મચ્છુ નદી
મચ્છુ નદી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશના રાજકોટ જિલ્લામાં વહેતી મહત્વની નદી છે. ૧૪૭ કિલોમીટર જેટલી લંબાઇ ધરાવતી આ નદી મોટે ભાગે રાજકોટ જિલ્લામાં પોતાનો પંથ કાપે છે. માર્ગમાં મચ્છુ નદીમાં બેણિયા, મસોરો, આસોઇ, ખારોડિયો, બેટી, લાવરિયો, અંધારી, મહા જેવી નાની નદીઓ ભળી જાય છે. આ નદીનો નિતાર પ્રદેશ(catchment area) લગભગ ૧,૯૦૦ ચોરસ કિલોમીટર જેટલો છે. મચ્છુ નદી જસદણ તાલુકાના દહીંસરા ગામ પાસેથી નીકળી રાજકોટ તાલુકા, વાંકાનેર તાલુકા,મોરબી તાલુકા થઇને અંતે માળિયા તાલુકાના આંજિયાસર ગામ પછી કચ્છના નાના રણમાં મળી જાય છે.
[ફેરફાર કરો] દંતકથા
એકવાર મહાદેવજી ક્ષીર સાગરને કિનારે પાર્વતીજીને અગત્યનો ઉપદેશ આપી રહ્યા હતા. એમની નજીકમાં એક મગર થોડા સમય પહેલાં જ એક જીવતા માણસને ગળી જઈ બેઠો હતો. શંકર ભગવાનનો ઉપદેશ સાંભળી કોઇક રીતે મગરના પેટમાંથી આ માણસ બહાર આવ્યો અને જ્ઞાની પુરુષ બન્યો. મગરમચ્છ દ્વારા બીજો જન્મ પામેલ આ માણસ મચ્છેન્દ્રનાથ તરીકે ઓળખાયા, જેમણે હઠયોગી તરીકે ખ્યાતિ મેળવી હઠદીપિકા નામનો ગ્રંથ પણ લખ્યો હતો. મચ્છેન્દ્રનાથજીના એક ગૌરવશાળી શિષ્ય ગોરખનાથજીએ ગુરુની પુત્રો પ્રત્યેની વધુ પડતી આસક્તિ હોઇ, બંને પુત્રોને નદીકિનારે મારી નાખ્યા. આ બંને પુત્રોને નદીનાં માછલાંનો અવતાર મળ્યો. આમ મચ્છ અને મત્સ્ય પરથી આ નદી મચ્છુ નદી તરીકે ઓળખાવા લાગી.
[ફેરફાર કરો] સિંચાઇ
સિંચાઇના હેતુને અનુલક્ષીને ૧૯૬૧ના વર્ષમાં વાંકાનેરની ઉપરવાસમાં, ૨૩ કિલોમીટર જેટલા અંતરે મચ્છુ-૧ બંધ બાંધકામ શરુ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મોરબી તાલુકામા જોધપર ગામ પાસે(મોરબીથી ૬ કિલોમીટર ઉપરવાસમાં) મચ્છુ-૨ બંધનું કામ શરુ થયું હતું, જે ૧૯૭૨ના વર્ષની આસપાસ પુરું થયું હતું.