ઘાંચી

વિકિપીડિયામાંથી

ઘાંચી (હિંદી: घांची; ઉર્દુ: گھانچی) એ મહદંશે ગુજરાતમાં એક ખાસ મુસ્લિમ સમુદાય ની એક જ્ઞાતિ છે અને તે અટક તરીકે પણ વપરાય છે. આ ઉપરાંત હિંદુઓમાં પણ ઘાંચી સમાજ જોવા મળે છે, જે લોકો સામાન્યતઃ મોદી અટક વાપરે છે. મુસ્લિમ ઘાંચી ભારતમાં મુખ્યત્વે ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં જોવા મળે છે. ઘાંચી સમાજની એક નાની સંખ્યા પાકિસ્તાનનાં કરાચી શહેરમાં પણ જોવા મળે છે. હિંદુ ઘાંચી ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદ, સુરેન્દ્રનગર, સુરત, વડોદરા, ભરૂચ,રાધનપુર વગેરે શહેરોમાં પથરાયેલાં છે.

ઉદ્ભવ[ફેરફાર કરો]

મુસ્લિમ અને હિંદુ બંને ઘાંચી સમાજ પરંપરાગત રીતે રસોઈ તેલ (વર્ષો પહેલા મુખ્યત્વે તલનું તેલ, પણ હાલમાં સિંગતેલ, તથા અન્ય પ્રકારનાં તેલો)ના ઉત્પાદન સાથે સંકળાયેલો સમુદાય છે. ઘાંચીઓ ઘાણી દ્વારા તલ પીલીને તેનું તેલ કાઢવા માટે જાણીતા છે. શિયાળાનું વસાણું એવું કચરીયું એ ઘાંચીઓની ભેટ છે જે પરંપરાગત રીતે ઘાણીમાં તેલ કાઢી લીધા પછીના તલમાં ગોળ મેળવીને તૈયાર કરવામાં આવે છે. કહેવાય છે કે, ગુજરાત તેમજ રાજસ્થાનમાં વપરાતું પરંપરાગત તેલ બનાવતું યંત્ર (ઘાણી) જે રાજસ્થાનમાં ઘાંચ નામે ઓળખાય છે તેના પરથી ઘાંચી શબ્દ અસ્તિત્વમાં આવેલો છે.

અત્રે એ નોંધનીય છે કે ઉત્તર ભારતના મુસ્લિમ તેલી સાથે તેઓનું કોઇ જોડાણ નથી. ઘાંચી[૧] ઉત્તર ગુજરાત તેમજ પંચમહાલ, સાબરકાંઠા, બનાસકાંઠા અને સુરેન્દ્રનગર વગેરે જિલ્લાઓમાં મુખ્યત્વે જોવા મળે છે. ગુજરાતમાં કલોલ, કડી અને ગોધરા,રાધનપુર જેવા શહેરો ઘાંચી સમુદાયનાં મોટા કેન્દ્રો છે. તેઓનુ એક જોડાણ ઘાંચી-પિંજારા સમુદાય સાથે પણ છે, જેઓ પરંપરાગત રીતે તેલ ઉત્પાદન સાથે સંકળાયેલ છે. કડીનાં ઘાંચીઓ કડીવાલ ઘાંચી તરીકે ઓળખાય છે. ગુજરાતમાં ઘાંચી સમાજ મુખ્યત્વે ગુજરાતી ભાષામાં જ વાતચીત કરે છે. મુસ્લિમ ઘાંચી સમાજમાં ઘાંચી અટક ઉપરાંત ઘાંચી કડૂજીવાલા, ઢમઢમાં ,મોરવાડીયા, પટેલ, બિલખીયા, ખેરાડા, મહીડા, બસર, મોદન, સુથાર, રાઠોડ, સોલંકી, પરમાર વિગેરે પણ અટક તરીકે વપરાય છે.

હિંદુ ઘાંચી જ્ઞાતિના લોકો ઘાંચી શબ્દ મહદંશે અટક તરીકે વાપરતા નથી. તેને સ્થાને મોટેભાગે મોદી અને આ ઉપરાંત ફડીયા, વડવાળા, વગેરે જેવી અટકો પણ વાપરે છે. હિંદુ ઘાંચી સમાજ હાલમાં મોઢ ચાંપાનેરી વણિક જ્ઞાતિ તરીકે પણ ઓળખાવું પસંદ કરતા હોય છે. ઇતિહાસ મુજબ ગુજરાતી હિંદુ જ્ઞાતિના મૂળ મોઢેરામાં રહેલા છે, જ્યાંથી કોઈક કારણોસર તેઓ સ્થળાંતર કરી ચાંપાનેર જઈ વસ્યાં અને ત્યાંથી પણ પ્રતિકૂળ સંજોગોને કારણે તેમણે સ્થળાંતર કરીને ગુજરાતના અન્ય શહેરોમાં વસવાટ કરવો પડ્યો[૨]. આથી તે જ્ઞાતિનું નામ મોઢ ચાંપાનેરી વણિક જ્ઞાતિ પડ્યું છે.

મુસ્લિમ ઘાંચી સમાજની વર્તમાન પરિસ્થિતિ[ફેરફાર કરો]

ગુજરાત[ફેરફાર કરો]

ઘાંચી સમાજ મુખ્યતવે પરંપરાગત રીતે રસોઈ તેલ ઉત્પાદન સાથે સંકળાયેલો છે. પરંતુ આધુનિક ટેકનોલોજીની પ્રગતિ સાથે ઘાંચી સમાજ અન્ય વ્યવસાયો તરફ પણ વળ્યો છે. એમાંના કેટલાક હવે નાના ઉદ્યોગપતિઓ અને કેટલાક ટ્રાન્સપોર્ટર બની ગયા છે.[૩] ઘાંચી મોટેભાગે શહેરમાં ઘાંચીવાડ તરીકે ઓળખાતા વિસ્તારમાં રહેતા હોય છે.

ઘાંચી એ અન્ય ગુજરાતી મુસ્લિમોની જેમ જમાતબંધીના સિદ્ધાંતોને અનુસરે છે, અને તેઓનો જાતિ સમુહ "ઘાંચી જમાત" તરીકે ઓળખાય છે. ઘાંચી એ સુન્ની મુસ્લિમ છે જેઓ દેવબંદી ઉપ-સંપ્રદાય સાથે સંકળાયેલા છે.

રાજસ્થાન[ફેરફાર કરો]

રાજસ્થાનમાં ઘાંચી હજુ પણ તેલ ઉત્પાદન સાથે સંકળાયેલા છે. અહિં આ સમુદાયનો મોટો ભાગ હવે ખેતીનો વ્યવસાય કરે છે. આ રાજસ્થાન ઘાંચીઓનું રાજ્યવ્યાપી જાતિ સંગઠન "ઘાંચી જમાત" તરીકે ઓળખાય છે. રાજસ્થાનમાં તેઓ દુર્ગાપુર, બાંસવાડા, જોધપુર અને ઉદયપુર જિલ્લાઓમાં વિસ્તરેલા છે. રાજસ્થાનના ઘાંચીઓ મોટેભાગે મેવાડી કે મારવાડી ભાષા બોલે છે જ્યારે કેટલાક હિંદી/ઉર્દુ ભાષામાં વાત કરે છે.

ભારતના અન્ય ભાગોમાં[ફેરફાર કરો]

ભારતમાં ઘાંચીઓ ઘણી જગ્યાએ વસવાટ કરે છે. આધુનિક ભારતમાં વિકાસને કારણે જેમ અન્ય જાતિઓનુ સ્થળાંતર જે-તે જાતિના મુળ વતન ઉપરાંત ભારતના અન્ય ભાગોમાં પણ વ્યાપક રીતે થયું છે, તેવી જ રીતે ઘાંચી જાતિ પણ ભારતભરમાં જોવા મળે છે. મહારાષ્ટ્ર નું મુંબઇ એ ઘાંચી સમાજની સારી એવી વસ્તી ધરાવે છે. આ ઉપરાંત અન્ય રાજ્યો જેવા કે મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, દિલ્હી, તમિલનાડુ વગેરે રાજયોમાં પણ ઘાંચી સમાજની નોંધપાત્ર વસ્તી છે.

પાકિસ્તાનના ઘાંચી[ફેરફાર કરો]

પાકિસ્તાનના શહેર કરાચીમાં ઘાંચી સમાજનો મોટો સમુદાય વસવાટ કરે છે. એમાંના કેટલાક ઘાંચી પરા વિસ્તારમાં, જ્યારે કેટલાક સદર ટાઉન વિસ્તારમાં સ્થાયી થયાં છે.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "મુસ્લિમ ઘાંચી વેબસાઇટ પર પરિચય". મૂળ માંથી 2012-01-02 પર સંગ્રહિત. મેળવેલ 2011-12-29.
  2. અમદાવાદ મોઢ ચાંપાનેરી વણિક જ્ઞાતિની વેબસાઈટ પર ટૂંકમાં ઇતિહાસ
  3. પિપલ ઓફ ઇંડિયા- ગુજરાત વોલ્યુમ XXI ભાગ એક, સંપાદનઃ R.B Lal, P.B.S.V Padmanabham, G Krishnan & M Azeez Mohideen પાન ૩૪૬-૩૫૦