પ્રેમાનંદ

વિકિપીડિયામાંથી
પ્રેમાનંદ
જન્મ૧૬૩૬ Edit this on Wikidata
મૃત્યુ૧૭૩૪ Edit this on Wikidata
વ્યવસાયલેખક Edit this on Wikidata

પ્રેમાનંદ અથવા પ્રેમાનંદ કૃષ્ણરામ ભટ્ટ (૧૬૪૯-૧૭૧૪) મધ્યકાલીન ગુજરાતી કવિ અને માણભટ્ટ આખ્યાનકાર હતા, જેઓ તેમની અખૈયા રચનાઓ માટે જાણીતા છે. લોકોએ તેમને "કવિ શિરોમણી" ની ઉપાધિથી નવાજ્યા છે.

પ્રેમાનંદ માણભટ્ટ પરંપરાનાં કવિ મનાય છે. માણ ઉપર હાથથી તાલ આપીને કથાપ્રસંગોનું પઠન અને ગાયન કરવામાં કુશળ પ્રેમાનંદે સાભિનય રજુઆત દ્રારા આખ્યાન લોકપ્રિય કર્યાં હતા. ગુજરાતી સાહિત્યમાં આખ્યાનોની શરૂઆત પ્રેમાનંદ દ્વારા થયેલી હોવાનું મનાય છે. ગુજરાતી સાહિત્યમાં ગુજરાતી ભાષાનો ઉપયોગ કરનાર પ્રેમાનંદ મનાય છે. ગુજરાતી ભાષાના સર્વોત્તમ આખ્યાન કવિ તરીકે પ્રખ્યાત થયેલા પ્રેમાનંદે લોકસમુદાયમાં આનંદ સાથે વિચારશક્તિ આપતી અનેક આખ્યાન રચનાઓ ગુંજાતી કરી હતી. તેમનાં જમાનામાં તેઓ 'રાસકવિ'તરીકે ઓળખાતાં હતાં. નરસિંહ મહેતા અને સુદામા જેવા ભક્તોનાં જીવનપ્રસંગો તથા પુરાણોમાંથી કથાવસ્તુ લઇ તેમણે આખ્યાનો રચેલાં. આખ્યાન તો કથનની કળા છે. પ્રેમાનંદ કથનકળામાં પ્રવિણ હોવા સાથે વર્ણનો, પાત્રાલેખન, રસનિરુપણ અને વાતાવરણચિત્રણમાં પણ કુશળ હતાં. એમનાં આખ્યાનોને ઉત્તમ બનાવવામાં એમની ભાષાશક્તિ અને રસનિરુપણ શક્તિનો મહત્વનો ફાળો હતો. તેમનાં સમયનાં મુઘલરાજા અને ગુજરાત પ્રદેશનાં શાસક ઔરંગઝેબ તેમને "મહાકવિ પ્રેમાનંદ" કહીને બોલાવતા.[સંદર્ભ આપો]

જીવન[ફેરફાર કરો]

પ્રેમાનંદના જીવન વિશે આપણે ત્યાં લગભગ ત્રણ સદીથી ચર્ચા ચાલે છે. પ્રેમાનંદનાં જીવન વિશે વિશ્વાસપાત્ર હકીકત બહુ ઓછી જોવા મળે છે. એમની ઘણી કૃતિઓમાં રચનાવર્ષ આપ્યા છે તેવી કૃતિઓમાં સૌપ્રથમ કૃતિ "ચંદ્રહાસ આખ્યાન" આશરે ઈ.સ ૧૬૬૧માં અને "ઓખા હરણ" સંભવત ઈ.સ. ૧૬૬૭માં રચાયેલ હોવાનું મનાય છે. એમનું છેલ્લું આખ્યાન "દશમસ્કંધ" અધૂરું રહ્યુ હતુ. તે પછીથી સુંદરે ઈ.સ. ૧૭૧૭ કે ૧૭૪૦માં પુરું કર્યું છે. આમ, પ્રેમાનંદે કાવ્યસર્જન વીસ-બાવીસ વર્ષે શરુ કર્યું . ઈ.સ. ૧૭૦૦ પછી તેઓ બહુ જીવ્યા નહી. એમ માનીએ તો એમનો જીવનકાળ ઈ.સ. ૧૬૪૦ થી ૧૭૦૦ સુધીનો ગણી શકાય.

પ્રેમાનંદ વડોદરાના વતની હતા. તેઓ વડોદરાનાં વાડી મહોલ્લામાં રહેતાં હતાં. તેઓ ચોવિસા મેવાડા બ્રાહ્મણ હતાં. તેમનાં પિતાનું નામ કૃષ્ણરામ હતુ. તેમની પત્નીનું નામ હરકોર ભટ્ટ હતું. તેમનો એક પુત્ર હતો જેનું નામ વલ્લભભટ્ટ હતું.

'આખ્યાનો કરવાં' અને માણભટ્ટ એટલે કે કથાકારનો એમનો વ્યવસાય હતો. વ્યવસાય અર્થે એમણે થોડાંક વર્ષો દક્ષિણ ગુજરાતમાં સુરત અને ત્યાંથી ખાનદેશમાં નંદનબાર અને બુરહાનપુરામાં વિતાવેલાં.

કવિ નર્મદાશંકરને જાતતપાસથી મળેલી માહિતી અનુસાર પ્રેમનંદના દાદાનું નામ જયદેવ હતું. માતાપિતાનાં અવસાન પછી એ માસીને ત્યાં ઉછરાયાં હતાં. પોતાની પૌરાણિકવૃત્તિથી પ્રેમાનંદે ઠીક-ઠીક પૈસા એકઠા કર્યા હતા. કેમકે, પ્રેમાનંદે રુ.૧૦,૦૦૦ની કિંમતનું બંધાવેલ ઘર નર્મદાશંકરના સમયમાં એને વારસા તરીકે વાપરતાં હતાં.

પ્રેમાનંદે કેટલીક દંતકથાઓ પણ લખી છે. જડતર જેવા પ્રેમાનંદને કોઇ મહાત્માની કૃપાથી કવિત્ત્વશક્તિ પ્રાપ્ત થયેલી.[સંદર્ભ આપો] વડોદરામાં કથા કરવાં માટે બેસવાનાં સ્થળની બાબતમાં કોઇ શાસ્ત્રીપુરાણી સાથે ઝઘડો થતાં પ્રેમાનંદ સંસ્કૃતમાં કથા કરવાનું છોડીને લોકભાગ્ય શૈલિમાં આખ્યાનો રચીને ગાવા મંડ્યા હતા.

ઈ.સ. ૧૮૮૪થી હરગોવિંદદાસ કાંટાવાળા સંપાદિત "પ્રાચિનકાવ્ય ત્રૈમાસિક" અને "પ્રાચીન કાવ્યમાળા" વડોદરાથી પ્રગટ થવા માંડેલી. તેમાં પ્રેમાનંદ અને તેમનાં પુત્ર વલ્લભની કૃતિઓ પ્રગટ કરેલી. એ કૃતિઓમાંના ઉલ્લેખો તેમજ પ્રચલિત દંતકથાઓને હવાલો આપી પ્રેમાનંદના જીવન વિશે તથા પ્રેમાનંદની ગૌરવયુક્ત છબી ખડી કરે તેવી માહિતી આપેલી છે.

સર્જન[ફેરફાર કરો]

'સુદામાચરીત' , 'મામેરું' અને 'નળાખ્યાન' આ ત્રણેય આખ્યાનો એમની કવિતાનાં ઉત્તમ આખ્યાનો છે. આ ઉપરાંત 'ઓખાહરણ', 'ચંદ્રહાસ આખ્યાન', 'રણયગ્ન', 'અભિમન્યુ આખ્યાન', 'દશમસ્કંધ' , 'હૂંડી', 'સુધન્વાખ્યાન', 'મદાલસા આખ્યાન' વગેરે આખ્યાનો નોંધપાત્ર છે.

પ્રેમાનંદના નામે ચડાવવામાં આવેલી બીજી કૃતિઓમાં 'સુભદ્રાહરણ', 'પાંડવાસ્વમેઘ', 'ભીષ્મપર્વ', 'સભાપર્વ', 'હારમાળા' એમની શૈલી દર્શાવે છે તેમ એમાં પ્રેમાનંદના કતૃત્વનો ઉલ્લેખ કરેલો હોવાં છતાં મધ્યકાલીન કવિઓની રચના છે.

તેમની લઘુકૃતિઓમાં 'સ્વર્ગની નિસરણિ', 'ફૂવડાનો ફજેતો', 'વિવેક વણજારો', 'શામળશાનો વિવાહ', 'દાણલીલાં, 'બાળલીલા વ્રજવેલ', 'ભ્રમર પચ્ચીસી', પાંડવોની ભાંજગડ', 'વિષ્ણુ સહસ્ત્રનામ' અને 'રાધિકાનાં દ્વાદશમાસ' વગેરે છે.

પ્રેમાનંદ આખ્યાનોની શરુઆત ગણપતિ તથા સરસ્વતિમાંનાં સ્મરણથી કરતા હતાં. તેમની કૃતિઓની વિસ્તૃત માહિતી નીચે પ્રમાણે છે.

ઓખાહરણ[ફેરફાર કરો]

ઓખાહરણ તેમની નોંધપાત્ર રચના છે.[૧]

ઓખાહરણની વાચના ગજેન્દ્રશંકર પંડ્યાએ ઈ.સ. ૧૯૩૮માં તૈયાર કરી હતી. જેની ત્રીજી આવૃતિ ઈ.સ. ૧૯૬૪માં ગુજરાત વિદ્યાસભા, અમદાવાદ તરફથી પ્રસિદ્દ થઇ છે. ઓખાહરણની સંખ્યાબંધ પ્રતો ૨૯ કડવાંની મળે છે. જો કે પછીથી તેનો વિસ્તાર ૮૯ કડવાં સુધીનો થયો છે. ગજેન્દ્રશંકર પંડ્યાએ તૈયાર કરેલી વાચનામાં સમુચિત રીતે જ ૨૯ કડવાંનો સમાવેશ કરેલો છે. આ ઓખાહરણ શુકદેવ પરીક્ષીત અને વૈકુંઠનાથને સંભળાવે છે.

પાત્રો: શ્રી કૃષ્ણ, મરીચી, કશ્યપ કુમાર, ઓખા, ચિત્રલેખા, અનિરુધ્ધ જાદવજી, વસુદેવ, પ્રધ્યુમન, રુકમણી, સત્યભામા, જાંબુવતી, રેવતી, બલિભદ્ર, દેવકી.

ચંદ્રહાસ આખ્યાન[ફેરફાર કરો]

આ કાવ્ય બે સ્થળેથી છપાયેલુ છે, "પ્રાચીન કાવ્ય ત્રૈમાસિક" અને "બૃહ્તકાવ્યદોહન". તેમાં કુલ ૨૮ કડવા છે. ઋષિ નારદ વાણી વદે છે, અર્જુનને કહે છે.

પાત્રો: ચંદ્રહાસ, શ્યામા, મેઘાવતી, કુલિંદ, દુર્વાસા ઋષિ, વિષયા, ચંપકમાલિનિ, મદન, ગાલવમુનિ, કુંતલરાજા.

૨૫માં કડવાથી જૈમિનિજી ઋષિ, જનમેજયને (અર્જુનનો પૌત્ર) આ વાર્તા કહે છે.

અભિમન્યુ આખ્યાન[ફેરફાર કરો]

આ કૃતિમાં મહાભારત અને તેનાં પાત્રો અને વીર અભિમન્યુ વિશે આલેખવમાં આવ્યું છે.તેમાં ૫૧ કડવા છે. દ્રોણપર્વની પાવન કથા વૈશપાયન જનમેજય રાજાને કહે છે.

પાત્રો: કૌરવો, પાંડવો, બાણશય્યા ભીષ્મપિતામહ, શકુનિ, દ્રોણાચાર્ય, અર્જુન, અભિમન્યુ, કૃષ્ણ, ધૃતરાષ્ટ્ર, સંજય, સુભદ્રા, દેવકી, રોહિણી, કુંતા, કમલાપતિ, દ્રોપદી, અશ્વત્થામા.

મદાલસા આખ્યાન[ફેરફાર કરો]

આ આખ્યાનમાં ૩૫ કડવાં છે. વૈશપાયન પાંડુકુમારોને આ વાર્તા કહે છે.

પાત્રો: મેનકા, માર્કંડેય, દાનવો, ગાલવ, નારદમુનિ, ગૌતમમુનિ, ગર્ગાચાર્ય, અગત્સ્ય, વશિષ્ટ અને વામદેવ, અત્રિ, દુર્વાસા, મિત્રવરુણ, વાલ્મિકી, વિશ્વામિત્ર, બીજા ૮૮ ઋષિઓ, દિક્ષિત, રુતુધ્વજ, મદાલસા.

હૂંડી[ફેરફાર કરો]

હૂડી પ્રાચિનકાવ્ય ત્રૈમાસિક અંક ૧ માંથી મુદ્રીત થયેલ વાચના છે. તેમા ૭ કડવાં છે.

પાત્રો: નરસિંહ મહેતા, કુંવરબાઈ, શામળ, તીર્થવાસીઓ.

સુદામાચરિત્ર[ફેરફાર કરો]

તેમા ૧૪ કડવા છે. શુકસ્વામી પરીક્ષિત રાજાને કહે છે.

પાત્રો: સાંદીપની રુષિ, હળધર, ભગવંત, સુદામા, શામળ, સંકર્ષણ, માધવ, સુદામાની પત્ની અને તેમના બાળકો, આઠ પટરાણીઓ: રુકમણી, શ્રી વૃંદા, ભદ્રાવતી, જાંબુવતી, સત્યા, કાલંદ્રી, લક્ષમણા, સત્યભામા. આ ચરિત્રમાં ભગવાનનાં ગુણોના વર્ણન તથા ભક્તોની ભગવાન પ્રત્યેના હેત વિષે આલંકન કરેલ છે.

મામેરું[ફેરફાર કરો]

તેમા ૧૬ કડવાં છે.

પાત્રો: નરસિંહ મહેતા, ઉમિયાનાથ (મહાદેવજી), શામળદાસ (પુત્ર), કુંવરબાઈ (પુત્રી), કુંવરબાઈના સાસુ, સસરા, નણંદ.

સુધન્વા આખ્યાન[ફેરફાર કરો]

તેમા ૨૫ કડવા છે. આ કૃતિ 'પ્રાચીન કાવ્યમાળા'માં છપાયેલી છે.

પાત્રો: હંસધ્વજ, કૌરવ, પાંડવ, વેદવ્યાસ, કૃષ્ણ દ્રેપાયન, ભિષ્મ, દ્રોણ, શકુનિ, યૌવનાશ્વ, નિલધ્વજ, પ્રદ્દુમન, નારદમુનિ, સુધન્વા, સુકોમલા, અનિરુદ્ધ, સુદર્શન, મેઘવર્ણ, સુધન.

રણયજ્ઞ[ફેરફાર કરો]

તેમાં ૨૬ કડવા છે. ડો. મજમૂદાર દ્રારા સંપાદિત થયેલ છે. રામ-રાવણ યુદ્ધની કથા કહી છે.

પાત્રો: રામ, લક્ષમણ સીતા, રાવણ, દશરથ, સુગ્રીવ, વાનરસેના, વિભિષણ, નલ, નીલ, અંગદ, કુંભકર્ણ, મંદોદરી, ઈન્દ્રજીત, ત્રિજટા, મૈથીલી, નારદ, હુતાસન, મેઘનાથ.

નળાખ્યાન[ફેરફાર કરો]

તેમા ૬૪ કડવા છે. તેમા નળ અને દમયંતિની પ્રેમકથા વિશે આલેખન કર્યુ છે. વૈશપાયન રુષિ વાણિ વદે છે.

પાત્રો: નૈષધનાં રાજા, પાંડવ, ધર્મરાય, બૃહદસ્વજી, નળ, ભિમકકુમારી દમયંતિ, એક ભેક્ષુક, પુષ્કર, નારદમુની, વજ્રવતી, દમન, દંતુ, દર્દુમન, હંસ-હંસણી, પ્રધાન, ઈન્દ્ર, વરુણ, અગ્નિ, દુત, રીંછ, વાનર, સ્વાન, માંજર, વીરસેન, વૃતાંત, સાપ, પારધિ, સુદેવ, રુતુપર્ણ, બાહુક.

કવિશ્રી પ્રેમાનંદે તેમનાં આખ્યાનોની રચના આશાવરી, દેશાખ, મેવાડો, કેદરો, નટ, મારું, ગોડી, વેરાડી વગેરે રાગોમાં કરી છે.

આ પણ જુઓ[ફેરફાર કરો]

પૂરક વાચન[ફેરફાર કરો]

  • વકીલ, ડો. પ્રસન્ન ન. (૧૯૫૦). કવિ પ્રેમાનંદની સંદિગ્ધ કૃતિઓ. મુંબઈ: એન. એમ. ત્રિપાઠી લિમિટેડ.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Dalal, Roshen. Hinduism: An Alphabetical Guide. પૃષ્ઠ ૧૭.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]