ભાદ્રોડ (તા.મહુવા)

વિકિપીડિયામાંથી
ભાદ્રોડ (તા.મહુવા)
—  ગામ  —
ભાદ્રોડ (તા.મહુવા)નું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°08′11″N 71°48′17″E / 21.136306°N 71.804738°E / 21.136306; 71.804738
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો ભાવનગર
વસ્તી ૯,૬૦૧[૧] (૨૦૧૧)
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)

ભાદ્રોડ (તા.મહુવા) કે ભાદરોડ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા ભાવનગર જિલ્લામાં આવેલા કુલ ૧૧ (અગિયાર) તાલુકાઓ પૈકીના એક એવા મહુવા તાલુકામાં આવેલું એક ગામ છે.[૨] આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે નાળીળેર, ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.[૨]

ભાદ્રોડ મહુવાથી 4 miles (6.4 km)ના અંતરે ઇશાન દિશામાં અને ભાવનગરથી 51 miles (82 km)ના અંતરે નૈઋત્ય દિશામાં આવેલું છે. તે ભાદ્રોડી નદીના જમણા કાંઠે વસેલું છે.[૩]

ઇતિહાસ[ફેરફાર કરો]

ભાદ્રોડ રૂકમણીના ભાઇ રૂકમી સાથે જોડાયેલું છે. આ એ જગ્યા છે જ્યાં તેણે રૂકમણીને હરી જતાં કૃષ્ણને આંતરીને યુદ્ધ કર્યું હતું અને તેમાં તે હાર્યો હતો અને કૃષ્ણ દ્વારા બંદી બનાવવામાં આવ્યો હતો. કૃષ્ણે તેની દાઢી-મૂછ અને માથાનાં વાળ સંપૂર્ણ પણે કાઢી નાખ્યા હતા. રૂકમીએ કૃષ્ણને પોતે હરાવીને બંદી ન બનાવે અને પોતાની બહેન રૂકમણીને પાછી ન લાવે ત્યાં સુધી કુંડિનાપુર પાછા ન ફરવાની પ્રતિજ્ઞા લીધી હતી. તેણે યુદ્ધભૂમિની બાજુમાં મહાદેવનું નાનું મંદિર બનાવ્યું હતું અને તેને ભદ્રેશ્વર નામ આપ્યું હતું. થોડા સમય પછી ત્યાં ગામ સ્થપાયું અને પહેલાં તેનું નામ ભદ્રનગર પડ્યું અને છેવટે અપભ્રંશ થઇને ભાદ્રોડ થયું.

જ્યારે મુસ્લમ આક્રમણખોરોને કારણે વાળાઓએ તળાજા છોડવું પડ્યું ત્યારે (ઈસ ૧૫૪૪માં) વાળાઓ ભાદ્રોડ ખાતે સ્થાયી થયા અને અહીં થોડો સમય રહ્યા. તેમના શાસન દરમિયાન નિકોલ અને કલસરની વચ્ચે આવેલું ગુંડાળા એ ભાદ્રોડનું બંદર હતું. હાલમાં તે નિર્જન છે અને ત્યાં માત્ર હનુમાનનું એક મંદિર આવેલું છે. આ મંદિર ગાંડલિઓ હનુમાન કહેવાય છે. મસરીજી ગોહિલ અને વિસાજી (વિજાજી ના પટવી કુંવર ) ગોહિલ રાજપુત ના નેતૃત્વ હેઠળ ગોહિલો એ ઇ સન ૧૭૪૪ માં ભદ્રોડ વાળા ઓના હાથમાંથી અને મહુવા ખરેડીયા સિપાઈઓના હાથમાં થી કબજે કર્યું અને મસરીજી ગોહિલ મહુવા સ્થાયી થાય વિસાજી ગોહિલ ભાદરોડ સ્થાયી થયા આમ ગોહિલો અહીં ઇ સન ૧૭૮૪ સુધી રહ્યા આ સમયે દાઠા ના ગોપાલજી સરવૈયા મહુવાના ખારા પાણીની મીઠી વિરડી ની યાત્રા કરવા આવ્યા હતાં. મહુવાના રાજા મસરીજી ગોહિલ ના પાટલી કુંવર જસાજી ગોહિલે ગોપાલજી પાસેથી દાણ માંગ્યું ગોપાળજીએ કહયું કે હું ભાવનગરના રાજાનો મામા દાણ ના આપું. ત્યારે જસાજીએ કહયું રાજા હોય કે રંક મારા રાજ્યમાં બધા માટે દાણ સમાન છે. અને જો સ્નાન કરવું હોય તો દાણ આપીને કરવું પડશે. આથી ગોપાલજી સરવૈયાએ જસાજી ઉપર રોષ રાખીને ભાવનગર મહારાજની કાન ભંભેરણી કરી. આથી ભાવનગરની વિશાળ ફૌજે મહુવા પર ચડાઈ કરી. સામે મહુવાના રાજવી જસાજી ગોહિલ પોતાના લશ્કર સાથે માલણના કાઠા પર ભાવનગરની વિશાળ ફૌજ સામે સાત સાત દિવસ સુધી લડત આપી અંતે લશ્કરની ખુંવારી થતા જસાજીએ વખતસિંહજીને સંધીનું કહેણ મોકલ્યું. વખતસિંહજીએ સંધીનું કહેણ મંજુર રાખ્યું સાથે એક મહિનો મહુવાના હવામહેલમાં રોકાવાની શરતે જસાજીને મહુવા ખાલી કરી આપવું . એક મહિના પછી જસાજીને મહુવા પાછું સોંપી દેવું તેના ચાર સાક્ષી નિમાણાં તેમાં પ્રથમ જામીન તરીકે શંકરગિરિજી સાધુ, બીજા દયાશંકર ગોર વિજપડીના, ત્રીજા ગોપાળજી સરવૈયા દાઠાના અને ચોથા જસાજી બાપુના કામદાર અભો સોરઠીયો. એક મહિનાની અવધી પુરી થવા સતાં વખતસિંહજીએ તેમના કામદાર હિરજી મહેતાની ચડામણીથી મહુવાનો રાજ મહેલ ખાલી ના કર્યો આઇ નિમાયેલા સાક્ષીઓને ગામ ગરાસ આપીને ફેરવી નાખ્યા પરંતુ જસાજી ગોહિલનો કામદાર અભો સોરઠીયો અકબંધ રહયો. જસાજી ગોહિલ સેદરડા મોણપર સ્ટેટ જાગીરદાર જેનો ઇતિહાસસુર્યવંશી ગંગાજળીયા ગોહિલ કુળના કુલભુષણ સેજકજી ઝાંઝરજી ગોહિલના પુત્ર વિસાજી ગોહિલના વંશજો સેદરડા - મોણપર ચોવીસી ગોહિલ તરીકે ઓળખાય છે. અને આજે તેમનો પરીવાર હાલ ૧૭ ગામમાં વસવાટ કરે છે. સૌજન્ય : વિર વિસાજી ગોહિલ ક્ષત્રિય રાજપૂત સમાજ .

જ્યારે વાળાઓ તળાજામાં શાસન કરતા હતા ત્યારે ભાદ્રોડ તેમના શાસન નીચે હતું. ઉગા વાળા તે વંશના જાણીતા સ્થાનિક નેતા હતા અને તેમણે જુનાગઢના રા' કંવાટને અનંત ચાવડાની શિયાળબેટ પરની કેદમાંથી છોડાવ્યા હોવાનું મનાય છે. ઉગા વાળા રા' કંવાટની બહેનના દીકરા હતા અને તેમણે જુનાગઢને કહેણ મોકલાવેલું કે તેઓ એક હાથે તાળી વગાડી શકે છે એટલે કે તેઓ જુનાગઢ પર આધાર રાખતા નથી. એટલે જ્યારે રા' કંવાટ શિયાળ બેટ પર કેદ થયા ત્યારે રા' કંવાટે નીચેના બે પદો ઉગા વાળાને મોકલ્યા:[૩]

કર કમાણ ગ્રહિને,
કાગ ના બેસે ડાળી;
એક હાથે ના પડે ઉગાળા,
તો દો હાથે દે તાલી.
દિવસ વિતે દોહ્લા,
ઘડી મસ પ્રમાણ,
વજા જોતા વાટ,
અંખૈયો ગઇ ઉગાળા.

ત્યારપછી ઉગા વાળા શિયાળબેટ ગયા અને પહેરો તોડીને રા' કંવાટને મુક્ત કરાવ્યો. એવું કહેવાય છે કે અનંત ચાવડાની શોધમાં તેના મહેલમાં તપાસ કરતાં અનંતની પત્નિ ઉગા વાળાને મળી અને પોતાના પતિના જીવનની રક્ષા કરવા કહ્યું:[૩]

સાતસેહ સુરા મારિયા,
પાંચસેહ મારિયા પઠાણ;
એક અનંત મારે ઉગાળા,
તો તેને એભલવાળાની આણ.

ઉગા વાળાએ તેથી અનંત ચાવડાને જીવનદાન આપ્યું પણ તેણે કેદ પકડેલાં બધાં રાજાઓને મુક્ત કરાવ્યા. ઉગા વાળાનો રા' કંવાટે પછીથી પોતાને મુક્ત કરાવતા થયેલા કહેવાતા અપમાન બદલ વધ કર્યો હતો.[૩]

ભારતીય-ગ્રીક રાજા અપોલોડોટુસ પ્રથમની મહોર ધરાવતા ચાર ચાંદીના સિક્કાઓ ભાદ્રોડમાં મળી આવ્યા છે અને એક ઢાંક ખાતે મળ્યો છે, જે પણ વાળાઓનું પ્રાચીન ગામ છે.[૩]

મહુવા તાલુકાના ગામ[૪] અને તાલુકાનું ભૌગોલિક સ્થાન


સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Bhadrod Village Population, Caste - Mahuva Bhavnagar, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2019-06-03 પર સંગ્રહિત. મેળવેલ 2019-06-03.
  2. ૨.૦ ૨.૧ જિલ્લા-પંચાયત, ભાવનગર. "ભાવનગર જિલ્લા પંચાયતની વેબસાઇટ પર મહુવા તાલુકાના ગામોની યાદી". ગુજરાત સરકાર. મૂળ માંથી 2013-07-23 પર સંગ્રહિત. મેળવેલ ૭ ઓકટોબર ૨૦૧૩. Check date values in: |access-date= (મદદ)
  3. ૩.૦ ૩.૧ ૩.૨ ૩.૩ ૩.૪ Gazetteer of the Bombay Presidency: Kathiawar (Public Domain text). VIII. Printed at the Government Central Press, Bombay. ૧૮૮૪. પૃષ્ઠ ૩૮૦-૩૮૧.
  4. "Villages & Towns in Mahuva Taluka of Bhavnagar, Gujarat". www.census2011.co.in. મેળવેલ 2019-08-15.

આ લેખ હવે પબ્લિક ડોમેઇનમાં રહેલા પુસ્તક Gazetteer of the Bombay Presidency: Kathiawar. VIII. Printed at the Government Central Press, Bombay. ૧૮૮૪. પૃષ્ઠ ૩૮૦-૩૮૧. માંથી લખાણના અંશો ધરાવે છે.