ભગવદ્ગોમંડલ

વિકિપીડિયામાંથી
(ભગવદ્ગોમંડળ થી અહીં વાળેલું)

ભગવદ્ગોમંડળની રચના ગોંડલનાં મહારાજા ઠાકોર સગરામજી બીજાનાં પુત્ર ભગવતસિંહજીએ કરી. તેમણે છવ્વીસ વર્ષના સંશોધનને અંતે ગુજરાતી ભાષા માટેનો ગ્રંથ "ભગવદ્ગોમંડલ" રચ્યો, જેને ફક્ત શબ્દકોશ જ ન ગણતા, તેની ગણના જ્ઞાનકોશ તરીકે કરવામાં આવે છે.

વ્યુત્પત્તિ[ફેરફાર કરો]

ભગવદ્ગોમંડલ શબ્દની સંધી છૂટી પાડતા, 'ભગવત્' અને 'ગોમંડલ' એમ બે શબ્દો મળે છે. માટે આ શબ્દની વ્યુત્પત્તિ વિષે અનેક તર્ક છે, જેને આધારે તેનો અર્થ કંઇક આ રીતે કરી શકાય: 'ભગવત્' એટલે ભગવતસિંહજી, બૃહત્, સમૃદ્ધિવાન, જ્ઞાનભરપૂર, પ્રભુપ્રેરિત કે ગૌરવવંતુ. જ્યારે 'ગોમંડલ' એટલે શબ્દસંગ્રહ, શબ્દકોશ, જ્ઞાનકોશ, સરસ્વતીભંડાર કે ગોંડલ. આમ, ભગવદ્ગોમંડલ એટલે (૧) ભગવતસિંહજી શબ્દસંગ્રહ (૨) બૃહત શબ્દકોશ (૩) સમૃદ્ધિવાન જ્ઞાનકોશ (૪) જ્ઞાનભર્યો સરસ્વતી-ભંડાર (૫) પ્રભુપ્રેરિત વ્યાપક વાણી અને (૬) ગૌરવવંતું ગોંડલ.[૧]

સંશોધન[ફેરફાર કરો]

ગોંડલના મહારાજા ભગવતસિંહજી, ૧૯૧૧.

સર ભગવતસિંહજીએ ઈ.સ. ૧૯૧૫ની આસપાસ એવા ગુજરાતી શબ્દો શોધવાની શરૂઆત કરી કે જે કોઈપણ કોશમાં ન જોવા મળતા હોય, તેમના આ સંશોધન માટે તેમણે પ્રમાણભૂત ગ્રંથો, મહત્ત્વનાં પુસ્તકો, નવલકથાઓ, કાવ્યસંગ્રહો વગેરેનો જ નહિ પરંતુ વર્તમાનપત્રો, સામયિકો, નિવેદનો, જાહેરખબરો, નાટક સિનેમાનાં ચોપાનિયાંઓ, ચીજવસ્તુઓની મૂલ્યપત્રિકાઓ, વિગેરેમાંથી ઉપયોગી જણાતા શબ્દોનો સંગ્રહ કરવા માંડ્યો અને આ પૈકી જે શબ્દોમાં તેમને સચ્ચાઈ જણાઈ તેનો તેમણે કોશમાં સમાવેશ કર્યો. તેમનો આગ્રહ હતો કે ગુજરાતી લોકોની બોલચાલની ભાષાનું પ્રતિબિંબ તેમાં હોય. શબ્દોના અર્થની સાથે સાથે, તેની વ્યુત્પત્તિ અને જોડણીના નિયમોને પણ ધ્યાનમાં લેવામાં આવ્યા.[૨]

તવારિખ અને તથ્યો[ફેરફાર કરો]

પહેલી ઓક્ટોબર ૧૯૨૮ના દિવસે ગોંડલમાં 'ભગવદ્ગોમંડલ' કોશની કચેરી શરૂ કરી જેમાં તેમણે ત્યાર સુધીનાં કરેલા સંશોધનમાં એકત્ર કરેલા વીસેક હજાર શબ્દોથી કોશ રચવાની શરૂઆત કરી. ભગવદ્ગોમંડલનો પ્રથમ ગ્રંથ ૨૫મી ઓગષ્ટ ૧૯૪૪ના રોજ પ્રસિદ્ધ થયો જેમાં ૯૦૨ પાનાં હતાં જેમાં ૨૬,૬૮૭ શબ્દો અને તેનાં ૫૧,૩૩૮ અર્થોનો સમાવેશ થયેલો હતો, આ ગ્રંથશ્રેણીનો અંતિમ નવમો ગ્રંથ ૯ માર્ચ ૧૯૫૫ના પ્રસિદ્ધ થયો હતો. આમ ૧૯૪૪થી ૧૯૫૫ એમ, ૧૧ વર્ષ દરમ્યાન પ્રકાશિત થયેલા નવ ગ્રંથોનાં કુલ ૯૦૦૦થી વધુ પૃષ્ઠોમાં આશરે ૨,૮૧,૩૭૭ શબ્દો, તેના ૮,૨૧,૮૩૨ અર્થો અને ૨૮,૧૫૬ જેટલાં રૂઢિપ્રયોગોનો સંગ્રહ છે.[૩]

છવ્વીસ વર્ષની જહેમતને અંતે પ્રસિદ્ધ થયેલા નવ ગ્રંથો પાછળ, તે સમયે લગભગ સાડાપાંચ લાખ રૂપિયા ખર્ચ કર્યો હતો. આ નવ ગ્રંથોના સંગ્રહની કિંમત તે સમયે રૂ ૫૪૫ હતી, પરંતુ રાજ્યાશ્રયને કારણે તે ૧૪૬ રૂપિયામાં પ્રાપ્ત થતો હતો. આ ગ્રંથના રચયિતા મહારાજા ભગવતસિંહજી તેનું અંતિમ સ્વરૂપ જોવા ન પામ્યા, પ્રથમ ગ્રંથ પ્રસિદ્ધ થયાનાં ૪ મહિના પહેલા, ૧૯૪૪ની નવમી માર્ચે ૭૮ વર્ષની વયે તેમનું અવસાન થયું.

૧ જાન્યુઆરી ૨૦૧૬ના રોજ ભગવદ્ગોમંડલનો પ્રકાશનાધિકાર સમાપ્ત થયો હતો અને પબ્લિક ડોમેનમાં તેનો સમાવેશ થયો હતો.[૪]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "ભગવદ્ગોમંડલ શું છે?". www.bhagwadgomandal.com. મૂળ સંગ્રહિત માંથી 2021-04-20 પર સંગ્રહિત. મેળવેલ 2022-05-22.
  2. ભટ્ટ, કાંતિ (૨૪ સપ્ટેમ્બર ૨૦૧૫). "અભૂતપૂર્વ ગુજરાતી જ્ઞાન કોષ : ભગવદગોમંડળ". દિવ્ય ભાસ્કર. મૂળ સંગ્રહિત માંથી 2020-12-20 પર સંગ્રહિત. મેળવેલ 2016-02-12.
  3. "શબ્દકોશનો ઉદ્ભવ અને વિકાસ". www.bhagwadgomandal.com. મૂળ સંગ્રહિત માંથી 2021-03-04 પર સંગ્રહિત. મેળવેલ 2022-05-22.
  4. "ઉત્કૃષ્ઠ ગુજરાતી શબ્દકોશ ભગવદ્ગોમંડળ પરના કોપીરાઈટ હટશે". સંદેશ. ૨૭ ડિસેમ્બર ૨૦૧૫. મેળવેલ ૧૨ ફેબ્રુઆરી ૨૦૧૬.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]