શ્રી શામળાબાપા આશ્રમ - રૂપાવટી

વિકિપીડિયામાંથી
ચિત્ર:Shri Samlabapa - Rupavati.jpg
સંતશ્રી શામળા બાપા-રૂપાવટી

શ્રી શામળાબાપા આશ્રમ - રૂપાવટીભારત દેશનાં પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યનાં ભાવનગર જિલ્લાનાં ગારીયાધાર તાલુકાનાં રૂપાવટી ગામે આવેલો સંત શામળાબાપાનો આશ્રમ છે.

સ્થળ[ફેરફાર કરો]

આ આશ્રમે પહોંચવા માટે ગારીયાધાર ગામેથી પાકા ડામર માર્ગે જઈ શકાય છે. રૂપાવટી ગામની આજુબાજુ સારીંગપર, ભંડારીયા, ગણેશગઢ, પાલડી જેવા ગામો આવેલા છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

સંતશ્રી શામળાબાપા એ જે અન્નક્ષેત્ર શરૂ કર્યુ જે આજે પણ ચાલુ છે. હાલ આ જગ્યામાં દર પુનમે મેળો ભરાય છે. શામળાબાપા ભાવનગર જિલ્લાનાં ગારીયાધાર તાલુકાનાં રૂપાવટી ગામે મહાન સંત થયા. તેનો જન્મ વિક્રમ સંવત ૧૯૬૮ ને ફાગણ સુદ ૧૫ ને રવિવારનાં દિવસે ભાવનગર જિલ્લાનાં ગારીયાધાર તાલુકાનાં પરવડી ગામે સોરઠીયા વણીક જ્ઞાતિમાં થયો હતો. તેમનાં પિતાનું નામ જીવરાજભાઈ અને માતાનું નામ દેવકુંવરબેન હતું. શામળાબાપાનું પુર્વાશ્રમનું નામ બાલુભાઈ હતું. તેમના માતા-પિતા પણ ભક્તિનાં રંગે રંગાઈ ગયેલા હતાં. કહેવાય છે કે જયારે શામળાબાપાનો જન્મ થયો, ત્યારે પરવડી ગામમાં સંતશ્રી આત્મારામબાપા રામ જન્મ થયો, રામ જન્મ થયો તેવો જયઘોષ કર્યો અને આદી, અનાદી, અલખનાં આ અવતારી પુરૂષનાં એંધાણ દીધા હતાં. આમ શામળાબાપાએ પોતાનાં સંસારીક જીવનમાં બાલુભાઈ તરીકે તેમનું જીવન શરૂ કર્યુ હતું. બાલુભાઈ પોતાની જીદંગીમાં હજુ તો ડગ માંડતા હતાં, તેવામાં જ એક કરૂણ પ્રંસંગ બન્યો. તેમની ઉમંર માંડ હજુ તો બે થી અઢી વર્ષની હશે અને બન્યું એવું કે તેમના પિતા જીવરાજભાઈનું અવસાન થયું. તેઓ તો સંસારની આવી આટીઘુંટીની કોઈ પણ જાતની જાણ વગર જ દિવસો પસાર કરતા હતા. તે સમયે આ અવતારી પુરૂષનો ઉછેર પણ કારમી ગરીબીમાં થયો હતો. જીંદગીના આવા કપરા સમયે બાલુભાઈને લઈને તેમની માતા દેવકુંવરબેન તેમના મોસાળ એવા તાતણીયા ગયા હતા. જેથી બાલુભાઈનું બાળપણ ત્યાં વિત્યું હતું. બાલુભાઈની માતાને તેમના પુત્રના ભવિષ્યની ચિંતા થવા લાગી. જેથી તેઓએ બાલુભાઈને રાજકોટ શહેરમાં છાત્રાલય (બોર્ડીંગ)માં મોકલી આપ્યા. જયાં રહીને તેઓ અભ્યાસ કરી શકે. તેઓના રાજકોટમાં અભ્યાસ દરમિયાન એક દિવસ એક પ્રસંગ બન્યો. એક દિવસ બાલુભાઈ પણ છાત્રાલયના વિધાર્થીઓ સાથે સંતશ્રી રણછોડદાસજી મહારાજનાં દર્શને ગયા. ત્યાં બાપુનાં સાનિધ્યમાં બધા વિધાર્થીઓ વંદન કરીને બેઠા હતા, ત્યારે શ્રી રણછોડદાસજીબાપુએ બાલુભાઈને કહ્યું કે, તું એકલો મારી પાસે આવજે. તે સમયથી જ બાલુભાઈનાં રોમેરોમમાં આનંદ થવા લાગ્યો અને એક દિવસ તેઓ છાત્રાલયમાંથી રજા લઈને શ્રી રણછોડદાસજીબાપુ પાસે પહોંચી ગયા. ત્યાં જઈને બાપુનાં ચરણસ્પર્શ કરીને, સામે બેસી ગયા. તે સમયે જ શ્રી રણછોડદાસજીએ બાલુભાઈને કહ્યું કે, તું તપેશ્વરી થઈશ, રાજેશ્વરી થઈશ, યોગેશ્વરી થઈશ. આ સાંભળતા જ તેમના મનમાં વિચારોનાં વમળો ઉઠવા લાગ્યા. તેઓના જન્મ સમયે શ્રી આત્મારામજીબાપુએ જ જયઘોષ કર્યો હતો અને આજે શ્રી રણછોડદાસજીબાપુએ કહ્યું કે તું તપેશ્વરી થઈશ. જેથી તેઓને અહીંથી જ થવા લાગ્યું કે મારો જન્મ જ સેવા કરવા માટે જ થયો છે. આમ તેઓના અભ્યાસની સાથે ધાર્મિક રુચી પણ જાગૃત થઈ હતી.[સંદર્ભ આપો]

આશ્રમનાં મહંતો[ફેરફાર કરો]

  • શ્રી શામળાબાપા : આ આશ્રમનાં સ્થાપક શ્રી શામળાબાપા હતાં. જેથી તે ગાદીનાં પ્રથમ મહંત ગણાય છે. આ આશ્રમે પ્રથમ તો ફકત ઝુંપડીથી શરૂઆત થઈ હતી. જે સમય જતા શામળાબાપાએ તેનાં સેવકો દ્વારા લોકોને રહેવા તથા જમવાની સગવડતા પણ અહીં છે આમ આ આશ્રમની સ્થાપનાથી શામળાબાપા બ્રહ્મલીન થયા ત્યાં સુધી ગાદીએ મહંત તરીકે રહ્યા.
  • શ્રી મોહનદાસ બાપા : આ આશ્રમની ગાદીએ શામળાબાપા બહ્મલીન થયા ત્યાર પછી તેમનાં શિષ્ય શ્રી મોહનદાસજી ગુરૂશ્રી શામળાબાપા ને તિલક કરવામાં આવ્યુ હતું. આમ શ્રી મોહનદાસ બાપા હાલ આ આશ્રમની તમામ જવાબદારીઓ સંભાળે છે. તેઓ પણ સેવાભકિતનાં રંગે રંગાઈને આશ્રમની આરાધનામાં પરોવાઈ ગયા છે. અને ખુબજ વિકાસ કરી રહ્યા છે. તેમનો પણ એક જ મંત્ર છે કે, ભુખ્યાને ભોજન કરાવો અને સીતારામનું નામ લો.

આશ્રમમાં ઉજવાતા પ્રંસંગો[ફેરફાર કરો]

  • ગુરૂપૂર્ણિમા તથા દરેક પૂર્ણિમા ઉજવાય છે.
  • શ્રી શામળાબાપાની જન્મજયંતિ (ફાગણ સુદ પૂર્ણિમા)
  • શ્રી શામળા બાપા ની નિર્વાણ તિથિ (આસો વદ બીજ)

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]