ગૌરીશંકર જોશી 'ધૂમકેતુ'

વિકિપીડિયામાંથી
ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી
જન્મગૌરીશંકર ગોવર્ધનરામ જોશી
(1892-12-12)12 December 1892
વીરપુર, વીરપુર રજવાડું, બ્રિટિશ ભારત
મૃત્યુ11 March 1965(1965-03-11) (ઉંમર 72)
ઉપનામધૂમકેતુ
વ્યવસાયટૂંકી વાર્તા લેખક, નવલકથાકાર
ભાષાગુજરાતી
રાષ્ટ્રીયતાભારતીય
શિક્ષણબી.એ.
નોંધપાત્ર સર્જનોપોસ્ટ ઑફિસ તણખા મંડળ ભાગ ૧, ૨, ૩, ૪ (૧૯૨૬, ૧૯૨૮, ૧૯૩૨, ૧૯૩૫)
નોંધપાત્ર પુરસ્કારો
જીવનસાથીકાશીબેન

ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી (ઉપનામ: ધૂમકેતુ‌) (૧૨ ડિસેમ્બર ૧૮૯૨ - ૧૧ માર્ચ ૧૯૬૫) ગુજરાતી નવલિકાકાર, નવલકથાકાર, ચિંતક-વિવેચક, નિબંધકાર, ચરિત્રકાર, નાટ્યકાર તરીકે પ્રસિધ્ધ છે.

જીવન[ફેરફાર કરો]

તેમનો જન્મ સૌરાષ્ટ્રના વીરપુરમાં થયો હતો. તેમણે ૧૯૧૪ માં મૅટ્રિક પાસ કર્યુ હતુ. ત્યારબાદ ૧૯૨૦માં અંગ્રેજી-સંસ્કૃત વિષયો સાથે બી.એ (બેચલર ઓફ આર્ટસ) ની પદવી મેળવી હતી. ગોંડલ રાજ્યની રેલવે ઑફિસમાં અને પછી ગોંડલની હાઈસ્કૂલમાં. ૧૯૨૩થી અમદાવાદમાં સ્થાયી થયા. પ્રારંભમાં અંબાલાલ સારાભાઈના બંગલાની ખાનગી શાળામાં શિક્ષક તરીકે અને પછી સર ચીનુભાઈ બેરોનેટના બંગલાની ખાનગી શાળામાં શિક્ષક તરીકે કામ કર્યું. નાનપણમાં સાંભળેલી વાર્તાઓ, બાલ્યાવસ્થાનો વાચનશોખ, શ્રીમન્ નથુરામ શર્માના આશ્રમનું પુસ્તકાલય, આસપાસની પ્રકૃતિ આદિ ધૂમકેતુના સાહિત્યસર્જનનાં મહત્વનાં પ્રેરક બળો રહ્યાં. ૧૯૪૪માં વડોદરામાં મળેલા ગુજરાતી સાહિત્ય પરિષદના ૧૫ મા અધિવેશનમાં સાહિત્ય વિભાગના પ્રમુખ. ૧૯૫૭-૫૮માં સાહિત્ય અકાદમી, દિલ્હીના ગુજરાતી ભાષાના સલાહકાર બોર્ડમાં સભ્ય.

સર્જન[ફેરફાર કરો]

ઊભેલામાંથી બીજા ક્રમે જયભિખ્ખુ; બેઠેલામાંથી પહેલા ક્રમે ધીરુભાઈ ઠાકર અને છેલ્લા ક્રમે ધૂમકેતુ

એમણે અનેક ગદ્યસ્વરૂપો ખેડયાં છે, પરંતુ એમની કીર્તિ તો નવલિકાકાર તરીકે જ પ્રતિષ્ઠિત છે. એમના આગમન પૂર્વે ગુજરાતી સાહિત્યમાં મલયાનિલ આદિ દ્વારા નવલિકા-લેખનની આબોહવા સર્જાઈ હતી, પરંતુ અનેક કલાત્મક વાર્તાઓના સર્જનને લીધે ધૂમકેતુ ગુજરાતી નવલિકાના આદ્ય પ્રણેતા ગણાયા. ‘તણખા’ મંડળ ૧ થી ૪ (૧૯૨૬, ૧૯૨૮, ૧૯૩૨, ૧૯૩૫), ‘અવશેષ’ (૧૯૩૨), ‘પ્રદીપ’ (૧૯૩૩), ‘મલ્લિકા અને બીજી વાર્તાઓ’ (૧૯૩૭), ‘ત્રિભેટો’ (૧૯૩૮), ‘આકાશદીપ’ (૧૯૪૭), ‘પરિશેષ’ (૧૯૪૯), ‘અનામિકા’ (૧૯૪૯), ‘વનછાયા’ (૧૯૪૯), ‘પ્રતિબિંબ’ (૧૯૫૧), ‘વનરેખા’ (૧૯૫૨), ‘જલદીપ’ (૧૯૫૩), ‘વનકુંજ’ (૧૯૫૪), ‘વનરેણુ’ (૧૯૫૬), ‘મંગલદીપ’ (૧૯૫૭), ‘ચન્દ્રરેખા’ (૧૯૫૯), ‘નિકુંજ’ (૧૯૬૦), ‘સાન્ધ્યરંગ’ (૧૯૬૧), ‘સાન્ધ્યતેજ’ (૧૯૬૨), ‘વસંતકુંજ’ (૧૯૬૪) અને ‘છેલ્લો ઝબકારો’ (૧૯૬૪) એ ચોવીસ સંગ્રહોની નવલિકાઓમાં સામાન્ય, દીનદરિદ્ર પાત્રોનો પ્રથમવારનો પ્રવેશ ગુજરાતી નવલિકાક્ષેત્રે ક્રાંતિરૂપ હતો. એમની નવલિકાઓ ભાવનાવાદી છે, તો વાસ્તવલક્ષી પણ છે. ભાવનાવાદી નવલિકાઓમાં મસ્તીભર્યા, રંગદર્શી, કલ્પનારંગ્યા વાતાવરણમાં તેઓ કોઈ આદર્શ કે ભાવનાનું નિરૂપણ અને ઊર્મિનું ઉત્કટ આલેખન કરે છે. વાસ્તવલક્ષી નવલિકાઓમાં એમનો ઝોક સમાજસુધારણા પ્રત્યેનો છે. ગાંધીભાવનાનો પડઘો પણ એમણે ઝીલ્યો છે. માનવસંવેદનાની સૂક્ષ્મ ક્ષણો, લાગણીઓ, નારીની વેદના, કરુણા તથા વત્સલતા, માનવઅંતરનાં દ્રન્દ્ર વિષાદ કે આનંદનાં નિરૂપણો તેમાં છે; તો પ્રાચીનકાળ, મધ્યકાળ અને ભવિષ્યકાળને નિરૂપતી વર્તાઓ પણ અહીં છે.

ધૂમકેતુ રંગદર્શી પ્રકૃતિના સર્જક છે, પરિણામે લાગણી-નિરૂપણ, વેગ, કવિતાની નિકટ બેસતી ગદ્યશૈલી, વાતાવરણની ચિત્રાત્મકતા અને ક્યારેક ચિંતન તેમ જ ધૂની-તરંગી પાત્રો એમની નવલિકાઓમાં પ્રગટ થાય છે. એમની વાર્તાકથનની નિજી લાક્ષણિક શૈલી છે. લોકબોલીનો લહેજો, કાવ્યમય આલંકારિક અને સચોટ પ્રભાવ નિરૂપતું ગદ્ય તથા સંવાદો એમની નવલિકાઓને ઓપ આપે છે. કટાક્ષ તથા હાસ્યનો પણ એમાં ઉપયોગ થયો છે. એમની નવલિકાઓમાં અતિપ્રસ્તારને કારણે ક્યારેક સંવિધાન કથળે છે. ગ્રામજીવન પ્રત્યેનો પક્ષપાત, નગર-યંત્ર-સંસ્કૃતિ પ્રત્યેનો અણગમો, જૂનાં મૂલ્યોની પ્રતિષ્ઠા, ઊર્મિનો અતિરેક, ચિંતનનો અનુચિત મોહ, અતિમુખરતા, લેખકનું ભાષ્ય આદિ એમની વાર્તાઓની સીમાઓ છે. આમ છતાં ‘પોસ્ટઑફિસ’, ‘ભૈયાદાદા’, ‘લખમી’, ‘હૃદયપલટો’, ‘એક ટૂંકી મુસાફરી’, ‘જીવનનું પ્રભાત’, ‘તિલકા’, ‘બિન્દુ’, ‘સોનેરી પંખી’, ‘ત્રિકોણ’, ‘રતિનો શાપ’, ‘રજપૂતાણી’, ‘માછીમારનું ગીત’ ઇત્યાદિ નવલિકાઓ આવી સીમાઓથી મુક્ત કલાત્મક કૃતિઓ છે.

એમણે સામાજિક-ઐતિહાસિક નવલકથાઓ વિપુલ પ્રમાણમાં આપી છે. એમની ‘પૃથ્વીશ’ (૧૯૨૩), ‘રાજમુગુટ’ (૧૯૨૪), ‘રુદ્રશરણ’ (૧૯૩૭), ‘અજિતા’ (૧૯૩૯), ‘પરાજય’ (૧૯૩૯), ‘જીવનનાં ખંડેર’ (૧૯૬૩), ‘મંઝિલ નહીં કિનારા’ (૧૯૬૪) વગેરે સામાજિક નવલકથાઓમાં સાંપ્રત સમાજની અભિપ્રેરણા છે. દેશી રજવાડાંની ખટપટોને આલેખતી તે નવલકથાઓમાં નૂતન પરિસ્થિતિમાં પ્રગટતી લોકજાગૃતિ નિરૂપાઈ છે, તો સાથોસાથ લોકતંત્ર, ગ્રામસ્વરાજ આદિ ભાવનાના નિરૂપણ સાથે રાજખટપટનો યથાર્થ ચિતાર પણ છે. એમની નવલકથાઓમાં પાત્રવસ્તુમાં આદર્શમયતાનું નિરૂપણ છે, ગામડાં પ્રત્યેનો પક્ષપાત છે; છતાં કથાવેગ, ચરિત્રચિત્રણ, રહસ્યમતા અને શૈલીને કારણે વાચનક્ષમતા છે. ‘ચૌલાદેવી’ (૧૯૪૦), ‘રાજસંન્યાસી’ (૧૯૪૨), ‘કર્ણાવતી’ (૧૯૪૨), ‘રાજકન્યા’ (૧૯૪૩), ‘વાચિનીદેવી’ (૧૯૪૫), ‘જયસિંહ સિદ્ધરાજ’ (બર્બરજિષ્ણુ) (૧૯૪૫), ‘જયસિંહ સિદ્ધરાજ’ (ત્રિભુવન ખંડ) (૧૯૪૭), ‘જયસિંહ સિદ્ધરાજ’ (અવંતીનાથ) (૧૯૪૮), ‘ગુર્જરેશ્વર કુમારપાળ’ (૧૯૪૮), ‘રાજર્ષિ કુમારપાળ’ (૧૯૫૦), ‘નાયિકાદેવી’ (૧૯૫૧), ‘રાય કરણ ઘેલો’ (૧૯૫૨), ‘અજિત ભીમદેવ’ (૧૯૫૩), ‘આમ્રપાલી’ (૧૯૫૪), ‘વૈશાલી’ (૧૯૫૪), ‘મગધપતિ’ (૧૯૫૫), ‘મહાઅમાત્ય ચાણક્ય’ (૧૯૫૫), ‘ચન્દ્રગુપ્ત મોર્ય’ (૧૯૫૬), ‘સમ્રાટ ચન્દ્રગુપ્ત’ (૧૯૫૭), ‘પ્રિયદર્શી અશોક’ (૧૯૫૮), ‘પ્રિયદર્શી સમ્રાટ અશોક’ (૧૯૫૮), ‘મગધસેનાપતિ પુષ્પમિત્ર’ (૧૯૫૯), ‘કુમારદેવી’ (૧૯૬૦), ‘ગુર્જરપતિ મૂળરાજદેવ’ : ૧-૨ (૧૯૬૧), ‘પરાધીન ગુજરાત’ (૧૯૬૨), ‘ભારતસમ્રાટ ચન્દ્રગુપ્ત’ : ૧,૨ (૧૯૬૩, ૧૯૬૪), ‘ધ્રુવદેવી’ (૧૯૬૬) વગેરે એમની ઐતિહાસિક નવલકથાઓમાં ગુપ્તયુગ અને ચૌલુકયુગનું નિરૂપણ છે. ગુપ્તયુગની નવલકથાઓ દ્વારા ભારતની અને ચૌલુકયયુગની નવલકથાઓ દ્વારા ગુજરાતની અસ્મિતા પ્રગટ કરવાનો એમનો ઉદ્દેશ જણાય છે. એમાં રસજિજ્ઞાસા સંતોષતી કથા-ઘટનાનું સંયોજન છે, છતાં સંવિધાન-શિથિલતા, પ્રસંગો-પાત્રોની એકવિધવા, રહસ્ય-ભેદભરમ-સાહસ-અદભૂત રસાદિનું સાયાસ નિરૂપણ તેમ જ વર્ણન-પ્રસ્તારને કારણે એમની ઐતિહાસિક નવલકથા સીમિત રહે છે.

‘જીવનવિચારણા’ (૧૯૭૦)માં એમના સમાજવિષયક નિબંધો છે, તો ‘સાહિત્યવિચારણા’ (૧૯૬૯) માં ટૂંકીવાર્તાની સ્વરૂપવિચારણા છે. પ્રથમ કૃતિમાં સમાજહિતચિંતક ધૂમકેતુ દેખા દે છે અને તેમાં સુબદ્ધ વિચારોનું ઊંડાણ છે, તો બીજી કૃતિમાં ટૂંકીવાર્તા અંગે વિચારણા તથા કેટલાક અંજલિલેખો છે. અહીં નિબંધસ્વરૂપ કંઈક શિથિલ છે. નિબંધો ચિંતનપ્રેરક ઓછા, ઊર્મિપ્રેરક વિશેષ છે. અહીં એમની સૂત્રાત્મક સબળ શૈલી છે. ‘પાનગોષ્ઠિ’ (૧૯૪૨) માં પણ ચિંતન છે, પણ એમાં બહુધા હાસ્યનિબંધિકાઓ છે. જોકે અહીં એમનો હાસ્યકાર તરીકે પ્રગટ થવાનો આયાસ દેખાઈ આવે છે. ‘પગદંડી’ (૧૯૪૦) માં એમણે પ્રકૃતિસૌંદર્યનાં વર્ણનોને અનુભૂતિની સાહજિકતા અને આલંકારિક ગદ્યનો સ્પર્શ આપ્યો છે. સ્થળોનાં ઐતિહાસિક સંદર્ભો એમની બહુશ્રુતતાનો અહીં પરિચય કરાવે છે.

‘રજકણ’ (૧૯૩૪), ‘જલબિંદુ’ (૧૯૩૬), ‘મેઘબિંદુ’ (૧૯૫૦), ‘પદ્મરેણુ’ (૧૯૫૧) જેવી કૃતિઓમાં ચિંતનકણિકાઓનું દર્શન થાય છે. એમાં સુરમ્ય વિચારકંડિકાઓ, લઘુલેખો અને નિબંધો છે. સૂત્રાત્મક શૈલીની સાથોસાથ ગદ્યના કુશળ કસબી ધૂમકેતુનો સન્નિષ્ઠ નિબંધલેખક તરીકેનો એમાં પરિચય મળે છે. એમનો જીવનોત્સાહ, એમની સૌંદર્યભક્તિ તથા ભાવનાશીલતા એમાં નીતરે છે. ‘કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રાચાર્ય’ (૧૯૪૦) એમનો ચરિત્રગ્રંથ છે, તો ‘જીવનપંથ’ (૧૯૪૯) અને ‘જીવનરંગ’ (૧૯૫૬) એમની આત્મકથા છે. પ્રથમ કૃતિમાં હેમચન્દ્રાચાર્યના વ્યક્તિત્વનું મૂલ્યાંકન છે પણ વિગતોમાં તટસ્થતાનો અભાવ અને ઇતિહાસનો બોજ વરતાય છે. ‘જીવનપંથ’ અને ‘જીવનરંગ’ માં ૧૮૯૨ થી ૧૯૨૬ સુધીનાં સંસ્મરણોનું આલેખન છે. પ્રકૃતિનાં કલ્પનાશીલ ચિત્રાત્મક વર્ણનો, વિવિધ પાત્રસૃષ્ટિ, વીતેલા જમાનાની ઘટનાઓ આદિ સુંદર રીતે આલેખાયાં છે; ઉપરાંત એમાં લેખકનું વિદ્યાર્થી, મિત્ર, શિક્ષક અને સાહિત્યકારનું સ્વરૂપ પ્રગટે છે. સત્યકથન અને સુવાચ્ય શૈલી એ એની લાક્ષણિકતા છે.

‘એકલવ્ય અને બીજાં નાટકો’ (૧૯૩૩) તેમ જ ‘ઠંડી ક્રૂરતા અને બીજાં નાટકો’ (૧૯૪૨) એમના નાટ્યસંગ્રહો છે.

જિબ્રાનની કૃતિઓ અને ટાગોરની ‘ગીતાંજલિ’ ના એમણે કરેલા ભાવાનુવાદમાં તે તે સર્જક સાથે હૃદયસંવાદ સાધી એમણે કાવ્યમય ભાષાશૈલી અને ચિંતનમાધુર્યના સ્વ-સામર્થ્યનો પરિચય કરાવ્યો છે. આ ઉપરાંત, સ્વરાજપ્રાપ્તિ પછી સામાન્યજનના સંસ્કારશિક્ષણને પોષતી બાળસાહિત્ય અને પ્રૌઢસાહિત્યની સરળ ને બોધક સાઠેક પુસ્તિકાઓ એમણે લખી છે. ‘ઇતિહાસદર્શન’, ‘ઇતિહાસની તેજમૂર્તિઓ’ (૧૯૫૫) અને ‘ઇલિયડ’ (૧૯૬૧) એમનાં પ્રકીર્ણ વિષયનાં પુસ્તકો છે.

તણખા : મંડળ ૧,૨,૩,૪ (૧૯૨૬, ૧૯૨૮, ૧૯૩૨, ૧૯૩૫) ધૂમકેતુના ટૂંકીવાર્તાઓના સંગ્રહો. કલ્પના અને લાગણીઓ જગાવીને જે કહેવાનું છે તેનો માત્ર ધ્વનિ જ-તણખો-જ-મૂકે છે એવું, નિજી કલાશ્રદ્ધામાંથી જન્મેલું ધૂમકેતુનું વાર્તાવિશ્વ ઊર્મિપ્રધાન, ભાવનાપ્રધાન, રંગદર્શી અને વૈવિધ્યસભર છે. ગુજરાતમાં જ નહીં, ભારતભરમાં અને ભારત બહાર પણ આ વાર્તાઓની પ્રસિદ્ધિ છે. વિપુલ સર્જનનો સંદર્ભ હોય કે વાર્તાકૌશલનો સંદર્ભ હોય, પાત્રમાનસના નિરૂપણનો સંદર્ભ હોય કે સર્જકતાની કોટિનો સંદર્ભ હોય-આ સર્વ સંદર્ભોમાં ધૂમકેતુ અગ્રણી વાર્તાકાર છે. આ વાર્તાઓ ‘વીજળીના ચમકારાની પેઠે એક દ્રષ્ટિબિંદુ રજૂ કરતાં કરતાં સોંસરવી નીકળી’ જવાનો અને ‘બીજી ઝાઝી લપછપ વિના અંગુલિનિર્દેશ કરીને સૂતેલી લાગણીઓ જગાડી વાંચનારની આસપાસ એક નવી જ કાલ્પનિક સૃષ્ટિ ઘડી’ કાઢવાનો મનસૂબો ધરાવે છે. ક્યારેક ઊર્મિના અતિરેકથી આવતો ઘેરો રંગ, ક્યારેક આદર્શઘેલછા, ક્યારેક ગ્રામજીવન તરફનો અકારણ પક્ષપાત, ક્યારેક અવાસ્તવિક રીતે આવતા ઓચિંતા પલટાઓ એ આ વાર્તાઓની મર્યાદાઓ હોવા છતાં ‘પોસ્ટઓફિસ’, ‘ભૈયાદાદા’, ‘ગોવિંદનું ખેતર’, ‘પૃથ્વી અને સ્વર્ગ’, ‘રજપૂતાણી’, ‘જીવનનું પ્રભાત’ જેવી વાર્તાઓમાં ધૂમકેતુનો સર્જન-વિશેષ જોઈ શકાય છે. આ વાર્તાઓમાં કલાનિર્મિત સાથે જીવનમૂલ્યોનું જીવંત રસાયણ થયેલું છે. ગુજરાતી ટૂંકીવાર્તા ધૂમકેતુથી પ્રસ્થાપિત થઈ એ વાતની સાક્ષી આ ચાર મંડળો અવશ્ય પૂરે છે.

ચૌલાદેવી (૧૯૪૦) ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી ‘ધૂમકેતુ’ની ચૌલુક્યવંશીની નવલકથા. એમાં રાજા ભીમદેવના સમયની કથા છે. સોમનાથ-પાટણના પતન પછી ગુજરાતની પ્રતિષ્ઠાને ઝાંખપ લાગી ચૂકી હતી; પરાક્રમી રાજા ભીમદેવ ભગવાન પિનાકપાણિના દેવમંદિરની રક્ષા કરી શક્યા નહીં તે કારણે ગુજરાતનો રાજ્વી ઉપહાસપાત્ર બન્યો હતો; બરાબર તે જ વખતે પાટણ આંતરિક અસંતોષથી ધૂંધવાતું હતું. બહારનાં ઉપહાસ અને અંદરના જવાળામુખી વચ્ચે ગુજરાતની ગર્વોન્નત પ્રતિમા ઉપસાવવા મંત્રી વિમલ, સંધિવિગ્રહિક દામોદર અને અભિજાતસુંદરી ચૌલાદેવી મથે છે. ચૌલાદેવીની ઉદાત્તત્તાનો અને સ્વપ્નમંડિત ભાવનાનો સ્પર્શ લગભગ તમામ પાત્રોને થયો છે. ગુજરાતના નિર્માણની એ પ્રેરણામૂર્તિ બને છે.

ટૂંકી વાર્તાઓ[ફેરફાર કરો]

પોસ્ટ ઑફિસ[ફેરફાર કરો]

પુત્રીના પત્રની પ્રતીક્ષામાં દરરોજ સવારે પોસ્ટઑફિસે જઈ બેસતા વૃદ્ધ અલીડોસાના ઉત્કટ વાત્સલ્યને નિરૂપતી ધૂમકેતુની અત્યંત જાણીતી ટૂંકી વાર્તા.

ભૈયાદાદા[ફેરફાર કરો]

ધૂમકેતુની જાણીતી ટૂંકીવાર્તા. રેલવે અધિકારી સાંધાવાળા ભૈયાદાદાને એમની કોઈ ગફલતને કારણે વહેલા નિવૃત્ત કરી દે છે અને ફાટક પાસેની ઝૂંપડી-વાડીના પ્રેમમાં પડેલા ભૈયાદાદા ઝૂંપડીવાડી ખાલી કરવાને બદલે ખોળિયું ખાલી કરીને ચાલી નીકળે છે- એવું કથાનક કરુણને ઝંકૃત કરી જાય છે.

રજપૂતાણી[ફેરફાર કરો]

એમાં ચોમાસામાં ગરાસણીને મળવા નીકળેલા અને રૂપેણમાં ડૂબી અવગતે થયેલા ગરાશિયાનું ઘર માંડવા અંતે પાણીમાં ડૂબી જતી ગરાસણીનું કથાનક લોકકથાત્મક અને રહસ્યપૂર્ણ છે.

પુરસ્કારો[ફેરફાર કરો]

તેમને ૧૯૩૫માં રણજિતરામ સુવર્ણચંદ્રક મળેલો, પણ પરત કરેલો. ૧૯૫૩માં તેમને નર્મદ સુવર્ણ ચંદ્રક એનાયત થયો હતો.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]