કણ્હચરિય
કણ્હચરિય (સંસ્કૃત: કૃષ્ણચરિત્ર) દેવેન્દ્રસૂરિકૃત પ્રાકૃતભાષાનો ચરિત્રગ્રંથ છે જેમાં શ્રીકૃષ્ણચરિત્રનું વર્ણન છે.[૧] દેવેન્દ્રસૂરિ જગચ્ચન્દ્રસૂરિના શિષ્ય હતા અને ઇસ ૧૨૭૦માં વસ્તુપાલ સમક્ષ તેમને સૂરિપદ પ્રાપ્ત થયેલું.
લેખન
[ફેરફાર કરો]આ ચરિત્રગ્રંથમાં જૈન પુરાણપરંપરાના આધારે વસુદેવના પૂર્વભવ, કંસનું જન્મવૃત્તાંત, વસુદેવના વિવિધ પ્રવાસો તથા રાજકન્યાઓ સાથેના વિવાહ, દેવકી સાથેનાં પાણિગ્રહણ, ચારુદત્તનું આખ્યાન, કૃષ્ણ અને બલદેવના પૂર્વભવોનું વર્ણન, નારદમુનિનું વૃત્તાંત, કૃષ્ણાવતાર, નેમિનાથ તીર્થંકરનો પૂર્વભવ, નેમિજયંતીનો ઉત્સવ, કંસવધ, પ્રદ્યુમ્નનો જન્મ, દ્રૌપદીના પૂર્વભવોનું વિવરણ, દ્વારિકા નગરીનું સ્થાપન, જરાસંધ સાથેનો સંગ્રામ, નેમિનાથ અને રાજિમતીનો વિવાહ, નેમિનાથનું દીક્ષાગ્રહણ, દ્રૌપદીનું અપહરણ, ગજસુકુમારનું આખ્યાન, ઢંઢણ ઋષિની કથા, રથનેમિ-રાજિમતી વચ્ચેનો સંવાદ, દ્વીપાયન મુનિ દ્વારા દ્વારિકાનું દહન, કૃષ્ણનું દેહાંત, બલદેવનું વિલાપ, પાંડવોની સંન્યાસદીક્ષા અને નેમિનાથનું નિર્વાણપ્રાપ્તિ - આ સર્વ વિષયોનું વિસ્તૃત વર્ણન આ ગ્રંથમાં પ્રસ્તુત છે.[૧]
ગ્રંથમાં એમ પણ નિર્દેશ છે કે શ્રીકૃષ્ણ મૃત્યુ પછી તૃતીય નરકમાં ગમન પામ્યા છે અને ભવિષ્યમાં અમમ નામે તીર્થંકર તરીકે અવતરશે.[૧]