લખાણ પર જાઓ

કહકોસુ

વિકિપીડિયામાંથી

કહકોસુ (સંસ્કૃત: કથાકોશ) દિગંબર જૈન પરંપરાના શ્રીચંદ્રમુનિકૃત અપભ્રંશ ભાષાની ૧૯૦ કથાઓનો કોશ છે. કથાકોશની રચના ઇસવીસન ૧૦૬૬ની આસપાસ ભિન્નમાલ (ત્યારે શ્રીમાળ) ખાતે રાજા કર્ણદેવના સમયમાં થયેલી હોવાનું અનુમાન છે.[][]

આ ગ્રંથની સર્વ કથાઓ ધાર્મિક અને ઉપદેશપ્રદ છે. તેમાં ૫૩ સંધિઓમાં ૧૦૫૩ કડવકોમાં નાનીમોટી ૧૯૦ કથાઓ પદ્યબદ્ધ રૂપે અપભ્રંશ ભાષામાં આપવામાં આવી છે.[] આ કથાઓમાં મગધના રાજા શ્રેણિક, મગધદેશ, મગધની રાજધાની પાટલિપુત્ર (હાલનું પટણા) અને રાજગૃહનગરને સંબંધિત ઘણી કથાઓ છે. તદુપરાંત આ ગ્રંથમાં બીજાં કેટલાંક લૌકિક કથાઓ અને ર્દષ્ટાંતો આપેલાં છે. આ કથાનકો મૌલિક કલ્પનાવાળાં અને રસપ્રદ છે તથા તેમાં પશુપક્ષીઓ પણ પાત્ર રૂપે આવે છે.[]

અન્ય ગ્રંથનો પ્રભાવ

[ફેરફાર કરો]

લેખકે ‘કહકોસુ’ની રચનામાં આચાર્ય શિવકોટિની ‘મૂલારાધના’ (ભગવતી આરાધના) ગ્રંથનો આધાર લીધો છે. આ ગ્રંથની ૪૩ ગાથાઓ પરથી ૪૩ સંધિ સુધીની કથાઓ તેમણે આપી છે.[] આ સિવાય લેખકે પૂર્વાચાર્યવિરચિત એક કથાકોશનો આધાર લીધો હોવાનું જણાવ્યું છે.[]

ડૉ. આદિનાથ નેમિનાથ ઉપાધ્યેએ સંશોધન કરી હરિષેણાચાર્યના સંસ્કૃત ભાષાબદ્ધ ‘બૃહત્કથાકોશ’ની ‘કહકોસુ’ સાથે સરખામણી કરી છે. તેમના તારણ મુજબ આ બંને ગ્રંથો વચ્ચે ઘણું સામ્ય રહેલું છે. ‘બૃહત્કથાકોશ’ની રચના ૯૭૧-૭૨માં વર્ધમાનપુર(હાલનું વઢવાણ) ખાતે થઈ હતી. આ તથ્યોથી સુસ્પષ્ટ છે કે શ્રીચન્દ્ર સામે ‘બૃહત્કથાકોશ’ દાખલા રૂપે હતો અને તેથી ‘કહકોસુ’ની રચનામાં તેનો પણ પ્રભાવ છે. આ ગ્રંથની ભાષામાં પદયોજના સંસ્કૃત-પ્રાકૃતની સમાન છે.[]

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. 1 2 3 4 5 6 "કહકોસુ – Gujarati Vishwakosh – ગુજરાતી વિશ્વકોશ". મેળવેલ 2025-08-25. {{cite web}}: Check date values in: |access-date= (મદદ)CS1 maint: url-status (link)
  2. મુનિ, શ્રીચંદ્ર (૧૯૬૯). કહકોસુ. દલસુખ માલવણિયા પ્રાકૃત ટેક્સ્ટ સોસાયટી. pp. ૧૮. {{cite book}}: Check date values in: |year= and |year= / |date= mismatch (મદદ)