હેમુ ગઢવી

વિકિપીડિયામાંથી
હેમુ ગઢવી
જન્મની વિગત(1929-09-04)4 September 1929
મૃત્યુ20 August 1965(1965-08-20) (ઉંમર 35)
પડધરી, ગુજરાત
રાષ્ટ્રીયતાભારતીય
પ્રખ્યાત કાર્ય
  • ગાયક, અભિનેતા અને નાટ્યકાર
સંતાનોબિહારીદાન ગઢવી

હેમુભાઈ ગઢવીગુજરાતી લોકસંગીતના ગાયક, અભિનેતા અને નાટ્યકાર હતાં.

પ્રારંભિક જીવન[ફેરફાર કરો]

તેમનો જન્મ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યનાં સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં આવેલા ઢાંકણીયા ગામે ૪ સપ્ટેમ્બર ૧૯૨૯ નાં દિવસે થયો હતો. તેમના પિતાનું નામ નાનભા અને માતાનું નામ બાલુબા હતું તેમજ તેમના પત્નિનું નામ હરિબા હતું.

લોકગીત અને ભજનનો તેમને નાનપણથી જ શોખ હતો. જેથી તેઓ ૧૪ વર્ષની ઉંમરે શક્તિ પ્રભાવ કલામંદિરમાં મહિને ૧૨ રૂપિયાનાં પગારે જોડાયા હતાં. જેમાં તેને પ્રથમ નાટક મુરલીધરમાં કૃષ્ણની ભુમિકા ભજવીને પોતાનાં અભિનયથી જોવા આવનાર લોકોનાં મન મોહી લીધા હતાં. તે દરમિયાન તેમણે " ગામડુ મુજને પ્યારૂં ગોકુળ" પ્રથમ ગીત ગાયુ હતું. એક વખત તેઓ જામનગર શહેરમાં રાણકદેવી નામનું નાટક ભજવવા ગયેલા. જેમાં તેઓએ રાણકદેવીનું સ્ત્રીનું પાત્ર ભજવ્યુ હતુ અને લોકોનાં દીલ જીતી લીધેલા અને તેનાથી પ્રભાવિત થઈને તે સમયે જામનગર શહેરમાં ચાલતા રાણકદેવી ચલચિત્રનાં નિર્માતા છેક મુંબઈથી આવીને તેઓએ બાળકલાકાર હેમુભાઈને નવાજ્યા હતાં. આમ ધીરે ધીરે તેઓ ચારણી સાહિત્યનો અભ્યાસ કરતા ગયા અને તેનો લોકગીત ગાવામાં અને નાટકમાં ભજવવામાં ઉપયોગ કરતા હતાં. આમ તેઓએ ઈ.સ. ૧૯૫૫ સુધીમાં વાંકાનેરની નાટક કંપની અને રાજકોટની ચૈતન્ય નાટક કંપનીમાં પણ કામ કર્યુ હતું.

કારકિર્દી[ફેરફાર કરો]

આકાશવાણી રાજકોટનાં ગીજુભાઈ વ્યાસ અને ચંદ્રકાંતભાઈ ભટ્ટ એ બન્ને એ હેમુભાઈને નાટક દરમિયાન ખુબજ નજીકથી જોયા હતાં. જેથી તેઓએ હેમુભાઈને આકાશવાણીમાં તેમની સાથે જોડાવા માટે આગ્રહ કર્યો. જેથી હેમુભાઈ ઈ.સ. ૧૯૫૫ ની સાલમાં તાનપુરા કલાકાર તરીકે જોડાયા હતાં. તે દરમિયાન તેઓએ ઝવેરચંદ મેઘાણી અને દુલા કાગનાં સાહિત્યનો અભ્યાસ કરીને લોકસંગીતને વાચા આપી હતી અને આકાશવાણી દ્વારા ગુજરાતનાં ઘર ઘર સુધી પહોંચાડયુ હતું. આમ તેઓએ ઈ.સ. ૧૯૬૫ સુધી રાજકોટ આકાશવાણીમાં સેવા આપી હતી.

ઈ.સ.૧૯૬૨-૬૩ ની સાલમાં કોલંમ્બિયા કંપનીએ તેમની ૭૮ સ્પીકની "સોની હલામણ મે ઉજળી" રેકર્ડ બહાર પાડી હતી. આ ઉપરાંત એચ.એમ.વી. એ શિવાજીનું હાલરડું, અમે મહિયારા રે અને મોરબીની વાણિયણ જેવી રેકર્ડો બહાર પાડેલી હતી. જે આજેય લોકોનાં માનસપટ ઉપર છવાયેલી છે. આ ઉપરાંત તેમને સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર અને પૃથ્વીરાજ ચૌહાણ જેવા યાદગાર નાટકો કરેલા હતાં.

૨૦ ઓગસ્ટ ૧૯૬૫નાં દિવસે પડધરી ખાતે આકાશવાણી માટે રાસડાઓનાં રેકોર્ડીગ કરતી વખતે તેમને હેમરેજ થવાથી ચક્કર આવ્યા અને બાદમાં મૃત્યુ પામ્યા. આમ ફક્ત ૩૬ વર્ષનું આયુષ્ય ભોગવીને તેમનુ અવસાન થયુ. તેમનાં પુત્ર બિહારીદાન ગઢવી પણ લોકસંગીતના ગાયક છે.

સ્વ.હેમુ ગઢવી સ્મૃતિ સંસ્થાન ટ્રસ્ટ[ફેરફાર કરો]

તેમની સ્મૃતિમાં સ્થાયેલા આ ટ્રસ્ટ દ્વારા લોકસંગીતની પ્રવૃત્તિઓ, મીડિયા મેનેજમેન્ટ તેમજ હાલમાં ૨૦૧૭માં તેમના વતન ઢાંકણીયા ખાતે હેમતીર્થ નામથી તેમના સ્મૃતિ સંગ્રહ રૂપ સ્મારક નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

સન્માન[ફેરફાર કરો]

  • રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણનનાં હસ્તે શ્રેષ્ઠ લોકસંગીતનો પુરસ્કાર.
  • ગુજરાત સરકારનો શ્રેષ્ઠ લોકગાયકનો ગૌરવ પુરસ્કાર.
  • કસુંબીનો રંગ ગુજરાતી ચલચિત્રનાં શ્રેષ્ઠ પાશ્વગાયકનો પુરસ્કાર.
  • રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને રાજકોટ શહેરમાં જાહેરમાર્ગને હેમુ ગઢવી માર્ગ નામ આપ્યું.
  • ૧૧ ઓગસ્ટ ૧૯૯૮ નાં રોજ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બાંધવામાં આવેલ ઓડિટોરિયમને હેમુ ગઢવી હોલ નામ આપવામાં આવ્યું.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

લોકગીતો અને ભજનો[ફેરફાર કરો]