લખાણ પર જાઓ

ઓશો

વિકિપીડિયામાંથી
આચાર્ય રજનીશ (ઓશો)
પ્રવચન આપી રહેલા ઓશો
અંગત
જન્મ
ચંદ્રમોહન જૈન

(1931-12-11)૧૧ ડિસેમ્બર ૧૯૩૧
મૃત્યુ૧૯ જાન્યુઆરી ૧૯૯૦
સહી
ફિલસૂફીઓશોવાદ
કારકિર્દી માહિતી
ગુરુ-
સન્માનોઓશો, ભગવાન, ઝોરબા ધ બુદ્ધ
જીવન કોઈ સમસ્યા નથી, પણ એક અવસર છે – તેને જીવો, પ્રેમ કરો, સ્વીકારો.

ઓશો, આચાર્ય રજનીશ કે ભગવાન રજનીશ તરીકે ઓળખાતા એક ભારતીય વિચારક, રહસ્યવાદી ગુરુ અને રજનીશ આંદોલનના સ્થાપક હતા. તેઓ વિશ્વના સૌથી વિવાદાસ્પદ અને પ્રભાવશાળી આધ્યાત્મિક ગુરુઓમાંના એક હતા.

જન્મ અને બાળપણ

[ફેરફાર કરો]

ચંદ્રમોહન જૈન, જેઓ પાછળથી રજનીશ તરીકે ઓળખાયા, તેમનો જન્મ 11 ડિસેમ્બર 1931ના રોજ મધ્ય પ્રદેશના રાયસેન જિલ્લાના કુચવાડામાં થયો હતો. કાપડના વેપારી બાબુલાલ જૈનના 11 બાળકોમાં તેઓ સૌથી મોટા હતા. તેમણે તેમના બાળપણના પ્રથમ આઠ વર્ષ તેમના દાદાના ઘરે વિતાવ્યા હતા. રજનીશે પોતે કહ્યું હતું કે, તેમની દાદીએ તેમના પર કોઈ પ્રકારનું શિક્ષણ અથવા નિયંત્રણો લાદ્યા ન હતા, જેની તેમના જીવન પર ભારે અસર પડી હતી. ભગવાન રજનીશ જૈન પરિવારમાં જન્મ્યા હતા પરંતુ તેઓ કોઈ ધર્મમાં માનતા ન હતા.

રજનીશની દાદીના મૃત્યુ બાદ, તેઓ ગદરવાડામાં તેમના માતાપિતાના ઘરે આવ્યા, જ્યાં તેઓ ખૂબ જ તાર્કિક ચર્ચા કરનારા તરીકે શાળામાં પ્રખ્યાત થયા હતા. શરૂઆતથી જ તેઓ રહસ્યવાદી તત્વજ્ઞાન (ફિલસૂફી) તરફ ઝુકાવ ધરાવતા હતા અને યોગ-ધ્યાનની બાબતમાં પણ તેઓ પ્રયોગવાદી હતા. આ સિવાય તેમને વાંચનનો પણ ઘણો શોખ હતો. તેમણે નાની ઉંમરે કાર્લ માર્ક્સ અને એંગલ્સનાં પુસ્તકો વાંચ્યા હતા.

શિક્ષણ કાર્ય અને જ્ઞાનપ્રાપ્તિ

[ફેરફાર કરો]

કોલેજમાં એક સારા વક્તા (ડિબેટર) હોવાને કારણે, રજનીશને વર્ગમાં હાજરી આપવાથી મુક્તિ આપવામાં આવી હતી. આ સમયનો ઉપયોગ કરીને, તેમણે થોડા મહિનાઓ માટે એક અખબારમાં સહાયક સંપાદક તરીકે કામ કર્યું હતું. આ દરમિયાન તેમણે જાહેર ભાષણો પણ આપવાનું શરૂ કર્યું હતું. તેમણે 21 માર્ચ, 1953ના રોજ આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત કર્યું અને જબલપુરના ભંવરતલ બગીચામાં એક વૃક્ષ નીચે કેટલાક રહસ્યમય અનુભવો કર્યા હતા.

તત્વજ્ઞાનમાં એમ.એ.ની ડિગ્રી પૂર્ણ કર્યા પછી, તેઓ પ્રથમ રાયપુરમાં અને પછી જબલપુરમાં તત્વજ્ઞાનના પ્રાધ્યાપક બન્યા અને તેમના વિદ્યાર્થીઓ તેમજ તેમના સાથીદારોમાં તેઓ ખૂબ જ બુદ્ધિશાળી વ્યક્તિ તરીકે ઓળખાયા. નોકરીની સાથે, તેમણે ભારતનો પ્રવાસ ચાલુ રાખ્યો અને ધીમે ધીમે આચાર્ય રજનીશ તરીકે ઓળખાવા લાગ્યા. 1966માં તેઓ નોકરી છોડીને સંપૂર્ણપણે ભારતના પ્રવાસે ગયા હતા. તેમના ભાષણોમાં, તેમણે પરંપરાગત ધાર્મિકતા, સમાજવાદ, ગાંધીવાદ અને મુખ્ય રાજકીય વિચારધારાઓની તાર્કિક ટીકા કરી છે.

આજ્ઞાઓ

[ફેરફાર કરો]

પોતાના પ્રારંભિક ઉપદેશ કાળમાં તેમણે પોતાના અનુયાયીઓને કેટલીક આજ્ઞાઓ આપી હતી. તેમાંની એક નીચે મુજબ છે:

  1. ક્યારેય કોઈનો આદેશ ન માનવો સિવાય કે એ તમારી અંદરથી આવતો હોય.

પ્રસિદ્ધિ અને રજનીશ આંદોલનની સ્થાપના

[ફેરફાર કરો]

સપ્ટેમ્બર 1970માં હિમાચલ પ્રદેશના મનાલી પર્યટન સ્થળ પર દસ દિવસના તેમના સાધના શિબિરમાં તેમણે નવ-સંન્યાસની શરૂઆત કરી તથા દેશ-વિદેશના ઘણા અનુયાયીઓને સંન્યાસની દીક્ષા આપી. તેમનો આ પ્રકલ્પ ‘અભિનવ સંન્યાસ આંદોલન’ નામથી ઓળખાય છે. આ શિબિર પછી તેમના અનુયાયીઓ આચાર્ય રજનીશને ‘ભગવાન રજનીશ’ના નામથી સંબોધવા લાગ્યા. હવે તેમની ખ્યાતિ વિદેશમાં અને ખાસ કરીને યુરોપ, અમેરિકા, ઑસ્ટ્રેલિયા અને જાપાન જેવા પ્રદેશોમાં ફેલાતી રહી.

1974માં તેમણે પુણે ખાતે આશ્રમની સ્થાપના કરી. આ આશ્રમમાં ઉપર્યુક્ત દશકના અંત સુધી તેમના પ્રવચન તથા ધ્યાનશિબિરોની પ્રવૃત્તિ પુરજોશથી ચાલતી રહી અને તેમના દેશવિદેશના અનુયાયીઓની સંખ્યામાં પણ ઝડપથી વધારો થતો રહ્યો. એક ગણતરી મુજબ 1980ના અરસામાં તેમના સંન્યાસી અનુયાયીઓ કે શિષ્યોની સંખ્યા પાંચ લાખ સુધી પહોંચી ગઈ હતી.

1 મે 1981થી તેમણે મૌન ધારણ કર્યું. ત્યારબાદ તેમનું સ્વાસ્થ્ય બગડતું ગયું, જેને કારણે તેમને ઇલાજ માટે અમેરિકા લઈ જવામાં આવ્યા. ત્યાં તેમના અમેરિકન શિષ્યોએ ઑરેગૉન રાજ્યના મધ્યમાં લગભગ બંજર ગણાય તેવા પ્રદેશમાં 64,000 એકર વિસ્તાર ધરાવતું એક પશુ ફાર્મ (ranch) ખરીદ્યું. સમય જતાં આચાર્ય રજનીશની ઉપસ્થિતિમાં તે સ્થળ પર એક કૃષિ કમ્યૂન આકાર લેવા લાગ્યું. આ ‘રજનીશપુરમ્’માં રોજના આશરે 5,000 માણસોના ભરણપોષણની ક્ષમતા હતી. વળી રજનીશના શિષ્યોના ગ્રીષ્મકાલીન વાર્ષિક સંમેલન વખતે ભેગા થતાં આશરે 20,000 માણસોના ઉતારાની વ્યવસ્થા પણ ત્યાં કરી શકાતી હતી.

ઑરેગૉનમાં ઊભા કરવામાં આવેલા આ કમ્યૂનના નમૂના પર આચાર્ય રજનીશના શિષ્યોએ પોતપોતાના દેશમાં પણ આવાં કમ્યૂન ઊભાં કર્યાં હતાં.

વિવાદો

[ફેરફાર કરો]

ઓશો વિશ્વના સૌથી વિવાદાસ્પદ અધ્યાત્મ ગુરુ હતા. તેમનું જીવન દરેક પ્રકારના વિવાદોથી ઘેરાયેલું રહ્યું. તેમણે પોતાના આશ્રમમાં સંભોગ અંગેની થેરાપી આપી, તથા સાર્વજનિક મૈથુન અને ગર્ભપાતનો પ્રચાર કર્યો. તેમના સંભોગ અંગેના વિચારો અને તેમનું "સંભોગથી સમાધિ" સુધીનું પુસ્તક ખૂબ વિવાદાસ્પદ રહ્યું.

તેમણે દરેક ધર્મ અને તેમના ઈશ્વરની તર્કપૂર્વક ટીકા કરીને તેમની હાંસી ઉડાવી. આના કારણે તેમણે દરેક ધર્મગુરુના વિરોધનો સામનો કરવો પડ્યો. ભારત સહિત અનેક દેશોએ ઓશોના વિચારોના કારણે તેમના પર પ્રતિબંધ મૂકવાનો પ્રયાસ પણ કર્યો હતો.

તેમણે અમેરિકામાં ઈશુ ખ્રિસ્ત અને ખ્રિસ્તી ધર્મ પર એક ખૂબ જ વિવાદિત પ્રવચન આપ્યું હતું અને ઈસાઈઓના ધર્મગુરુ પોપને શાસ્ત્રાર્થ માટે ખુલ્લો પડકાર આપ્યો હતો. આવાં કારણોસર અમેરિકી સરકાર અને ઓશો વચ્ચેના સંબંધો વધુ ખરાબ થયા. અમેરિકી સરકારે તેમના પર 5 મિલિયન ડોલરનો દંડ લગાડી તેમને અમેરિકાથી નીકળી જવાનો આદેશ આપ્યો.

મે 1984માં તેમની હત્યા કરવાનો એક નિષ્ફળ પ્રયાસ થયો હતો. ઑક્ટોબર 1984માં રજનીશજીએ મૌન તોડ્યું. જુલાઈ 1985માં તેમનાં પ્રાત:કાલીન પ્રવચનો ફરી શરૂ થયાં.

ફરીથી ભારતમાં

[ફેરફાર કરો]

ભારત પાછા ફર્યા બાદ તેમણે થોડાક સમય માટે હિમાલયમાં આરામ કર્યો. ડિસેમ્બર 1985માં તેઓ નેપાળ ગયા, જ્યાં કાઠમંડુ ખાતે તેમણે પ્રવચનો આપવાની શરૂઆત કરી. ફેબ્રુઆરી 1986થી જાન્યુઆરી 1987 દરમિયાન તેમણે એકવીસ દેશોની મુલાકાત લીધી; પરંતુ તે દરેક દેશમાંથી ‘અવાંછનીય વ્યક્તિ’ તરીકે તેમને દેશવટો કરવો પડ્યો. જાન્યુઆરી 1987માં તેઓ પુણે ખાતેના આશ્રમમાં પાછા આવ્યા ત્યારે પણ પોલીસ દ્વારા તેમને ત્યાંથી હદપાર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો; પરંતુ મુંબઈની વડી અદાલતની દરમિયાનગીરીને કારણે પોલીસને તેમાં સફળતા મળી નહોતી.

દેહાંત

[ફેરફાર કરો]

ભારત આવ્યા બાદ તેમનું સ્વાસ્થ્ય સતત નબળું પડતું રહ્યું. એપ્રિલ 1989માં તેમણે પોતાનું છેલ્લું જાહેર પ્રવચન આપ્યું, ત્યારબાદ જાહેર જીવનથી મૌન ધારણ કર્યું. 58 વર્ષની ઉંમરે, રજનીશનું 19 જાન્યુઆરી 1990ના રોજ ભારતના પુણે સ્થિત આશ્રમમાં અવસાન થયું.

તેમનું મૃત્યુ હૃદયરોગના હુમલાથી થયું હોવાનું મનાય છે, તો ઘણાના મતે તેમને અમેરિકી સરકારે ધીમું ઝેર (થેલિયમ) આપ્યું હતું.

તેમની રાખ પુણે સ્થિત આશ્રમમાં લાઓ ત્ઝુ હાઉસમાં તેમના નવા બનેલા શયનખંડમાં મૂકવામાં આવી હતી. ત્યાંના શિલાલેખમાં લખ્યું છે, "ઓશો જે ક્યારેય નથી જન્મ્યા, નથી મૃત્યુ પામ્યા, તેમણે ફક્ત 11 ડિસેમ્બર, 1931 અને 19 જાન્યુઆરી, 1990ની વચ્ચે આ પૃથ્વી ગ્રહની મુલાકાત લીધી."

વિચારક અને વક્તા તરીકે રજનીશના ગુણો અંગે વ્યાપકપણે અલગ અલગ મૂલ્યાંકન છે. પ્રખ્યાત લેખક, ઇતિહાસકાર અને હિન્દુસ્તાન ટાઇમ્સના ભૂતપૂર્વ સંપાદક ખુશવંત સિંહે તેમને "ઓશો ભારતે ઉત્પન્ન કરેલા સૌથી મૌલિક વિચારક: સૌથી વધુ વિદ્વાન, સૌથી સ્પષ્ટ મનના અને સૌથી નવીન" તરીકે વર્ણવ્યા છે. સિંહ માને છે કે રજનીશ એક "મુક્ત વિચારધારા ધરાવતા અજ્ઞેયવાદી" હતા જેમની પાસે સરળ ભાષામાં સૌથી અમૂર્ત ખ્યાલો સમજાવવાની ક્ષમતા હતી, જે રમુજી ટુચકાઓ સાથે દર્શાવવામાં આવતી હતી. તેમણે દેવતાઓ, પયગંબરો, શાસ્ત્રો અને ધાર્મિક પ્રથાઓની મજાક ઉડાવી હતી અને ધર્મને સંપૂર્ણપણે નવું પરિમાણ આપ્યું હતું. જર્મન ફિલોસોફર પીટર સ્લોટરડિજકે, જે રજનીશના એક સમયના ભક્ત હતા (1978થી 1980 સુધી પુણે આશ્રમમાં રહેતા હતા), તેમને "ધર્મોના વિટજેન્સ્ટાઇન" તરીકે વર્ણવ્યા હતા અને તેમને 20મી સદીના મહાન વ્યક્તિઓમાંના એક તરીકે ગણાવ્યા હતા; તેમના મતે, રજનીશે વિશ્વના ધર્મો દ્વારા રમાતી શબ્દ રમતોનું આમૂલ વિઘટન કર્યું હતું.

આચાર્ય રજનીશના નામ પર તેમનાં પ્રવચનોના આધારે આશરે 650 ગ્રંથો પ્રકાશિત થયા છે, જેનો ત્રીસ જેટલી દેશવિદેશની ભાષાઓમાં અનુવાદ કરવામાં આવ્યો છે. ગુજરાતીમાં અનૂદિત થયેલાં તેમનાં પુસ્તકોની સંખ્યા 50 જેટલી છે. તેમનાં પ્રવચનોની કૅસેટો પણ ઉપલબ્ધ છે. તેમનો ‘સંભોગથી સમાધિ સુધી’ (મૂળ અંગ્રેજીમાં : ‘From Sex to Meditation’) ગ્રંથ ખૂબ વિવાદાસ્પદ બન્યો હતો. તેમનાં જાણીતાં પુસ્તકોમાં ‘સત્યની ખોજ’, ‘કૃષ્ણ : મારી દૃષ્ટિએ’, ‘ગાંધીવાદ : વૈજ્ઞાનિક દૃષ્ટિએ’, ‘ગીતાદર્શન’, ‘તાઓ ઉપનિષદ’, ‘મહાવીરદર્શન’, ‘અંતરયાત્રા’, ‘ભજ ગોવિંદમ્’નો સમાવેશ થાય છે.