ઉત્તરાધ્યયન સૂત્ર
ઉત્તરાધ્યયન સૂત્ર (પ્રાકૃત: ઉતરજ્ઝયણસુત) અર્ધમાગધી પ્રાકૃત ભાષામાં રચાયેલો જૈન આગમ સાહિત્યનો મહત્વપૂર્ણ ગ્રંથ છે. આ ગ્રંથ અર્ધમાગધી પ્રાકૃતમાં લખાયેલા ૪ મૂળ સૂત્રોમાંનો એક છે.[૧] જૈન પરંપરા અનુસાર આ ગ્રંથના રચયિતા મહાવીર સ્વામી છે પરંતુ વિદ્વાનોના મતાનુસાર આ ગ્રંથ વિભિન્ન મુનિઓની રચનાઓનો સંકલનગ્રંથ છે.[૧]
રચના
[ફેરફાર કરો]આ ગ્રંથમાં સંકલિત સૂત્રો આચારાંગ સૂત્ર અને દશવૈકાલિક સૂત્રના અનુસંધાનમાં વાંચવામાં આવતા હોવાથી તેને ઉત્તરાધ્યયન (ઉત્તર + અધ્યયન) સૂત્ર તરીકે ઓળખવામાં આવે છે.[૧] એક માન્યતા અનુસાર, આ ગ્રંથના વિવિધ અધ્યયનો (અથવા પરિચ્છેદો) વિવિધ પ્રશ્નોના ઉત્તરરૂપ રચાયેલા છે, જે તેનું નામ સુસંગત બનાવે છે.[૧]
વિષયવસ્તુ
[ફેરફાર કરો]ઉત્તરાધ્યયન સૂત્રમાં કુલ ૩૬ અધ્યયન (પરિચ્છેદ) સમાવિષ્ટ છે. આ અધ્યયનોમાં પ્રાકૃત ગાથાઓ દ્વારા નૈતિક મૂલ્યો, ત્યાગ, વૈરાગ્ય અને સંયમના ઉદાહરણો તથા નૈતિક કથાઓ રજૂ કરવામાં આવી છે. વિખ્યાત ભારતવિદ વિન્ટરનિટ્ઝના અભિપ્રાય અનુસાર, ઉત્તરાધ્યયન સૂત્ર એક શ્રમણ કાવ્ય છે કે જે ધમ્મપદ, સુત્તનિપાત અને મહાભારત જેવા આધ્યાત્મિક-નૈતિક ગ્રંથોની શ્રેણીમાં સ્થાન પામે છે.[૧]
આ સૂત્રનું પ્રથમ અધ્યયન ‘વિનય’ શિષ્ટાચાર અને અનુશાસન વિષયક છે. આઠમું અધ્યયન કપિલની કથા દ્વારા લોભ પર વિજયની વાત કરે છે. બારમું અધ્યયન મુનિ હરિકેશીની કથા દ્વારા જાતિવાદનું ખંડન કરે છે અને કર્મના સિદ્ધાંતને અનુકૂળ દર્શાવે છે. બાવીસમું અધ્યયન રથનેમિની કથા દ્વારા ભોગ ઉપર વિજય અને શીલની મહત્તાને પ્રકાશિત કરે છે.[૧]
પ્રત્યેક અધ્યયન નૈતિક શિક્ષાઓ સાથે માનવીય મૂલ્યો તરફ ઈશારો કરે છે અને ચિત્તશુદ્ધિથી જીવન જીવીને કલ્યાણમાર્ગે આગળ વધવા પ્રેરણા આપે છે.
આ પણ જુઓ
[ફેરફાર કરો]- કલ્પ સૂત્ર, જૈન આગમ પરંપરાનો મહત્વપૂર્ણ ગ્રંથ
- આવસ્સય-સુત્ત, જૈનોનાં ૬ આવશ્યક સૂત્રો પરનો ગ્રંથ