એષા દાદાવાળા

વિકિપીડિયામાંથી
એષા દાદાવાળા
જન્મએષા મયંક દાદાવાળા
(1985-01-02) 2 January 1985 (ઉંમર 39)
સુરત, ગુજરાત
વ્યવસાયકવિયત્રી, પત્રકાર
ભાષાગુજરાતી
રાષ્ટ્રીયતાભારતીય
શિક્ષણબેચલર ઓફ આર્ટ્સ
માતૃ શિક્ષણ સંસ્થાવીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત
લેખન પ્રકારોમુક્ત પદો, ગીત
નોંધપાત્ર સર્જનો
  • વરતારો (૨૦૦૮)
  • જન્મારો (૨૦૧૩)
નોંધપાત્ર પુરસ્કારો
  • રવજી પટેલ પુરસ્કાર
  • યુવા ગૌરવ પુરસ્કાર (૨૦૧૩)
  • યુવા પુરસ્કાર (૨૦૧૮)
સક્રિય વર્ષો૨૦૦૨ - હાલ પર્યંત

એષા દાદાવાળા ગુજરાત, ભારતની ગુજરાતી કવિયત્રી અને પત્રકાર છે.[૧] તેણીના મહત્વના સર્જન વરતારો (૨૦૦૮), ક્યાં ગઇ એ છોકરી (૨૦૧૧) અને જન્મારો (૨૦૧૩) છે. ૨૦૧૩માં તેણીને ગુજરાતી સાહિત્યમાં યોગદાન માટે યુવા ગૌરવ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.[૨]

પ્રારંભિક જીવન[ફેરફાર કરો]

એષાનો જન્મ ૨ જાન્યુઆરી ૧૯૮૫ના રોજ સુરતમાં મયંક અને હેતલ દાદાવાળાને ત્યાં થયો હતો. તેણીએ ૨૦૦૨માં જીવન ભારતી શાળા, સુરત ખાતે શાળાકીય શિક્ષણ મેળવ્યું. ૨૦૦૫માં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાંથી તેણીએ બેચલર ઓફ આર્ટ્સની પદવી મેળવી હતી.[૨]

કારકિર્દી[ફેરફાર કરો]

તેણી જ્યારે શાળામાં હતી ત્યારે તેણીની પ્રથમ કવિતા, ડેથ સર્ટિફિકેટ, ગુજરાતી કાવ્ય સામયિક કવિતામાં પ્રકાશિત થઇ હતી.[૩] હાલમાં તેણી સીટી ભાસ્કરના ડેપ્યુટી ન્યૂઝ એડિટર તરીકે દિવ્ય ભાસ્કરમાં ૨૦૧૨થી કામ કરી રહી છે. પહેલાં તેણીએ સમાચાર વાચક, પત્રકાર અને સહ-સંપાદક તરીકે વિવિધ ગુજરાતી મિડિયામાં કામ કર્યું હતું, જેમાં ગુજરાત મિત્ર, માય ટીવી (સુરતની સ્થાનિક સમાચાર ચેનલ), ધબકાર (સુરતનું સ્થાનિક સમાચારપત્ર), સંદેશ, માય એફએમ અને ગુજરાત ગાર્ડિયનનો સમાવેશ થાય છે. તેણીની ટૂંકી વાર્તાઓ ચિત્રલેખા સહિત ઘણાં ગુજરાતી સામયિકોમાં પ્રકાશિત થઇ છે.[૨]

સર્જન[ફેરફાર કરો]

વરતારો, તેણીનો ૨૦૦૮માં પ્રગટ થયેલો પ્રથમ કાવ્ય સંગ્રહ છે, જેના પછી જન્મારો ૨૦૧૩માં પ્રકાશિત થયો હતો. તેણીએ સ્ત્રીની લાગણીઓ અને સ્ત્રી જીવનના વિવિધ તબક્કાઓનું વર્ણન કર્યું છે. ક્યાં ગઇ એ છોકરી (૨૦૧૧) એ ડાયરી સ્વરૂપે લખાયેલી નવલકથા છે.[૨]

પુરસ્કાર[ફેરફાર કરો]

ગુજરાતી સાહિત્યમાં યોગદાન બદલ ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી તેણીને ૨૦૧૩માં યુવા ગૌરવ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી તેણીના પુસ્તક જન્મારો (૨૦૧૩)ને શ્રેષ્ઠ કવિતા સંગ્રહનો પુરસ્કાર મળ્યો હતો. તેણીને ગુજરાત સમાચાર અને સમન્વય તરફથી અપાતો રવજી પટેલ પુરસ્કાર; કવિ ગની દહીંવાલા પુરસ્કાર (૨૦૦૦); કોફી મેટ્સ, મુંબઈ તરફથી શ્રેષ્ઠ કવિ પુરસ્કાર; કલા ગુર્જરી સંસ્થા તરફથી શ્રેષ્ઠ કવિ પુરસ્કાર (૨૦૦૫); રાષ્ટ્રીય કલા કેન્દ્ર, સુરત તરફથી શ્રેષ્ઠ કવિ સુરત પુરસ્કાર (૨૦૦૯) મળ્યાં છે.[૨] ઈ.સ. ૨૦૧૮માં જન્મારો માટે તેમને યુવા પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.[૪]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "દીકરીનાં તેરમા વર્ષે...! - એષા દાદાવાલા". લયસ્તરો. ૫ જુલાઇ ૨૦૦૮. મેળવેલ ૧૩ એપ્રિલ ૨૦૧૬.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ ૨.૪ "એષા દાદાવાળા". મોરપીંછ. ૧૧ એપ્રિલ ૨૦૧૬. મૂળ માંથી 2016-04-22 પર સંગ્રહિત. મેળવેલ ૧૩ એપ્રિલ ૨૦૧૬.
  3. Dalal, Suresh (ઓક્ટોબર ૨૦૧૨). Mari Karkirdino Surya (Articles by people from different walks of life about their career). Mumbai: Image Publication. પૃષ્ઠ ૬૦. ISBN 978-81-7997-391-2.
  4. "Sahitya Akademi announces winners for Bal Sahitya, Yuva Puraskar for 2018". Business Standard News. 2018-06-22. મેળવેલ 2018-06-22.