અભિધાન-રાજેન્દ્રકોશ
અભિધાન-રાજેન્દ્રકોશ જૈન સૈદ્ધાંતિક પ્રાકૃત શબ્દોનો આ મહાકોશ છે. તેની રચના સૌધર્મતપાગચ્છીય શ્વેતાંબર જૈન આચાર્ય વિજયરાજેન્દ્રસૂરિએ પંદર વર્ષ (ઈ.સ. ૧૮૯૦-૧૯૦૪)ના પરિશ્રમથી કરી હતી.[૧] જૈન શ્વેતાંબર સંઘ, રતલામ દ્વારા તેનું પ્રકાશન ૧૯૧૩થી ૧૯૩૪ એમ સાત ભાગમાં કરવામાં આવ્યું હતું.
| લેખક | આચાર્ય વિજયરાજેન્દ્રસૂરિ |
|---|---|
| ભાષા | પ્રાકૃત |
| પ્રકાર | જૈન ધાર્મિક કોશ |
| પ્રકાશિત | ૧૯૧૩-૧૯૩૪ |
| પ્રકાશક | જૈન શ્વેતાંબર સંઘ, રતલામ |
લેખન
[ફેરફાર કરો]આ કોશમાં અકારાદિ વર્ણાનુક્રમથી લઈને આશરે ૬૦,૦૦૦ જેટલા પ્રાકૃત શબ્દોનો સમાવેશ કરી લેવામાં આવ્યો છે. પ્રત્યેક શબ્દની પાછળ તેના સંસ્કૃત પર્યાય, સંસ્કૃત વિવરણ, મૂળ ગ્રંથમાં જે સ્થળે તે આવેલ હોય તેનો નિર્દેશ, અને અન્ય ગ્રંથોમાં જે વિવિધ અર્થમાં તે વપરાયેલો હોય તેની અવતરણો સહિત ચર્ચા આપવામાં આવી છે.[૧]
આ ગ્રંથની રચના આગમો, આગમો પરની પ્રાકૃત પદ્ય વ્યાખ્યાનિર્યુક્તિઓ અને ભાષ્યો, ગદ્ય વ્યાખ્યા-ચૂર્ણિઓ, તથા અન્ય પ્રાકૃત-સંસ્કૃત ટીકાઓ સહિત લગભગ ૧૦૦ ગ્રંથોના આધારે થઈ છે.[૧]
રમણિકભાઈ શાહ અનુસાર, "સાડાચાર લાખ શ્લોક પ્રમાણ (શ્લોક = ૩૨ અક્ષર) સામગ્રી ધરાવતો આ કોશ જૈન સૈદ્ધાંતિક સાહિત્યના વિશ્વકોશની ગરજ સારે છે."[૧]