અમૃતલાલ યાજ્ઞિક

વિકિપીડિયામાંથી

અમૃતલાલ ભગવાનજી યાજ્ઞિક ગુજરાતી વિવેચક, જીવનવૃતાંત લેખક, નિબંધકાર, સંપાદક અને અનુવાદક હતા.[૧]

જીવન[ફેરફાર કરો]

તેમનો જન્મ ૮ ઓગસ્ટ ૧૯૧૩ના રોજ ધ્રાંગધ્રામાં થયો હતો. તેમણે મેટ્રિક સુધીનું શિક્ષણ ધ્રાંગધ્રામાં પૂર્ણ કર્યું. ૧૯૩૬માં તેમણે બી.એ. અને ૧૯૩૯માં અંગ્રેજી અને ગુજરાતી વિષયોમાં એમ.એ.ની પદવી શામળદાસ કોલેજમાંથી મેળવી. ૧૯૩૯ થી ૧૯૪૦ દરમિયાન તેમણે રામનારાયણ રૂઇયા કોલેજમાં ખંડ સમયના વક્તા તરીકે કામ કર્યું અને ૧૯૪૦ થી ૧૯૬૦ દરમિયાન ગુજરાતી વિષયના પૂર્ણ સમયના વક્તા રહ્યા. તેઓ ૧૯૬૦ થી ૧૯૬૧ દરમિયાન કે.જે. સોમૈયા કોલેજ, મુંબઈ ના સ્થાપક પ્રિન્સીપાલ રહ્યા. ત્યારબાદ તેઓ મીઠીબાઇ કોલેજના પ્રિન્સીપાલ રહ્યા હતા.[૨]

સર્જન[ફેરફાર કરો]

તેમણે મુખ્યત્વે શિક્ષણ, સાહિત્ય અને સમાજ સંસ્કૃતિ પર સર્જન કર્યું. તેમના વિવેચન લેખો ચિદઘોષ (૧૯૭૧) માં સંગ્રહાયા છે. મુખડા ક્યા દેખો દરપન મેં (૧૯૭૯) તેમનું શિક્ષણ અને સમાજ પરનું સર્જન છે. તેમણે કિશોરલાલ મશરૂવાલા (૧૯૮૦) અને ગુલાબદાસ બ્રોકર (૧૯૮૩)નું ટૂંકુ જીવનચરિત્ર ગુજરાતી ગ્રંથકાર શ્રેણી હેઠળ લખ્યું છે.[૨]

જગગંગાનાં વહેતાં નીર (૧૯૭૦), આત્મગંગોત્રીનાં પુનિત જલ (૧૯૭૪), જાગીને જોઉં તો (૧૯૭૬), સમાજગંગાનાં વહેણો (૧૯૮૧), કુટુંબજીવનનાં રેખાચિત્રો (૧૯૮૭) અને વિદ્યાસૃષ્ટિના પ્રાંગણમાં (૧૯૮૭) તેમના શિક્ષણ, સમાજ અને અનુભવો પરનાં નિબંધો છે.[૨]

તેમણે સાહિત્યના બે સંપાદન કાર્યો કર્યા છે; લોકસાહિત્યનું સમાલોચન (૧૯૪૬) અને ગુજરાતમાં ગાંધીયુગ: ઐતિહાસિક અને સાહિત્યિક અવલોકન (૧૯૬૮). કાવ્યસુષમા (૧૯૫૯), વાઙમયવિહાર (૧૯૬૪), અક્ષર આરાધના (૧૯૮૦) અને સાહત્યિક વાદ (૧૯૮૦) તેમના મહત્વના સહ-સંપાદનો છે.[૨][૩]

ધૈર્યશીલોની વીરકથાઓ (૧૯૫૯), શિક્ષણ અને લોકશાહી (૧૯૬૪), અમેરિકાની સંસ્કૃતિની રૂપરેખા (૧૯૬૪), કુમારન્ આશાન્ (૧૯૭૯) તેમના અનુવાદો છે.[૨][૪]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Bhavan's Journal. ૧૯૮૪. પૃષ્ઠ ૭૮.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ ૨.૪ "સવિશેષ પરિચય: અમૃતલાલ યાજ્ઞિક, ગુજરાતી સાહિત્ય પરિષદ". ગુજરાતી સાહિત્ય પરિષદ. મેળવેલ ૯ જુલાઇ ૨૦૧૫.
  3. Indian Literature. Sähitya Akademi. ૧૯૮૪. પૃષ્ઠ ૩૩.
  4. D. S. Rao (૧ જાન્યુઆરી ૨૦૦૪). Five Decades: The National Academy of Letters, India : a Short History of Sahitya Akademi. Sahitya Akademi. પૃષ્ઠ ૫૧. ISBN 978-81-260-2060-7.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]