અક્ખાણમણિકોસ
અક્ખાણમણિકોસ (સંસ્કૃત: આખ્યાનમણિકોશ) નેમચંદ્રસૂરિ દ્વારા પ્રાકૃતભાષામાં અને આર્યા છંદમાં રચિત ૫૨ ગાથાનો ગ્રંથ છે.[૧] તેની રચના ઇ.સ. ૧૧-૧૨મી સદીમાં થઈ હતી.
લેખન
[ફેરફાર કરો]ગ્રંથમાં કુલ ૪૧ અધિકાર અને ૧૪૬ આખ્યાન છે. તેમાં બુદ્ધિકૌશલ સમજાવવા માટેના ચતુર્વિધ બુદ્ધિવર્ણન અધિકારમાં ભરત, નૈમિત્તિક અને અભયનાં આખ્યાનોનું વર્ણન છે. દાનનો મહિમા સમજાવવા માટેના દાનસ્વરૂપવર્ણન અધિકારમાં ધન, કૃતપુણ્ય વગેરેનાં આખ્યાન છે. ચરિત્રના મહિમા માટેના શીલમાહાત્મ્યવર્ણનમાં સીતા, રોહિણી વગેરે સતીઓની કથાઓ છે. તેમજ તપોમાહાત્મ્યવર્ણનમાં વીરચરિત, વિશલ્યા, શૌર્ય અને રુક્મિણી મધુનાં આખ્યાન છે. ભાવનાસ્વરૂપવર્ણન અધિકારમાં દ્રમક, ભરત અને ઇલાપુત્રનું આખ્યાન આપ્યું છે.[૧]
રૂપેન્દ્રકુમાર પગારિયા મુજબ "આ આખ્યાનકોમાં ઐતિહાસિક તથ્યોનું સંકલન પણ છે. ઘણુંખરું બધી કથાઓ વર્ણનપ્રધાન છે. એમાં સ્ત્રીસ્વભાવનું મર્મસ્પર્શી ચિત્રણ છે. અનેક સ્થળે લોકોક્તિઓનો પ્રયોગ પણ જોવા મળે છે. વિષયવૈવિધ્યની દૃષ્ટિએ આ કોશ પ્રાકૃત કથાઓમાં સૌથી અધિક મહત્ત્વ ધરાવે છે. તેમાં જીવન અને જગત સંબંધી સર્વ પ્રકારનાં તથ્યો પર પ્રકાશ પાડેલો છે. કાવ્યકલાની દૃષ્ટિએ પણ તે ઉત્તમ છે."[૧]
પુન: આવૃત્તિ
[ફેરફાર કરો]મુનિ પુણ્યવિજયજીએ આ ગ્રંથને સંપાદિત કર્યો છે જેને ૧૯૬૨માં વારાણસી સ્થિત પ્રાકૃત ગ્રંથ પરિષદ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો છે.
આ પણ જુઓ
[ફેરફાર કરો]- રયણચૂડરાયચરિય, નેમચંદ્રસૂરિ દ્વારા રચિત અન્ય ગ્રંથ જેમાં રત્નચૂડનું કથાનક છે