મકરંદ દવે

વિકિપીડિયામાંથી
મકરંદ દવે
મકરંદ દવે
મકરંદ દવે
જન્મ(1922-11-13)13 November 1922
ગોંડલ, ગુજરાત, ભારત
મૃત્યુ31 January 2005(2005-01-31) (ઉંમર 82)
વલસાડ, ગુજરાત
વ્યવસાયકવિ
ભાષાગુજરાતી
રાષ્ટ્રીયતાભારતીય
નોંધપાત્ર પુરસ્કારોરણજિતરામ સુવર્ણ ચંદ્રક, ૧૯૭૯
જીવનસાથી

મકરંદ વજેશંકર દવે એ ગુજરાતી ભાષાના કવિ હતા. તેમના કાવ્યગ્રંથો તરણાં, જયભેરી, ગોરજ, સૂરજમુખી, સંજ્ઞા, સંગતિ, ઝબુક વીજળી ઝબુક વગેરે પ્રસિદ્ધ છે.

જીવન[ફેરફાર કરો]

તેમનો જન્મ ગોંડલ, ગુજરાતમાં ૧૩ નવેમ્બર, ૧૯૨૨ના રોજ વજેશંકર દવેને ત્યાં થયો હતો. ગોંડલમાં પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કર્યા બાદ, તેમણે ૧૯૪૦માં રાજકોટની ધરમસિંહજી કોલેજમાં દાખલો લીધો અને ૧૯૪૨માં ભારત છોડો આંદોલનમાં ભાગ લેવા માટે અભ્યાસ છોડી દીધો હતો.[૧][૨] તેમના પ્રારંભિક જીવનમાં જ તેઓ આધ્યાત્મિક ગુરુ નાથાલાલ જોષીના સંપર્કમાં આવ્યા હતા.[૩] ૧૯૬૮માં તેમના લગ્ન લેખિકા કુંદનિકા કાપડીયા સાથે થયા.[૪] તેઓ પછી મુંબઈ સ્થાયી થયા હતા.[૨][૫]

તેઓ કુમાર (૧૯૪૪-૪૫), ઉર્મિ નવરચના (૧૯૪૬), સંગમ, પરમાર્થી સામયિકો અને જય હિંદ દૈનિકના સંપાદક રહ્યા હતા.[૧][૨]

નંદીગ્રામ આશ્રમમાં મૂકેલો મકરંદ દવેનો ફોટો

ઇ.સ. ૧૯૮૭માં તેમના પત્ની સાથે તેઓ વલસાડ નજીક ધરમપુર ખાતે સ્થાયી થયા અને ત્યાં આદિવાસી કલ્યાણ અને આધ્યાત્મિક કેન્દ્ર તરીકે નંદીગ્રામની સ્થાપના કરી.[૧][૨][૪][૫]

સ્વામી આનંદ દ્વારા તેમને સાંઇ ઉપનામ મળ્યું હતું. ૧૯૭૯માં તેમને રણજિતરામ સુવર્ણ ચંદ્રક એનાયત થયો હતો.[૬] તેમના આધ્યાત્મિક અને સાહિત્યિક સર્જન માટે તેમને સાહિત્ય ગૌરવ પુરસ્કાર(૧૯૯૭), નરસિંહ મહેતા પુરસ્કાર, અરબિંદો પુરસ્કાર મળ્યા હતા.[૧][૫][૭]

૩૧ જાન્યુઆરી, ૨૦૦૫ના રોજ નંદીગ્રામ, વલસાડ ખાતે તેમનું અવસાન થયું હતું.[૫][૭]

સર્જન[ફેરફાર કરો]

તેમણે કવિતાઓ, ફિલસૂફી અને આધ્યાત્મિક વિષયો પર સંખ્યાબંધ પુસ્તકો લખ્યા છે.[૧][૮]

તરણાં (૧૯૫૧), જયભેરી (૧૯૫૨), ગોરજ (૧૯૫૭), સૂરજમુખી (૧૯૬૧), સંજ્ઞા (૧૯૬૪), સંગતિ (૧૯૬૮) જેવા એમના કાવ્યસંગ્રહો છે. ઝબૂક વીજળી ઝબૂક (૧૯૫૫) બાળકાવ્યસંગ્રહ અને શેણી વિજાણંદ (૧૯૫૬) ગીતનાટિકા છે.

માટીનો મ્હેકતો સાદ (૧૯૮૧) એમની હલધર બલરામ પરની નવલકથા છે; બે ભાઈ (૧૯૫૮), અને તાઈકો (૧૯૬૮) બાળનાટકો છે; પીડ પરાઈ (૧૯૭૩) તેમના પ્રસંગચિત્રો છે; યોગી હરનાથના સાંનિધ્યમાં (ત્રી. આ. ૧૯૭૭) વ્યક્તિપરિચય છે.

એમનું અધ્યાત્મચિંતન અંતર્વેદી (૧૯૭૮), યોગપથ (૧૯૭૮), સહજને કિનારે (૧૯૮૦), ભાગવતી સાધના (૧૯૮૨), ગર્ભદીપ (૧૯૮૩), ચિરંતના (૧૯૮૩) જેવા ગ્રંથોમાં રજૂ થયું છે. વિષ્ણુસહસ્રનામઃ આંતરપ્રવેશ (૧૯૮૪)માં કાન્તિલાલ કાલાણી સાથે ભગવદનામો વિશે સહિયારું ચિંતન છે. એક પગલું આગળ (૧૯૮૨)માં સામાજિક ચિંતન છે.

સત કેરી વાણી (૧૯૭૦) એમણે સંપાદિત કરેલો ભજનસંગ્રહ છે. ઘટને મારગે (૧૯૪૬) અને ટારઝનઃ જંગલોનો રાજા (૧૯૪૭) એમના અનુવાદો છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ Dutt, Kartik Chandra (૧૯૯૯). Who's who of Indian Writers: A-M. 1. Sahitya Akademi. પૃષ્ઠ 297. ISBN 9788126008735.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ "Makarand Dave". ગુજરાતી સાહિત્ય પરિષદ. મેળવેલ ૭ જૂન ૨૦૧૪.
  3. "A Fish's Wish (Makarand Dave)". Gujarati Lexicon. મેળવેલ ૮ જૂન ૨૦૧૪.
  4. ૪.૦ ૪.૧ Kumar, Neelam (૨૦૦૨). Our Favourite Indian Stories. Jaico Publishing House. પૃષ્ઠ xvii. ISBN 9788172249786.
  5. ૫.૦ ૫.૧ ૫.૨ ૫.૩ "SHRI MAKARAND DAVE". Nandigram.org. મૂળ માંથી 2018-05-21 પર સંગ્રહિત. મેળવેલ ૮ જૂન ૨૦૧૪.
  6. Rita Kothari, Suguna Ramanathan (૧૯૯૮). Modern Gujarati Poetry: A Selection. Sahitya Akademi. પૃષ્ઠ ૮૪. ISBN 9788126002948.
  7. ૭.૦ ૭.૧ Desai, Jinesh. "Saint Poet Makarand Dave: Divinity Through Literature". NRI Pulse. મેળવેલ ૮ જૂન ૨૦૧૪.
  8. "Books". Nandigram.org. મેળવેલ June 8, 2014.[હંમેશ માટે મૃત કડી]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]