બગદાણા
બગદાણા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાનાં મહુવાતાલુકાનું ગામ છે. તેમજ દેશ-વિદેશોમાં પ્રખ્યાત યાત્રાધામ છે. આ ગામ ભાવનગર શહેરથી લગભગ ૮૩ કિ.મી.નાં અંતરે આવેલુ છે. આ ગામ બજરંગદાસબાપાનું બગદાણા પણ કહેવાય છે. આ ગામ પાસે બગડાલવ ઋષિનો બગડાલવ નામનો કુંડ છે. અહીં બગડ નદી વહે છે. જયાં ત્રિવેણી સંગમ થાય છે. તેની પાસે બગડેશ્વર મહાદેવ નામે સુંદર શિવાલય પણ આવેલું છે.
બગદાણા ગામામાં આવા કુદરતી સૌંદર્યથી ભરપુર સ્થળે બજરંગદાસબાપાનો સુંદર આશ્રમ આવેલ છે. આ જગ્યાએ પ્રથમ તો બજરંગદાસબાપાની ઝુંપડી જ આવેલી હતી. જયાં હાલ મોટો આશ્રમ આવેલો છે. જે ગુરૂ આશ્રમ તરીકે જગવિખ્યાત છે. જયાં બાપાએ ભુખ્યાને ભોજન મળી રહે તે માટે અન્નક્ષેત્ર ચાલુ કરેલ જે આજે પણ ચાલુ જ છે. આ આશ્રમમાં વર્ષમાં બે મોટા ઉત્સવો ઉજવવામાં આવે છે. જેમાં એક બજરંગદાસબાપાની પુણ્યતિથિ, જે પોષ વદ ૪નાં દિવસે અને બીજો ઉત્સવ અષાઢ સુદ ૧૫ એટલે કે ગુરુ પૂર્ણિમાનાં દિવસે ધામધુમથી ઉજવાય છે. ત્યારે દૂર દૂરથી ભાવિક ભક્તો અહીં ઉમટી પડે છે. આ દિવસે મોટા મેળાઓનાં આયોજન પણ થાય છે. જેમાં બંને મેળાનાં દિવસે બે થી ત્રણ લાખ જેટલા ભાવિકો બગદાણામાં એકત્ર થાય છે. અહીં આશ્રમનો વહીવટ ટ્રસ્ટ દ્વારા થાય છે. જેનાં હાલનાં દ્રસ્તી મનજીબાપા છે. જે બજરંગદાસબાપાનાં અનન્ય ભક્ત છે. જે બાપા બ્રહ્મલીન થયા પછીથી આશ્રમની તમામ જવાબદારી તેજ સંભાળે છે. આ ટ્રસ્ટ તરફથી નવા મંદિરનું નિર્માણ કરાયું છે. અહીં દૂર દૂરથી આવતા ભાવિકોની હંમેશા ભીડ રહે છે.