ઝૂલતા મિનારા

વિકિપીડિયામાંથી
સીદી બશીર મસ્જિદ
ઝૂલતા મિનારા
ધર્મ
જોડાણઇસ્લામ
સ્થિતિસક્રિય
સ્થાન
સ્થાનઅમદાવાદ, ભારત
નગરપાલિકાઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન
રાજ્યગુજરાત
ઝૂલતા મિનારા is located in ગુજરાત
ઝૂલતા મિનારા
ગુજરાતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ23°01′40″N 72°36′04″E / 23.0276771°N 72.6011676°E / 23.0276771; 72.6011676
સ્થાપત્ય
સ્થાપત્ય પ્રકારમસ્જિદ
પૂર્ણ તારીખ૧૪૫૨
મિનારાઓ

ઝૂલતા મિનારા અથવા મૂળ નામ સીદી બશીર મસ્જિદ ગુજરાત રાજ્યના અમદાવાદ કે જે એક સમયે રાજ્યની રાજધાની હતી, તે શહેરમાં આવેલું પુરાતન સ્થાપત્ય છે. આ સ્થાપત્યનું નિર્માણ મોગલ શૈલીમાં કરવામાં આવેલું છે. એક મિનારા પર ચડીને એને હલાવવાથી બીજો મિનારો પણ થોડી ક્ષણોમાં હલે છે તેથી આ મિનારાનું નામ ઝૂલતા મિનારા પડ્યું છે. અમદાવાદમાં સારંગપુર-ગોમતીપુરમાં રેલ્વે સ્ટેશનની બહારનાં ભાગે આવેલા આ મિનારા ત્રણ માળનાં બનેલા છે અને તેના છજાઓમાં બારીક નકશીકામ કરવામાં આવ્યું છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

સીદી બશીર મસ્જિદના મિનારાઓ, ૧૮૬૬

અમદાવાદમાં સીદી બશીરની મસ્જિદમાં આવા મિનારા બાંધવામાં આવ્યા હતાં, જે સુલતાન અહમદ શાહનાં ગુલામ સીદી બશીરે બાંધ્યા હતાં તેમ માનવામાં આવે છે. અન્ય એક મત મુજબ સુલતાન મહમદ બેગડાનાં શાસન દરમિયાન મલિક સારંગ નામના એક ઉમરાવે તે બંધાવ્યા હતાં. મિનારાવાળી આ મસ્જિદનું બાંધકામ ૧૪૫૨માં પૂર્ણ થયું હતું.[૧]

મિનારા[ફેરફાર કરો]

એક મિનારા પર ચઢીને તેને હળવેથી હલાવતા બીજો મિનારો થોડી ક્ષણો પછી આપોઆપ હલે છે, અને આ કંપનની અસર બન્ને મિનારાઓની વચ્ચેની જગ્યા પર જોવા મળતી નથી. આ કંપનનું સાચું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. મોનિયર એમ. વિલિયમ્સ નામના અંગ્રેજ સંસ્કૃત વિદ્વાનને ૧૯મી સદીમાં મિનારાઓની આ લાક્ષણિકતાની સૌપ્રથમ જાણ થઈ હતી.[૨]

અન્ય મિનારા[ફેરફાર કરો]

રાજ બીબીની મસ્જિદમાં પણ આવા મિનારાઓ આવેલા છે, જેમાંનો એક બ્રિટિશરોએ સંશોધન કરવા માટે છૂટો પાડ્યો હતો, પરંતુ તેમનાં સંશોધનમાં તેઓ કશું જાણી ના શક્યા અને ના તો તેઓ તે મિનારાને પાછો ઉભો કરી શક્યા. આ ઉપરાંત ઇરાનનાં ઇસફહાનમાં પણ આ પ્રકારના મિનારા છે, જે મોનાર જોનબન તરીકે જાણીતા છે. મોનાર જોનબનનો શબ્દશ: અર્થ ઝૂલતા મિનારા થાય છે.

હાલની સ્થિતિ[ફેરફાર કરો]

૧૯૮૧માં કુતુબ મિનારમાં બનેલી દુર્ઘટના પછી આ મિનારાઓ પર ચડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. મિનારાનો ઉપરનો ભાગ ક્ષતિગ્રસ્ત છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Sultanate Architecture". The Ahmedabad Chronicle: Imprints of a millennium. વાસ્તુ-શિલ્પ ફાઉન્ડેશન ફોર સ્ટડીઝ એન્ડ રિસર્ચ ઇન એન્વાયર્મેન્ટલ ડિઝાઇન. ૨૦૦૨. પૃષ્ઠ ૧૩૪.
  2. "Siddi bashir mosque (shaking minarets)". All India Tour Travel Guide. મેળવેલ ૭ સપ્ટેમ્બર ૨૦૦૬.