બારડોલી સુગર ફેક્ટરી

વિકિપીડિયામાંથી
શ્રી. ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લી. બાબેન, બારડોલી.
પ્રકારસહકારી મંડળી
ઉદ્યોગખાંડ
સ્થાપનાબાબેન, બારડોલી, સુરત, ગુજરાત, ભારત ઈ.સ. ૧૯૫૫માં
સ્થાપકગોપાળદાદા
ડો. દયારામભાઈ પટેલ.
સેવા ક્ષેત્રબારડોલી તાલુકો
પલસાણા તાલુકો
કામરેજ તાલુકો
મહુવા તાલુકો
ઉત્પાદનોખાંડ
ઉપ-પેદાશ: મોલાસીસ, બગાસ, પ્રેસ મડ
આવક૭૦૦ કરોડ વાર્ષિક
કર્મચારીઓની સંખ્યા૧૯૫૦ (૨૦૧૦)
મુખ્ય મથકબાબેન, બારડોલી, સુરત,ગુજરાત, ભારત.
હાલની મુખ્ય વ્યક્તિઓરમણભાઈ એસ. પટેલ
પંકજભાઈ આઈ. પટેલ.


બારડોલી સુગર ફેક્ટરી (અંગ્રેજી : Bardoli Sugar Factory) થી જાણીતી શ્રી. ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિ. સહકારી મંડળી ભારત દેશના ગુજરાત રાજ્યના સુરત જિલ્લાના બારડોલી તાલુકાના બાબેન ગામે સ્થિત છે.

ઈતિહાસ[ફેરફાર કરો]

ભારતમાં સહકારી પ્રવૃતિનો આરંભ ઈ.સ. ૧૯૦૪ના શરાફી મંડળીના કાયદાથી થયો. ગુજરાતના સુરત જિલ્લાના બારડોલી તાલુકાના પ્રદેશમાં ત્યારે સિંચાઈ અને આધુનીક ખાતરના અભાવે ખેડૂત મોસમી વરસાદ આધારિત ખેતી-કપાસ, જુવાર, ડાંગર, મગફળી જેવા સાધારણ પાક લઇ શકાતો અને વેપારી વર્ગનો ભોગ બનતા તેઓને ખાસ વળતર મળતું પણ ન હતું.

ભારતની આઝાદી પછી શ્રી સરદાર સાહેબે આ વિસ્તારની તાપી સિંચાઈ યોજનાને મંજુરી આપીને સિંચાઈનો પ્રશ્ન હલ કર્યો. સાથે બારડોલી તથા તેની આજુ બાજુના વિસ્તારની જમીનના પ્રતને આધારે શેરડીની ખેતી કરી શકાય એવા સમાચાર ત્યારના વર્તમાનપત્રોમાં પ્રસિદ્ધ થયા અને તેના પર બારડોલીના અગ્રણીઓએ કઈક આગવું કરવાનો વિચાર સ્ફૂર્યો જેના ફળ સ્વરૂપે સહકારી ધોરણે ખાંડનું કારખાનું સ્થાપવાનું સ્વપ્નું સેવ્યું. યોગાનુયોગ મુંબઈ સરકાર તરફથી પણ સહકારી ક્ષેત્રે સ્થાપનારા ખાંડના કારખાનાને પ્રોત્સાહન આપવાની નીતિની જાહેરાત થઇ.

આ સાથે બાબેનજીનના મહારથીઓ સ્વ. ગોપાળદાદા, સ્વ. નારણજીકાકા, બાબેનજીન ના સેક્રેટરી સ્વ. પરભુભાઈ ભીખાભાઈ-ગાંગપુર જેવા સહકારી આગેવાનો અને પ્રાણવાન કાર્યકર્તાઓએ જાહેમત ઉઠાવી તેના ફળસ્વરૂપે ઈ.સ ૧૯૫૫માં મંડળી રજીસ્ટર થઇ. ડો. દયારામભાઈ પટેલ-વણેસા કે જેમણે અમેરિકાની વિસ્કોન્સિત વિશ્વવિદ્યાલય માંથી P.H.D. કર્યું હતું, પરંતુ સરકારશ્રી સાથે કરબદ્ધ હોય, સરકારે તેમને સુગર કેઈન રીસર્ચ સ્ટેશન, પાંડેગાવ ખાતે ફરજ –સેવાર્થે પર મુક્યા હતા પણ આ મંડળીના આગેવાનો સરકારને આગ્રહભરી વિનંતી કરીને લોન રૂપે ડો. દયારામભાઈ પટેલને બારડોલી સુગર ફેક્ટરી ખાતે લઇ આવ્યા. ડો. દયારામભાઈ પટેલ જેવા સમર્પિત અને કર્મઠ મેનેજીનીગ ડાયરેક્ટર ની મદદથી ખાંડ ઉદ્યોગનો ઉદય દક્ષીણ ગુજરાતમાં થયો.

તા. ૫ માર્ચ ૧૯૫૬ના રોજ ત્યારના મુંબઈ રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી. મોરારજીભાઈ દેસાઈના હસ્તે બારડોલી સુગર ફેક્ટરીનો શિલાન્યાસ વિધિ કરાયો. ૧૯૫૫ ના ઓગસ્ટ મહિનામાં પશ્ચિમ જર્મનીની M/s. Buckau wolf પાસેથી ખાંડની મશીનરી ખરદી ત્યારે સંસ્થા પાસે શેરભંડોળ, સરકારશ્રી નું શેર ભંડોળ, લોન વિગરે મળીને કુલ ૮૮ લાખ રૂપીયાની મૂડી હતી. તા. ૨૧ એપ્રિલ ૧૯૫૭ ના રોજ સમગ્ર ભારતમાં ત્રીજું અને ગુજરાત પ્રદેશનું સહકારી ક્ષેત્રનું ખાંડનું પહેલું કારખાનું ૮૦૦ મેં.ટન દૈનિક પીલાણ ક્ષમતાવાળું બાબેન-બારડોલીમાં શરૂ થયું[૧].

શરૂઆતની અડચણો[ફેરફાર કરો]

પ્રારંભમાં શેરડીના રોપાણ માટે નહેરનું પાણી ન મળતા કારખાનાની ઉત્પાદન અંગે વિકટ પરિસ્થિતિ થઇ. તેમાં કાકરાપાર યોજનાનું નહેરનું પાણી જે સને ૧૯૫૫માં મળનાર હતું તે ઉપલબ્ધ થયું નહિ જે ખરેખર ૧૯૫૯-૬૦ માં થયું જેથી કારખાનાની શરૂઆત પછી પહેલી ચાર સીઝન સુધી શેરડીનો પુરવઠો ન મળતા સંસ્થાનું આર્થિક માળખું હાલી ઉઠ્યું. પરંતુ સંસ્થાના કાર્યકર્તાઓ ની હિમંત, સાહસિકતા અને સંસ્થા પ્રત્યેની નિષ્ઠા અને વિસ્તારના ખેડૂતોના અભૂતપૂર્વ સહકારને લીધે આ કારખાનું આજે એશિયાખંડના ખાંડ ઉદ્યોગમાં શિરમોર શિખર પર પહોચેલ છે.

હાલની સ્થિતિ[ફેરફાર કરો]

બારડોલી સુગર ફેક્ટરી

કારખાનાની હાલની સ્થિતિ પર નજર દોડાવીએતો આજે સંસ્થાના કાર્યક્ષેત્ર પૈકી ૨૩૪૭૫ હેક્ટરનો વાવેતર વિસ્તાર ધરાવે છે. કારખાનનો વિસ્તાર જોઇએતો તે ૧૪૫ એકરમાં ફેલાયેલું છે. સ્થાપના સમયે કારખાનાની દૈનિક શેરડીની પિલાણ ક્ષમતા ૮૦૦ ટન હતી તે વધીને આજે ૧૦,૦૦૦ ટન થઇ છે. સંસ્થા હાલ આશરે ૫૬૬૫ જેટલા સભાસદો ધરાવે છે. કારખાનામાં હાલ ૧૦ જુદા જુદા પ્લાન્ટ ચાલે છે. જે કાચા માલ શેરડીને તેની મુખ્ય પેદાશ ખાંડમાં ફેરવે છે અને તેની ઉપપેદાશ તરીકે મોલાસીસ, બગાસ, પ્રેસ-મડ મળે છે. ખાંડ આવશ્યક ચીજ વસ્તુમાં આવતી હોવાથી ભારત સરકારની વેચાણનીતિ મુજબ ખાંડનું વેચાણ કરવાનું રહે છે જેમાં ભારત સરકારને ઉત્પાદિત ખાંડમાં ૧૦% ભારત સરકારનો લેવી (Levy) સુગર ભાવ (રાહત દર) કર સ્વરૂપે આપવાની રહે છે અને બાકીની ૯૦%માં મુક્ત બજારમાં ભારત સરકાર તરફથી દરમહીને ફાળવવામાં આવતા ક્વોટા મુજબ વેચાણ કરવાની રહે છે.

ઈ.સ. ૧૯૬૦માં સ્થાપિત થયેલ ગુજરાત રાજ્ય સહકારી ખાંડ ઉદ્યોગ સંઘ લિમિટેડમાં આ મંડળી સભ્ય છે.

કારખાનાના પિલાણના કેટલાક સીમાચીન્હરૂપ આંકડાઓ નીચે મુજબ છે.

વર્ષ દૈનિક પિલાણ (ટનમાં)
૧૯૫૬-૫૭ (સ્થાપના) ૮૫૦
૧૯૬૩-૬૪ ૧૨૦૦
૧૯૬૯-૭૦ ૧૫૦૦
૧૯૭૧-૭૨ ૩૦૦૦
૧૯૭૫-૭૬ ૫૦૦૦
૧૯૭૯-૮૦ ૭૦૦૦
૧૯૯૨-૯૩ ૧૦૦૦૦

કારખાનામાં આજે કામદારો માટે કેન્ટીન, આરામ ગૃહ, દવાખાના અને રહેઠાણ જેવી પ્રાથમિક સવલતો છે. સંસ્થા પોતના કર્મચારીઓને સુરક્ષા સલામતી માટે વખતોવખત તાલીમ કાર્યક્રમો યોજે છે. કારખાનામાં ભારત સરકારના કાયદા પ્રમાણે કામદારોની ભરતી અને તેમને વળતર ચૂકવાય છે. કારખાનું વર્ષ દરમ્યાન ૬ મહિના ૨૪ કલાક ચાલુ રહે છે. બાકીના ૬ મહિનામાં કારખાનાની સાર-સંભાળ લેવાય છે.

કારખાનામાં ચાલતા વિવિધ પ્લાન્ટો તથા પ્રવૃતિઓ[ફેરફાર કરો]

ખાંડ ઉત્પાદન પ્લાન્ટો : મીલ, પાવર ટર્બાઈન, સ્ટીમ ટર્બાઇન, જ્યુસ ક્લેરીફીકેશન અને ઇવોપરેશન, સીરફ ક્લીરીફીકેશન, પેનબોઈલીંગ સેન્ટ્રીફ્યુશલ, સુગર ગ્રેડિંગ અને સુગર પેકિંગ.

વૈજ્ઞાનિક ઢબેથી ખેતી સુધારણા કરવા માટેની વિવિધ પ્રવૃતિઓ : મંડળી ટીસ્યુ કલ્ચર પ્રયોગશાળા, હોટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, બાયો-કોમ્પોસ્ટ, પાણી – જમીન ચકાસણી પ્રયોગશાળા પોતાના સંકૂલમાં ચલાવે છે ઉપરાંત અવારનવાર શેરડી ખેતી માટેના સેમીનાર, કૃષિમેળાઓ વિગેરેનું આયોજન કરે છે.

ખેડૂતોની આર્થિક ઉન્નતિ[ફેરફાર કરો]

સહકારી ક્ષેત્રે ખાંડ ઉદ્યોગના અસરકારક વિકાસથી ખેડૂતોને ખેતી અંગે જરૂરી માહિતી, સ્થાનિક ભાષામાં યોગ્ય માર્ગદર્શન, નવીનવી શેરડીની જાતોના અખતરા અને સવર્ધન માટે ફાર્મ તેમજ જમીન અને પાણીના પૃથકરણ માટે સુસજ્જ પ્રયોગશાળા સહિતનું સંશોદન કેન્દ્ર સંસ્થામાં ઉપલબ્ધ કરતા પ્રયોગો, આધુનિક-વૈજ્ઞાનિક પધ્ધતી અને વિવિધ સંશોધનોનો તબક્કાવાર અમલ, સંસ્થાના ખેતી વિભાગના અધિકારીઓ તરફથી મળતા સચોટ માર્ગદર્શન અને મદદ વગરે સમયાંતરે મળતા ઉત્પાદનમાં નોધપાત્ર વધારો થયો. સાથે શેરડીના પોષણક્ષમ ભાવો મળતા તેનો આર્થિક વિકાસ નવી ક્ષિતિજો સર કરવા લાગ્યો અને આ વિસ્તારમાં વિવિધ પ્રકારના ઉદ્યોગો, વ્યાપારનો વિકાસ થતા વિસ્તારના સર્વે નાગરીકોને તેનો સીધો કે આડકતરી રીતે લાભ થયો છે અને તેમની આર્થિક પ્રગતિ થવા પામી છે.

પ્રેરણાસ્ત્રોત[ફેરફાર કરો]

બારડોલી ફેક્ટરીની સફળતાથી પ્રેરાઈને તથા તેની મદદ અને પ્રેરણાને કારણે દક્ષિણ ગુજરાતમાં મઢી, ચલથાણ, ગણદેવી, મરોલી, વ્યારા, મહુવા, કામરેજ, ગણેશ(વટારીયા), પંડવાઈ, સાયણ, વલસાડ વિગેરે ઘણી સુગર ફેકટરીઓનો ઉદય થયો થતા મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ સુગર ફેક્ટરીઓની સ્થાપના થઇ. બારડોલી સુગરના વહીવટકર્તાઓ એ ભારત દેશમાં ખાંડ ઉદ્યોગના વિકાસમાં સિહફાળો આપેલ છે. આજ સુધી ગુજરાત માં સ્થપાયેલ દરેક ખાંડના કારખાના સહકારી ક્ષેત્રે જ સ્થાપાયા છે.

છેલ્લા કેટલાય સમયથી બંધ પડેલી દાદરિયા સુગર ફેકટરીને આ સંસ્થા સહીત પાંચ સહકારી મંડળીઓએ ખરીદીને તેને સહકારથી સુવ્યવસ્થિત ચલાવી છે.

એવોર્ડ અને સમ્માનો[ફેરફાર કરો]

  • ટ્રાન્સવર્લ્ડ ટ્રેડ સિલેકશન તરફથી ગોલ્ડ મેડલ.
  • ૧૯૮૬માં કોઈપણ અકસ્માત વિનાના ૧૦લાખ માનવ-કલાકો કામ કર્યા બદલ ગુજરાત સેફટી કાઉન્સીલ એવોર્ડ
  • ૧૯૯૦-૯૧માં શ્રેષ્ઠ સંપૂર્ણ દેખાવ માટે ડો. પંજાબરાઉ દેશમુખ એવોર્ડ.
  • ૨૦૦૦-૦૧, ૨૦૦૧-૦૨, ૨૦૦૪-૦૫ અને ૨૦૦૮-૦૯ માં ઉચ્ચ પુનઃપ્રાપ્તિ ક્ષેત્રે નાણાકીય વ્યવસ્થાપન એવોર્ડ
  • ૨૦૦૩ અને ૨૦૦૪ માં સૌથીવધુ ખાંડની નિર્યાત વિજેતા.
  • ૨૦૦૪માં ભારતીય કો.ઓ. આંદોલન ની ૧૦૦ વર્ષની ઉજવણીના અવસરે ગુજરાત રાજ્ય કો. ઓ. સંઘ, અમદાવાદ તરફથી “સહકારી વિકાસ રત્ન એવોર્ડ”
  • ૨૦૦૭-૦૮, ૨૦૦૮-૦૯, ૨૦૦૯-૧૦ અને ૨૦૧૦-૧૧ (સતત ચાર વર્ષ) માં ભારતમાં સૌથી વધુ શેરડીના પિલાણ માટે અવોર્ડ [૨]
  • ૨૦૦૭-૦૮મા કેન્દ્રીય આબકારી અને સીમાશુલ્ક (Excise & Customs) દ્વારા “શ્રેષ્ઠ કરદાતા” એવોર્ડ.
  • ૨૦૦૮માં ઇન્ડિયન ઓર્ગેનાઈઝેશન ફોર કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (IOCI) તરફથી ઇન્ડસ્ટ્રી વિકાસ માટે ઇન્ડિયન એચીવર એવોર્ડ
  • ઇન્ડિયન ઇકોનોમિક ડેવેલોપમેન્ટ એન્ડ રીસર્ચ એસોસીએશન, નવી-દિલ્હી તરફથી ઇન્ડસ્ટ્રીયલ ડેવેલોપમેન્ટ માટે ઇન્ડિયન લીડરશીપ એવોર્ડ

સમાજ પ્રત્યેનું ઉત્તરદાયિત્વ[ફેરફાર કરો]

સંસ્થા પ્રદેશનો સર્વાંગી વિકાસ થાય તે હેતુથી સતત જાગૃત રહી અનેકવિધ ક્ષેત્રો જેવાકે શેક્ષણિક, આરોગ્ય વિષયક, સંસ્કૃતિક, સામાજિક, રસ્તા, પાણી જેવી પ્રાથમિક સગવડો બારડોલી વિસ્તારની જનતાને પૂરી પાડવા ફંડો ઉભા કરી નીચે મુજબની અનેકવિધ પ્રવૃતિઓ કરે છે.  

જાહેરકામોમાં યોગદાન[ફેરફાર કરો]

બારડોલી સુગર ફેક્ટરીની સામેથી પસાર થતી રેલ્વે લાઈનની નીચે બનાવેલી ટનલ.

જાહેર રસ્તાઓની યોગ્ય જાળવણી અને મરામત થાયતો વાહનવ્યવહાર ઝડપી અને કરકસર યુક્ત બની રહે તે ઉમદાહેતુથી સરકાર સાથે લોકભાગીદારી યોજના હેઠળ ૫૦% ખર્ચ ઉપાડી ગ્રામ્ય રસ્તાઓ અને ડામર રોડનું નવીનીકરણનું કામ તબક્કાવાર કરતી રહે છે. બારડોલી નગરમાં સુગર ફેક્ટરીના સામે આવેલી તાપ્તી લાઈનની રેલ્વે ફાટક વારંવાર બંધ થતી હતી તેથી ત્યા થતા ટ્રાફિક ની સમસ્યા ને હાલ કરવા સંસ્થાએ રેલ્વે મંત્રાલય માં અસરકારક રજૂઆત કરી જરૂરી મંજુરી મેળવી સંસ્થાના ખર્ચે રેલ્વે લાઈનની નીચે અંડર ગ્રાઉન્ડ ટનલ બનાવી વાહનવ્યવહારને અટકતો અટકાવ્યો છે.

રોજગારીની તક[ફેરફાર કરો]

આ સંસ્થા પ્રત્યક્ષ રીતે ૨૨૦૦થી વધુ કર્મચારીઓ ઉપરાંત પરોક્ષ રીતે કોન્ટ્રાક્ટના મજુરો, શેરડી કાપણી અને વાહતુક કરનાર આંતરરાજ્ય મજુરો, પરિવહનો વિગેરેના હજારો પરિવાર માટે જીવાદોરી સમાન છે.

શૈક્ષણિક સંકૂલો[ફેરફાર કરો]

બારડોલીના આજુબાજુ ના વિસ્તારોમાં રહેલા શૈક્ષણિક સંકૂલો માં ચાલતી શાળા, કોલેજોને તેના વિકાસ અને નિભાવ માટે દરવર્ષે એમની જરૂરિયાતને લક્ષમાં રાખી ઉદાર હાથે ફાળો અપાય છે. તેમના સંસ્કૃતિક કાર્યક્રમો, અભ્યાસલક્ષી સેમિનારો, છાત્રાલય નિભાવ ખર્ચ વગેરેમાં પણ યોગ્ય ફાળો અપાય છે.

આરોગ્ય સંસ્થાઓ[ફેરફાર કરો]

બારડોલી વિસ્તારમાં રહેલી હોસ્પિટલોને અત્યાધુનિક સાધનોથી સજ્જ કરવા અને દરેક પ્રકારની માંદગીઓમાં સારવાર મળી રહે તેવા અદ્યતન સાધનો ખરીદવા દરવર્ષે જરૂરી ભંડોળ એકત્ર કરી ફાળો અપાય છે.

ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ[ફેરફાર કરો]

સંસ્થા ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ તરફથી લોક કલ્યાણ માટે કરવામાં આવતી વિવિધ પ્રવૃતિઓ તથા તેમના દ્વારા આયોજિત સંસ્કૃતિક કાર્યક્રમો માટે આર્થિક સહાય કરે છે.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. http://bardolisugar.com/AboutUs.aspx
  2. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2012-11-12 પર સંગ્રહિત. મેળવેલ 2013-03-18.