દેવાયત પંડિત

વિકિપીડિયાથી
સીધા આના પર જાવ: ભ્રમણ, શોધો

અનુક્રમણિકા

[ફેરફાર કરો] આગમવાણી

ભુતકાળને જાણવો, વર્તમાનકાળના પાયારૂપ ભુતકાળને ઉકેલવો એ એક માનવસહજ ઈચ્છા છે. સંભવ છેકે ભુતકાળને જાણવાનું માનવીનું આકર્ષણ પોતાની અને સૂષ્ટિની ઉત્પતિની રહસ્યમયતાને કારણે થયુ હોય. બાળકમાં પણ થોડી સમજશક્તિનો વિકાસ થતા એને પહેલો પ્રશ્ન એ જ થાય છે કે 'હું કયાંથી આવ્યો ?' પછી ક્રમશ: માનવીને પોતાની પરિમિત શક્તિ અને ક્ષણભંગુરતાનુ ભાન થતા એણે કોઈ વિરાટ સર્વશક્તિમાન, સર્વવ્યાપી, અજર, અમર એવા સ્વયંભુની કલ્પના કરી.

ભકતો અને સંતોએ પુરાણોની અને શાસ્ત્રોની અટપટી વ્યાખ્યાઓમાં જકડાઈ રહેલી ઉત્પતિકથાઓને ભજનમાં ઉતારીને લોકગમ્ય કરી. આગમનાં ભજનમાં પણ મુખ્યત્વે બે પ્રકાર કહી શકાય. એક તો જેમાં પૂથ્વીની ઉત્પતિકથા અથવા જુના યુગને અનુલક્ષીને ભજનો રચાયા હોય તે અને બીજો જેમાં ભવિષ્યને અનુલક્ષીને ભજનો રચાયા હોય તે. જેમાં ભવિષ્યને અનુલક્ષીને રચવામાં આવેલા ભજનને સાચા આગમ કહેવાય છે. આવા ધારદાર ભજનો રચનાર દેવાયત પંડિતના જીવનની મધુર પળો જાણીએ. દેવાયત પંડિત સૌરાષ્ટ્રની સમૂધ્ધ ભજનવાણીના નક્ષત્ર છે તથા લોકહૃદયમાં તેમની ચાહના અતુટ છે.

[ફેરફાર કરો] જન્મ અને બાળપણ

આગમનાં ભજનનાં રચયિતાઓમાં મુખ્ય ગણાય છે દેવાયત પંડિત. આગમ તો દેવાયત પંડિતના એમ લોકોમાં કહેણી થઈ ગઈ છે. બીજુ સ્થાન આવે છે સરવણ ઋષિનું અને ત્રીજુ સ્થાન સહદેવ જોષીનું. આમ દેવાયત પંડિતને આગમવાણીના આરાધક કહેવાય છે. દેવાયત પંડિતનો જન્મ ભારત દેશનાં ગુજરાત રાજ્યનાં જુનાગઢ જિલ્લાનાં વંથલી ગામે એક મધ્યમ વર્ગનાં બ્રાહ્મણ કુંટુંબમાં થયો હતો. તેમના માતા પિતા ધર્મપારાયણ હતા જેથી દેવાયતમાં નાનપણથી જ ભગવાનમાં આસ્થા અને પોતાના માતાપિતાનાં સંસ્કાર ઉતરેલા હતા. તેમના પિતા ગામમાં ગોરપદુ કરતા હતા. આ ઉપરાંત ગામમાં આવેલા સાધુસંતોને જમાડવા અને ધર્મોપદેશ આપવો એ તેમની મુખ્ય નેમ હતી. કહેવાય છે કે દેવાયત પંડિતની નાની ઉંમરમાં જ તેમના માતાપિતાનું અવસાન થયેલુ. આમ છતા દેવાયત પોતાના પિતાનાં સંસ્કારોને વળગી રહીને સાધુસંતોની સેવા કરતા હતા.

દેવાયત પંડિત વિશે અનેક ચમત્કારમય દંતકથાઓ સાંપડે છે. કોઈ તેમને થાનના બ્રાહ્મણ‚ કોઈ બરડા બીલેસરના હરિજન બ્રાહ્મણ‚ કોઈ વંથલીના ઉદયશંકર ગોરના પુત્ર‚ તો કોઈ માલધારી જાતિના સંત તરીકે ઓળખાવે છે.[૧] (, પુસ્તક-). આથી દેવાયત પંડિતની જાતિ વિષે ચોક્કસ કંઇ કહી નથી શકાતું. ડૉ. દલપત શ્રીમાળીજીએ આ અંગે વધુ સંશોધનો કરીને દેવાયત પંડિતની જાતિ વિશે એક ચોક્ક્સ નિષ્કર્ષ કાઢ્યો છે [૨]. એ પ્રમાણે દેવાયત પંડિતનો જન્મ મેઘવાળ સમાજમાં થયેલો. દેવાયત પંડિત મહાપંથ - માર્ગી પંથ સાથે સંકળાયેલા છે અને મહાપંથ - માર્ગી પંથ મેઘવાળ સમાજનો પોતિકો પંથ છે એ જોતાં પણ આ હકીકત સત્ય ઠરે છે.

[ફેરફાર કરો] ગુરુનું મિલન અને ગુરુ ઉપદેશ

એક દિવસની વાત છે કે દેવાયત પંડિત સાધુસંતોના સંઘ સાથે તરણેતરનાં મેળામાં જાય છે. મેળામાં ઘણા બધા સાધુસંતો અલગ અલગ જગ્યાએથી આવ્યા હતા. અને ધર્મની ચર્ચામાં વ્યસ્ત હતા તેવામાં એક મહાત્માનાં પ્રભાવ નીચે દેવાયત આવતા તેના માનસ ઉપર વિશેષ છાપ પડી હતી. તે જ સમયે દેવાયતનું મન સંસાર ઉપરથી ઉતરી જઈને વૈરાગ્ય તરફ ખેંચાવા માંડ્યુ. આમ તે તરણેતરનાં મેળામાંથી પાછા ફરાતા વંથલીની બદલે ગિરનાર આવી ગયા. ગિરનારની અડાબીડ ઝાડીનાં માર્ગોમા ફરવા લાગ્યા અને સાધુઓની જગ્યામાં સેવા કરવા લાગ્યા. તેમણે ગિરનારની પાવન ભુમીમાં ઘણા દિવસો ગાળ્યા પરંતુ પોતાની મુંજવણનું સમાધાન થતુ ન હતુ કે પોતાના પ્રશ્નોનું નિરાકરણ થતુ ન હતું. તેવામાં એક દિવસ શોભાજી કરીને એક સંતનો મેળાપ થયો અને તેમણે દેવાયતનાં મનની ભ્રમણા ભાંગી.

દેવાયતને શોભાજીનાં સાનિધ્યમાં ખુબજ રસ પડવા લાગ્યો હતો. પોતાના દરેક પ્રશ્નનું નિરાકરણ વ્યવસ્થિત ઉદાહરણ દ્વારા સમાધાન કરનારને પોતાના અંતરમાં સ્થાન મળવા લાગ્યુ હોય તેવો તેને અનુભવ થવા લાગ્યો હતો. આથી એક દિવસ દેવાયતે શોભાજીને પોતાના શિષ્ય તરીકે સ્વીકારવા અને પોતાને કંઠી બાંધવા કહ્યુ. શોભાજીએ દેવાયતને અંતરથી જાણી લીધા હતા અને પરીક્ષા પણ કરીને ચકાસી લીધા હતા. તેથી શોભાજીએ દેવાયતને કંઠી બાંધીને ઉપદેશ આપતા કહ્યુકે તમો સાધુ બનો તેના કરતા સંસારમાં રહેશો તો ધર્મથી વિમુખ થતા જતા સંસારને ભક્તિની પ્રેરણા આપશો તે વધારે અસરકારક રહેશે. તેથી શોભાજીએ દેવાયતને ગૃહસ્થ જીવન ન છોડવા અને સંસારનાં ધર્મો બજાવતા બજાવતા આધ્યાત્મિક માર્ગે આગળ વધવાનો આદેશ આપ્યો. આથી પોતાના ગુરુનો ઉપદેશ સ્વીકારી દેવાયત કાશી ગયા હતા.

[ફેરફાર કરો] યુવાનીકાળ અને લગ્નજીવન

પોતાના યુવાનીકાળમાં જ તે ધર્મનાં રસ્તે ચડી ગયા હતા. પોતાના ગુરુનો ઉપદેશ મળતા કાશી ગયેલા દેવાયત, શાસ્ત્રોનો અભ્યાસ કરીને ખુબજ વિદ્વાન બની ગયા. જ્યાં ધર્મશાસ્ત્રોનાં અભ્યાસમાં ઉચ્ચ પદવી પ્રાપ્ત કરીને તેઓને પંડિતનું બિરૂદ મળ્યું હતુ. આમ પોતાની નાની ઉંમરમાં જ તે આધ્યાત્મિકતામાં આગળ વધતા હતા. સમય જતા તેમનાં ગુરુનાં વચને તેમણે દેવળદે' સાથે લગ્ન કર્યા અને પરણીને ગૃહસંસાર શરૂ કર્યો.

દેવાયત પંડિતે સૌરાષ્ટ્રના પાંચાળ પ્રદેશમાં આશ્રમ સ્થાપેલો. જયાં તેઓ ધાર્મિક પ્રવૃત્તિઓ કરતા તેમજ લોકોને જ્ઞાન તેમજ ઉપદેશ આપતા હતા. તેમની સાથે તેમના પત્ની પણ ધર્મપારાયણ હતા અને પોતાના પતિ દેવાયતને દરેક ક્ષેત્રમાં સાથ આપતા હતા. સમયનાં વહેણ સાથે તેમના જ્ઞાન અને કીર્તિ અનેક ગણા વધ્યા. આમ પોતાની કીર્તિ વધતા દેવાયત પંડિતને મોટાઈનો ગર્વ ચડવા માંડયો હતો. દેવાયતનાં પત્ની દેવળદે'એ પોતાના પતિનો અહમ્ ઉતારવાની ઘણી કોશિષો કરી જોઈ, પણ તેમાં નાકામિયાબ રહ્યા. એક દિવસ દેવાયત પંડિતે દેવળદે'ના ચારિત્ર્ય ઉપર શંકા કરી. દેવળદે' સ્ત્રી હતા પણ પોચા ન હતા. તે સ્વમાની, ધૈર્યવાન અને હિંમતવાન હતા જેથી તે પોતાના પતિનું ઘર ત્યજીને ચાલી નીકળ્યાં.

[ફેરફાર કરો] સમાઘિ સ્‍થળ

દેવાયત પંડિતની સમાઘિનું સ્‍થળ ઉત્‍તર ગુજરાતનાં સાબરકાંઠા જીલ્‍લામાં મોડાસાનાં બાજકોટ ગામમાં છે.

[ફેરફાર કરો] પ્રચલિત ભજનો

દેવાયત પંડિતનું સમાધિ સ્થળ(Devayat Pandit)

* વીરા_પાતર પરખ્યા વિના સંગડો ન કરીએ...

[ફેરફાર કરો] સંદર્ભ

  1. રાજ્યગુરુ, ડૉ. નિરંજન. સૌરાષ્ટ્રનું સંત સાહિત્ય.
  2. શ્રીમાળી, ડૉ. દલપત. ગ્રંથ-હરિજન સંત અને લોકસાહિત્ય
Wikisource
વિકિસોર્સ માં આ લેખને લગતું મૂળ સાહિત્ય છે.:
વ્યક્તિગત સાધનો
નામાવકાશો

ભિન્ન રૂપો
ક્રિયાઓ
ભ્રમણ
સાધન પેટી