ધનંજય શાહ

વિકિપીડિયામાંથી

શાહ ધનંજય રમણલાલ, ‘પાર્થ’, ‘અર્જુન’ (૨૯-૮-૧૯૨૫, ૨૮-૭-૧૯૮૬) : જન્મ વડોદરામાં. ૧૯૪૨માં મૅટ્રિક્યુલેશન કર્યા પછી ૧૯૪૮માં મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.એસ.સી. અને ૧૯૫૮માં એમ. એસ. યુનિવર્સિટીમાંથી એમ.ઍડ. ‘શ્રેયસ્’ અને ‘બાલઘર’માં અધ્યાપક. આકાશવાણીમાં પ્રોગ્રામ ઍકિઝ્યુટિવ. ગુજરાત ઍગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશનમાં સંપર્ક અધિકારી. પબ્લિક રિલેશન્સ સોસાયટી ઑવ ઇન્ડિયાના તથા બાળસાહિત્ય સભાના ચૅરમેન.

એમણે બાળકો માટે મોટી સંખ્યામાં વાર્તાઓ, સાહસકથાઓ, નીતિકથાઓ, પરીકથાઓ, નાટકો અને ગીતો લખ્યાં છે. ‘રત્નો રબારી’ (૧૯૫૫), ‘અલીબાબા અને ચાલીસ ચોર’ (૧૯૫૯), ‘પાંખાળો ઘોડો’ (૧૯૬૧), ‘હકર્યુલસનાં પરાક્રમો’ (૧૯૬૧), ‘ઝરમરિયાં’ (૧૯૬૩) એમના મુખ્ય બાળગ્રંથો છે. ઉપરાંત ‘સોટી અને પોઠી’ના પાંચ સેટ, ‘સ્વાતંત્ર્ય કથામાળા’ના ત્રણ સેટ તેમ જ ‘રૂપકથામાળા’, ‘નીતિકથામાળા’, ‘રંગકથામાળા’, ‘શૂરકથામાળા’, ‘પરીકથામાળા’, ‘વીરકથામાળા’, ‘લાલુ લપલપિયા’ના પ્રચલિત સેટ પણ એમણે આપ્યા છે. એમના ‘ઢીંગલો’ નાટકનું ચિલ્ડ્રન સોસાયટી ઑવ ઇન્ડિયા દ્વારા ફિલ્મીકરણ થયું છે.

ગુજરાતી સાહિત્ય પરિષદ પર પરિચય