કરકંડચરિઉ
કરકંડચરિઉ (સંસ્કૃત: કરકંડુચરિત્ર) કનકામર મુનિ દ્વારા રચિત અપભ્રંશ ભાષામાં ઇ.સ. ૧૦૦૯ની આસપાસ રચાયેલું ધાર્મિક ચરિતકાવ્ય છે. કનકામર મુનિ ચન્દ્રર્ષિગોત્રીય બ્રાહ્મણ હતા તથા ‘બુધ-મંગલદેવ’ના શિષ્ય હતા. વૈરાગ્ય ઉત્પન્ન થવાને લીધે તેઓ દિગંબર મુનિ બન્યા હતા.[૧]
કથાવસ્તુ
[ફેરફાર કરો]કરકંડ(કરકંડુ)ની મૂળ કથાના ઉલ્લેખો આગમકાળથી મળી આવે છે.[૧]
તેમનો સૌથી પ્રાચીન ઉલ્લેખ ઉત્તરાધ્યયનસૂત્રમાં છે. ઉત્તરાધ્યયન અને આવશ્યક નિર્યુક્તિઓમાં કરકંડુનો વૃત્તાંત આવે છે. ઉત્તરાધ્યયન સૂત્ર(૧૮.૪૫)માં કરકંડુ, દુમ્મુહ, નમી તેમજ નરગઈ – આ ચાર બુદ્ધોનાં નામ આવે છે. આ નામો પાલિમાં રચિત ગ્રંથ 'કુંભકાર જાતક'માં પણ લિખિત છે.[૧]
‘કરકંડચરિઉ’માં કરકંડુ દ્વારા તેરાપુરમાં મળી આવતા, ઐતિહાસિક જૈન ગુફાઓનાં નિર્માણ અને પુનરુદ્ધારનું સવિસ્તર વર્ણન તેમજ અન્ય ઉપલબ્ધ પુરાવા મુજબ, કરકંડુ ઈ. પૂ. ૮૦૦થી ૫૦૦ના મધ્ય પાર્શ્વનાથ યુગમાં થઈ ગયેલી ઐતિહાસિક વ્યક્તિ જણાય છે.[૧]
લેખન
[ફેરફાર કરો]આ ગ્રંથ ૧૦ સંધિઓમાં વિભાજિત ૧૯૮ કડવકોનો બનેલો છે.[૧] વિમલપ્રકાશ જૈન અનુસાર, "મૂળકથાની પોષક ૯ અંત:કથાઓ ગ્રંથની રોચકતા તેમજ કાવ્યાત્મકતાને વધારે છે. શૃંગારરસાલંકૃત વીર અને શાંતરસોની પ્રધાનતા, ભાવાનુરૂપ છંદ, શૈલી, અલંકાર તેમજ શબ્દયોજના અને પ્રસંગાનુકૂળ પ્રકૃતિવર્ણન વગેરે કાવ્યગુણોથી સમૃદ્ધ કાવ્યકૃતિ છે."[૧]