ગોવર્ધનરામ ત્રિપાઠી

વિકિપીડિયામાંથી
ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી
જન્મ(1855-10-20)20 October 1855
નડીઆદ, (now in ખેડા જિલ્લો, ગુજરાત, ભારત)
મૃત્યુ4 January 1907(1907-01-04) (ઉંમર 51)
મુંબઈ, બોમ્બે પ્રેસિડન્સી, બ્રિટિશ ભારત
વ્યવસાયવકીલ, નવલકથાકાર, કવિ, વિવેચક, સાહિત્યિક ઈતિહાસકાર
નોંધપાત્ર સર્જનો
જીવનસાથી
હરીલક્ષ્મી
(લ. 1868; તેણીના મૃત્યુ સુધી 1874)
લલિતાગૌરી (લ. 1875)
સંબંધીઓમનસુખરામ ત્રિપાઠી (પિતરાઈ ભાઇ)
વેબસાઇટ
અધિકૃત વેબસાઇટ Edit this at Wikidata
ગોવર્ધનરામનુ બસ્ટ સાહિત્ય પરિષદ ખાતે

ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી (ઓક્ટોબર ૨૦, ૧૮૫૫ - ૪ જાન્યુઆરી, ૧૯૦૭ [૧]) ગુજરાતી લેખક, નવલકથાકાર, કવિ, વિવેચક અને સાહિત્યિક ઇતિહાસકાર હતા.

તેમનો જન્મ ખેડા જિલ્લાના નડીઆદના ધર્મપ્રિય બ્રાહ્મણ માધવરામ ત્રિપાઠીને ત્યાં થયો હતો. પિતા અત્યંત ધાર્મિક વૃત્તિના અને દિલના બહુ ભોળા. જ્યારે માતા શિવકાશી રગેરગ વ્યવહારુ. પિતાની ધર્મનિષ્ઠા અને માતા ની વ્યવહારુતા - બન્ને ગોવર્ધનરામ વારસામાં મળ્યા હતા. દાદાના સમયથી ઘરમાં રહેતા મુનિ મહારાજ પાસે વીતેલા બાળપણ અને ઘરના ધાર્મિક વાતાવરણથી ચિત્ત પર પડેલો વૈષ્ણવધર્મ ને વેદાંતવિચારનો પ્રભાવ, કિશોરાવસ્થાથી વાચનનો અતિ શોખ, કાકા મનઃસુખરામ સાથેનો સહવાસ વગેરે એ ગોવર્ધનરામને ધાર્મિક, વિદ્યાવ્યાસંગી અને આર્યસંસ્કૃતિ પ્રત્યે અનુરાગી બનાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો.

અભ્યાસ અને શરૂઆતનું જીવન[ફેરફાર કરો]

નડીઆદ ખાતેનું ગોવર્ધનરામનું જન્મસ્થળ

ગોવર્ધનરામ નું પ્રાથમિક શિક્ષણ મુંબઈ ની બુદ્ધિવર્ધક શાળા માં થયો હતો. પછી અંગ્રેજી ત્રણ ધોરણ નડીઆદ માં અને ચોથા ધોરણથી મુંબઇ ની એલ્ફિન્સ્ટન હાઈસ્કૂલ માં કર્યો. ઈ.સ. ૧૮૭૧ માં મેટ્રિક અને બી.એ. થયા. કૉલેજના અભ્યાસ દરમિયાન કાવ્યરચના કરવાનો અને લેખો લખવાનો પ્રારંભ થઈ ગયેલો. પ્રારંભના વર્ષોમાં ગુજરાતી કવિતા કરતાં સંસ્કૃત કવિતા રચવા તરફ વિશેષ રુચિ હતી તે સંસ્કૃતમાં એમણે કરેલા ગિરનારવર્ણન પરથી તેમ જ કાલિદાસના ‘મેઘદૂત’ ના અનુકરણમાં શરૂ કરેલું ‘મનોદૂત’ કે પ્રથમ પત્ની હરિલક્ષ્મીના અવસાનથી જન્મેલા શોકથી ૧૮૭૫ માં રચાયેલું ‘હૃદયરુદિતશતક’ એ કાવ્યો પરથી જોઈ શકાય છે. એ સિવાય ૧૮૭૩ ના વર્ષમાં અંગ્રેજીમાં લખાયેલા ‘ઈઝ ધેર એની ક્રિયેટર ઑવ ધ યુનિવર્સ ?’, ‘ઘ સ્ટેટ ઑવ હિંદુ સોસાયટી ઈન ધ બોમ્બે પ્રેસિડન્સી’ કે એવા અન્ય લેખો એમની વ્યાપક વિષયોને ઊંડાણ માં લેવાની મનોવૃત્તિના સૂચક છે. પરંતુ આ પ્રારંભિક લેખોમાં એમના જીવન-વિચારને સમજવામાં ખૂબ ઉપયોગી, ૧૮૭૭માં લખાયેલો ‘એ રુડ આઉટલાઈન ઑવ ધ જનરલ ફિચર્સ ઑવ ઍસેટિઝમ ઈન માય સેન્સ ઑવ ધ વર્ડ’ લેખ છે. સંસારત્યાગમાં નહીં, સંસારસેવા અર્થે જીવન સમર્પિત કરવું એ જ સાચો સંન્યાસ એવી પ્રવૃત્તિમય સંન્યાસની ભાવના એમણે એ લેખમાં રજૂ કરી છે. કૉલેજના અભ્યાસકાળ દરમિયાન એમણે જીવન જીવવા માટે ત્રણ સંકલ્પ કર્યા,

૧. એલ.એલ.બી. થઈ મુંબઈ માં વકીલાત કરવી,

૨. ક્યારેય નોકરી કરવી નહિ,

૩. ચાળિસમે વર્ષે નિવૃત્તિ લઈને શેષજીવન સાહિત્ય અને સમાજની સેવામાં સમર્પિત કરવું.

અભ્યાસમાં તેમનો પહેલો-બીજો નંબર આવતો નહી, કારણ કે તેમનુ ધ્યાન પાઠ્યપુસ્તકો કરતાં બહારના સામાન્ય પુસ્તકો વાંચવામાં વિશેષ પ્રવૃત્ત હતું. કૉલેજકાળ દરમિયાન તેમણે સાહિત્ય તથા કવિતાનો આમૂલ અભ્યાસ આદર્યો.

સંસ્કૃત માટે પણ એમનો શોખ વધતો ગયો. ઇતિહાસના વિષય ઉપર પણ તેમની ખાસ પ્રીતિ હતી. કૉલેજકાળથી જ કાવ્યરચના કરવાનો અને લેખો લખવાનો પ્રારંભ થઈ ચૂક્યો હતો. શરૂઆતમાં તેઓ ગુજરાતી કવિતાં કરતા સંસ્ક્રુત કવિતા રચવા તરફ વિશેષ રુચિ ધરાવતા હતા. વ્યાપક વિષયોમાં-ઊંડાણમાં જવાની તેમની જન્મજાત વૃત્તિ હતી.

ગોવર્ધનરામની ઊઘડતી જતી જ્વલંત કારકિર્દીની નિયતિને જાણે ઈર્ષ્યા આવતી હોય તેમ ૧૮૭૪ ના વર્ષમાં દુ:ખો અને વિતંબણાઓએ તેમની પર ઘા પર ઘા કરવા માંડ્યા. તે વર્ષમાં તેમની પત્ની હરિલક્ષ્મીનું સુવાવડમાં અવસાન થયું અને તેમની બાળકી પણ માતાની પાછળ્ ચાલી નીકળી. એ જ વર્ષમાં પિતા માધવરામ ની પેઢી તૂટી. તેઓ બી.એ.માં નાપાસ થયા. આ સંકટપરંપરાને કારણે તેમનો ભોઈવાડમાં બંધાવેલો માળો વેંચવો પડ્યો. પછી આખું કુટુંબ મુંબઈ થી નડીઆદ ગયું. ગોવર્ધનરામ કૉલેજનો અભ્યાસ પૂરો કરવા માટે મુંબઈ માં જ રહ્યા. આવી આર્થિક આપત્તિઓને કારણે, ૧૮૭૯ થી ૧૮૮૩ સુધી એમને અનિચ્છાએ ભાવનગરના દીવાનના અંગત સેક્રેટરી તરીકે થોડો સમય નોકરી સ્વીકારવી પડી હતી.

ઈ.સ.૧૮૮૩ના અંત ભાગ માં તેમણે ભાવનગર છોડ્યુ ત્યારે દિવાનસાહેબે તેમને રૂ.૨૫૦/- ના પગાર થી ભાવનગરના ન્યાયખાતામાં રાખવાની ઈચ્છા બતાવી.આ ઉપરાંત જૂનાગઢના દીવાનસાહેબે રૂ.૩૦૦/- ની નોકરીની ઑફર કરી, પરંતુ હવે ગોવરધનરામને લાગ્યું કે પોતે સેવેલા સ્વપ્ન અને સિદ્ધાંતો પાળવાનો સમય આવી ગયો છે. એટલે નોકરી છોડીને સ્વતંત્ર વકીલાત કરવાનો દ્રઢ નિશ્ચય કર્યો.ભાવનગર થી માત્ર પચાસ રૂપિયાની મૂડી સાથે મુંબઈ આવીને વકીલાત શરૂ કરી. વકીલાત સરસ ચાલવા માંડી. ઈ.સ.૧૮૮૪ થી ઈ.સ.૧૮૮૭ સુધીમાં તેમણે પોતાના પિતાનું દેવું એકલે હાથે વાળી દીધું. ૪૦ વર્ષની વયે નિવૃત્ત થયા બાદ બાકીના જીવનમાં શું વાંચવું , શું લખવું , શાનો અભ્યાસ કરવો, વિવિધ પ્રવૃત્તિઓને કેટલું સ્થાન આપવું છે તેનો વિચાર તેમણે ઈ.સ. ૧૮૮૫ સુધીમાં કરી લીધો હતો. તે જ વર્ષથી તેમણે નિયમિત પોતાની રોજનીશી લખવા માંડી હતી.

જીવન[ફેરફાર કરો]

નડીઆદ ખાતેનું ગોવર્ધનરામનું બસ્ટ

ગોવર્ધનરામનો હવે સાહિત્યાકાશમાં ઉદય થઈ રહ્યો હતો. તેમનો સમર, ચિંતન અને પરિપાકરૂપ તેમનો હવે સુર્વણ યુગ નો ઉદય થયો ગણાયો. ઈ.સ.૧૮૭૭ માં શરૂ કરેલુ રસ ગંભીર કથા કાવ્ય 'સ્નેહ મુદ્રા' ઈ.સ.૧૮૮૪ માં તેમણે પોતાના હાથ માં લીધું, જે ઈ.સ. ૧૮૮૯ માં પ્રગટ થયું, પરંતુ આ સમયગાળાની સૌથી મહત્વ પ્રવૃત્તિ તો 'સરસ્વતી ચંદ્ર' ના પહેલા ભાગનો આરંભ થઈ ગયો હતો. ઈ.સ.૧૮૮૫ માં તે પૂરો લખાઈ ગયો ને ઈ.સ.૧૮૮૭ માં પ્રગટ થયો. આ જ અરસામાં એક બીજી મહત્વ ની ઘટના બની. ગોવર્ધનરામે પોતાના નાના ભાઈ હરિરામપાસે પુસ્તક-પ્રકાશનની પેઢી એન.એન.ત્રિપાઠીના સ્થાપના કરાવી. જેણે આજે પણ એક પ્રતિષ્ઠિત પ્રકાશન સંસ્થા તરીકે ઊજળું નામ રાખ્યું છે. ઈ.સ.૧૮૯૨માં 'સરસ્વતી ચંદ્ર' નો બીજોભાગ પ્રગટ થયો, ઈ.સ.૧૮૯૮ માં ત્રીજો ભાગ અને ઈ.સ.૧૯૦૧ માં ચોથો ભાગ પ્રગટ થયો હતો. અલબત્ત, ૧૮૮૩ થી જેની રચનાનો પ્રારંભ થઈ ગયો હતો તે ‘સરસ્વતીચંદ્ર’ : ભા.૧ (૧૮૮૭) નવલકથા એમની ગ્રંથરૂપે પ્રગટ થયેલી પહેલી કૃતિ છે. પછી ક્રમશઃ તેના ભા. ૨ (૧૮૯૨), ભા.૩ (૧૮૯૮) અને ભા.૪ (૧૯૦૧) ચૌદ વર્ષ દરમિયાન પ્રગટ થયા હતા.

સરસ્વતીચંદ્ર ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીની બૃહત્કાય નવલકથા છે. આશરે અઢારસો પૃષ્ઠમાં વિસ્તરેલી આ કથાને ‘પુરાણ’, ‘પંડિતયુગનું મહાકાવ્ય’, ‘મહાનવલ’ વગેરે રૂપે ઓળખાવવામાં આવી છે. ગાંધીજી પૂર્વે ગુજરાતના શિક્ષિત સમાજ પર ઊંડો પ્રભાવ આ નવલકથાએ પાડ્યો એનું કારણ આ કૃતિમાં વ્યક્ત થયેલું જીવનવિષયક ઊંડું વ્યાપક ચિંતન તથા એ ચિંતનને કળારૂપ આપનારી સર્જકપ્રતિભા છે.

ગૃહ, રાજ્ય ને ધર્મ વિશેના પોતાના વિચારો પ્રજાના બહોળા વર્ગ સુધી પહોંચી શકે એ હેતુથી પોતે નિબંધને બદલે નવલકથાનો આશ્રય લીધો એવું લેખકે સ્પષ્ટ સ્વીકાર્યું છે, તો પણ એમની સર્જક તરીકેની ઊંચી શક્તિ ઘટનાસંયોજન, પાત્રનિરૂપણ ને ભાષામાં પ્રગટ થઈ છે. સંઘર્ષના તત્વથી પહેલા બે ભાગ કથાની દ્રષ્ટિએ વધારે રસિક બન્યા છે. પાછલા બે ભાગ માં સંઘર્ષ વિશેષત:વૈચારિક ભૂમિકાએ રહેતો હોઈ નવલકથા નિબંધાત્મક બની જાય છે.

ગોવર્ધનરામ ત્રિપાઠી ચાળીસ વર્ષના થયા. પોતે કરેલા સંકલ્પ મુજબ વકીલાતનો અત્યંત ધીકતો ધંધો સમેટી લીધો. વીસ બાવીસની કાચી, યુવાન અને મુગ્ધ ઉંમરે જીવનનો નકશો ચીતરવો અને તેને નિશ્ચયપૂર્વક વળગી રહેવું, પ્રેક્ટિસ છોડીને સાહિત્યસર્જનમાં જીવન સમર્પણ કરવું -આ બધી વિરલ વાતો કહેવાય ,જે ગોવર્ધનરામે કરી બતાવી. ગોવર્ધનરામ નડીઆદ આવીને વસ્યા. તરત જ કચ્છ સંસ્થા ની તરફ થી દીવાનગીરીની રૂ.૧,૫૦૦/-ના પગાર ની નોકરીનો પ્રસ્તાવ આવ્યો જેનો તેમેણે મક્કમતાથી પણ આદરપૂર્વક અસ્વીકાર કર્યો. ઈ.સ.૧૯૦૨માં તેઓ એમ.એ ના ગુજરાતી વિષયમાં પરીક્ષક નિમાયા. આ માટે મુંબઈ જતાં તેમને બે ઉત્તમ મિત્રરત્નો સાંપડ્યાં-પ્રો. ત્રિભુવનદાસ ગજ્જર અને સાક્ષર કેશવહર્ષદ ધ્રુવ. ઈ.સ.૧૯૦૪માં નડીઆદ માં પ્લેગ ફાટી નીકળ્યો. તેમાં તેમનાં માતુશ્રીનું અવસાન થયુ. ગાઢ મિત્ર પ્રો. ત્રિભુવનદાસ ની વારંવાર માંગણીને કરણે તેઓ ઈ.સ.૧૯૦૫ માં કુટુંબ સાથે મુંબઈ જઈ વસ્યા.

ગોવર્ધનરામનું વાંચન વિશાળ હતું. તેમણે અંગ્રેજી સાહિત્યનો પણ ઊંડો અભ્યાસ કર્યો હતો. પશ્ચિમ આ વિસ્તીર્ણ સાહિત્યે તેમને વિચારક મનને આર્યસંસ્ક્રુતિનાં ઊંડાણો જોવા, સમજવા અને તુલનાત્મક દ્રષ્ટિથી તેનું મૂલ્ય આંકવા લલચાવ્યા. પરિણામે તેમની સર્વગ્રાહી તલસ્પર્શી મેઘાને એક નવું જ દર્શન લાવ્યું. એક નવી જ દિશા સાંપડી. આ નવી દિશા પૂર્વ અને પશ્ચિમના અંશોના સમન્વયની. તેમણે ઘણા બળો જોય હતા,અનુભવ્યાં હતાં. દેશના યુવાનો ઉપર તેમની મોહિની પથરાયેલી પણ તેમણે જોઈ હતી. પશ્ચિમી સુધારાનો એ વેગીલો પવન આર્યસંસ્ક્રુતિ મિટાવી દેવાની હોડ બકી હોય તેવો જોરશોરથી ફૂંકાઈ રહયો હતો. એ સમયે હિન્દુ સમાજને સુધારવાના શુભાશ્યથી દલપત-નર્મદ ભલે સાચા હોય તો પણ તેમણે માત્ર દોષો જ ગાયા હતા પણ, ગોવર્ધનરામની ગુણગ્રાહી દ્રષ્ટિને એ ન રુચ્યું. તેમણે આર્યસંસ્ક્રુતિનાં મૂલ્યોને ફરી પ્રસ્થાપિત કરવાનું મુનાસિબ માન્યું. તેમણે પૂર્વ-પશ્ચિમનાં શુભ બળોને ઉત્સાહથી આવકાર્યા અને બંને સંસ્કૃતિઓના પાવન સરિતાના સંગમનું ચિત્ર રચાયું. આવી વિચારસરણી-મનોમંથનનો પરિપાક તે 'સરસ્વતીચંદ્ર'.

ગોવર્ધનરામનાં બીજાં સર્જનોમાં નવલરામની જીવનકથા તથા પિત્રુઅંજલિ-રૂપ લખેલું : 'માધવરામ-સ્મારિકા'. આ ઉપરાંત ધર્મ, સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર આદિ અનેક વિષયો પર તેમનાં ભાષણો તેમ જ અંગ્રેજી અને ગુજરાતી સામયિકો માં તેમણે લખેલા કેટલાક લેખો પણ ઉચ્ચ કોટિના હતા. ઈ.સ. ૧૯૦૫ માં અમદાવાદ માં પહેલવહેલી ભરાયેલી ગુજરાતી સહિત્ય પરીષદ ના તેઓ પ્રમુખ પદે ચૂંટાયા હતા. તે "ઓન ધ સોસાયટી એન્ડ મોરલ્સ" માં તેમણે મધ્ય કાલીન ગુજરાતી કવિઓની સામાજિક અને ધાર્મિક જીવન પરની અસરનું ચિત્ર ઉપસાવ્યું છે, જ્યારે સ્ક્રેપ બુક્સ ભાગ ૧-૨-૩ ની મરણોત્તર પ્રકાશિત કૃતિમાં લેખકની અંગત નોંધો છે.

આ સઘળા સર્જનોમાં લેખકની અદ્રિતીય વિદ્વતાનાં અને ઉત્ક્રુષ્ટ પ્રતિભાનાં દર્શન થાય છે. પણ તેમનું સબળ યશદાયી અને સર્વશ્રેષ્ઠ સર્જન તો " સરસ્વતીચંદ્ર " જ છે. અલબત્ત તેમાનુ ગધ દીર્ધસૂત્રી હોવા છતાં તે ઉત્કૃષ્ટ કોટિનું છે. સમસ્ત જીવનના વિસ્તારને તેમણે આ મહાનવલ માં આવરી લીધો છે. આ ઉત્તમ કૃતિના સર્જક માત્ર એક વાર્તાકાર ન રહેતા દ્રષ્ટા પણ બને છે. પાંડિત્યને લોક્ભોગ્ય બનાવવા તેમણે કલાકારનો સ્વાંગ ધર્યો છે. આ કૃતિ એવુ ચિરંતન મૂલ્ય ધરાવે છે કે ગીતાની જેમ એનુ નવું નવું વિશિષ્ટ મૂલ્યાંનકન કરતાં ગુજરાતના સારસ્વતો કદી ધરાયા નથી. એ જ એની અમરકીર્તિર્ની યશપતાકા છે.

પ્રજામાં રામાયણ અને મહાભારતનાં સ્થાન એટલાં તો એકરસ થઇ ગયાં છે કે લોકો તેના કર્તા ઉપર થી કૃતિઓને નહિ, પણ એ કૃતિઓના જ કર્તા તરીકે વાલ્મીકિ અને વ્યાસને ઓળખે છે. ગુજરાતનાં જીવન અને સાહિત્યના પ્રથમ દ્રષ્ટા અને પંડિત ગોવર્ધન રામ ના સંદર્ભમાં પણ આવું જ થયું છે. ગોવર્ધન રામ એમની અમર કૃતિ "સરસ્વતીચંદ્ર" ના કર્તા તરીકે ઓળખાયા છે.

સાહિત્ય સર્જન[ફેરફાર કરો]

  • સ્નેહમુદ્રા
  • સરસ્વતીચંદ્ર ભાગ - ૧, ૨, ૩ અને ૪ ‍(૧૮૮૭, ૧૮૯૨, ૧૮૯૮, ૧૯૦૧)
  • લીલાવતી જીવનકલા
  • નવલરામનું કવિ જીવન
  • દયારામનો અક્ષરદેહ
  • સમલોચક
  • સદાવસ્તુ વિચાર
  • ગુજરાતની કવિતાઓ
  • સ્ક્રેપ બુક ભાગ ૧, ૨, અને ૩

જીવન પ્રસંગો[ફેરફાર કરો]

ગોવર્ધનરામ જ્યારે મેટ્રિકની પરીક્ષા આપવા ગયા હતા, ત્યારે આ પ્રસંગ સર્જાયો હતો. તે વખતે મેટ્રિકની પરીક્ષામાં સંસ્કૃતની પરીક્ષા લિખિત અને મૌખિક લેવાતી હતી. સંસ્કૃતનું સાહિત્ય એમણે સારું વાચ્યું હતું. પણ વ્યાકરણ કાચું રહી ગયું હતું. તેથી લિખિત પરીક્ષામાં વ્યાકરણના સવાલોના જવાબ લખી શક્યા નહી. પછી મૌખિક પરીક્ષા શરૂ થઈ. રોજ થોડા છોકરાઓ તપાસાય છે. તેમનો વારો લગભગ મહિને આવ્યો. તે દરમ્યાન ઘણા ઉજાગરા કરીને સંસ્કૃત વ્યાકરણ પાકુ કર્યું. જ્યારે મૌખિક પરીક્ષા આપવા ગયા ત્યારે તેમને ઓરડાની બહાર ઘણી રાહ જોવી પડી. ગોવર્ધનરામ તો આગલી રાતોના ઉજાગરા ને લીધે ત્યાં જ ઉંઘી ગયા. તે વખતે પ્રો. રામકૃષ્ણ ગોપાળ ભાંડારકર પરીક્ષક હતા. ગોવર્ધનરામ નો વારો આવ્યો ત્યારે તેમણે "ત્રિપાઠી" કરીને ઓરડામાંથી બૂમ પાડી. એક બૂમ નિષ્ફળ ગઈ એટલે બીજી બૂમ પાડી. તોયે જવાબ ન મળ્યો. તેથી તેનું કારણ તપાસવા તે જાત્તે બહાર અવ્યા અને જુએ છે તો બાંકડા ઉપર એક વિધ્યાર્થી ઘસઘસાટ ઊંઘે! બીજા પરીક્ષકને આવે વખતે ચીડ ચડે તેને બદલે એમના મનમાં આશ્ચર્યં અને દયા ઉત્પન્ન થયા.તેમણે પરીક્ષાર્થીને ઢંઢોળી જાગ્રત કર્યા. ગોવર્ધનરામ ઝબકીને જુએ છે તો "પરીક્ષક સાહેબ" પોતે જ એમની પાસે ઊભેલા! ગભરાટ ની લાગણી હજીતો પૂરી શમી નથી, ત્યાં તો સાહેબે પૂછ્યું , "ત્રિપાઠી તમારું નામ કે?"

'જી , હા.'

કુતૂહલ થી ફરી પ્રશ્ન પુછાયો:"તમે ઊંઘતા હતા?

"ગોવર્ધનરામે શાંતિથી જવાબ દીધો, "સાહેબ, મને ઊજાગરો ઘણો હતો અને અહીં બેસી બહુ રહેવુ પડ્યુ,તેથી આંખ મળી ગઈ ."

વ્યાકરણ પાછળ ગોવર્ધનરામે આખો મહિનો ગાળ્યો હતો તેથી એમણે જે જે જવાબ આપ્યા તેથી ભાંડારકર ઘણા પ્રસન્ન થયા.

સન્માન[ફેરફાર કરો]

૨૭ એપ્રિલ ૨૦૧૬ના રોજ ભારતીય ટપાલ વિભાગ દ્વારા ગોવર્ધનરામ ત્રિપાઠીના માનમાં ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી. ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ગાંધીનગર ખાતે આ ટિકિટનું વિમોચન કર્યું હતું.[૨][૩][૪]

પૂરક વાચન[ફેરફાર કરો]

  • કોઠારી, જયંત (૨૦૦૧). સંગમયુગના દ્રષ્ટાની જીવનસરસ્વતી (ગોવર્ધનરામનું જીવનચરીત્ર). મુંબઈ: ઈમેજ પબ્લીકેશન્સ પ્રા. લી.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Salil Tripathi (૩૦ માર્ચ ૨૦૧૩). "Saraswatichandra-Not a love story". livemint.com. મેળવેલ ૧૪ નવેમ્બર ૨૦૧૩.
  2. "Gujarat CM releases postal stamp of Shri Govardhanram Tripathi". DeshGujarat. ૨૭ એપ્રિલ ૨૦૧૬. મેળવેલ ૧૭ મે ૨૦૧૭.
  3. PhilaMirror (૨૭ એપ્રિલ ૨૦૧૬). "Stamp Released on Gujrati Writer Govardhanram Tripathi". Phila-Mirror. મેળવેલ ૧૭ મે ૨૦૧૭.
  4. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2016-05-01 પર સંગ્રહિત. મેળવેલ 2017-05-17.