સિદ્ધપુર

વિકિપીડિયામાંથી
સિદ્ધપુર
—  નગર  —
સિદ્ધપુરનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 23°54′51″N 72°22′18″E / 23.91408°N 72.371597°E / 23.91408; 72.371597
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો પાટણ
તાલુકો સિદ્ધપુર
વસ્તી ૬૧,૮૬૭[૧] (૨૦૧૧)
લિંગ પ્રમાણ ૯૩૦ /
સાક્ષરતા ૮૪% 
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો આંગણવાડી, પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, ઉચ્ચતર માધ્યમિક શાળા, નગર પાલિકા , ઇજનેરી કોલેજ , નર્સિંગ કોલેજ , ડેન્ટલ કોલેજ , હોટેલ મેનેજમેન્ટ કોલેજ , કોમર્સ કોલેજ, કેન્સર હોસ્પીટલ, આયુર્વેદિક હોસ્પીટલ, જનરલ હોસ્પીટલ, દાંતનું દવાખાનું
મુખ્ય વ્યવસાયો વ્યાપાર, ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેત-ઉત્પાદનો ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી,
કપાસ, દિવેલા, રજકો, શાકભાજી

સિદ્ધપુર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના પાટણ જિલ્લામાં આવેલા કુલ ૮ (આઠ) તાલુકાઓ પૈકી સિદ્ધપુર તાલુકામાં આવેલું નગર છે, જે તાલુકાનું મુખ્ય મથક પણ છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

પ્રાચીન સરસ્વતી નદીના કાંઠે વસેલું સિદ્ધપુર

સિદ્ધપુર શ્રીસ્થળ તરીકે જાણીતું હતું.[૨] તેનો ઉલ્લેખ ઋગ્વેદમાં દાશુ ગામ તરીકે કરાયો છે. દંતકથા મુજબ ઋષિ દધિચિએ તેમનાં હાડકાં ઇન્દ્રને વજ્ર બનાવવા માટે અહીં અર્પણ કર્યા હતા. સિદ્ધપુર ગંગા અને સરસ્વતી નદીઓના સંગમ પર વસેલું હોવાનું મનાતું હતું. મહાભારત કાળ દરમિયાન પાંડવો અજ્ઞાતવાસમાં અહીં રહ્યા હોવાનું પણ મનાય છે. ૪થી-૫મી સદી દરમિયાન આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં ઇરાનથી આવેલા ગુર્જરો સ્થાયી થયા હતા.

૧૦મી સદીની આસપાસ, સોલંકી વંશના શાસન દરમિયાન શહેરની ખ્યાતિ ટોચ પર પહોંચી હતી. સિદ્ધરાજ જયસિંહે તેની રાજધાની અહીં વસાવી હતી એટલે શહેરનું નામ સિદ્ધપુર પડ્યું. તેણે શિવ મંદિર, રમણીય મહેલો અને ૮૦ મીટર ઉંચો મિનારો બંધાવ્યો હતો. તેણે મથુરાથી બ્રાહ્મણોને અહીં બોલાવ્યા અને વસાવ્યા હતા. ૧૨મી સદી દરમિયાન મહંમદ ઘોરીએ તેના સોમનાથ પરના આક્રમણ વખતે શહેરનો નાશ કર્યો. આશરે ૩૦,૦૦૦ લોકોની કત્લ કરવામાં આવી હતી અને સોલંકી સામ્રાજ્યનો નાશ થયો.

ગુજરાત સલ્તનત વખતે શહેર પાલનપુર રજવાડાના શાસકોના શાસન હેઠળ હતું. ૧૫મી સદી દરમિયાન તે અકબર દ્વારા મુઘલ વંશ હેઠળ આવ્યું. આ સમય દરમિયાન શહેરનો ફરીથી વિકાસ થયો હતો.

૧૪મી સદીમાં ભવાઇના રચયિતા અસૈત ઠાકરનો જન્મ અહીં થયો હતો.[૩] સાંખ્ય દર્શનના રચિયતા કપિલ મુનીની જન્મભૂમી પણ સિદ્ધપુર છે.

ભૂગોળ[ફેરફાર કરો]

સિદ્ધપુરમાંથી કુંવારીકા તરીકે ઓળખાતી સરસ્વતી નદી વહે છે, જેના કિનારે માતૃપક્ષના શ્રાદ્ધની વિધિ કરવામાં આવે છે.

જોવાલાયક સ્થળો[ફેરફાર કરો]

સરસ્વતી નદીને કિનારે વસેલું સિદ્ધપુર સ્વયંભુ શિવ મંદિરો થી ઘેરાયેલું છે. ઉત્તર પૂર્વ છેડે ચમ્પ્કેશ્વર મહાદેવ, પૂર્વમાં અરવડેશ્વર મહાદેવ, બ્રહ્માંડેશ્વર મહાદેવ, વાલકેશ્વર મહાદેવ, પશ્ચિમમાં વટેશ્વર મહાદેવ આવેલા છે. મુક્તિધામ, બિંદુ સરોવર, રુદ્રમાળ અને અરુડેશ્વર સિદ્ધપુરના મહત્વના જોવાલાયક સ્થળો છે. ઇ.સ. ૨૦૧૭માં બિંદુ સરોવર નજીક સિદ્ધપુર પ્રદેશની સંસ્કૃતિની ઝાંખી દર્શાવતા શ્રીસ્થળ સંગ્રહાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે.

છબીઓ[ફેરફાર કરો]

વસ્તી[ફેરફાર કરો]

૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે ૬૧,૮૬૭ લોકો સિદ્ધપુર માં વસે છે. જેમાં ૩૨,૦૫૪ પુરુષો અને ૨૯,૮૧૩ સ્ત્રીઓ છે. સિદ્ધપુરમાં સાક્ષરતા દર ૮૪% છે, જે રાષ્ટ્રીય સાક્ષરતાના દર કરતા વધુ છે. પુરુષોનો સાક્ષરતા દર ૭૯.૯% છે, જયારે સ્ત્રીઓનો ૬૮.૪% છે. ૧૨% જેટલી વસ્તી ૬ વર્ષ કરતા નાના બાળકોની છે.[૧]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ "Sidhpur Population, Caste Data Patan Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2019-04-17 પર સંગ્રહિત. મેળવેલ ૭ જૂન ૨૦૧૭.
  2. Burgess; Murray (૧૮૭૪). "The Rudra Mala at Siddhpur". Photographs of Architecture and Scenery in Gujarat and Rajputana. Bourne and Shepherd. પૃષ્ઠ ૧૯. મેળવેલ ૨૩ જુલાઇ ૨૦૧૬.
  3. Amaresh Datta (૧૯૮૭). Encyclopaedia of Indian Literature: A-Devo. Sahitya Akademi. પૃષ્ઠ ૨૩૬. ISBN 978-81-260-1803-1.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]