કંસવહો
કંસવહો (સંસ્કૃત: કંસવધ) કેરળના બહુશ્રુત કવિ રામપાણિવાદ(૧૭૦૭-૧૭૭૫)ની પ્રાકૃત કાવ્યરચના છે જેનો મુખ્ય વિષય કૃષ્ણ દ્વારા કંસનો વધ છે.[૧] આ ખંડકાવ્ય ૨૩૩ પદ્યોમાં તથા ૪ સર્ગોમાં રચાયેલું છે.[૧]

લેખન
[ફેરફાર કરો]આ લેખનની ભાષા મહારાષ્ટ્રી પ્રાકૃત છે પરંતુ છૂટીછવાઈ રીતે શૌરસેની પ્રાકૃતનો પણ ઉપયોગ થયો છે.[૧] વ્યાકરણને આધારે આ કૃતિની રચના થઈ છે તેથી તેની ભાષા કૃત્રિમ સાહિત્યિક પ્રાકૃત છે.[૧]
કથા
[ફેરફાર કરો]આ કાવ્યરચનાનું મુખ્ય વિષયવસ્તુ કૃષ્ણ વડે કરાતો કંસ વધ છે. પ્રથમ સર્ગમાં શ્રી કૃષ્ણ અને બલરામને અક્રૂર સંદેશો આપે છે કે ધનુષ ઉત્સવ માટે રાજા કંસે તેમને આમંત્રણ આપ્યું છે. તે સ્વીકારી કૃષ્ણ અને બલરામ અક્રૂર સાથે રથ પર સવાર થઈ મથુરા જવા નીકળે છે અને કૃષ્ણના વિયોગથી દુ:ખી ગોપીઓને અક્રૂર ઉપદેશ આપે છે.[૧]
દ્વિતીય સર્ગમાં કૃષ્ણ અને બલરામ મથુરા જઈને ધનુષ તોડી નાખે તેની કથા, વિવિધ અલંકારો જેવાં કે ઉપમા, ઉત્પ્રેક્ષા, રૂપક, દૃષ્ટાંતનો ઉપયોગ અને મથુરા નગરીનું વર્ણન છે. તૃતીય સર્ગમાં પ્રાત:કાળમાં બંદીજનોની સ્તુતિ પછી જાગેલા કૃષ્ણ અને બલરામ મથુરા નગરીના દ્વારે પહોંચી ચાણૂર અને મુષ્ટિક મલ્લો સાથે યુદ્ધ કરી તેમને હણે છે. આ વધથી કોપાયમાન થયેલ કંસ તેમને જેલમાં નાખવા માગે છે પરંતુ અંતે કૃષ્ણના હાથે તેનો પણ વધ થાય છે.[૧]
ચતુર્થ સર્ગમાં નગરીમાં છવાયેલા આનંદનું તથા કૃષ્ણની બાલલીલાઓનું વર્ણન છે.[૧]