લખાણ પર જાઓ

કસાયપાહુડ

વિકિપીડિયામાંથી

કસાયપાહુડ (સંસ્કૃત:કષાયપ્રાભૃત) ગુણધર નામના આચાર્યે લગભગ બીજી કે ત્રીજી સદીમાં શૌરસેની પ્રાકૃતમાં રચેલો મહત્વનો ગ્રંથ છે.[] દિગંબર જૈન પરંપરામાં આગમશાસ્ત્રોની જેમ જ કસાયપાહુડનું પણ મહત્વપૂર્ણ સ્થાન છે.[] આ ગ્રંથમાં રાગદ્વેષ, મોહનીય કર્મ વગેરે જેવા વિષયોનું વર્ણન છે તથા 'જયધવલ'ના નામે તેની ટીકા પ્રસિદ્ધ છે.

માન્યતા મુજબ આ ગ્રંથની રચના ચૌદ પૂર્વ તરીકે ઓળખાતા પ્રાચીન જૈન ગ્રંથોમાંના પાંચમા જ્ઞાનપ્રવાહ પૂર્વની દસમી વસ્તુના ત્રીજા ‘પેજ્જદોસ પાહુડ’ નામે પ્રકરણમાં ઉદ્ધરીને કરવામાં આવી હતી. અહીં ‘પેજ્જ’નો અર્થ રાગ તથા ‘દોસ’નો અર્થ દ્વેષ થાય છે.[]

તે રીતે આ ગ્રંથમાં ક્રોધ આદિ કષાયોની રાગદ્વેષ પરિણતિ અને તેમનાં પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ તથા પ્રદેશગત વૈશિષ્ટ્ય વગેરેનું વિગતે આલેખન કરવામાં આવ્યું છે.[]

કસાયપાહુડમાં પંદર અધ્યાયો આવેલા છે: પેજ્જદોસવિભક્તિ, સ્થિતિવિભક્તિ, અનુભાગવિભક્તિ, પ્રદેશવિભક્તિ, બંધક, વેદક, ઉપયોગ, ચતુ:સ્થાન, વ્યંજન, દર્શનમોહોપશમના, દર્શનમોહક્ષમણા, સંયમાસંયમલબ્ધિ, સંયમલબ્ધિ, ચારિત્રમોહોપશમના અને ચારિત્ર-મોહક્ષમણા. પહેલાં આઠ અધ્યાયોમાં મોહનીય કર્મનું તથા બાકીના સાત અધ્યાયોમાં આત્મપરિણામોના વિકાસથી શિથિલ થતા જતા મોહનીય કર્મની વિવિધ દશાઓનું વર્ણન કરવામાં આવ્યું છે.[]

ષટ્ખંડાગમ (દિગંબર જૈન આગમ)ના ટીકાકાર આચાર્ય વીરસેને કસાયપાહુડ પર ટીકા વીશ હજાર ગ્રંથાગ્ર પ્રમાણની રચી છે. જોકે આ ટીકા પણ અપૂર્ણ હતી જેને રાષ્ટ્રકૂટ રાજા અમોઘવર્ષના ગુરુ આચાર્ય જિનસેને ઈ.સ. ૮૭૪માં પૂરી કરી હતી. આ ટીકા 'જયધવલ'ના નામે પ્રસિદ્ધ છે અને તેમાં સાઠ હજાર શ્લોક આવેલા છે.[]

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. "Jain Agama Literature". www.cs.colostate.edu. મેળવેલ 2025-08-23. {{cite web}}: Check date values in: |access-date= (મદદ)
  2. 1 2 3 4 5 શાહ, રમણિકભાઈ મ. "કસાયપાહુડ (કષાયપ્રાભૃત) – Gujarati Vishwakosh – ગુજરાતી વિશ્વકોશ". મેળવેલ 2025-08-23. {{cite web}}: Check date values in: |access-date= (મદદ)CS1 maint: url-status (link)

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]