રમાદધન અને સરસ્વતીચંદ્રની સરખામણી કરતી શ્વસુરગૃહે વ્યથિત રહે છે. પતિવ્રતા ધર્મ પ્રમાણે સરસ્વતીચંદ્રને ભૂલવા યત્ન કરે છે, પણ ભૂલી નથી શકતી. ગૃહત્યાગ કરીને નીકળેલા પણ કુમુદનું મન જાણવા તેને મળવાની અપેક્ષાએ રત્નનગરી જવા નીકળેલો સરસ્વતીચંદ્ર સમુદ્રના તોફાનને લીધે વહાણ સુવર્ણપુરના આરે આવી પહોંચતાં, અમાત્ય બુદ્ધિધન સાથેના પરિચયમાં પોતાનાં જ્ઞાન અને શીલથી બુદ્ધિધનને આકર્ષે છે અને નવીનચંદ્ર નામ ધારણ કરી અમાત્યના ઘરમાં એક વિશ્વાસપાત્ર સ્વજન બની રહે છે. બુદ્ધિધન તેને રાજ્યમાં સારી નોકરી આપવાની વાત કરે છે, પરંતુ કંઈક બુદ્ધિધનના ઘરમાં કુમુદની દુઃખી હાલત જોઈ વ્યથિત બનેલો, કંઈક અનુભવાર્થી બનવાની ઈચ્છાથી, તો કંઈક કુમુદની લાગણી સમજીને દૂર થવા સારુ તે સુવર્ણપુર છોડી જાય છે. જંગલમાં બહારવટિયાઓને હાથે એનું ઘાયલ થવું અને સુંદરગિરિ પર્વત પરના વિષ્ણુદાસ તથા તેમના સાધુઓની અનુકંપાએ મઠમાં જવું; તો બીજી તરફ પિયર જવા નીકળેલી કુમુદસુંદરીનું એ જ જંગલમાં બહારવટિયાઓના ડરથી કે સ્વેચ્છાએ કે પગ લપસવાથી સુભદ્રા નદીમાં પડી તણાવું અને સંગમતટે ચંદ્રાવલી મૈયાની સહાયથી ઊગરી એના આશ્રમમાં મધુરીમૈયા નામે રહેવું અને પછી હૃદયસાંત્વન અર્થે સુંદરગિરિ પર્વત પર જતાં, ત્યાં સરસ્વતીચંદ્રનો પુનર્મેળાપ થવો; તો ત્રીજી તરફ પ્રમાદધનનું અપમૃત્યુ થવું-એ આ પ્રણયકથાની બીજી મહત્વની ઘટનાઓ છે.
સુંદરગિરિના સાધુઓ દ્વારા વિધવા કુમુદ અને સરસ્વતીચંદ્રનાં લગ્ન માટેના પ્રયત્નરૂપે વિષ્ણુદાસના આદેશથી બંનેને સૌમનસ્ય ગુફામાં પંચરાત્રિનો એકાંતવાસ આપવામાં આવે છે; પરંતુ લૌકિક દ્રષ્ટિએ બધી બાજુથી વિચારતાં સરસ્વતીચંદ્ર કુમુદની નાની બહેન કુસુમ સાથે લગ્ન કરે છે અને કલ્યાણગ્રામની પોતાની યોજના સાકાર કરવા તે સંસારમાં પાછો ફરે છે.
વસ્તુતઃ આ નવલકથા પ્રણયકથા નિમિત્તે સંસ્કૃતિકથા છે; તેથી ચારે ભાગમાં લેખકે પ્રણયકથાની સાથે અન્ય કથાઓ પણ ગૂંથી છે અને તદર્થે એમનાં જુદાં જુદાં લક્ષ્ય રહ્યાં છે. પ્રથમ ભાગમાં સુવર્ણપુરમાં બુદ્ધિધન અને શઠરાય વચ્ચે ચાલતી સત્તાની સ્પર્ધા, એ સ્પર્ધામાં બુદ્ધિધનનો શઠરાય પર-સદનો અસદ પર-વિજય આલેખી લેખકે તત્કાલીન દેશી રાજ્યોમાંનાં ખટપટ અને કુટિલતાનું વાસ્તવિક ચિત્ર ઉપસાવ્યું છે; બીજા ભાગમાં સહિષ્ણુ અને ત્યાગશીલા ગુણસુંદરીની કુટુંબકથા નિમિત્તે સંયુક્ત કુટુંબનાં વિવિધ પાસાં ઊંડળમાં લીધાં છે; ત્રીજા ભાગમાં રત્નનગરીના મલ્લરાજ-મણિરાજની કથા નિમિત્તે આદર્શ દેશીરાજ્યનું ચિત્ર ઉપસાવ્યું છે; તો ચોથા ભાગમાં વિષ્ણુદાસ સાધુ અને ચંદ્રાવલી મૈયાના મઠનાં સાધુ-સાધ્વીઓની કથા દ્વારા મનુષ્યના આધ્યાત્મિક જીવનના પ્રશ્નો ચર્ચ્યા છે. ચારે ભાગમાં વિજાતીય આકર્ષણમાંથી જન્મતાં મધુર તેમ જ વિકૃત રૂપોની જે ભાત લેખકે ઊભી કરી છે તે એમની અનુભવનાં વિવિધ પરિમાણોને તાગવાની શક્તિની પરિચાયક છે.
એકથી વધુ કથાઓ આ કૃતિમાં ભળેલી હોવાને કારણે કથાસાતત્ય એમાં તૂટે છે એ સાચું, પરંતુ કથાસંકલનાની, પોતાના કોઈ પણ પુરોગામી અને ઘણા અનુગામીઓએ ન બતાવેલી સૂઝ લેખકે અહીં બતાવી છે એની પ્રતીતિ પહેલા અને બીજા ભાગની સંકલના તપાસતાં થાય છે. પશ્ચાદભુ, સ્મૃતિ, પત્રલેખન આદિ પ્રયુક્તિઓથી જે રીતે સમયના તત્વને લેખકે સંકોચ્યું છે તે એ સમયગાળામાં રચાતી નવલકથા માટે ઘણી મોટી સિદ્ધિ હતી. સંકલનાની શક્તિ જેટલી પહેલા બે ભાગમાં દેખાય છે તેટલી, અલબત્ત, છેલ્લા બે ભાગમાં નથી દેખાતી, લેખકનું જીવનવિષયક ચિંતન માત્ર વિચારરૂપે આવ્યા કરે છે અને તેથી ત્રીજા ભાગથી નવલકથા નવલકથાપણું ત્યજતી જાય છે. જોકે, આ વિચારોને કળાત્મક બનાવવા લેખકે કેટલોક પ્રયત્ન કર્યો છે. જેમ કે, ત્રીજા ભાગમાં મહાભારતનાં પાત્રોને રૂપકાત્મક અર્થમાં નિરૂપીને દેશી રાજ્યની ચર્ચા થઈ છે; તો ચોથા ભાગમાં એકાન્ત સૌમનસ્ય ગુફામાં સરસ્વતીચંદ્ર-કુમુદનાં સહસ્વપ્નોના આલેખન દ્વારા ભવિષ્યના ભારતનું દર્શન કરાવાયું છે. જોકે, આ સમગ્ર ચિંતન કળાકીય દ્રષ્ટિએ કૃતિનો અંતર્ગત અંશ બની શકતું નથી.
‘ઈશ્વરલીલાનું સદર્થે ચિત્ર’ આપવાનો હેતુ અને વ્યાપક જીવનને પકડમાં લેવાનો પુરુષાર્થ મનમાં હોવાને લીધે અહીં જીવનના વિવિધ સ્તરોમાંથી વિવિધ સ્તરોમાંથી વિપુલ પાત્રસૃષ્ટિ આવે છે. સંક્રાંતિકાળના યુગનું વાસ્તવદર્શી ને ભાવનાલક્ષી ચિત્ર દોરવાની નેમ હોવાને લીધે નવલકથામાં એક જ વર્ગનાં ભૂત, ભવિષ્ય અને વર્તમાનનાં સારાંમાંઠાં પાત્રો મળે છે. આ પાત્રો અગતિશીલ છે; કોઈ ભાવના કે લાગણીનાં પ્રતિનિધિ છે; અને તોપણ એમનાં વ્યક્તિત્વમાં જોવા મળતાં સદ્-અસદ્ તત્વો, એમનાં ચિત્તમાં આવતાં મનોમંથન અને નૈતિક દ્રષ્ટિએ ઉચ્ચગ્રાહી પાત્રોનું અસદ્થી સદ્ તરફ વળવું-એ સર્વને લેખક પ્રતીતિકર રીતે આલેખે છે કે જેથી આ પાત્રો જીવંત અને હૃદયસ્પર્શી બને છે. સ્ત્રીપાત્રો પુરુષપાત્રોને મુકાબલે સવિશેષ સંકુલ અને આકર્ષક છે. એમાંય નવલકથાનું સૌથી વિશેષ કરુણ પાત્ર કુમુદસુંદરી તો પાત્રચિત્તનાં ઊંડાણોમાં અવગાહન કરવાની લેખકની શક્તિનો ઉત્તમ નમૂનો છે.
કથન, વર્ણન, સંવાદ, પત્ર, કવિતા એ સહુનો આશ્રય લેતી નવલકથાની શૈલી પ્રસંગ ને પાત્રને અનુરૂપ વિવિધ મુદ્રા ધારણ કરે છે. વિગતપ્રચુર વર્ણનો બાબતે બાણ અને બર્કના ગદ્યની યાદ અપાવતી ને છતાં એમના ગદ્યથી જુદી પડતી પ્રલંબ વાક્યોવાળી શૈલી, આવેશસ્પૃષ્ટ વાર્તાલાપ અને પત્રાલાપમાં જોવા મળતી ઉદબોધન શૈલી કે લાગણીના આવેગવાળી કવિત્વમય શૈલી-એમ વિવિધ પોત એમાં જોવા મળે છે. અપરિચિત તત્સમ શબ્દોને પ્રયોજતું, નવા શબ્દો નીપજાવતું, આલંકારિક, મૌલિક તેમ જ અનુદિત કાવ્યો અને અવતરણોને ગૂંથતું ગદ્ય અહીં પાંડિત્યસભર છે; તો અલ્પશક્તિ, અલ્પરુચિ અને અલ્પબુદ્ધિવાળાં પાત્રોની વાણીમાં રૂઢપ્રયોગો, કહેવતો તથા ગ્રામ્ય શબ્દોને ગૂંથતું તળપદી ભાષાના સંસ્કારવાળું પણ છે.
આજે આ કૃતિની ઘણી મર્યાદાઓ બતાવી શકાય. કથાના સંયોજનમાં કેટલાક વિસ્તારી ચિંતન-મનનની કળાકીય દ્રષ્ટિએ અનુપયુક્તતા; આજે કાળગ્રસ્ત લાગે એવી કેટલીક વિચારણા; શૈલીની કેટલીક કૃત્રિમતા વગેરે આ નવલકથાની મર્યાદાઓને સ્વીકાર્યા પછી પણ આ બૃહત્ નવલકથામાં ઓગણીસમી સદીના અંતભાગમાં જીવનને આટલા વ્યાપક સંદર્ભમાં જોવા-મૂલવવાનો અને તેને કળારૂપ આપવાનો જે પુરુષાર્થ એના સર્જકે કર્યો છે તે ઘટના ગુજરાતી સાહિત્યમાં જ નહીં, બલકે સમગ્ર ભારતીય સાહિત્યમાં અજોડ છે. (- જયંત ગાડીત)
સાક્ષરજીવન (૧૯૧૯) : ૧૮૯૮ની આખરે નિવૃત્ત થયા પછી તરત ગોવર્ધનરામ ત્રિપાઠીએ ‘સમાલોચક’ માં શરૂ કરેલો આ દીર્ઘનિબંધ ૧૯૦૩ સુધી ખંડશઃ પ્રગટ થયો હતો. જો કે તે અધૂરો રહ્યો છે. તેનું પ્રકાશન કરતાં બ. ક. ઠાકોરે એના અધૂરાપણા માટે, કર્તાની શક્તિનો અને અનુભવજ્ઞાનનો અભાવ એવું જે કારણ આપ્યું છે તે પૂરતું પ્રતીતિકર જણાતું નથી. આ કૃતિમાં સાક્ષરજીવનનાં પ્રકાર, વલણ, સ્વરૂપ અને ધર્મની પૂર્વપશ્ચિમની સંસ્કૃતિમાંથી દ્રષ્ટાંતો આપીને વિગતે ચર્ચા કરી છે. અન્નપૂર્ણાના પ્રસાદથી તૃપ્ત સાક્ષરજીવન સ્વયં લોકકલ્યાણકર હોઈ નિવૃત્તિપરાયણતા, તટસ્થતા અને તૃપ્તિને લેખકે એનાં ખાસ લક્ષણ ગણ્યાં છે. મનુષ્યજીવનનું અશસ્ત્ર સારથિપણુ કરતા સાક્ષરજીવનનો એમનો આદર્શ જેટલો વિશાળ તેટલો જ ઊંડી સમજણભર્યો છે. (- ઉપેન્દ્ર પંડયા)
કલાસિકલ પોએટ્સ ઑફ ગુજરાત (મરણોત્તર પ્રકાશન, ૧૯૧૬) : ‘ગુજરાતના પ્રશિષ્ટ કવિઓ તથા સમાજ અને નીતિરીતિ પર તેમની અસર’- આ શીર્ષકથી મૂળ અંગ્રેજી નિબંધ વિલ્સન કૉલેજના સાહિત્યમંડળ સમક્ષ ગોવર્ધનરામ ત્રિપાઠીએ ૧૮૯૪માં વાંચ્યો હતો. પ્રાપ્ય તત્કાલીન સામગ્રીને આધારે ધર્મચિંતન ને સમાજચિંતનની પીઠિકામાં મુખ્ય મધ્યકાલીન ગુજરાતી કવિઓની અહીં આલોચના કરવાનો આ ઉપક્રમ પ્રાથમિક સ્વરૂપનો છે અને તે હકીકત લેખકે પણ સ્વીકારી છે; તેમ છતાં નરસિંહ, મીરાં, પ્રેમાનંદ, અખો અને દયારામનું એમણે કરેલું સહૃદયતાપૂર્ણ મૂલ્યાંકન સહેજે મહત્વનું બન્યું છે. શિક્ષણ-સંસ્કારનાં બીજાં સાધનો ભાગ્યે જ કંઈ હતાં તે કાળે આ કવિઓએ પ્રજાની ચેતનાને કરમાતી અટકાવી તેનાં ધારણ-પોષણમાં જે ફાળો આપ્યો છે તેને ગોવર્ધનરામે અસાધારણ અને અવિસ્મરણીય કહ્યો છે. (- ઉપેન્દ્ર પંડયા)
સ્ક્રેપબુક્સ (૧૯૫૭-૧૯૫૯) : ગોવર્ધનરામ ત્રિપાઠીની અંગ્રેજી રોજનીશી; જેનો સારગ્રાહી ગુજરાતી અનુવાદ રામપ્રસાદ બક્ષીએ ‘ગોવર્ધનરામની મનનનોંધ’ (૧૯૬૯) નામે આપ્યો છે. રૂઢ અર્થમાં આ સ્ક્રેપબુક્સ છાપાં વગેરેમાંથી કાપલીઓનો-વાચનનોંધોનો સંગ્રહ નથી. શરૂમાં ૧૮૮૫ના જાન્યુઆરીમાં એનું એવું રૂઢ સ્વરૂપ હતું, પણ ૫-૨-૧૯૮૮ થી ૩-૧૧-૧૯૦૬ સુધીનું, જીવનના છેલ્લા બે મહિના બાદ કરતાં, એનું સ્વરૂપ મનનનોંધોનું જ છે. ગોવર્ધનરામે નિરૂપ્યું છે તેમ પોતાને વાત કરવા પૂરતોય કોઈ મિત્ર હોય તો તે પોતે જ હોઈ, અહીં તેઓ જાત સાથે હૃદયગોષ્ઠિ, આત્મનિરીક્ષણ ને આત્મપરીક્ષણ કરતા જણાય છે. એમને માટે આ નોંધો સ્મૃતિસહાયક, સાન્ત્વન ને આશ્વાસનદાયક, બળ અને ધૃતિનો સંચાર કરનાર તેમ એમની નિર્બળતાઓની નિદર્શક નીવડી છે. પોતાનું કુટુંબ અને તેને લગતા પ્રશ્નો, તત્કાલીન દૈશિક અને અન્ય ઘટનાઓ તેમ જ જીવનનિયામક અધ્યાત્મચિંતન અહીં કેન્દ્રસ્થાને છે. સમષ્ટિના હિતાર્થે વ્યષ્ટિનું સમર્પણ-ઉત્સર્ગસિદ્ધિનો એમનો પ્રિય સિદ્ધાંત-આ નોંધોમાં પહેલી જ વાર સ્ફુટ થયો છે. નિવૃત્તિપ્રેમી, સંન્યાસશીલ, કુટુંબવત્સલ, દેશહિતૈષી, કડક આત્મપરીક્ષક અને ધર્મજાગ્રત આત્માની આ નોંધો એમના આંતરજીવનની સ્પષ્ટ છબી છતી કરે છે. (- ઉપેન્દ્ર પંડયા)
આ પરિચયની પ્રમાણભૂત માહિતી ગુજરાતી સાહિત્ય પરિષદ પરથી મેળવી શકાશે.