આવસ્સય–ચૂન્નિ
આવસ્સય-ચૂન્નિ (સંસ્કૃત: આવશ્યક ચૂર્ણિ) જૈનોના સૂત્ર આવસ્સય-સુત્ત પરનો ટીકાગ્રંથ છે.[૧] આ ગ્રંથના કર્તા જિનદાસમણિ મહત્તર ગણાય છે તથા આ ગ્રંથમાં માત્ર શબ્દાર્થનું પ્રતિપાદન નથી પણ ભાષા અને વિષય મુજબ તે સ્વતંત્ર ગ્રંથ ગણાય છે.
| લેખક | જિનદાસમણિ મહત્તર |
|---|---|
| દેશ | ભારત |
| ભાષા | પ્રાકૃત |
| પ્રકાર | જૈન ધાર્મિક |
લેખન
[ફેરફાર કરો]આ ગ્રંથમાં ઋષભદેવના જન્મ-મહોત્સવથી લઈને નિર્વાણપ્રાપ્તિ સુધીની તમામ ઘટનાઓનું સવિસ્તર વર્ણન છે. જૈન પરંપરા મુજબ તેમણે જ સર્વપ્રથમ અગ્નિનું ઉત્પાદન કરવાનું શીખવ્યું હતું અને પોતાના શિષ્યોને કુંભકાર, ચિત્રકાર, વસ્ત્રકાર આદિના વ્યવસાયોનું શિક્ષણ આપ્યું હતું. તેમણે ભરતને ચિત્રવિદ્યાનું શિક્ષણ આપ્યું અને દંડનીતિની સ્થાપના કરી. ભરતની દિગ્વિજયયાત્રા અને રાજ્યાભિષેકનું પણ અહીં વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે. તેમણે આર્ય વેદોની રચના કરી હતી, જેમાં તીર્થંકરોની સ્તુતિ, યતિ-શ્રાવકધર્મ અને શાંતિકર્મનો ઉપદેશ સમાવિષ્ટ હતો.[૧]
આ ગ્રંથમાં અન્યત્ર દુર્લભ એવું ઋષભદેવની જેમ જ મહાવીર સ્વામીના જન્મ, વિવાહ, દીક્ષા અને ઉપસર્ગો તથા દીક્ષા પછી દેશ-દેશાંતરોમાં વિહારનું વિસ્તૃત વર્ણન મળે છે. ત્યારબાદ વજ્રસ્વામીનું વૃત્તાંત, દશપુરની ઉત્પત્તિ, આર્યરક્ષિત, ગોષ્ઠામહિલ, જમાલિ, તિષ્યગુપ્ત, આષાઢાચાર્ય, કૌંડિન્ય, ત્રૈરાશિક અને બોટિક વગેરેના કથાવૃત્તાંતો આવે છે.
ત્યારપછી ચેલનાનું હરણ, કુણિકની ઉત્પત્તિ, સેચનક હાથીની ઉત્પત્તિ અને કુણિકનું યુદ્ધ, મહેશ્વરની ઉત્પત્તિ વગેરે પ્રસંગોનું વર્ણન કરવામાં આવ્યું છે. શકટાલ અને વરરુચિનાં વૃત્તાંતો તથા સ્થૂલભદ્રની દીક્ષા વગેરેનું પણ અહીં વિસ્તારપૂર્વક વર્ણન છે.[૧]
આ પણ જુઓ
[ફેરફાર કરો]- આવસ્સય-નિજ્જુત્તિ, આવસ્સય સૂત્રની અન્ય ટીકા