જે. બી. વોટસન

વિકિપીડિયામાંથી
જે. બી. વોટસન
જન્મની વિગત
જ્હોન બ્રૉડ્સ વૉટસન

(1878-01-09)January 9, 1878
ટ્રાવેલર્સ રેસ્ટ, સાઉથ કેરોલિના, ગ્રીન વિલે
મૃત્યુSeptember 25, 1958(1958-09-25) (ઉંમર 80)
વૂડબરી, કનેક્ટીકટ
રાષ્ટ્રીયતાઅમેરિકન
વૈજ્ઞાનિક કારકિર્દી
ક્ષેત્રમનોવિજ્ઞાન
ડોક્ટરલ સલાહકારજેમ્સ રૉનાલ્ડ એન્જલ[૧]
પ્રભાવઇવાન પાવલોવ
પ્રભાવિતલિયૉનાર્ડ બ્લૂમફિલ્ડ[૨]

જે.બી. વોટસન (પુરુ નામ: જ્હોન બ્રૉડ્સ વૉટસન) (૯ જાન્યુઆરી ૧૮૭૮ – ૨૫ સપ્ટેમ્બર ૧૯૫૮) અમેરિકન મનોવૈજ્ઞાનિક હતા, કે જેઓ મનોવિજ્ઞાનના ઇતિહાસમાં વર્તનવાદના સ્થાપક અને પ્રખર હિમાયતી તરીકે જાણીતા છે. આત્મા, મન તેમજ ચેતનાના વિજ્ઞાન તરીકે ઓળખાતા મનોવિજ્ઞાનને તેમણે વર્તનના વિજ્ઞાન તરીકે ઓળખાવ્યું હતું.[૩]

જીવન[ફેરફાર કરો]

વૉટસનનો જન્મ ૯ જાન્યુઆરી ૧૮૭૮ના રોજ સાઉથ કેરોલિના (ગ્રીનવિલે) ટ્રાવેલર્સ રેસ્ટ શહેરમાં થયો હતો.[૪] વૉટસનની માતા એમા ધર્મિષ્ઠ, ઉદ્યમી, કુટુંબપરાયણ ગૃહિણી હતાં, જ્યારે વૉટસનના પિતા પિકન્સ વૉટસન વ્યસની, પ્રમાદી અને ખરાબ સોબતવાળા હતા. સ્વભાવગત અંતરને કારણે તેમનાં માતાપિતા વચ્ચે અણબનાવ ચાલ્યા કરતો અને પિતા ઘર છોડીને ઘણી વાર જતા રહેતા, તેથી તેમને આર્થિક તંગીનો અનુભવ કરવો પડતો હતો. ગ્રીનવિલે પાસેના નાનકડા ખેતરની ઊપજ પર તેમના સમગ્ર પરિવારનો નિભાવ થતો હતો. પિતા પિકન્સ વૉટસન પોતાનુ સુથારીકામ અને માકન-ચણતરનું કામ પુત્ર વૉટસનને સાથે રાખીને કરતા હતા.[૩]

વૉટસને ગ્રીનવિલેની નાનકડા પરગણા જેવી પ્રાથમિક શાળામાં પ્રારંભિક શિક્ષણ લીધું હતું. કુટુંબના પ્રતિકૂળ વાતાવરણને કારણે વૉટસનનો શાળાકિય અભ્યાસ એકંદરે નબળો રહ્યો હતો. ૧૮૯૪માં સોળ વયે તેમણે ફરમન યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો, જ્યાં તેમણે મનોવિજ્ઞાન ક્ષેત્રે રસ લેવા માંડ્યો. ૧૮૯૭માં તેમણે બી.એ.ની અને ૧૮૯૯માં એમ.એ.ની ડિગ્રી મેળવી. ૧૯૦૩માં તેમણે શિકાગો યુનિવર્સિટીમાંથી પીચ.ડીની ડિગ્રી મેળવી હતી, અને ત્યાં જ તેમણે ૧૯૦૮ સુધી મદદનીશ સંશોધક તરીકે કાર્ય કર્યું હતું.[૩][૪]

૧૯૦૪માં તેમણે શિકાગો યુનિવર્સિટીની સ્નાતક કક્ષાની વિદ્યાર્થીની મેરી સાથે લગ્ન કર્યા હતા. ૧૯૨૦માં પ્રથમ પત્નીથી છૂટાછેડા લીધા બાદ તેમણે તે જ વર્ષે પોતાની પ્રેમિકા રોઝાલી આલ્બર્ટ રેનર સાથે લગ્ન કર્યા હતા.[૩][૪]

પ્રદાન[ફેરફાર કરો]

વૉટસને રચનાવાદ અને કાર્યવાદનો વિરોધ કર્યો અને જણાવ્યું કે મનોવિજ્ઞાનનું વિષયવસ્તુ મન કે ચેતના નહિ પણ વર્તન છે. તેમણે વર્તનવાદને એક નિશ્ચિત અને વ્યવસ્થિત સ્વરૂપ આપ્યું, પરિણામે તેઓ વર્તનવાદના પ્રણેતા તરીકે ઓળખાયા. તેમનો ઉદ્દેશ મનોવિજ્ઞાનને આત્મલક્ષી પ્રવાહથી દૂર લઈ જઈ વસ્તુલક્ષી પ્રવાહમાં મૂકવાનો તેમજ માનવવર્તનનો વૈજ્ઞાનિક અભ્યાસ કરી શકાય છે તે બાબત સમજાવવાનો હતો. વૉટસનનો પ્રથમ ગ્રંથ ધ બિહેવિયર ૧૯૧૪માં, બીજો ગ્રંથ સાયકૉલોજી ફ્રૉમ ધ સ્ટેન્ડપૉઇન્ટ ઑફ્ બિહેવિયારિષ્ટ ૧૯૧૯માં તથા વૉટ ઇઝ બિહેવિયારિઝમ ૧૯૨૬માં પ્રકાશિત થયા હતા. આ ગ્રંથો માનવજાતિના બૌદ્ધિક ઇતિહાસમાં ક્રાંતિકારી હોવાનું 'ન્યૂયૉર્ક ટાઇમ્સે' નોંધ્યું હતું[૩]

વૉટસને રજૂ કરેલા સિદ્ધાંતોમાં 'ઉદ્દીપક-પ્રતિક્રિયા'નો સિદ્ધાંત આધુનિક મનોવિજ્ઞાનમાં સંપૂર્ણ રીતે સ્વીકૃતિ પામ્યો નથી. માનવવર્તનના ઘડતરમાં વાતાવરણ પર તેમણે વધુ પાડતો ભાર મૂક્યો હતો, જેને આજે વંશાનુક્રમ સંબંધી થયેલા સંશોધનો પ્રમાણે પ્રમાણભૂત ગણવામાં આવતો નથી. આમ છતાં મનોવિજ્ઞાનને આત્મલક્ષી ન ગણતાં, તેને વસ્તુલક્ષી ભૂમિકાએ મૂકવાના તેમના કાર્યની પ્રશંસા થયેલ છે.[૩]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "Classics in the History of Psychology" સંગ્રહિત ૨૦૧૫-૦૩-૦૩ ના રોજ વેબેક મશિન: "Watson obtained his Ph.D. under the supervision of Angell 1903."
  2. John G. Fought, Leonard Bloomfield: Biographical Sketches, Taylor & Francis, 1999, p. 233.
  3. ૩.૦ ૩.૧ ૩.૨ ૩.૩ ૩.૪ ૩.૫ કાનાવાલા, શાંતિલાલ છ. (એપ્રિલ ૨૦૦૬). "વૉટસન, જે. બી.". માં ઠાકર, ધીરુભાઈ (સંપાદક). ગુજરાતી વિશ્વકોશ. ખંડ ૨૧ (પ્રથમ આવૃત્તિ). અમદાવાદ: ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ ૭–૮. OCLC 552369142.
  4. ૪.૦ ૪.૧ ૪.૨ Harris, Benjamin (1999). "Watson, John Broadus". American National Biography. New York: Oxford University Press – American National Biography વડે. (લવાજમ જરૂરી) (લવાજમ જરૂરી)

પૂરક વાચન[ફેરફાર કરો]

  • Watson, John B. (1913). "Psychology as the Behaviorist Views it". Psychological Review. 20: 158–177.