ભદ્રનો કિલ્લો

વિકિપીડિયામાંથી
ભદ્રનો કિલ્લો
અમદાવાદનો ભાગ
અમદાવાદ, ભારત
ભદ્રનો કિલ્લો, ૧૮૭૨
અક્ષાંશ-રેખાંશ23°1′25″N 72°34′52″E / 23.02361°N 72.58111°E / 23.02361; 72.58111
પ્રકારકિલ્લો અને શહેરની દીવાલ
સંજ્ઞાએ.એસ.આઈ સ્મારક (N-GJ-2)
સ્થળની માહિતી
આધિપત્યપુરાતત્વીય વિભાગ, ભારત
નિયંત્રણ ગુજરાત સલ્તનત (૧૪૧૧-૧૫૭૩)

મુઘલ સામ્રાજ્ય (૧૫૭૩-૧૭૪૪)
મરાઠા સામ્રાજ્યના પેશ્વા અને મુઘલનું સંયુક્ત શાસન(૧૭૩૯-૧૭૪૪)
મુઘલ સામ્રાજ્ય (૧૭૪૪-૧૭૫૮)
મરાઠા સામ્રાજ્યના પેશ્વા અને ગાયકવાડ વંશનું સંયુક્ત શાસન (૧૫૮૩-૧૮૧૮)
બ્રિટીશ ઈસ્ટ ઇન્ડિયા કંપની (૧૮૧૮-૧૮૫૮)
બ્રિટીશ રાજ (૧૮૫૮-૧૯૪૭)

ભારત (૧૯૪૭-)[૧]
જાહેરજનતા માટે ખૂલ્લુંહા
સ્થિતિઅર્ધજર્જિત
સ્થળ ઈતિહાસ
બાંધકામ૪ માર્ચ, ૨૦૧૧[૨]
બાંધકામ કરનારમુઝફરીદ રાજવંશનો અહમદ શાહ પહેલો
બાંધકામ સામગ્રીપથ્થર અને ઈંટ
લડાઇ/યુદ્ધોઅંગ્રેજો-મરાઠાનું પ્રથમ યુદ્ધ (૧૭૭૯)

ભદ્રનો કિલ્લો ભારત દેશના ગુજરાત રાજ્યમાં અમદાવાદ શહેરમાં આવેલો છે. તે ૧૪૧૧ની સાલમાં અહેમદ શાહ પહેલાએ બંધાવ્યો હતો. તેના કલાત્મક રીતે બંધાયેલા રાજવી મહેલો, મસ્જિદો અને દરવાજાઓ સાથે તેનો જીર્ણોદ્ધાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને આર્કિયોલોજીકલ સર્વે ઑફ ઈન્ડિયા દ્વારા શહેરના સાંસ્કૃતિક કેન્દ્ર તરીકે કરાઈ રહ્યો છે.

વ્યુત્પત્તિ[ફેરફાર કરો]

એવું માનવામાં આવે છે કે કિલ્લાનું નામ મરાઠા કાળમાં સ્થાપાયેલા ભદ્ર કાળીના મંદિર પરથી પડ્યું છે જે લક્ષ્મીનું સ્વરૂપ છે[૩][૪][૨][૫] પણ કિલ્લાની નજીકમાં રહેલી તકતી જુદી કથા કહે છે: ભદ્રનો દરવાજો - બાંધકામ ૧૪૧૧ - વિશાળ કિલ્લેબંધ દરવાજો ૧૪૧૧ની આસપાસ અમદાવાદના સ્થાપક, સુલતાન અહમદશાહ (૧૪૧૧-૧૪૨૨) દ્વારા બંધાયેલ મહેલના પૂર્વ દિશાના મુખ્ય પ્રવેશદ્વાર તરીકે કાર્ય કરતો હતો. મહેલને ભદ્ર નામ અણહિલવાડ-પાટણ જે અમદાવાદ પહેલાં સુલતાનની પ્રથમ ત્રણ પેઢીઓ સુધી પાટનગર હતું તેના રાજપૂત વંશના પુરાતન દરબારગઢ પરથી પડ્યું છે. આ દરવાજા અને બે ગૌણ દરવાજાને જોડતી દિવાલના પાછળના ભાગે કોતરાયેલ ત્રણ તકતીઓ હાલમાં સંપૂર્ણ પણે ઘસાઈ ગઈ છે. તેમાંથી એક જહાંગીરના (૧૬૦૫-૧૬૨૭) સમયકાળને દર્શાવતી હોવાનું જણાય છે.[૬]

ઈતિહાસ[ફેરફાર કરો]

અમદાવાદનું નામ મુઝ્ઝફરી રાજવંશના અહેમદશાહ પરથી પડ્યું છે જેણે ૧૪૧૧માં કર્ણાવતી કબ્જે કર્યું હતું. તેણે સાબરમતી નદીના પૂર્વ કાંઠે ભદ્રના કિલ્લાનું નિર્માણ કર્યું અને ગુજરાત સલ્તનતની નવી રાજધાની તરીકે અમદાવાદની સ્થાપના કરી. ૧૫૨૫ સુધીમાં કિલ્લાની અંદરનો વિસ્તાર શહેરીકરણ હેઠળ આવ્યો હતો.[૨][૪]તેથી અહમદશાહના પૌત્ર મહમૂદ બેગડાએ બીજા કિલ્લાની રચના કરી, મિરત-એ-અહમદીમાં વર્ણવ્યા મુજબ તેની બહારની દિવાલનો ઘેરાવો ૧૦ કિમી (૬.૨ માઈલ) જેટલો હતો અને તેમાં ૧૨ દરવાજા, ૧૮૯ બુરજો, ૬૦૦૦ કરતાં કાંગરા હતા.[૭] મુઘલ કાળમાં લગભગ ૬૦ જેટલા સૂબા ગુજરાત પર રાજ કરતા જેમાં ભવિષ્યના મોગલ સમ્રાટો જહાંગીર, શાહજહાં અને ઔરંગઝેબનો સમયકાળ પણ આવે છે.[૮][૯] ૧૭મી સદીના અંતે મુઘલ સૂબા, આઝમ ખાને એક જનાનખાનું બંધાવ્યું, જે આઝમ ખાન સરાઈ તરીકે ઓળખાય છે.[૪][૧] મુઘલ શાસન દરમિયાન તેનો ઉપયોગ મુસાફિર ખાના (મુસાફરોને આરામ કરવાનું સ્થળ) તરીકે થતો હતો.[૩][૧૦]

૧૫૮૩માં મરાઠા સામ્રાજ્યના પેશ્વા અને ગાયકવાડના સંયુક્ત શાસને મુઘલ યુગનો અંત આણ્યો. પ્રથમ ઍંગ્લો-મરાઠા (૧૭૭૫-૧૭૮૨) યુદ્ધ દરમિયાન ફેબ્રુઆરી ૧૫, ૧૭૭૯ ના રોજ અંગ્રેજ જનરલ થોમસ વિન્ડહામ ગોડાર્ડે તેના ૬૦૦૦ સૈનિકોની મદદથી ભદ્રનો કિલ્લો અને અમદાવાદ પર હુમલો કર્યો. ૨૦૦૦ ઘોડા સાથે ૬૦૦૦ આરબ અને સિંધી પાયદળની રક્ષક સેના હતી. લડાઈમાં કુલ ૧૦૮નાં મોત થયાં, જેમાં બે અંગ્રેજો સામેલ હતા. યુદ્ધ બાદ સાલબાઈની સંધિ હેઠળ કિલ્લો તુરંત જ મરાઠાઓને પાછો સોંપી દેવામાં આવ્યો.[૧૧][૧૨][૧૦]

૧૮૧૭માં અંગ્રેજોએ અમદાવાદને જીતી લીધું.[૪] બ્રિટિશ રાજ દરમિયાન કિલ્લાનો ઉપયોગ કેદખાનાં તરીકે થતો હતો.[૩] આઝમ ખાન સરાઈમાં હાલમાં આર્કિઓલોજીકલ સર્વે ઓફ ઈન્ડિયા, પોસ્ટ ઓફિસ અને શહેરની નાગરિક અદાલત વગેરે સરકારી કચેરીઓ આવેલી છે. તેનો ઉપયોગ સ્વતંત્રતા દિવસ અને પ્રજાસત્તાક દિવસના રોજ ઘ્વજવંદન કરવા માટે થાય છે.[૩][૫][૧૦]

માળખાં[ફેરફાર કરો]

ગઢ, રાજવી મેદાન અને તીન દરવાજા[ફેરફાર કરો]

ભદ્રનો કિલ્લાનો શિલાલેખ
અંદરથી ભદ્રના કિલ્લાનો દરવાજો

ભદ્રના કિલ્લામાં રાજવી મહેલો, સુંદર નગીના બાગ, પશ્ચિમ દિશામાં શાહી અહમદશાહ મસ્જીદ અને પૂર્વ દિશામાં મૈદાન-શાહ તરીકે ઓળખાતો ખુલ્લો વિસ્તાર આવેલ છે. તેને ફરતે ૪૩ એકરમાં ફેલાયેલ શહેરને કિલ્લેબંધ કરતી ૧૪ મિનારા, આઠ દરવાજા અને બે વિશાળ ખુલ્લા વિસ્તાર આવરતી દિવાલ આવેલ છે. નદીને કિનારે આવેલ પૂર્વીય દિવાલ હજુ જોઈ શકાય છે. કિલ્લાનું સંકુલ અહેમદશાહના રાજમાં રાજવી દરબાર તરીકે વપરાતું હતું. કિલ્લાની પૂર્વ દિશાએ, તીન દરવાજા (ત્રણ દરવાજા) નામે ઓળખાતા ત્રણ દરવાજા આવેલ છે જે ભૂતકાળમાં મૈદાન-શાહ તરીકે ઓળખાતા રાજવી મેદાનના પ્રવેશદ્વાર હતા. તેની નજીકમાં નગર જનો માટેની જામા મસ્જિદ નામે ઓળખાતી દરગાહ હતી. માણેક ચોક દરગાહ નજીક આવેલ કાપડ બજાર હતી.[૨][૪][૩]

ગઢની સ્થાપત્ય કલા જટિલ રીતે કોતરેલ કમાનો અને અટારીઓ ધરાવતી ઈન્ડો-સારસેનિક છે. બારી અને ભીંતચિત્રોમાં ખૂબ જ બારીક જાળીકામ કરેલું છે. કિલ્લાની કમાનો પર કેટલાક ઈસ્લામી શિલાલેખો છે. મહેલમાં રાજવી કમરાઓ, રાજવી દરબાર, ગૃહો અને કારાગૃહ છે.[૨][૪][૩]

મૈદાન-શાહ અથવા રાજાની બજાર, આશરે ૧૬૦૦ ફીટ લાંબી છે અને તેનાથી અડધી પહોળી છે અને તેની ફરતે ચોતરફ તાડનાં ઝાડ અને ખજૂરના ઝાડ; લીંબુના ઝાડ અને નારંગીના ઝાડ સાથે મિશ્રિત છે, જેમાંથી ઘણાંખરાં અનેક ગલીઓમાં છે: જે માત્ર સુખદ દેખાવ જ નથી આપતું પણ આહલાદ્ક શક્યતાઓ પણ ધરાવે છે અને તેમની વચ્ચે ચાલવું ઠંડક આપીને ખૂબ જ સરળ બનાવે છે. આ મૈદાનની પાસે, શહેરમાં ચાર બજાર અથવા જાહેર સ્થળો આવેલ છે જ્યાં અનેક પ્રકારની વસ્તુઓ વેંચવામાં આવે છે.

— જોહાન આલ્બ્રેક્ટ ડૅ માન્ડેલ્સલો, જર્મન મુસાફર; ઓક્ટોબર, ૧૬૩૮માં, માન્ડેલ્સલોના પશ્ચિમ ભારતના પ્રવાસો, પાનું ૨૨[૧૦][૧૩]

આઝમ ખાન સરાઈ[ફેરફાર કરો]

આઝમ ખાન, એક મુઘલ સૂબો હતો જે મીર મુહમ્મદ બકીર તરીકે પણ ઓળખાતો હતો. તેણે ૧૬૩૭માં આઝમ ખાન સરાઈ નામક મહેલ બંધાવ્યો. તેનો ૫.૪૯ મીટર ઊંચો દરવાજો ઉપલા માળે નીચી અટારી ધરાવતા અષ્ટકોણ ગૃહમાં ખૂલતો હતો. તેનો મુઘલ કાળમાં મુસાફરોના આરામગૃહ તરીકે થતો હતો અને અંગ્રેજોના શાસન દરમિયાન દવાખાનાં અને કારાગૃહ તરીકે થતો હતો.[૧૪][૯] આઝમ ખાન સરાઈની છત ઉપર ફાંસીનો માચડો હતો જેનો ઉપયોગ ગુજરાત સલ્તનત અને અંગ્રેજ કાળમાં ફાંસીએ ચડાવવા થતો હતો. એક કથા મુજબ, ત્યાં અહેમદશાહે તેના જમાઈને ખૂનના ગુના માટે ફાંસી આપી હતી.[૧૫]

ભદ્ર કાળીનું મંદિર[ફેરફાર કરો]

મરાઠા શાસન દરમિયાન આઝમ ખાન સરાઈના ઉત્તરી ભાગમાં એક ઓરડાને ભદ્ર કાળીના મંદિરમાં રૂપાંતરિત કરવામાં આવ્યો.[૨][૩] તેમાં ભદ્ર કાળીની ચાર ભુજા ધરાવતી શ્યામ મૂર્તિ છે.

દંતકથા[ફેરફાર કરો]

વર્ષો અગાઉ, લક્ષ્મી, સમૃદ્ધિની દેવી, રાત્રે શહેર છોડવા માટે ભદ્રના કિલ્લાના દરવાજા પાસે આવ્યાં. ચોકીદાર સિદ્દીક કોટવાળે તેમને રોક્યાં અને ઓળખી ગયો. તેણે તેમને પોતે રાજાની પરવાનગી ન લાવે ત્યાં શહેર ન છોડવા વિનંતી કરી. લક્ષ્મીને શહેરમાં રાખવા માટે તેણે પોતાનું માથું કાપી નાખ્યું. તેનું પરિણામ શહેરની સમૃદ્ધિના સ્વરૂપમાં આવ્યું.

ભદ્રના દરવાજા નજીક એક કબર આવેલી છે જે સિદ્દીક કોટવાળને સમર્પિત છે અને લક્ષ્મીનું પ્રતિનિધિત્ત્વ કરતું એક મંદિર ભદ્ર કાળીને સમર્પિત છે.[૫][૧૬]

ઘડિયાળનો મિનારો[ફેરફાર કરો]

ભદ્રના કિલ્લાનો ઘડિયાળનો મિનારો

ભદ્રના કિલ્લાનો ઘડિયાળનો મિનારો ૧૮૪૯માં લંડનથી રૂપિયા ૮૦૦૦ના ખર્ચે લવાયો હતો અને અંગ્રેજ ઈસ્ટ ઈન્ડિયા કંપની દ્વારા તેને ૧૮૭૮માં રૂપિયા ૨૪૩૦ના ખર્ચે મુકાયો હતો. રાત્રે તેને પાછળના ભાગમાં કેરોસીનનો દીવો મૂકી પ્રકાશિત રાખવામાં આવતો હતો જે ૧૯૧૫માં વીજળીથી ચાલતા દીવા વડે બદલવામાં આવ્યો હતો. તે અમદાવાદનું પહેલું વીજ જોડાણ હતું જોકે તે ૧૯૬૦માં કામ કરતું બંધ થઈ ગયું હતું પણ હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઈન્ડિયા તેનું સમારકામ કરવાની નેમ ધરાવે છે.[૧૭][૧૮]

પુનર્વિકાસ[ફેરફાર કરો]

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા દ્વારા શરૂ કરાયેલ ભદ્ર પ્લાઝા ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ભદ્ર કિલ્લાનો પુનરોદ્ધાર કરી અને ભૂતકાળમાં મૈદાન-શાહ નામે ઓળખાતી કિલ્લા અને તીન દરવાજા વચ્ચેની ખાલી જગ્યા ફરીથી લાવવા માગે છે. બગીચા અને આસપાસની ભૂગોળનો વિકાસ પ્રાચીન મુસાફરોના અહેવાલના આધારે કરવામાં આવશે. તેનું કામ ૨૬ જાન્યુઆરી ૨૦૧૨ના રોજ શરૂ થયું અને કુલ ખર્ચ ૧૧૫ કરોડ આવવાની શક્યતા છે. મહેલના પ્રથમ મજલા પર એક સંગ્રહાલય અને એક ચિત્રખંડ વિક્સાવવાની યોજના છે અને ભોંયતળિયાના મજલા પર હસ્તકળાનું કેન્દ્ર વિક્સાવાસે. એક પારંપરિક ભોજનાલય, ખાદ્યવસ્તુ અને સાંસ્કૃતિક બજાર તેમજ પ્રદર્શનગૃહ પણ વિક્સાવાસે. કિલ્લા અને તીન દરવાજા વચ્ચેનો ખુલ્લો પટ વિવિધ જાહેર સુવિધાઓ ધરાવતા રાહદારી માર્ગ તરીકે વિક્સાવવાની યોજના છે. ભદ્ર પ્લાઝાને સાબરમતી રિવરફ્રન્ટ સાથે જોડતો રાહદારી પુલ બાંધવાની પણ યોજના છે અને લાલ દરવાજા ખાતે એક બહુમાળી મોટર પાર્કિંગ બંધાશે.[૩][૧૦][૧૯][૨૦][૨૧][૨૨]

ગેલેરી[ફેરફાર કરો]

આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ "ઈતિહાસ". Official Website. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન. મૂળ માંથી 2016-02-23 પર સંગ્રહિત. મેળવેલ ૧૬ જાન્યુઆરી ૨૦૧૩.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ ૨.૪ ૨.૫ "ભદ્રનો કિલ્લો". ગુજરાત સરકાર. NRI Devision. ૨૫ જૂન ૨૦૧૦. મૂળ માંથી 2014-03-17 પર સંગ્રહિત. મેળવેલ ૧૬ જાન્યુઆરી ૨૦૧૩.
  3. ૩.૦ ૩.૧ ૩.૨ ૩.૩ ૩.૪ ૩.૫ ૩.૬ ૩.૭ John, Paul (૬ જુલાઇ ૨૦૧૧). "ભદ્રના કિલ્લા ઉપર લટાર". ધ ટાઈમ્સ ઓફ ઈન્ડિયા. Ahmedabad. TNN. મૂળ માંથી 2013-02-16 પર સંગ્રહિત. મેળવેલ ૧૭ જાન્યુઆરી ૨૦૧૩.
  4. ૪.૦ ૪.૧ ૪.૨ ૪.૩ ૪.૪ ૪.૫ Bloom, Jonathan; Blair, Sheila (૨૦૦૯). Grove Encyclopedia of Islamic Art & Architecture. 2. Oxford University Press. પૃષ્ઠ 37–39. ISBN 9780195309911.
  5. ૫.૦ ૫.૧ ૫.૨ "ભદ્રનો કિલ્લો". મેળવેલ ૧૬ જાન્યુઆરી ૨૦૧૩.
  6. Dalal, Sonali (૨૨ જુલાઇ ૨૦૧૦). "ભદ્ર". મેળવેલ ૧૭ જાન્યુઆરી ૨૦૧૩.
  7. G. Kuppuram (૧૯૮૮). India through the ages: history, art, culture, and religion. 2. Sundeep Prakashan. પૃષ્ઠ 739.
  8. John, Paul (૨૯ જુલાઇ ૨૦૧૨). "શાહજહાં માટે પ્રવેશ નિષેધ". ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા. મૂળ માંથી 2013-02-16 પર સંગ્રહિત. મેળવેલ ૧૭ જાન્યુઆરી ૨૦૧૩.
  9. ૯.૦ ૯.૧ Desai, Hemang (૧૬ નવેમ્બર ૨૦૧૦). "ગુજરાતના સ્થાપત્યને કેવી રીતે મુઘલ સંસર્ગની અસર થઈ તેની વાર્તા..." ડીએનએ. અમદાવાદ. મેળવેલ ૧૭ જાન્યુઆરી ૨૦૧૩.
  10. ૧૦.૦ ૧૦.૧ ૧૦.૨ ૧૦.૩ ૧૦.૪ "ભદ્ર ફોર્ટને સાંસ્કૃતિક ફરવાના સ્થળમાં ફેરવાશે!". ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા. અમદાવાદ. TNN. ૧૨ જૂન ૨૦૦૯. મૂળ માંથી 2013-02-16 પર સંગ્રહિત. મેળવેલ ૧૭ જાન્યુઆરી ૨૦૧૩.
  11. Duff, James Grant (૧૮૨૬) [Oxford University]. મરાઠાનો ઈતિહાસ. 2. London: Longman, Rees, Orme, Brown, and Green. CS1 maint: discouraged parameter (link)
  12. Beveridge, Henry (૧૮૬૨) [New York Public Library]. A comprehensive history of India, civil, military and social. Blackie. પૃષ્ઠ ૪૫૬–૪૬૬. CS1 maint: discouraged parameter (link)
  13. Commissariat, M. S. (૧૯૯૬). Mandelslo's Travels In Western India. Asian Educational Services. પૃષ્ઠ 22–23. ISBN 9788120607149.
  14. John, Paul (૨૯ જુલાઇ ૨૦૧૨). "શહેરમાં મુઘલ સ્થાપત્યોને ઘસારો લાગી રહ્યો છે". ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા. અમદાવાદ. TNN. મૂળ માંથી 2013-02-16 પર સંગ્રહિત. મેળવેલ ૧૭ જાન્યુઆરી ૨૦૧૩.
  15. શાહ, ચારુલ (૩ માર્ચ ૨૦૧૧). "ગોધરા ખટલો: કેવી રીતે સમયાંતરે ભદ્ર પર ગાળિયો મજબૂત થયો". ડીએનએ. DNA. મેળવેલ ૧૭ જાન્યુઆરી ૨૦૧૩.
  16. Patel 'Setu', Dr. Manek. "Popular legends - The Goddess of Wealth". welcometoahmedabad.com. મેળવેલ ૧૭ જાન્યુઆરી ૨૦૧૩.
  17. "દૂરદૃષ્ટાઓનું સ્વર્ગ". ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા. TNN. ૧૨ નવેમ્બર ૨૦૧૨. મૂળ માંથી 2013-02-16 પર સંગ્રહિત. મેળવેલ ૧૭ જાન્યુઆરી ૨૦૧૩.
  18. John, Paul (૮ જૂન ૨૦૧૧). "ભદ્રના કિલ્લાની ઘડિયાળ ટૂંક સમયમાં ફરીથી ચાલુ થશે". ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા. TNN. મેળવેલ ૧૭ જાન્યુઆરી ૨૦૧૩.
  19. "ભદ્ર પ્લાઝા વિકાસ યોજના ૨૬ જાન્યુઆરીથી". DeshGujarat.com. ૧૩ જાન્યુઆરી ૨૦૧૨. મેળવેલ ૧૬ જાન્યુઆરી ૨૦૧૩.
  20. "અમદાવાદનો ભદ્રનો કિલ્લો ૨૭ જાન્યુઆરીથી મોટરો માટે બંધ". ડીએનએ. ૧૪ જાન્યુઆરી ૨૦૧૨. પૃષ્ઠ અમદાવાદ. મેળવેલ ૧૬ જાન્યુઆરી ૨૦૧૩.
  21. Devarhubli, Chaitra (૧૫ જુલાઇ ૨૦૧૨). "ભદ્રના કિલ્લામાં ઐતિહાસિક ખજૂરીના ઝાડ ઉગાડાય તેવી શક્યતા". ડીએનએ. અમદાવાદ. મેળવેલ ૧૭ જાન્યુઆરી ૨૦૧૩.
  22. "જાન્યુઆરી ૨૭થી ભદ્ર તમામ પ્રકારના વાહનો માટે બંધ". ડેઇલી ભાસ્કર. ૧૪ જાન્યુઆરી ૨૦૧૨. મેળવેલ ૧૭ જાન્યુઆરી ૨૦૧૩.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]