આશુતોષ મુખર્જી
સર આશુતોષ મુખર્જી CSI, FRSE, FRAS, FPSL, MRIA | |
|---|---|
આશુતોષ મુખર્જી | |
| ૨૨મા, ૨૬મા કલકત્તા વિશ્વવિદ્યાલયના ઉપકુલપતિ | |
| પદ પર ૪ એપ્રિલ ૧૯૨૧ – ૩ એપ્રિલ ૧૯૨૩ | |
| પુરોગામી | નિલરતન સરકાર |
| અનુગામી | ભૂપેન્દ્રનાથ બાસુ |
| પદ પર ૩૧ માર્ચ ૧૯૦૬ – ૩૦ માર્ચ ૧૯૧૪ | |
| પુરોગામી | એલેક્ઝાન્ડર પેડલર |
| અનુગામી | દેવપ્રસાદ સર્વાધિકારી |
| અંગત વિગતો | |
| જન્મ | ૨૯ જૂન ૧૮૬૪ કોલકાતા, બંગાળ પ્રેસીડેન્સી, બ્રિટીશ ભારત (વર્તમાન પશ્ચિમ બંગાળ, ભારત) |
| મૃત્યુ | ૨૫ મે ૧૯૨૪ (ઉંમર 59) પટના, બિહાર અને ઓરિસ્સા પ્રાંત, બ્રિટીશ ભારત (વર્તમાન બિહાર, ભારત) |
| અંતિમ સ્થાન | રુસ્સા માર્ગ, કોલકાતા (હવે, ૭૭ આશુતોષ મુખર્જી માર્ગ, કોલકાતા – ૭૦૦૦૨૫) |
| નાગરિકતા | બ્રિટીશ |
| જીવનસાથી | જોગમાયા દેવી |
| સંતાનો | ૪, શ્યામાપ્રસાદ મુખર્જી |
| સગાં-સંબંધીઓ | ચિત્તાતોષ મુખર્જી (પ્રપૌત્ર) |
| શિક્ષણ | કલકત્તા વિશ્વવિદ્યાલય (બી.એ., એમ.એ., એમ.એસસી., એલએલ.બી., એલએલ.ડી.) |
| વ્યવસાય | શિક્ષક અને કલકત્તા વિશ્વવિદ્યાલયના દ્વિતીય ભારતીય ઉપકુલપતિ, કલકત્તા ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ (૧૯૦૩–૧૯૨૪) |
| પુરસ્કારો | નાઈટ બેચલર (૧૯૧૧) કમ્પેનિયન ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર ઓફ ઈન્ડિયા (સીએસઆઈ, ૧૯૦૯) |
| અન્ય નામો | ધ ટાઈગર ઑફ બેન્ગાલ বাংলার বাঘ |
સર આશુતોષ મુખર્જી (૨૯ જૂન ૧૮૬૪ – ૨૫ મે ૧૯૨૪) એક બંગાળી ગણિતશાસ્ત્રી, વકીલ, ન્યાયાધીશ, શિક્ષક અને સંસ્થા નિર્માતા હતા. તેમણે ગણિત, કાયદાશાસ્ત્ર અને ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રે મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.
ગણિત અને પ્રાકૃતિક વિજ્ઞાનમાં અનુસ્નાતકની પદવી ધરાવતા મુખર્જી બ્રિટિશ પત્રિકાઓમાં શોધપત્રો પ્રકાશિત કરનાર પ્રથમ ભારતીયોમાંના એક હતા. તેમણે ૨૨ વર્ષની ઉંમરે એડિનબર્ગની રોયલ સોસાયટીના ફેલો તરીકે પસંદગી મેળવી હતી, ઉપરાંત યુરોપ અને સંયુક્ત રાજ્યમાં વિવિધ વિદ્વત સંગઠનોના ફેલો અથવા સભ્ય હતા.
મુખર્જીએ કાયદાની પરીક્ષા પાસ કરી અને સફળ કાનૂની વ્યવસાય સ્થાપિત કર્યો. તેમણે એલએલ.ડી. (LL.D.) ની પદવી મેળવી અને વિશ્વવિદ્યાલયમાં કાયદા પર વ્યાખ્યાન આપ્યા. તેઓ કલકત્તા ઉચ્ચ ન્યાયાલયનાં ન્યાયાધીશ બન્યા અને કેટલાક વર્ષો સુધી મુખ્ય ન્યાયાધીશના રૂપમાં કાર્ય કર્યું. તેમણે વિશ્વવિદ્યાલય ખાતે કાયદાશાસ્ત્રની કોલેજની સ્થાપના કરી.
કલકત્તા વિશ્વવિદ્યાલયના ઉપકુલપતિ તરીકે (૧૯૦૬–૧૯૧૪ અને ૧૯૨૧–૨૩), મુખરજીએ પરીક્ષા યોજનારી અને પદવી પ્રદાન કરતી સંસ્થાને એશિયાની ટોચની સંશોધન વિશ્વવિદ્યાલયમાં રૂપાંતરિત કરી દીધી. તેમણે વિવિધ શાખાઓમાં અનુસ્નાતક અભ્યાસ માટે નવા વિભાગો શરૂ કર્યા, નવા પ્રાધ્યાપકોની નિમણૂંક માટે અને અન્ય શૈક્ષણિક સુવિધાઓના સર્જન માટે ફાળો એકત્રિત કર્યો, સ્નાતક વિદ્યાર્થીઓને તેમના ઉચ્ચ અભ્યાસ અને અદ્યતન સંશોધન કાર્યોમાં મદદ પૂરી પાડી, અને વિવિધ અભ્યાસ ક્ષેત્રોમાં ઉત્તમ પ્રાધ્યાપકોને નિયુક્ત કર્યા, જેમાં એશિયાના પ્રથમ નોબેલ પારિતોષિક વિજેતા વૈજ્ઞાનિક સર સી. વી. રામનનો પણ સમાવેશ થાય છે.
મુખર્જી ભારતીય વિજ્ઞાન કોંગ્રેસ (૧૯૧૪)ના ઉદ્ઘાટન સત્રના અધ્યક્ષ હતા. તેમણે બાંગ્લા તકનિકી સંસ્થા (બેંગાલ ટેકનિકલ ઇન્સ્ટીટ્યૂટ, ૧૯૦૬)ની સ્થાપનામાં મહત્વની ભૂમિકા ભજવી, જે પછીથી જાદવપુર વિશ્વવિદ્યાલયમાં રૂપાંતરિત કરવામાં આવી હતી. તેમણે કોલકતા ગણિત સમાજ (૧૯૦૮)ની સ્થાપના પણ કરી.[૧] ૧૯૧૬માં તેમના નેતૃત્ત્વ હેઠળ આશુતોષ કૉલેજની સ્થાપના કરવામાં આવી હતી.
તેમના આત્મવિશ્વાસ, હિંમત અને શૈક્ષણિક સમર્પણને કારણે તેમને સ્નેહથી 'બંગાળના વાઘ' ('બેંગાલ ટાઇગર') તરીકે ઓળખવામાં આવે છે.[૨]
પ્રારંભિક જીવન
[ફેરફાર કરો]આશુતોષ મુખર્જીનો જન્મ ૨૯ જૂન ૧૮૬૪ના રોજ બાવબઝાર, કોલકાતા ખાતે એક હિંદુ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો.[૩] તેમની માતાનું નામ જગતતારિણિ દેવી અને પિતાનું નામ ડૉ. ગંગાપ્રસાદ મુખોપાધ્યાય હતું. તેમનું પૂર્વજોનું શહેર પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લામાં આવેલું જીરાટ હતું.[૪] તેમના પૂર્વજોમાં ઘણા પ્રતિષ્ઠિત સંસ્કૃત વિદ્વાનો હતા, જેમાં પંડિત રામચંદ્ર તારકલંકરનો સમાવેશ થાય છે, જેઓ ન્યાયના પ્રોફેસર હતા, જેમને વોરેન હેસ્ટિંગ્સ દ્વારા કોલકાતાની સંસ્કૃત કોલેજમાં તે પદ પર નિયુક્ત કરવામાં આવ્યા હતા.[૫]
મુખર્જીના દાદા હુગલી જિલ્લામાં આવેલા દિગસુઈ નામના બીજા ગામથી જીરાટ આવ્યા હતા અને ત્યાં સ્થાયી થયા હતા. પિતા ગંગા પ્રસાદ મુખર્જીનો જન્મ ૧૬ ડિસેમ્બર ૧૮૩૬ના રોજ જીરાટમાં થયો હતો.[૪] જીરાટના શ્રીમંત લોકોની મદદથી તેઓ મેડિકલ કોલેજમાં અભ્યાસ કરવા માટે કોલકાતા આવ્યા. બાદમાં તેઓ કોલકાતાના ભવાનીપોર વિસ્તારમાં સ્થાયી થયા. તેઓ એક જાણીતા ડૉક્ટર બન્યા અને કોલકાતામાં સાઉથ સબ અર્બન સ્કૂલની સ્થાપના કરી.
ગંગા પ્રસાદે તેમના પુત્રના શિક્ષણનું ખાસ ધ્યાન રાખ્યું. ઘરે વિજ્ઞાન અને સાહિત્યના વાતાવરણમાં ઉછરેલા યુવાન આશુતોષ ભવનીપુરના ચક્રબેરિયા ખાતેના સીસુ વિદ્યાલયમાં ગયા અને ગણિત પ્રત્યે પ્રારંભિક રુચિ દર્શાવી. જ્યારે તેઓ નાના હતા, ત્યારે તેઓ ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરને મળ્યા હતા, જેમનો તેમના પર મોટો પ્રભાવ હતો. તેઓ મધુસુદન દાસના વિદ્યાર્થી હતા.[૬]
નવેમ્બર ૧૮૭૯માં, પંદર વર્ષની ઉંમરે, મુખર્જીએ કલકત્તા યુનિવર્સિટીની પ્રવેશ પરીક્ષા પાસ કરી જેમાં તેઓ બીજા ક્રમે આવ્યા અને પ્રથમ વર્ગની શિષ્યવૃત્તિ મેળવી.[૭] ૧૮૮૦માં, તેમણે કોલકાતાની પ્રેસિડેન્સી કોલેજ (વર્તમાન પ્રેસિડેન્સી યુનિવર્સિટી) માં પ્રવેશ મેળવ્યો જ્યાં તેઓ પી.સી. રે અને નરેન્દ્રનાથ દત્તને મળ્યા, જેઓ પાછળથી સ્વામી વિવેકાનંદ તરીકે પ્રખ્યાત થયા. ૧૮૮૩માં, મુખર્જીએ કલકત્તા યુનિવર્સિટીમાં બી.એ.ની પરીક્ષામાં ઉચ્ચ ક્રમ મેળવ્યો.[૮] અને ગણિતમાં અનુસ્નાતકની પદવી મેળવી. તેમને ગણિત અને ભૌતિકશાસ્ત્ર (Pure & Applied), માં પ્રતિષ્ઠિત પ્રેમચંદ રોયચંદ ફેલોશિપ એનાયત કરવામાં આવી હતી.[૯]
૧૮૮૩માં સુરેન્દ્રનાથ બેનર્જીએ કલકત્તા હાઈકોર્ટના આદેશો વિરુદ્ધ બંગાળી અખબારમાં એક લેખ લખ્યો અને કોર્ટના તિરસ્કારના આરોપમાં તેમની ધરપકડ કરવામાં આવી. કલકત્તા હાઈકોર્ટમાં મુખર્જીના નેતૃત્વમાં વિદ્યાર્થીઓના એક જૂથે બંગાળ અને અન્ય શહેરોમાં વિરોધ પ્રદર્શનો અને હડતાળ શરૂ કરી દીધી.
૧૮૮૪માં, તેમણે શૈક્ષણિક સિદ્ધિઓ માટે હરિશ્ચંદ્ર પુરસ્કાર જીત્યો, અને ૧૮૮૫માં ગણિતમાં પ્રથમ-વર્ગના સન્માન સાથે એમ.એ. પૂર્ણ કર્યું.[૭] ૧૮૮૫માં, તેમણે જોગમાયા દેવી ભટ્ટાચાર્ય સાથે લગ્ન કર્યા. ૧૮૮૬માં, તેમને પ્રાકૃતિક વિજ્ઞાનમાં બીજી અનુસ્નાતક પદવી એનાયત કરવામાં આવી, જેનાથી તેઓ કલકત્તા યુનિવર્સિટીમાંથી બેવડી પદવી મેળવનારા પ્રથમ વિદ્યાર્થી બન્યા.[૭]
ત્યારબાદ, સર આશુતોષ મુખર્જીએ કાયદામાં કારકિર્દી બનાવી. તેમણે ૧૮૮૮માં કાયદામાં સ્નાતકની ડિગ્રી મેળવી અને કલકત્તા હાઇકોર્ટમાં વકીલ તરીકે પ્રવેશ મેળવ્યો. ૧૮૯૭માં, તેમણે ડોક્ટર ઓફ લો (એલએલ.ડી.) ની પદવી મેળવી અને કલકત્તા યુનિવર્સિટીમાં ટાગોર પ્રોફેસર ઓફ લો બન્યા. ૧૯૦૪માં, તેમને હાઇકોર્ટના પ્યુઇસ્ને (જુનિયર) જજ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા, અને ત્યારબાદ બે વર્ષ સુધી કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ તરીકે સેવા આપી.[૭]
યુવાન ગણિતશાસ્ત્રી
[ફેરફાર કરો]૧૮૮૦માં, જોકે તેઓ માત્ર પ્રથમ વર્ષના સ્નાતક હતા, તેમણે યુક્લિડના પ્રથમ પુસ્તકના ૨૫મા પ્રસ્તાવ ના નવા પુરાવા પર તેમનું પ્રથમ ગાણિતિક સંશોધનપત્ર પ્રકાશિત કર્યું.[૭] તેમના ત્રીજા ગાણિતિક શોધપત્ર (૧૮૮૬), "અ નોટ ઓન એલિપ્ટિક ફંક્શન્સ" ને પ્રતિષ્ઠિત બ્રિટિશ ગણિતશાસ્ત્રી આર્થર કેલી દ્વારા "ઉત્કૃષ્ઠ ગુણવત્તા" ("outstanding merit")ના યોગદાન તરીકે પ્રશંસા કરવામાં આવી.[૭] તેમણે કોન્ફોકલ દીર્ઘવૃત્તોની પ્રણાલીના ત્રાંસા પક્ષેપમાર્ગને નક્કી કરવા માટે ગેસ્પેર મેનાર્ડીના ઉત્તરની ઘણી મહત્વપૂર્ણ વ્યુત્પત્તિઓ નિર્ધારિત કરી. તેમણે વિભેદક ભૂમિતિમાં પણ સ્થાયી યોગદાન આપ્યું. શંકુઓ માટે તેમના સામાન્ય વિભેદક અંતર સમીકરણની ગેસ્પાર્ડ મોંગેની વ્યાખ્યાને સરળ બનાવવા માટે વિશ્લેષણાત્મક પદ્ધતિઓ વિકસાવી.[૯][૭]
તેઓ યુરોપ અને યુનાઇટેડ સ્ટેટ્સમાં વિવિધ વિદ્વાન સંસ્થાઓના ફેલો અથવા સભ્ય બન્યા. તેઓ ૨૧ વર્ષની ઉંમરે રોયલ ખગોળશાત્રીય (એસ્ટ્રોનોમિકલ) સોસાયટીના ફેલો બન્યા, અને ૨૨ વર્ષની ઉંમરે રોયલ સોસાયટી ઓફ એડિનબર્ગ (FRSE)ના ફેલો બન્યા.[૯] ૧૮૮૮ સુધીમાં, મુખર્જી નવીન સ્થાપિત ઇન્ડિયન એસોસિએશન ફોર ધ કલ્ટિવેશન ઓફ સાયન્સ (IACS) માં ગણિતના લેક્ચરર હતા.[૧૦]
મુખર્જીએ તેમની ત્રીસીની ઉંમરે પણ ગણિત અને ભૌતિકશાસ્ત્ર પર વિદ્વતાપૂર્ણ શોધપત્ર પ્રકાશિત કરવાનું ચાલુ રાખ્યું. ૧૮૯૩ સુધીમાં, ૨૯ વર્ષની ઉંમરે, મુખર્જી ફ્રાન્સની ભૌતિક સોસાયટી અને પાલેર્મોની ગાણિતીક સોસાયટીની ફેલોશિપ માટે ચૂંટાયા, અને રોયલ આઇરિશ એકેડેમીના સભ્ય હતા. ત્યારબાદ તેઓ લંડન મેથેમેટિકલ સોસાયટી, પેરિસ મેથેમેટિકલ સોસાયટી અને અમેરિકન મેથેમેટિકલ સોસાયટી (૧૯૦૦) ના સભ્ય બન્યા.[૯][૭] ૧૮૯૩ પછી તેમણે કાયદાકીય કારકિર્દી માટે પોતાના ગણિતના વ્યવસાયને મોટાભાગે છોડી દીધો હોવા છતાં, મુખર્જીને ગાણિતિક સંશોધન ક્ષેત્રમાં પ્રવેશનારા પ્રથમ આધુનિક ભારતીય ગણિતશાસ્ત્રી તરીકે ઓળખવામાં આવે છે. તેઓ કલકત્તા મેથેમેટિકલ સોસાયટી (૧૯૦૮)ના પણ સભ્ય હતા અને તેના પ્રમુખ (૧૯૦૮–૧૯૨૩) તરીકે સેવા આપી હતી.[૧૧]
વકીલ, કાયદાશાસ્ત્રી અને ન્યાયાધીશ
[ફેરફાર કરો]
૨૪ વર્ષની ઉંમરે, મુખર્જી કલકત્તા યુનિવર્સિટીના ફેલો બન્યા. જાહેર સૂચના વિભાગમાં નોકરીના પ્રસ્તાવને નકારી કાઢી, તેમણે ૧૮૮૮માં કાયદાની સ્નાતકની પદવી પ્રાપ્ત કરી અને કલકત્તા હાઇકોર્ટના વકીલ તરીકે પ્રવેશ મેળવ્યો. ૧૮૯૭માં તેમણે ડોક્ટર ઓફ લો (એલએલડી) ની પદવી મેળવી.
ન્યાયશાસ્ત્રી અને લેખક વી. સુધીષ પાઈ નોંધે છે: "મુખર્જીએ બુદ્ધિ અને ઉદ્યોગના સંયોજનથી ખૂબ જ સફળ કારકિર્દી બનાવી. ૧૮૯૮માં તેમને કલકત્તા યુનિવર્સિટીમાં ટાગોર લૉ (કાયદા) પ્રાધ્યાપક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા અને ૧૯૦૨માં "ધ લો ઓફ પર્પેચ્યુઇટીઝ ઇન બ્રિટિશ ઇન્ડિયા" પુસ્તક લખ્યું - જે હજુ પણ ન્યાયશાસ્ત્રના પૂર્વીય ક્ષિતિજ પર ધ્રુવ તારો માનવામાં આવે છે. જૂન ૧૯૦૪માં તેમને કલકત્તા હાઇકોર્ટના ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. બેન્ચ પર તેમની નિમણૂક અને કાર્યકાળે ન્યાયિક વિમર્શનો નોંધપાત્ર વિસ્તાર કર્યો. તેમણે તેમના કાર્ય પર અખૂટ ઉર્જા, મહાન પાંડિત્ય અને વિદ્વતાની અખંડાતાના દર્શ કરાવ્યા. તેમનું જ્ઞાન વિશાળ હતું અને કાયદાની તેમની વ્યાખ્યા સંપૂર્ણ હતી. ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ મોહમ્મદ હિદાયતુલ્લાહે તેમને ભારતના છ સૌથી પ્રતિષ્ઠિત ન્યાયાધીશોમાં સ્થાન આપ્યું હતું."[૧૨]
મુખર્જીએ બે વખત કલકત્તા હાઈકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ તરીકે સેવા આપી હતી.[૭] વીસ વર્ષની સેવા બાદ તેમણે ૧૯૨૪માં પદ છોડ્યું અને વકીલાત શરૂ કરી.
ઉપકુલપતિ અને સંસ્થા નિર્માતા
[ફેરફાર કરો]એશિયામાં સૌપ્રથમ આધુનિક યુનિવર્સિટીઓ ૧૮૫૭માં કલકત્તા, બોમ્બે અને મદ્રાસમાં સ્થપાઈ હતી. જોકે, તેઓ લંડન યુનિવર્સિટીના મોડેલ પર આધારિત હતી અને સંલગ્ન યુનિવર્સિટીઓ તરીકે સ્થાપિત થઈ હતી જે ફક્ત પરીક્ષાઓ લેતી હતી અને સંલગ્ન કોલેજોમાં ભણતા વિદ્યાર્થીઓને પદવી આપતી હતી. ૧૯મી સદીના બ્રિટિશ ભારતમાં સ્થપાયેલી બે અન્ય યુનિવર્સિટીઓ, પંજાબ અને અલ્હાબાદ પણ સમાન ધોરણે કાર્યરત હતી.
૧૯૦૨માં ભારતના વાઇસરોય લોર્ડ કર્ઝનના શિક્ષણ મિશને કલકત્તા યુનિવર્સિટી સહિતની યુનિવર્સિટીઓને રાજદ્રોહના કેન્દ્રો તરીકે ઓળખાવી હતી જ્યાં યુવાનોએ વસાહતી વર્ચસ્વ સામે પ્રતિકારના નેટવર્ક વિકસાવ્યા હતા. [૧૬] આનું કારણ ઓગણીસમી સદીમાં આ યુનિવર્સિટીઓને સ્વાયત્તતા આપવાની અવિચારી માન્યતા માનવામાં આવતી હતી. આમ ૧૯૦૫ થી ૧૯૩૫ ના સમયગાળામાં, વસાહતી વહીવટીતંત્રે શિક્ષણ પર સરકારી નિયંત્રણ પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો. આ તણાવપૂર્ણ પરિસ્થિતિઓ છતાં, મુખર્જીએ શૈક્ષણિક શ્રેષ્ઠતાની સંસ્કૃતિ બનાવી અને એક શાનદાર સંશોધન યુનિવર્સિટીને બનાવી.
તેઓ તેમના સમગ્ર જીવન દરમ્યાન કલકત્તા યુનિવર્સિટીના કાર્યોમાં સામેલ રહ્યા. ૨૫ વર્ષની ઉંમરથી, તેઓ તેના સિન્ડિકેટના સભ્ય હતા, આગામી ૧૬ વર્ષ સુધી યુનિવર્સિટી સેનેટ અને સિન્ડિકેટમાં સેવા આપી હતી. તેમણે ૧૧ વર્ષ સુધી ગણિતના અભ્યાસ બોર્ડના પ્રમુખ તરીકે સેવા આપી હતી, અને ૧૮૯૯ થી ૧૯૦૩ સુધી બંગાળ વિધાનસભા પરિષદમાં તેમની યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કર્યું હતું. પરંતુ વાસ્તવિક તક ૧૯૦૬માં આવી.
મુખર્જીએ ૧૯૦૬ થી ૧૯૧૪ અને ફરી ૧૯૨૧ થી ૧૯૨૩ સુધી કલકત્તા યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર તરીકે સેવા આપી હતી.[૭] તેમણે ૧૯૦૭ના દીક્ષાંત સંબોધનમાં જાહેર કર્યું: "હવેથી યુનિવર્સિટી ફક્ત પ્રમાણપત્રો આપતી સંસ્થા નથી, કે તે કોલેજોનો સમૂહ પણ નથી.... આ શિક્ષણનું કેન્દ્ર અને જ્ઞાનની સીમાઓના વિસ્તરણનું કેન્દ્ર હશે. આ જ યુનિવર્સિટીનો સાચો આદર્શ છે."[૧૩]
તેમણે વિવિધ વિદ્યાશાખાઓમાં અનુસ્નાતક અભ્યાસ માટે વિભાગો શરૂ કર્યા. તેમણે કલકત્તા યુનિવર્સિટીમાં તુલનાત્મક સાહિત્ય, માનવશાસ્ત્ર, પ્રયોજિત મનોવિજ્ઞાન, ઔદ્યોગિક રસાયણશાસ્ત્ર, પ્રાચીન ભારતીય ઇતિહાસ અને સંસ્કૃતિ તેમજ ઇસ્લામિક સંસ્કૃતિ વિષયો આધારિત ઘણા નવા શૈક્ષણિક સ્નાતક કાર્યક્રમો શરૂ કર્યા. તેમણે બંગાળી, હિન્દી, પાલી અને સંસ્કૃતમાં અનુસ્નાતક શિક્ષણ અને સંશોધન માટે પણ વ્યવસ્થા કરી. તેમણે નવા પદોના અને સુવિધાઓના નિર્માણ માટે ભંડોળ એકત્ર કર્યું. અન્ય ભારતીય યુનિવર્સિટીઓના કુલપતિઓએ તેમના ઘણા પગલાંઓનું અનુસરણ કર્યું.
સમગ્ર ભારતમાંથી વિદ્વાનો, જાતિ અને લિંગના ભેદભાવ વિના, ત્યાં શિક્ષણ અને અભ્યાસ કરવા આવતા હતા. તેમણે યુરોપિયન વિદ્વાનોને પણ તેમની યુનિવર્સિટીમાં શિક્ષણ આપવા માટે રાજી કર્યા. તેમના સમય દરમિયાન નિયુક્ત કરાયેલા પ્રખ્યાત શિક્ષણવિદોમાં નીચે મુજબ હતા:
- એશિયાના પ્રથમ નોબેલ પારિતોષિક વિજેતા વૈજ્ઞાનિક, રામન ઇફેક્ટના શોધક, ભૌતિકશાસ્ત્રી સર સી.વી. રમન, એફઆરએસ
- વનસ્પતિશાસ્ત્રી એસ.પી. અઘરકર અને પોલ જે. બ્રુહલ
- રસાયણશાસ્ત્રી સર જે.સી. ઘોષ, જે.એન. મુખર્જી, અને સર પી.સી. રે, એફઆરએસઇ,
- ભૂસ્તરશાસ્ત્રી ઇ.ડબલ્યુ. વ્રેડેનબર્ગ
- ઇતિહાસકારો આર.સી. મજુમદાર અને એચ.સી. રાયચૌધરી,
- ભારતશાસ્ત્રી અને પ્રાચ્યશાસ્ત્રી ડી.આર. ભંડારકર અને જ્યોર્જ થિબાઉટ,
- ન્યાયશાસ્ત્રીઓ રાધાબિનોદ પાલ અને સર અબ્દુર રહીમ
- ભાષા અને સાહિત્યના વિદ્વાનો નલિનાક્ષ દત્ત અને દિનેશ ચંદ્ર સેન,
- ભાષાશાસ્ત્રી એસ.કે. ચેટરજી, હરિનાથ દે, ઓટ્ટો સ્ટ્રોસ અને આઈ.જે.એસ. તારાપોરવાલા
- ગણિતશાસ્ત્રી ગણેશ પ્રસાદ, શ્યામદાસ મુખોપાધ્યાય, એન.આર. સેન અને ડબલ્યુ.એચ. યંગ, એફઆરએસ
- ફિલોસોફર્સ સર બી. એન. સીલ અને સર એસ. રાધાકૃષ્ણન,
- ભૌતિકશાસ્ત્રીઓ ડી. એમ. બોઝ, એસ. એન. બોઝ, એફઆરએસ, એસ. કે. મિત્રા, એફઆરએસ, બી. બી. રે અને મેઘનાદ સાહા, એફઆરએસ.
તેમણે સ્નાતક થયેલા વિદ્યાર્થીઓને અદ્યતન સંશોધનને આગળ ધપાવવાના પ્રયાસોમાં ટેકો આપ્યો. આ સમયે યુનિવર્સિટીના સ્નાતકોમાં બોઝ-આઈન્સ્ટાઈન સ્ટેટિસ્ટિક્સ ફેમના સત્યેન્દ્ર નાથ બોઝ (જેમના નામ પરથી મૂળભૂત કણોને બોસોન નામ આપવામાં આવ્યું છે), સહા આયનીકરણ સમીકરણ વિકસાવનાર મેઘનાદ સહા અને ભારતમાં અવકાશ સંશોધનના પાયો નાખનાર પ્રખ્યાત રેડિયો ભૌતિકશાસ્ત્રી શિશિર કુમા મિત્રાનો સમાવેશ થતો હતો. ત્રણેય રોયલ સોસાયટી (FRS) ના ફેલો બન્યા હતા.
મુખર્જીની સંસ્થા નિર્માણ પ્રવૃત્તિઓમાં યુનિવર્સિટી કોલેજ ઓફ સાયન્સ (રાજાબજાર સાયન્સ કોલેજ) અને યુનિવર્સિટી કોલેજ ઓફ લૉની સ્થાપનાનો સમાવેશ થાય છે. તેમણે ૧૯૧૬માં દક્ષિણ કોલકાતામાં આશુતોષ કોલેજની સ્થાપના પણ કરી. તેમણે ૧૯૧૪માં જગદબંધુ સંસ્થા અને ૧૯૨૫માં સંતરાગાચી કેદારનાથ સંસ્થાનો શિલાન્યાસ કર્યો હતો.
ફ્રેન્ચ વિદ્વાન સિલ્વેન લેવીએ ટિપ્પણી કરી:
જો આ બંગાળ વાઘ ફ્રાન્સમાં જન્મ્યો હોત, તો તે ફ્રેન્ચ વાઘ જ્યોર્જ ક્લેમેન્સ્યુ કરતાં પણ આગળ હોત. આખા યુરોપમાં આશુતોષનો કોઈ સમકક્ષ નહોતો.
જીવન ઉતરાર્ધ અને મૃત્યુ
[ફેરફાર કરો]૧૯૧૦માં, તેમને ઈમ્પીરીયલ (વર્તમાન નેશનલ) લાઈબ્રેરી કાઉન્સિલના પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા, જેમાં તેમણે ૮૦,૦૦૦ પુસ્તકોનો પોતાનો વ્યક્તિગત સંગ્રહ દાનમાં આપ્યો હતો, જે એક અલગ વિભાગમાં ગોઠવાયેલા છે. તેઓ ૧૯૧૪માં ભારતીય વિજ્ઞાન કોંગ્રેસના ઉદ્ઘાટન સત્રના પ્રમુખ રહ્યા હતા. મુખર્જી ૧૯૧૭-૧૯૧૯ના સેડલર કમિશનના સભ્ય હતા, જેનું નેતૃત્વ માઈકલ અર્નેસ્ટ સેડલર કરતા હતા, જે ભારતીય શિક્ષણની સ્થિતિની તપાસ કરતા હતા. તેઓ ત્રણ વખત ધ એશિયાટિક સોસાયટીના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. ૧૮૯૦ના દાયકાથી ઇન્ડિયન એસોસિએશન ફોર ધ કલ્ટિવેશન ઓફ સાયન્સના ફેલો અને ત્યારબાદ ઉપ-પ્રમુખ તરીકે સેવા આપ્યા બાદ, ૧૯૨૨માં તેઓ IACSના પ્રમુખ તરીકે ચૂંટાયા અને તેમના મૃત્યુ સુધી આ પદ સંભાળ્યું.[૧૪]
કલકત્તા યુનિવર્સિટીના કુલપતિ તરીકે પાંચ ટર્મ સેવા આપ્યા પછી, ૧૯૨૩માં જ્યારે યુનિવર્સિટીના ચાન્સેલર, બંગાળના ગવર્નર ધ અર્લ ઓફ લિટન, તેમની પુનઃનિયુક્તિ પર શરતો લાદવાનો પ્રયાસ કર્યો ત્યારે મુખર્જીએ છઠ્ઠા કાર્યકાળ માટે ફરીથી નિમણૂક માટે ઇનકાર કર્યો. થોડા સમય પછી, તેમણે કલકત્તા હાઈકોર્ટમાં ન્યાયાધીશ પદેથી રાજીનામું આપી દીધું અને કાયદાની પોતાની ખાનગી પ્રેક્ટિસ ફરી શરૂ કરી. પછીના વર્ષે પટણામાં એક કેસની દલીલ કરતી વખતે, મુખર્જી ૨૫ મે ૧૯૨૪ના રોજ ૫૯ વર્ષની વયે અચાનક મૃત્યુ પામ્યા. તેમના પાર્થિવ શરીરને કોલકાતા લઈ જવામાં આવ્યું જ્યાં અસંખ્ય શોકગ્રસ્તોની ભીડ વચ્ચે તેમના અંતિમ સંસ્કારમાં કરવામાં આવ્યા.[૭]
અંગત જીવન
[ફેરફાર કરો]મુખર્જીએ ૧૮૮૫માં જોગમાયા દેવી ભટ્ટાચાર્ય (૧૮૭૧–૧૬ જુલાઈ ૧૯૫૮) સાથે લગ્ન કર્યા હતા.[૧૫] આ દંપતીને સાત બાળકો હતા, જેમાં કમલા (જન્મ ૧૮૯૫), રામા પ્રસાદ (૧૮૯૬–૧૯૮૩),[૧૬] શ્યામા પ્રસાદ (૧૯૦૧–૧૯૫૩), ઉમા પ્રસાદ (૧૯૦૨–૧૯૯૭), અમલા (જન્મ ૧૯૦૫), બામા પ્રસાદ (જન્મ ૧૯૦૬) અને રામાલા (જન્મ ૧૯૦૮)નો સમાવેશ થાય છે. તેમના મોટા પુત્ર રામા પ્રસાદ કલકત્તા હાઇકોર્ટમાં ન્યાયાધીશ બન્યા. બીજા પુત્ર શ્યામાપ્રસાદ મુખર્જી એક વકીલ, શિક્ષણવિદ અને રાજકીય કાર્યકર હતા; તેમણે ભારતીય જનસંઘની સ્થાપના કરી, જે આધુનિક ભારતીય જનતા પાર્ટીનો સીધો પુરોગામી હતો. ઉમા પ્રસાદ હિમાલયના ટ્રેકર અને પ્રવાસ લેખક તરીકે પ્રખ્યાત થયા - તેમના પ્રવાસ વર્ણન મણિમહેશ માટે તેમને સાહિત્ય અકાદમી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા.[૧૭]
તેમના પૌત્ર ચિત્તતોષ મુખર્જી કલકત્તા હાઈકોર્ટ અને બોમ્બે હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ હતા.[૧૮] મુખર્જી પરિવાર ભારતીય હાઈકોર્ટમાં ત્રણ પેઢીના ન્યાયાધીશો ઉત્પન્ન કરનારો પ્રથમ પરિવાર બન્યો હતો.
ઓળખ અને વારસો
[ફેરફાર કરો]

મુખર્જી પાલી, ફ્રેન્ચ અને રશિયન ભાષા જાણનાર બહુભાષી હતા. અનેક આંતરરાષ્ટ્રીય શૈક્ષણિક સંસ્થાઓમાં તેમની ફેલોશિપ અને સભ્યપદ ઉપરાંત, તેમને ૧૯૧૦માં નવદ્વીપના પંડિતો તરફથી સરસ્વતીની પદવી, ૧૯૧૨માં ઢાકા સારસ્વત સમાજ તરફથી શાસ્ત્રવાચસ્પતિ, ૧૯૧૪માં સંબુધગમ ચક્રવર્તી અને ૧૯૨૦માં ભારત માર્તંડની પદવીથી સન્માનિત કરવામાં આવ્યા હતા.[1] મુખર્જીને જૂન ૧૯૦૯માં કમ્પેનિયન ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર ઓફ ઈન્ડિયા (CSI) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા,[૧૯] અને ડિસેમ્બર ૧૯૧૧માં તેમને નાઈટનો ખિતાબ આપવામાં આવ્યો હતો.[૨૦]
તેમના જીવનકાળ દરમિયાન, તેમને અનેક શૈક્ષણિક સમાજોમાં નિયુક્ત કરવામાં આવ્યા હતા:[૧૯]
- રોયલ એસ્ટ્રોનોમિકલ સોસાયટીના ફેલો (FRAS, ૧૮૮૫)
- રોયલ સોસાયટી ઓફ એડિનબર્ગના ફેલો (FRSE, 1886; સભ્ય: ૧૮૮૫)
- બેડફોર્ડ એસોસિએશન ફોર ધ ઇમ્પ્રૂવમેન્ટ ઓફ જિયોમેટ્રિકલ ટીચિંગના સભ્ય (૧૮૮૬)
- ફિઝિકલ સોસાયટી ઓફ લંડનના ફેલો (FPSL, ૧૮૮૭)
- એડિનબર્ગ મેથેમેટિકલ સોસાયટીના ફેલો (૧૮૮૮)
- મેમ્બ્રે ડે લા સોસાયટી મેથેમેટિકલ ડી ફ્રાન્સ (૧૮૮૮)
- મેમ્બ્રે ડે લા સોસાયટી મેથેમેટિકલ ડી પાલેર્મો (૧૮૯૦) ના સભ્ય
- મેમ્બ્રે ડે લા સોસાયટી ફ્રાન્સાઇઝ ડી ફિઝિક (૧૮૯૦)
- રોયલ આઇરિશ એકેડેમીના સભ્ય (MRIA, ૧૮૯૩)
- ફેલો ઓફ ધ અમેરિકન મેથેમેટિકલ સોસાયટી (AMS, ૧૯૦૦)
ભારત સરકારે ૧૯૬૪માં શિક્ષણમાં તેમના યોગદાન બદલ સર આશુતોષ મુખર્જીની યાદમાં એક ટપાલ ટિકિટ બહાર પાડી હતી.
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ Patrick Petitjean, Catherine Jami and Anne Marie Moulin eds. (1992) Science and Empires, Boston Study in the Philosophy of Science, Vol. 136, Kluwer Academic Publishers. ISBN 978-94-011-2594-9, doi:10.1007/978-94-011-2594-9
- ↑ "Asutosh Mukhopadhyay: An eminent educator who made Bengalis proud".
- ↑ Mukherji, Purabi (11 October 2022). Notable Modern Indian Mathematicians and Statisticians: During the 19th and 20th Centuries of Bengal (અંગ્રેજીમાં). Springer Nature. ISBN 978-981-19-6132-8.
{{cite book}}: Check date values in:|date=(મદદ) - 1 2 Ghatak, Atulchandra, Ashutosher Chatrajiban Ed. 8th, 1954, p 1, Chakraborty Chatterjee & Co. Ltd.
- ↑ "Sir Ashutosh Mukherjee: educationist, leader and institution-builder" (PDF). Current Science. મેળવેલ 29 September 2017.
{{cite web}}: Check date values in:|access-date=(મદદ) - ↑ "Our History". mslawcollege.org. 2012. મેળવેલ 28 April 2012.
Ashutosh Mukherjee, the then Vice-Chancellor of Calcutta University who was a student of Utkal Gourab Madhusudan Das
{{cite web}}: Check date values in:|access-date=(મદદ) - 1 2 3 4 5 6 7 8 9 10 11 "Sir Asutosh Mukherjee: educationist, leader and institution-builder" (PDF). Current Science. મેળવેલ 29 September 2017.
{{cite web}}: Check date values in:|access-date=(મદદ) - ↑ Rachana Chakrabarty (2012). "Premchand Roychand Studentship". In Sirajul Islam; Ahmed A. Jamal (સંપાદકો). Banglapedia: National Encyclopedia of Bangladesh (Second આવૃત્તિ). Asiatic Society of Bangladesh.
- 1 2 3 4 "The mathematician in Asutosh Mukhopadhyay" (PDF). Current Science. મેળવેલ 29 September 2017.
{{cite web}}: Check date values in:|access-date=(મદદ) - ↑ IACS - Annual Report for the Year 1888
- ↑ "Calcutta Mathematical Society". Calmathsoc.org. મૂળ માંથી 31 May 2012 પર સંગ્રહિત. મેળવેલ 12 July 2012.
{{cite web}}: Check date values in:|access-date=and|archive-date=(મદદ) - ↑ https://www.newindianexpress.com/opinions/2024/May/23/ashutosh-mukherjee-a-centennial-tribute
- ↑ Chatterjea, Arkadev (2012). Basu, Kaushik; Maertens, Annemie (સંપાદકો). The New Oxford Companion to Economics in India (2nd આવૃત્તિ). Oxford University Press. pp. 146–147. ISBN 978-0-19-807855-5.
- ↑ "IACS - Annual Report for the Year 1924" (PDF). Archive - IACS. મૂળ (PDF) માંથી 3 ઑક્ટોબર 2017 પર સંગ્રહિત. મેળવેલ 2 October 2017.
{{cite web}}: Check date values in:|access-date=and|archive-date=(મદદ) - ↑ "Shrimati Jogmaya Devi Passes Away". The Calcutta Municipal Gazette. 68 (13): 301. 19 July 1958. મેળવેલ 26 December 2021.
{{cite journal}}: Check date values in:|access-date=and|date=(મદદ) - ↑ Indian Association for the Cultivation of Science: Annual Report for 1983-84. 1984. p. 3.
- ↑ Tathagata Roy (2014). The Life & Times of Shyama Prasad Mookerjee. Prabhat Prakashan. p. 11. ISBN 9789350488812.
- ↑ "Grandson of Sir Ashutosh Mukherjee upset at Mamata's silence on letter". The Times of India. 25 March 2013. મેળવેલ 15 May 2018.
{{cite news}}: Check date values in:|access-date=and|date=(મદદ) - 1 2 Sar, Satyabachi (July 2015). "Asutosh Mukhopadhyay and his Mathematical Legacy". Resonance: Journal of Science Education. 20 (7): 575–604. મેળવેલ 23 June 2019.
{{cite journal}}: Check date values in:|access-date=(મદદ) - ↑ "-". London Gazette (28559): 9365. 8 December 1911.
{{cite journal}}: Check date values in:|date=(મદદ)