દીપકભાઈ પ્ર. મેહતા

વિકિપીડિયામાંથી
દીપકભાઈ પ્ર. મેહતા

દીપકભાઈ પ્ર. મેહતા (સપ્ટેમ્બર ૩૦, ૧૯૩૬ - મે ૨૮, ૨૦૦૪) ગુજરાતના એક કેળવણીકાર, પ્રકૃતિવિદ્, વિચારક, લેખક, કવિ અને વક્તા હતા.

જીવન[ફેરફાર કરો]

જન્મ અને કૌટુંબિક જીવન[ફેરફાર કરો]

દીપકભાઈનો જન્મ મુંબઈમાં થયો હતો અને એમનું બાળપણ તળાજામાં વીત્યું હતું. દીપકભાઈના પત્નીનું નામ હેમલતાબેન હતું. એમના સંતાનોમાં જયાબેન, ક્રિષ્નાબેન, હીનાબેન અને પ્રણવભાઈ છે.

શિક્ષણ[ફેરફાર કરો]

દીપકભાઈએ પોતાનુ પ્રાથમિક શિક્ષણ ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના તળાજામાં લીધેલું. માધ્યમિક શિક્ષણ એમણે ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના મહુવા શહેરની શેઠ શ્રી એમ. એન. હાઇસ્કૂલમાં લીધેલું. મહુવામાં હાઈસ્કુલનો અભ્યાસ પુર્ણ કર્યા પછી તેઓ વધુ અભ્યાસ માટે ભાવનગર આવ્યા. અંગ્રેજી સાહિત્ય ને મુખ્ય વિષય તરીકે લઈને ભાવનગર યુનિવર્સિટીમાં બી.એ. તેમજ એમ.એ. કર્યું અને એ દરમ્યાન ભાવનગરમાં આવેલ પ્રશ્નોરા નાગર જ્ઞાતિની બૉર્ડિંગ અહિચ્છત્ર સંસ્કાર કેન્દ્રમાં રહ્યા. પોતાના મનપસંદ ક્ષેત્ર - શિક્ષણ - તરફ આગળ વધવા માટે એમણે ભાવનગર યુનિવર્સિટીમાંથી બી.એડ. અને એમ.એડ.ની ડિગ્રીઓ પણ મેળવી. તેઓ એ એલ.એલ.બી.ની ડિગ્રી પણ મેળવી હતી.

આર્ટ્સના વિદ્યાર્થી હોવા છતાં, ફક્ત કુદરત પ્રત્યેના લગાવને કારણે જીવનનાં ઉત્તરાર્ધમાં (૬૬ વર્ષે) એમણે મરીન સાયન્સ વિષયમાં પીએચ. ડી.ની ડિગ્રી પણ મેળવી હતી.

કારકિર્દી[ફેરફાર કરો]

પીરમબેટના પર્યાવરણ સંરક્ષણ શિબિર દરમ્યાન દીપકભાઈ

દીપકભાઈએ પોતાની કારકિર્દીની શરુઆત પ્રાથમિક શિક્ષક તરીકે ભાવનગરમાં આવેલ શિશુવિહાર સંસ્થા અને આર. કે. કામાણી હાઈસ્કુલ - ઘરશાળા સંસ્થામાં કરેલ. એ પછી તે ૧૯૭૩માં શ્રી દક્ષિણામૂર્તિ સંસ્થાના અધ્યાપન મંદિર - પ્રિ.પી.ટી.સી. કોલેજમાં આચાર્ય તરીકે જોડાયા અને ૧૯૭૬માં તેઓ શ્રી દક્ષિણામૂર્તિ વિનય મંદિરના આચાર્ય પદે નિયુક્ત થયા. ૧૯૮૯માં એમણે શ્રી દક્ષિણામૂર્તિ વિનય મંદિરના આચાર્યપદેથી સ્વૈચ્છિક રાજીનામું આપ્યું.

એમની વ્યયસાયિક કારકિર્દીનો મોટાભાગનો સમય (૧૯૭૩ થી ૧૯૮૯) તેઓ શ્રી દક્ષિણામુર્તિ સંસ્થા સાથે સંકળાયેલા રહ્યા હતા. શ્રી દક્ષિણામુર્તિ સંસ્થાના સ્થાપક એવા ગિજુભાઈ બધેકાનું સંપુર્ણ કાર્ય બાલ્યાવસ્થા ના ઘડતર સાથે સંકળાયેલ રહ્યું જ્યારે દીપકભાઈએ એ કાર્યમાં એમના પોતાના મૌલિક પ્રયોગો કરીને કુમારાવસ્થા અને કુમારાવસ્થાથી યુવાવસ્થા તરફ પ્રગતિ કરી રહેલા બાળકોના વ્યક્તિત્વ ઘડતર તરફ પોતાનું ધ્યાન કેન્દ્રિત કરેલું. એ ઉંમરના બાળકોમાં બહુમુખી પ્રતિભાઓ અને સ્વયંશિસ્ત વિકસે એ માટે તેઓ સતત પ્રયત્નશીલ રહેતા હતા. પોતાના જીવન માટે "દીપકના જીવનની મેળવણી - કવિતા, કુદરત, કેળવણી" એમનું સુત્ર હતું.

ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ માટે ગુજરાતી, ગણિત અને પર્યાવરણ વિષયનાં લેખક તરીકે કાર્ય કર્યું. પીરમબેટના પર્યાવરણ સંરક્ષણ, પર્યાવરણ સુધારણા, વનીકરણ, અને જળસંગ્રહ બાબતે શિબિરો પીરમબેટ પર જ યોજેલ. એ ઉપરાંત એમણે દરિયાઈ કાચબાના સંરક્ષણ માટે હાથબ અને પીરમબેટ પર દરિયાઈ કાચબા ઉછેર કેન્દ્રો સ્થાપ્યા. આ દરિયાઈ કાચબા ઉછેર કેન્દ્રોમાં મુખ્યત્વે ઓલિવ રિડલી દરિયાઈ કાચબા અને લીલા દરિયાઈ કાચબાની પ્રજાતિઓને બચાવવા પ્રયત્ન કરવામાં આવ્યો છે.

મૃત્યુ[ફેરફાર કરો]

ભાવનગરના કૃષ્ણકુમારસિંહજી એવન્યુના ગીતાચોક પર આવેલ અહિચ્છત્ર સંસ્કાર કેન્દ્રમાં એક્ષેલ ઇંડસ્ટ્રીઝ દ્વારા ૨૮મી મે, ૨૦૦૪ના દિવસે વિદ્યાર્થીઓ માટે ઊનાળુ વેકેશન કારકિર્દી માર્ગદર્શન શિબિરનું આયોજન કરાયેલ હતું. સાંજે એ જગ્યાએ એકઠા થયેલા વિદ્યાર્થીઓ અને વાલીઓની સભાને દીપકભાઈ સંબોધી રહ્યા હતા અને પોતાના વ્યક્તવ્ય દરમ્યાન જ એ ઢળી પડ્યા. એમને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા પરંતુ બચાવી શકાયા નહીં. આમ હૃદયરોગના હુમલાથી એમનું અવસાન થયું.

લેખન કાર્ય[ફેરફાર કરો]

  1. ધરતીને છેડે દીવાદાંડી - ૧૯૭૬ - જુલેસ વેર્નના પુસ્તકનો અનુવાદ
  2. શિક્ષણ - ભિતરનો ખજાનો - યુનેસ્કોના વર્લ્ડ એજ્યુકેશન રીપોર્ટનો ભાવનગર યુનિવર્સીટી માટે અનુવાદ
  3. રોજ સવારે - સ્વ-નિર્મિત કાવ્ય-સંગ્રહ
  4. પીરમબેટ એક ઝલક - ૧૯૯૪

વાર્તાકાર તરીકે[ફેરફાર કરો]

ગુજરાત કાઉન્સીલ ઓફ એજ્યુકેશનલ રીસર્ચ એન્ડ ટ્રેઈનિંગ, ગાંધીનગર દવારા યોજાયેલ અને રેકોર્ડ કરાયેલ દીપકભાઈની વારતાઓ.

  1. ગીજૂભાઈ લિખીત દિવાસ્વપ્ન કહેતા દિપકભાઈ. (યુ-ટયુબ પર જઈને જુવો)
  2. દરીયાલાલ વારતા કહી રહેલા દીપકભાઈ (યુ-ટયુબ પર જઈને જુવો ભાગ-૧ અને ભાગ-૨)

સંદર્ભ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]