ધીરુ પરીખ

વિકિપીડિયામાંથી
ધીરુ પરીખ
ધીરુ પરીખ, ૨૦૧૩
ધીરુ પરીખ, ૨૦૧૩
જન્મધીરુ ઈશ્વરલાલ પરીખ
(1933-08-31) 31 August 1933 (ઉંમર 90)
વિરમગામ, ગુજરાત
મૃત્યુ૯ મે ૨૦૨૧[૧]
વ્યવસાયકવિ, વિવેચક, વાર્તાલેખક
ભાષાગુજરાતી
રાષ્ટ્રીયતાભારતીય
નોંધપાત્ર પુરસ્કારો
જીવનસાથી
કમલા પરીખ (લ. 1964)
સહી
ધીરુ પરીખ
શૈક્ષણિક પાર્શ્વભૂમિકા
શોધ નિબંધરાસયુગમાં કાવ્યગત પ્રકૃતિનિરૂપણ (૧૯૬૭)
શૈક્ષણિક કાર્ય
શોધનિબંધ વિદ્યાર્થીઓપ્રફુલ રાવલ

ધીરુભાઈ ઈશ્વરલાલ પરીખ (૩૧ ઓગસ્ટ ૧૯૩૩ - ૯ મે ૨૦૨૧[૧]) જાણીતાં કવિ, વાર્તાકાર, વિવેચક હતા.

જીવન[ફેરફાર કરો]

તેમનો જન્મ વિરમગામમાં થયો હતો અને ત્યાં જ મૅટ્રિક સુધીનું શિક્ષણ લીધેલું. તેમણે ૧૯૫૧માં મૅટ્રિક, ૧૯૫૫માં બી.એ., ૧૯૫૮માં એમ.એ. ૧૯૬૭માં પીએચ.ડી.[૨]ની પદવીઓ મેળવી હતી. ૧૯૫૫ થી તેઓ સી. યુ.શાહ કૉલેજમાં અધ્યાપક અને ૧૯૬૭ થી ૧૯૬૯ સુધી એસ.એન.ડી.ટી. વિમેન્સ યુનિવર્સિટી સાથે સંલગ્ન રહ્યા હતા. વઢવાણની મહિલા આર્ટસ કૉલેજમાં તેઓ આચાર્ય રહ્યા હતા અને પછી થી ગુજરાત યુનિવર્સિટીના ભાષાસાહિત્ય ભવનમાં ગુજરાતી વિભાગના અધ્યક્ષ પદે રહ્યા. તેઓ ગુજરાતી કવિતાના દ્વૈમાસિક ‘કવિલોક’ના તંત્રી હતા.

૧૯૭૧માં તેમને કુમાર ચંદ્રક એનાયત થયો હતો.

સર્જન[ફેરફાર કરો]

એમની પ્રથમ કૃતિ ૧૯૫૧માં પ્રગટ થયેલી વાર્તા ‘પહેલું રુદન’ છે. વાર્તાસંગ્રહ ‘કંટકની ખુશબો’ (૧૯૬૪)માં બાવીસ વાર્તાઓ છે. કાવ્યસંગ્રહ ‘ઉઘાડ’ (૧૯૭૯)ની કવિતામાં પંખી કે વૃક્ષનાં ભાવપ્રતીકો છે. એમની કવિત્વશક્તિ પરંપરિત માત્રામંડળ છંદની રચનાઓમાં વિશેષ નીખરી રહે છે. સંગ્રહની લગભઘ બધી રચનાઓમાં કલ્પન દ્વારા નહીં પણ કથન દ્વારા અર્થની ગતિ એક સ્તરે થતી અનુભવાય છે. સંગ્રહમાં થોડાંક ગદ્યકાવ્યો પણ છે, જેમાં આધુનિક મનુષ્યે સાચો ચહેરો ખોઈ નાખ્યો છે એ વાત કરતી રચના ‘માણસને ઊગતી નથી ડાળીઓ’ ઉલ્લેખનીય છે. ‘અંગ પચીસી’ (૧૯૮૨)માં છપ્પાશૈલીનાં પચીસ કટાક્ષકાવ્યો છે. છપ્પાની મધ્યકાલીન પરંપરાનો સ્વીકાર કરીને કવિએ ‘આચાર્ય અંગ’, ‘અધ્યાપક અંગ’, ‘વિદ્યાર્થી અંગ’ વગેરે પર નર્મમર્મપૂર્ણ છપ્પા રચ્યાં છે. ‘આગિયા’ (૧૯૮૨) એમનો હાઈકુસંગ્રહ છે.

ગુજરાતી ગ્રંથાકાર શ્રેણી અંતર્ગત એમણે ‘રાજેન્દ્ર શાહ’ (૧૯૭૭) પુસ્તક લખ્યું છે. ‘રાસયુગમાં પ્રકૃતિનિરૂપણ’ (૧૯૭૮) એમનો શોધપ્રબંધ છે. ‘અત્રત્ય તત્રત્ય’ (૧૯૭૮)માં ગુજરાતી કવિઓની સાથે સી. કે. લૂઈ અને ઑડેન જેવા અંગ્રેજી કવિઓ, પાબ્લો નેરુદા જેવા ચીલી કવિ, મોન્તાલે જેવા ઈટાલિયન કવિ તથા યેવતુશેન્કો જેવા રશિયન કવિ વિશેના પરિચયલેખો છે. ‘નરસિંહ મહેતા’ (૧૯૮૧)માં નરસિંહના જીવનકવનનું વિસ્તૃત અવલોકન છે. ‘ક્ષરાક્ષર’ (૧૯૮૨)માં એમણે દયારામ, દલપતરામ, નર્મદથી માંડી પ્રિયકાંત મણિયાર, જગદીશ જોષી, મણિલાલ દેસાઈ સુધીના દિવંગત ગુજરાતી કવિઓનાં જીવનકવનનો મિતાક્ષરી પરિચય કરાવ્યો છે. ‘સમકાલીન કવિઓ’ (૧૯૮૩)માં લાભશંકર ઠાકર, સિતાંશુ યશશ્વન્દ્ર, રાજેન્દ્ર શુક્લ, રાવજી પટેલ, આદિલ મન્સુરી વગેરે આધુનિક કવિઓની કવિતાને મૂલવી છે. ‘તુલનાત્મક સાહિત્ય’ (૧૯૮૪)માં સાહિત્ય-અભ્યાસી તુલના, ભૂમિકાનો ઇતિહાસ અને પરિચય છે. ‘ઉભયાન્વય’ (૧૯૮૬)માં વિવેચનલેખો છે. ‘કાળમાં કોર્યાં નામ’ (૧૯૭૭)માં કાવાબાતા, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર, ચાર્લ્સ ડિકન્સ, દલપતરામ, પૂ. મોટા જેવા મહાનુભાવોનાં પ્રેરક ચરિત્રો આલેખાયાં છે.

'નિષ્કુળાનંદ પદાવલી' (૧૯૮૧), ‘સાત મહાકાવ્યો’ (૧૯૮૩), ‘પંચ મહાકાવ્યો’ (૧૯૮૪) અને ‘ટી. એસ. એલિયટ’ (૧૯૮૯) એમના સંપાદનગ્રંથો છે.

'તુલનાત્મક સાહિત્ય (૧૯૮૪) ' એ ધીરુ પરીખનો ગ્રંથ છે. અહીં નવા વિષયને લગતી સામગ્રી ગુજરાતીમાં ઉપલબ્ધ થાય અને વિષયને સહાય અને પ્રોત્સાહન મળે એનો ખ્યાલ મુખ્યત્વે રાખવામાં આવ્યો છે. તુલનાત્મક સાહિત્યની અર્થચર્ચા અને સ્વરૂપચર્ચાથી માંડી સાદ્દશ્ય, પરંપરા, અનુવાદ, પુરાણસંદર્ભ વગેરે પાસાંઓનો સદ્દષ્ટાંત સ્પર્શ કરવામાં આવ્યો છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ "ગુજરાતી સાહિત્ય જગતમાંથી શોકના સમાચાર : કવિ,વિવેચક,નિબંધકાર અને વાર્તાકાર એવા ધીરુભાઈ પરીખનું નિધન". Tv9 Gujarati. 2021-05-09. મેળવેલ 2021-05-12.
  2. રાવલ, વિનાયક; જાની, બળવંત; મોદી, મનહર, સંપાદકો (૧૯૮૮). ગુજરાતી અધ્યાપકોનો માહિતીકોશ (૧લી આવૃત્તિ). ગુજરાતીનો અધ્યાપક સંઘ. પૃષ્ઠ ૪૭.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]