કત્તિગેયાણુવેકખા
કત્તિગેયાણુવેકખા (સંસ્કૃત: કાર્તિકેયાનુપ્રેક્ષા) એ શૌરસેની પ્રાકૃતમાં કાર્તિકેયમુનિ દ્વારા આશરે નવમી સદીમાં રચાયેલી ૪૮૯ ગાથાઓની કૃતિ છે.[૧] આ ગ્રંથમાં અનુપ્રેક્ષા અર્થાત ભાવનાઓનું વિસ્તારમાં વર્ણન કરાયું છે.
લેખન
[ફેરફાર કરો]જૈન ધર્મમાં વૈરાગ્યને પુષ્ટ કરતી બાર ભાવનાઓ પ્રસિદ્ધ છે: અધ્રુવ, અશરણ, સંસાર, એકત્વ, અન્યત્વ, અશુચિત્વ, આસ્રવ, સંવર, નિર્જરા, લોક, બોધિદુર્લભત્વ અને ધર્મભાવના. આ ગ્રંથમાં મુખ્યત્વે બાર અનુપ્રેક્ષાઓનું વર્ણન હોવાથી તેને ‘બારસ અણુવેકખા’ નામથી પણ ઓળખવામાં આવે છે.[૧] કાર્તિકેય નામના દિગંબર જૈનમુનિએ આ ગ્રંથની રચના કરી હોવાથી તેને 'કત્તિગેયાણુવેક્ખા' તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ગ્રંથ પર આચાર્ય શુભચંદ્રે સંસ્કૃત ટીકા પણ લખી છે.[૧]
કાર્તિકેય મુનિના સમય તથા પરિચય વિશે પ્રમાણભૂત માહિતી અપ્રાપ્ય છે. કેટલાક દિગંબર જૈન ગ્રંથોમાં કાર્તિકેયનું કથાનક આવે છે, જેમાં તેમને અગ્નિ નામક રાજાના પુત્ર બતાવ્યા છે અને તેઓ કુમારાવસ્થામાં જ દીક્ષા લઈ ઉગ્ર તપશ્ચરણ કરી સ્વર્ગમાં ગયા હોવાનો ઉલ્લેખ છે. કેટલાક વિદ્વાનો કાર્તિકેય મુનિનો સમય પ્રાચીન માને છે. પણ ડૉ. ઉપાધ્યેએ એક ગાથાના આધારે તેમને નવમી શતાબ્દી પછીના માન્યા છે.[૧]