રાજા રવિ વર્મા

વિકિપીડિયામાંથી
રાજા રવિ વર્મા
જન્મ૨૯ એપ્રિલ ૧૮૪૮ Edit this on Wikidata
Kilimanoor Edit this on Wikidata
મૃત્યુ૨ ઓક્ટોબર ૧૯૦૬ Edit this on Wikidata
અટ્ટીંગલ Edit this on Wikidata
અભ્યાસ સંસ્થા
  • University College Thiruvananthapuram Edit this on Wikidata
વ્યવસાયચિત્રકાર Edit this on Wikidata
સહી

રાજા રવિ વર્મા[૧] (૨૯ એપ્રિલ ૧૮૪૮ – ૨ ઓક્ટોબર ૧૯૦૬) એ મલયાલી મૂળના પ્રખ્યાત ચિત્રકાર અને કલાકાર હતા. તેમના ચિત્રોમાં જોવા મળતો વિશાળ સામાજીક પરિપેક્ષ અને સૌંદર્યબોધના કારણે તેઓ ભારતીય ચિત્રકલા જગતના ઇતિહાસમાં મહાન ચિત્રકાર તરીકે ઓળખ પામ્યા છે. તેમની ચિત્રકારી શુદ્ધ ભારતીય સંવેદના અને યુરોપની કળાના સંમિશ્રણના ઉદાહરણ રૂપે જોવામાં આવે છે. પરંપરા અને ભારતીય કલાના સૌંદર્યબોધની સાથોસાથ જ તેઓ યુરોપીયન તત્ત્વબોધ તકનિકની પ્રયુક્તિ કરવામાં સફળ રહ્યાં. પોતાના ચિત્રોના શિલામુદ્રણ (લિથોગ્રાફ) સામાન્ય જનતાને પરવડે તેવી કિંમતે ઉપલબ્ધ કરાવાના કારણે તેઓ લોકમાનસમાં એક ચિત્રકાર, પ્રભાવશાળી વ્યક્તિ અને સાર્વજનિક હસ્તી તરીકે સ્થાન જમાવવામાં સફળ રહ્યાં. ખાસ કરીને પુરાણો, રામાયણમહાભારત જેવા મહાકાવ્યોના પ્રસંગો અને દેવી દેવતાઓના ચિત્રોને સમગ્ર ભારતમાં અગાધ આવકાર મળ્યો.

અંગત જીવન[ફેરફાર કરો]

રવિ વર્માની પુત્રી મહાપ્રભા તેના પુત્ર સાથે
રવિ વર્માના સાળી, આટ્ટીંગલના મહારાણી ભારાણી થીરુમલ લક્ષ્મીબાઈ

તેમનો જન્મ ત્રાવણકોર રજવાડાં (હાલ કેરળ)ના કિલિમનૂર ખાતે થયો હતો.[૨] તેમના પિતા એઝુમાવિલ નિલકંઠન ભટ્ટાત્રિપદ સંસ્કૃત અને આયુર્વેદના પંડિત હતા અને તેમની માતા ઉમયામ્બા થમ્પૂરાટ્ટી કવયિત્રી અને લેખિકા હતા. તેમણે લખેલ પુસ્તક પાર્વતી સ્વયંવર એ તેમના મૃત્યુ બાદ રવિ વર્માએ પ્રકાશિત કરાવેલું. તેમને એક બહેન મંગળાબાઇ અને બે ભાઇઓ ગોદા વર્મા (જ. ૧૮૫૪) અને રાજા વર્મા (જ. ૧૮૬૦) હતા. તે પૈકી રાજા વર્મા પણ ચિત્રકાર હતા અને તેમણે રવિ વર્માની સાથે જ પોતાનુ જીવન વ્યતિત કર્યું. યુવાન વયે જ ત્રાવણકોરના મહારાજા ઐલયમ થીરુનાલનો આશ્રય મળતાં તેમની ઔપચારિક તાલીમની શરુઆત થઈ.[૩] તેમણે ચિત્રકારીના બુનિયાદી પાઠ મદૂરાઈથી શિખ્યા. બાદમાં પાણી રંગોની ચિત્રકારી રામાસ્વામી નાયડુ પાસેથી અને તૈલચિત્રોની કલા ડચ છાયાચિત્રકાર થીઓડોર જેન્સોન પાસેથી શિખ્યાં.

વર્ષ ૧૮૬૬ માં, ૧૮ વર્ષની ઉંમરે તેમના લગ્ન ત્રાવણકોર રજવાડાના મવેલિક્કર રાજ ઘરાનામાં ભગીરથી નામની ૧૨ વર્ષની કન્યા સાથે થયા. ભગીરથીનું મૂળ નામ પૂરુરુટ્ટતી નાલ ભગિરથી બાઈ હતું. તે તેમણી ત્રણ બહેનોમાં સૌથી નાના હતાં. તેમની મોટી બે બહેનોને ૧૮૫૭ ની સાલમાં ત્રાવણકોર રાજઘરાનામાં દત્તક આપવમાં આવી હતી. એ બન્ને બહેનો અટ્ટીંગલની રાણીઓ તરીકે ઓળખાતી હતી. આ જ કારણોસર રાજા રવિ વર્માના ત્રાવણકોર રાજ્ય સાથેના સંબંધો વધુ ગાઢ હતા. રવિ વર્માને પાંચ સંતાનો હતા જેમાં બે પુત્ર અને ત્રણ પુત્રીઓનો સમાવેશ થતો હતો. તેમનો સૌથી જ્યેષ્ઠ પુત્ર કેરાલા વર્મા (જ. ૧૮૭૬) ખૂબ જ આધ્યાત્મિક વૃતિવાળો હતો. તેણે જીવનપર્યંત લગ્ન ન કર્યા અને ૧૯૧૨ માં ઈશ્વરની શોધ માટે ગૃહત્યાગ કર્યો. નાનો પુત્ર રામા વર્મા (જ, ૧૮૭૯)એ તેના પિતાના વારસાને સંભાળ્યો અને મુંબઈની જે. જે. સ્કૂલ ઓફ આર્ટ્સમાંથી શિક્ષણ મેળવ્યું. તેમની જ્યેષ્ઠ પુત્રી ઐલયમ નાલ મહાપ્રભા રવિ વર્માના બે ચિત્રોમાં જોવા મળે છે.

રાજા રવિ વર્મા પ્રેસ[ફેરફાર કરો]

ત્રાવણકોરના દિવાન ટી. માધવ રાવની સલાહથી ૧૮૯૪માં રવિ વર્માએ એક લિથોગ્રાફિક પ્રિંટીંગ પ્રેસ ઘાટકોપર, મુબંઈ ખાતે શરૂ કર્યો. જે ૧૮૯૯માં મહારાષ્ટ્રના લોનાવાલા ખાતે સ્થળાંતરીત કરાયો હતો. આ પ્રેસ દ્વારા રામાયણ, મહાભારત અને પુરાણના પ્રસંગો અને દેવી દેવતાના ચિત્રો છાપવામાં આવ્યાં. આ ચિત્રો ૧૯૦૬ ની સાલમાં રવિ વર્માના નિધન બાદ પણ વર્ષો સુધી હજારોની સંખ્યામાં છપાતા રહ્યાં. રાજા રવિ વર્મા પ્રેસએ તે સમયનો ભારતનો સૌથી મોટો પ્રેસ હતો. આ પ્રેસનું વહિવટી સંચાલન રવિ વર્માના ભાઇ રાજા વર્માના હસ્તક હતું પણ તેમના વહિવટમાં પ્રેસને ખૂબ જ આર્થિક નુકસાન ભોગવવુ પડ્યું. ૧૮૯૯માં પ્રેસે નાદારી નોંધાવી અને ૧૯૦૧માં આ પ્રેસ, જર્મનીના એક ટેકનીશિયનને વેચી દેવામાં આવ્યો. શરુઆતમાં આ ટેકનિશીયન દ્વારા પણ રવિ વર્માના ચિત્રોનું વેચાણ ચાલુ રાખ્યું. સમય જતાં તેણે એક કલાકારને ભાડે રાખ્યો. પાછળથી સ્રેડીન્જરે આ પ્રેસનો વિસ્તાર કર્યો અને તેનો વાણિજ્યીક અને વિજ્ઞાપન છાપવામાં ઉપયોગ કર્યો. ૧૯૭૨માં આગને કારણે આ પ્રેસને નુકસાન થયું ત્યાં સુધી આ પ્રેસ કાર્યરત રહ્યો. આગમાં રવિ વર્માના ઘણા બધા અસલી લિથોગ્રાફિક ચિત્રો નાશ પામ્યાં.[૪]

કલા કારકિર્દી[ફેરફાર કરો]

બ્રિટીશ વહિવટદાર એડાગર થર્સ્ટનનો રવિ વર્મા અને તેમના ભાઇની કારકિર્દી ઘડવામાં વિશેષ ફાળો રહ્યો છે.[૫] ૧૮૭૩માં વિએના ખાતે યોજાયેલી આંતરરાષ્ટ્રીય ચિત્ર પ્રદર્શિનીમાં એવોર્ડ જીત્યા બાદ તેમની કલાને વૈશ્વિક સ્તરે અનુમોદન મળ્યું. ૧૮૯૩માં શિકાગો ખાતે યોજાયેલી આંતરરાષ્ટ્રીય ચિત્ર પ્રદર્શિનીમાં બે સુવર્ણ પદક મેળવ્યાં. ચિત્ર પ્રેરણા મેળવવા તેઓ સમગ્ર ભારતમાં ફર્યા. મહાભારતના પાત્રો પૈકી દુશ્યંત – શકુંતલા અને નળ – દમયંતિના ચિત્રો એ એમને ખાસ્સી પ્રસિદ્ધિ અપાવી. તેમના ઘણા ખ્યાતનામ ચિત્રો વડોદરા ખાતે લક્ષ્મી વિલાસ પેલેસમાં સંગ્રહાયેલાં છે. અન્ય કેટલાંક ચિત્રો મૈસૂર અને ત્રાવણકોરના મહેલમાં સચવાયેલાં છે.

સન્માન[ફેરફાર કરો]

ટપાલ ટિકિટ પર રાજા રવિ વર્મા (૧૯૭૧)
  • ૧૯૦૪માં વાઈસરોય લોર્ડ કર્ઝને બ્રિટીશ રાજા તરફથી વર્માને કેસર-એ-હિંદનો સુવર્ણ પદક આપ્યો. જેમાં સૌ પ્રથમ વાર તેમનો રાજા રવિ વર્મા તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો.[૨]
  • મવેલીકારા, કેરળ ખાતે એક ફાઈન આર્ટસ કોલેજને રાજા રવિ વર્મા નામ આપવામા આવ્યું છે.
  • કોલિમનૂર ખાતેની માધ્યમિક શાળાને રવિ વર્માનું નામ આપવામાં આવ્યું છે. એવી ઘણી સાંસ્કૃતિક શિક્ષણ સંસ્થાઓ છે જેમને રવિ વર્માનું નામ અપાયુ છે.
  • ૨૦૧૩માં બુધ ગ્રહ પરના એક ક્રેટરને તેમના સન્માનમાં રવિ વર્મા નામ અપાયું છે.
  • ભારતીય કલા જગતના તેમના યોગદાન અનુસંધાને કેરળ સરકાર દ્વારા દર વર્ષે કલાના ક્ષેત્રમાં ઉત્કૃષ્ઠ પ્રદાન કરનારને રાજા રવિ વર્મા પુરસ્કાર અપાય છે.
  • તેમના મૃત્યુની ૬૫મી વરસી પર ભારતીય ટપાલ વિભાગ દ્વારા તેમની એક ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી છે. જેના પર તેમનું છાયાચિત્ર અને તેમનું પ્રસિદ્ધ ચિત્ર દમયંતિ અને હંસ જોવા મળે છે.

પ્રસિદ્ધ ચિત્રો[ફેરફાર કરો]

  • ગ્રામ્ય સુંદરી
  • વિચારમગ્ન સ્ત્રી
  • હંસ સાથે વાત કરતી દમયંતિ
  • સંગીત વૃંદ
  • અર્જુન અને સુભદ્રા
  • ભગ્નહ્રદયા
  • શકુંતલા
  • રાજદૂત તરીકે ભગવાન કૃષ્ણ
  • રાવણ સામે ક્ષતવિક્ષત જટાયુ
  • ઇંદ્રજીતનો વિજય
  • યાયાવર
  • વાંસળી વગાડતી સ્ત્રી
  • મંદિરમાં ફળ ચડાવતી સ્ત્રી
  • રામ અને વરુણ્દેવ
  • નાયર સ્ત્રી
  • પ્રેમમગ્ન યુગલ
  • કિચકથી ભયભીત દ્રૌપદી
  • શંતનુ અને મત્સ્યગંધા
  • રાજા દુશ્યંતને પત્ર લખતી શકુંતલા
  • ઋષિ કન્યા
  • ત્રાવણકોરની
  • શ્રી સન્મુખ સુબ્રમણ્યમ સ્વામી
  • પંખો લઈ ઉભેલી સ્ત્રી
  • મૈસૂરના રાજાનું ઘોડા સાથેનુ ત્રિપરિમાણીય ચિત્ર

ચિત્ર ઝરુખો[ફેરફાર કરો]

અન્ય[ફેરફાર કરો]

  • ચેન્નાઈ સિલ્કના સંચાલક શિવલિંગમએ રવિ વર્માના ૧૧ ચિત્રો દર્શાવતી એક સાડી તૈયાર કરેલી જેનો ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સમાવેશ કરવામાં આવ્યો છે. વિવાહ પત્તુ તરીકે ઓળખતી આ સાડી વર્ષ ૨૦૦૮ની સૌથી મોંઘી સાડી (૪૦ લાખ) બની હતી. તેનુ વજન લગભગ ૮ કિલોગ્રામ જેટલું હતું અને તેને તૈયાર કરવામાં એક વર્ષનો સમય લાગ્યો હતો.
  • વર્ષ ૨૦૧૦માં ભારતીય દિગ્દર્શક લેનીન રાજેન્દ્રએ મલયાલમ ફિલ્મ મકરમાન્જુ (ધ મિસ્ટ ઓફ કેપ્રીકોર્ન) બનાવી હતી જે રવિ વર્માના જીવનના કેટલાક અંશો રજૂ કરતી હતી.
  • વર્ષ ૨૦૧૪માં ફિલ્મ નિર્માતા કેતન મહેતાએ રણદીપ હુડ્ડાને રવિ વર્માના પાત્રમાં રજૂ કરતી ફિલ્મ રંગરસિયાનું નિર્માણ કર્યું હતું.
  • મહારાષ્ટ્ર રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ દ્વારા રવિ વર્માની સ્વામી વિવેકાનંદ સાથેની મુલાકાત વર્ણવતું પ્રકરણ અપૂર્વ ભેટ શિર્ષક હેઠળ મૂકવામાં આવ્યુ છે. જે રણજીત દેસાઇ લિખિત નવલકથા રાજા રવિ વર્મા પર આધારિત છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Restoring works of art". The Hindu. મૂળ માંથી 18 એપ્રિલ 2015 પર સંગ્રહિત. મેળવેલ 18 April 2015.
  2. ૨.૦ ૨.૧ પાલ, દિપાંજના (2011). ચિત્રકાર. રેન્ડમ હાઉસ ઈન્ડિયા. ISBN 9788184002614. મેળવેલ 18 April 2015.
  3. "ધ ડાયરી ઓફ રાજારાજા વર્મા"
  4. ડેવીસ, રિચાર્ડ (૨૦૧૨). ઈશ્વરનું મુદ્રણ: ભારતીય ઐતિહાસિક કલાની ઉત્તમ કૃતિ. કેલિફોર્નિયા: મંડાલા પબ્લિશિંગ. પૃષ્ઠ ૮૩. ISBN 9781608871094.
  5. મીત્તેર, પાર્થ (1994). આર્ટ એન્ડ નેશનાલીઝમ ઈન કોલોનીકલ ઈન્ડિયા ૧૮૫૦-૧૯૨૨: ઓક્સીડેન્ટલ ઓરીએન્ટેશન્સ. કેમ્બ્રિજ યુનિવર્સીટી પ્રેસ. પૃષ્ઠ ૬૯, ૧૯૩, ૨૦૮. ISBN 978-0-52144-354-8.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]