સંજય કુમાર

વિકિપીડિયામાંથી
સુબેદાર
સંજય કુમાર
PVC
સંજય કુમાર
જન્મ (1976-03-03) 3 March 1976 (ઉંમર 48)
કાલોલ બકૈન, બિલાસપુર જિલ્લો, હિમાચલ પ્રદેશ, ભારત
દેશ/જોડાણભારત ભારત
સેવા/શાખા ભારતીય સેના
હોદ્દોસુબેદાર
સેવા ક્રમાંક13760533
દળજમ્મુ અને કાશ્મીર રાઇફલ્સ
યુદ્ધોકારગિલ યુદ્ધ
પુરસ્કારો પરમવીર ચક્ર

નાયબ સુબેદાર[૧][૨] સંજય કુમાર (જન્મ ૩ માર્ચ ૧૯૭૬ પરમવીર ચક્ર[૩]) ભારતીય ભૂમિસેનાના સૈનિક અને જુનિયર કમિશન ઓફ઼િસર છે. તેમને ભારતના સર્વોચ્ચ વીરતા પુરસ્કાર પરમવીર ચક્રથી સન્માનિત કરાયા છે.

જીવનચરિત્ર[ફેરફાર કરો]

કુમારનો જન્મ બિલાસપુર જિલ્લો, હિમાચલ પ્રદેશના કાલોલ બકૈન ગામમાં થયો હતો. સેનામાં જોડાવા પહેલાં તેઓ દિલ્હી ખાતે ટેક્સી ચાલક તરીકે કામ કરતા હતા.[૪] સૈન્યમાં પસંદગી પામતાં પહેલાં તેમની અરજી ત્રણ વખત નકારવામાં આવી હતી.

૪ જુલાઈ ૧૯૯૯ના દિવસે તેઓ ૧૩મી પલટણ જમ્મુ અને કાશ્મીર રાઇફલ્સની દિશાશોધક ટુકડીની આગેવાની કરી રહ્યા હતા. તેમનું કાર્ય કારગિલ યુદ્ધ દરમિયાન એરિયા ફ઼્લેટ ટોપ કબ્જે કરવાનું હતું. તે વિસ્તાર પર પાકિસ્તાની સૈનિકોનો કબ્જો હતો. કરાડ પર ચઢાણ કર્યા બાદ તેમની ટુકડી આશરે ૧૫૦ મીટર દૂરના દુશ્મન બંકર દ્વારા કરેલા મશીન ગન ફાયરને કારણે ફસાઈ ગઈ અને આગળ વધતી અટકી ગઈ.

કુમાર તુરત જ પરિસ્થિતિની ગંભીરતા સમજી ગયા અને એરિયા ફ્લેટ ટોપને કબ્જે કરવાના કાર્યમાં બંકર દ્વારા પડી શકતી મુશ્કેલી પણ આંકી લીધી. તેઓ કરાડની કિનાર સુધી સરકી અને પહોંચી ગયા અને બાદમાં ગોળીઓની ઝડી વચ્ચે બંકર તરફ઼ ધસ્યા. તુરંત જ તેમને બે ગોળી છાતી અને હાથના ભાગે વાગી અને તેઓ લોહીલુહાણ થઈ ગયા.

ગોળીઓના જખમમાંથી લોહી વહેવા છતાં બંકર તરફ઼ ધસવાનું ચાલુ રાખ્યું. હાથોહાથની લડાઈમાં ત્રણ દુશ્મન સૈનિકોને મારી નાખ્યા. ત્યારબાદ તેમણે દુશ્મનની મશીન ગન ઉપાડી લીધી અને બીજા બંકર તરફ઼ ધસ્યા. દુશ્મન સૈનિકો આનાથી ડઘાઈ ગયા અને ભાગવા જતાં કુમારના હાથે માર્યા ગયા. આ બહાદુરીથી પ્રેરાઈને ટુકડીએ એરિયા ફ઼્લેટ ટોપ પર હુમલો કર્યો અને આખો વિસ્તાર કબ્જે કરી લીધો.

અન્ય માધ્યમોમાં[ફેરફાર કરો]

કારગિલ યુદ્ધ પર બનેલ ચલચિત્ર એલઓસી કારગિલમાં અન્ય વાર્તાઓ સાથે કુમારની વાર્તાનું પણ ચિત્રાંકન કરાયું છે. ચલચિત્રમાં કુમારનું પાત્ર પ્રસિદ્ધ અભિનેતા સુનીલ શેટ્ટી ભજવે છે.

પદ વિશેનો વિવાદ[ફેરફાર કરો]

૨૦૧૦માં કુમારને હવાલદારમાંથી બે પદ નીચે લાન્સ નાયક બનાવી દેવામાં આવ્યા. સેનાએ આ વિશે કોઈ કારણ આપવાની ના પાડી. વધુમાં સમાચાર માધ્યમોમાં કુમારને હવાલદાર તરીકે જ સંબોધી હકીકતને છુપાવી.[૫] પરમવીર ચક્ર વિજેતા કોઈપણ હોદ્દા પર હોય તેમને સલામ આપવાની હોય છે અને આ જ મુદ્દો કુમાર અને અન્ય ઉચ્ચ અધિકારીઓ વચ્ચે વિવાદનું કારણ હતો.[૫]

કુમારને હિમાચલ પ્રદેશ સરકારે નોકરીની તક આપી અને કદાચ તેઓ સેનાના નિવત્તિ બાદ મળતા લાભો મળવાપાત્ર થયા બાદ તે સ્વીકારે તેવી શક્યતા છે.[૫]

જુલાઈ ૨, ૨૦૧૪ના રોજ સંજય કુમાર જુનિયર કમિશન ઓફ઼િસર થયા. એક સમયે જ્યારે તેમને હવાલદારમાંથી લાન્સ નાયક બનાવાયા હતા ત્યારે તેમની બઢતી વિવાદનો મુદ્દો બની હતી, જેમાં ઉચ્ચ અધિકારીઓની દરમિયાનગીરીથી મામલો શાંત થયો હતો. સેનામાં વીરતા પુરસ્કાર મેળવનાર સૈનિકોને બઢતી માટે સમાન જ કાયદા લાગુ પડે છે અને તેમને સાથી સૈનિકોની જેમ જ અનુભવને આધારે જ બઢતી મળે છે.[૧][૨]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ "NDTV Video, at 21:37 Sanjay Kumar is shown to be a Naib Subedar". NDTV. ૨૦૧૪. મેળવેલ ૧૪ ઓગસ્ટ ૨૦૧૪.
  2. ૨.૦ ૨.૧ Sura, Ajay (૨૦૧૪). "15th anniversary of Kargil War becomes extra special for brave heart Sanjay". Times of India. મેળવેલ ૧૪ ઓગસ્ટ ૨૦૧૪.
  3. "Param Vir Chakra Winner of Bilaspur (H.P.)". hpbilaspur.gov.in. ૨૦૧૩. મૂળ માંથી 2014-02-28 પર સંગ્રહિત. મેળવેલ ૧૮ ફેબ્રુઆરી ૨૦૧૪.
  4. http://timesofindia.indiatimes.com/city/chandigarh/15th-anniversary-of-Kargil-War-becomes-extra-special-for-brave-heart-Sanjay/articleshow/38983145.cms
  5. ૫.૦ ૫.૧ ૫.૨ Dutta, Anshuman G. (૨૭ જાન્યુઆરી ૨૦૧૦). "Double demotion for Kargil hero". Mid Day. મૂળ માંથી 2016-01-15 પર સંગ્રહિત. મેળવેલ ૧૮ ફેબ્રુઆરી ૨૦૧૪.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]