કહાવલી
આ અવસર્પિણી કાળના અંતિમ તીર્થંકર મહાવીર સ્વામી હતા. | |
| લેખક | ભદ્રેશ્વરસૂરિ |
|---|---|
| દેશ | ગુજરાત, ભારત |
| ભાષા | મહારાષ્ટ્રી પ્રાકૃત |
| પ્રકાર | ગદ્યરૂપે જૈન ધર્મનાં જીવનચરિત્રો |
| પ્રકાશિત | ના |
કહાવલી (સંસ્કૃત: કથાવલી, અંગ્રેજી: Kahavali કે Kathavali) શ્વેતામ્બર જૈનાચાર્ય ભદ્રેશ્વરસૂરિ દ્વારા મહારાષ્ટ્રી પ્રાકૃતમાં રચાયેલ પૌરાણિક ગદ્ય કથાકોશ છે. કથાવલીમાં પહેલી જ વાર વર્તમાન અવસર્પિણી કાળના ૨૪ તીર્થંકરો, ભાવિ તીર્થંકરો, ચક્રવર્તીઓ, બલદેવો, વાસુદેવો, પ્રતિવાસુદેવો, નારદો જેવાં મહાપુરૂષોનાં અને હરિભદ્રાચાર્ય સુધીના મહાન જૈનધર્મનાયકોનાં કથાનકો મળે છે.[૧] આ દૃષ્ટિએ તેનું સ્થાન સાહિત્યમાં અત્યંત અગત્યનું છે.[૨] વિદ્વાનોના મતે તેની રચના ૧૨મી સદીમાં થઈ હોવાનું સંભવ છે.
લેખન
[ફેરફાર કરો]કર્તા અને રચનાનો સમય
[ફેરફાર કરો]શ્વેતાંબર જૈનાચાર્ય ભદ્રેશ્વરસૂરિએ આ ગ્રંથની રચના કરી છે. કથાવલીની એકમાત્ર તાડપત્રીય હસ્તપ્રત પાટણના ભંડારમાં સચવાઈ રહી છે જેની રચના વિક્રમ સંવત ૧૪૯૭ (ઈ.સ. ૧૪૪૦)માં થઈ હતી. આ ગ્રંથની રચનામાં હરિભદ્રાચાર્યના જીવનનો સંદર્ભ આવે છે જેઓ ઈ.સ.ની આઠમી સદીમાં થઈ ગયા. આઠમી સદી અને પંદરમી સદીની વચ્ચે ભદ્રેશ્વર નામથી ઘણા આચાર્યો થઈ ગયા તેથી આ ગ્રંથના કર્તા શોધવા મુશ્કેલ છે.[૨] પરંતુ વિદ્વાનો આચાર્ય દેવસૂરિ (ઈ.સ. ૧૦૮૬-૧૧૬૯)ના શિષ્ય ભદ્રેશ્વરસૂરિનો કથાવલીના સંભવિત કર્તા તરીકે સ્વીકાર કરે છે.[૨]
જો કે સી.ડી. દલાલ અનુસાર ભદ્રેશ્વરસૂરિનો સમય ગુજરાતના રાજા કર્ણદેવ સોલંકીના શાસન દરમિયાન ઇ.સ. ૧૦૬૪-૯૪ની આસપાસનો છે.[૩] જર્મન ભારતવિદ્ હર્મન જેકોબીના મતે ભદ્રેશ્વરસૂરિ વિ.સં. ૧૧૦૦-૧૧૫૦ (ઇ.સ. ૧૦૪૪-૧૦૯૪)ની વચ્ચે થઈ ગયા.[૧] પરંતુ સૌથી તાજેતરના વિદ્વાન દલસુખ માલવિણયાના અનુસાર આ ભદ્રેશ્વરસૂરિ ૧૧મી નહીં પરંતુ ૧૨મી સદીમાં થઈ ગયા.[૪] તેથી કથાવલીની રચના ૧૨મી સદીમાં થઈ હોવાનું સંભવ છે.[૨][૩]
ભાષા તથા શૈલી
[ફેરફાર કરો]ભદ્રેશ્વરસૂરિએ કથાવલીની રચના મોટેભાગે સરળ મહારાષ્ટ્રી પ્રાકૃત ગદ્યમાં કરી છે પરંતુ છૂટી છવાયી રીતે તેમાં પદ્યનો ઉપયોગ પણ થયો છે. સમગ્ર ગ્રંથ ૨૩,૮૦૦ ગ્રંથાગ્ર-પ્રમાણ છે. હસ્તપ્રતમાં આટલા ભાગને પ્રથમ પરિચ્છેદ તરીકે ઓળખાવાયેલ છે. તેનો અર્થ એ છે કે ગ્રંથ હજુ અપૂર્ણ છે.[૨]
કથાવલી ભદ્રેશ્વરસૂરિની મૌલિક રચના નથી. પરંતુ આ રચના પ્રાચીન ગ્રંથોમાંથી કથાનકો લઈને સંગ્રહરૂપે રચાઈ છે. ‘તરંગવતી’, ‘વસુદેવહિંડી’, ‘આવશ્યકનિર્યુક્તિ’, ‘ચૂર્ણિઓ’, ‘તિત્થોગાલી’ અને ‘મહાનિશીથ’ જેવા આગમિક ગ્રંથો અને કદાચ ‘ચઉપન્નમહાપુરિસચરિયં’ જેવા પોતાની સામેના પ્રાચીન ગ્રંથોમાંથી તેમણે ભરપૂર સામગ્રી લીધી છે.[૨] પરંતુ આ સામગ્રીને ભદ્રેશ્વરે પોતાની વિશિષ્ટ યોજના પ્રમાણે ગોઠવી છે.[૨]
કથાવસ્તુ
[ફેરફાર કરો]ભદ્રેશ્વરસૂરિએ દરેક મહાપુરુષોનાં જીવનચરિત્રોને સમયાનુસાર આલેખ્યાં છે અને તેમાં "વચ્ચે આનુષંગિક અન્ય કથાનકો મૂકતા જઈ સમગ્ર ગ્રંથની સળંગસૂત્રતા જાળવી રાખી છે".[૨]
કથાવલીમાં પહેલી જ વાર વર્તમાન અવસર્પિણી કાળના ૨૪ તીર્થંકરો, ભાવિ તીર્થંકરો, ચક્રવર્તીઓ, બલદેવો, વાસુદેવો, પ્રતિવાસુદેવો, નારદો જેવાં મહાપુરૂષોનાં અને હરિભદ્રાચાર્ય સુધીના મહાન જૈનધર્મનાયકોનાં કથાનકો મળે છે.[૧]

પૌરાણિક કથાઓ
[ફેરફાર કરો]આ ગ્રંથમાં ભદ્રેશ્વરસૂરિએ જૈન ર્દષ્ટિએ રામકથા (રામાયણ) અને કૃષ્ણકથા (મહાભારત) આપી છે.[૨] તદુપરાંત નાનીમોટી ત્રણસો કથાઓનું વર્ણન કહાવલીમાં છે. પૌરાણિક કથાઓમાં તેમણે કુરુચન્દ્રકથા, મુનિચન્દ્રકથા, ઇલાપુત્રકથા, નરસુંદરદેવકથા, વીરભદ્રકથા, વિષ્ણુકુમારકથા, દક્ષપ્રજાપતિકથા, મહાકાલકથા, વસુદેવકથા, ચારુદત્તકથા, મેઘવાહનકથા, ચારુચન્દ્ર અને અનંગસેના ગણિકાની કથા, અતિમુક્તકથા, દમયંતીકથા, સુકુમારિકાકથા, સાગરચંદ્રકથા, ઢંઢણકુમારકથા, ગજસુકુમાલકથા, ચિત્ર-સંભૂતકથા, નવફુલ્લમાલિકાકથા, બંધુદત્તકથા, મૃગાવતી-આર્યાચંદનાકથા, મણિભદ્ર-પૂર્ણભદ્રકથા, શ્રેણિકકથા, અભયકુમારકથા, દુર્મુખકથા, ઉદયનકથા, કુબેરદત્તાકથા, વિદ્યુન્માલિકથા, પ્રસન્નચંદ્રરાજર્ષિકથા, મધુબિન્દુકથા, ધન્ય-શાલિભદ્રકથા, કરકંડુકથા, સુજાતા-વાસવદત્તાકથા, જંબુએ પોતાની આઠ પત્નીઓને કહેલી આઠ કથાઓ, મૃગાપુત્રકથા, ચિલાતીપુત્રકથા, પુંડરીક-કંડરીકકથા, પદ્મશ્રીકથા, કુલવાલકકથા, અંબડપરિવ્રાજકકથા, દુર્મુખ-કલ્કીકથા, નિહ્નવોની કથાઓ, શકટાલસ્થૂલિભદ્રકથા, ચાણક્ય-ચન્દ્રગુપ્તકથા, શાલિવાહનકથા વગેરે જેવી જૈન પરંપરામાં ચાલી આવતી ઢગલાબંધ કથાઓ અહીં ગૂંથી લીધી છે.[૨]
જીવનચરિત્રો
[ફેરફાર કરો]ભદ્રેશ્વરસૂરિએ જૈન ધર્મના ઐતિહાસિક પ્રભાવક પુરૂષો જેવા કે વજ્રસ્વામી, આર્યરક્ષિત, કાલકાચાર્ય, પાદલિપ્તસૂરિ, સ્કંદિલાચાર્ય, નાગાર્જુનાચાર્ય, ગોવિંદવાચક, ઉમાસ્વાતિ, મલ્લવાદી, જિનભદ્રગણિ, સિદ્ધસેન અને છેલ્લે હરિભદ્રસૂરિના જીવનચરિત્રો પણ આપ્યાં છે.[૨]
કહાવલી જૈન જીવનચરિત્ર સાહિત્યમાં વિશેષ મહત્વ ધરાવે છે કારણ કે તે હરિભદ્રાચાર્યના જીવનચરિત્રનું સૌથી પહેલું નોંધાયેલું સ્વરૂપ સાચવે છે. ભારતીય ધર્મોની નિષ્ણાંત તથા ભારતવિદ્ ફિલિસ ગ્રેનોફના વિશ્લેષણ અનુસાર, આ સ્વરૂપ હરિભદ્રાચાર્યની દંતકથાઓનો "પ્રકાર ૧" દર્શાવે છે, જ્યાં "હરિભદ્ર બૌદ્ધોની હિંસા પ્રત્યે આત્મહત્યાજનક હતાશા સાથે પ્રતિક્રિયા આપે છે" જ્યારે પછીના જીવનચરિત્ર વર્ણનોમાં જોવા મળતા "ખૂની ક્રોધ" જોવા મળે છે.[૪] આ ગ્રંથ વિશિષ્ટ રીતે હરિભદ્રાચાર્યના સમાપન આશીર્વાદોમાં વિરહ (વિયોગ) શબ્દના લાક્ષણિક ઉપયોગને તેમના બે પ્રિય શિષ્યોના વ્યક્તિગત પ્રિયજનની ખોટ સાથે જોડે છે, જેઓ છદ્મવેશમાં બૌદ્ધ ધર્મનો અભ્યાસ કર્યા પછી બૌદ્ધો દ્વારા માર્યા ગયા હતા. આ જીવનચરિત્રનું વર્ણન પછીના સંસ્કરણોથી નોંધપાત્ર રીતે અલગ છે જેમાં વધુને વધુ હિંસક તત્વો વિકસિત થયાં.[૪]
- પૌરાણિક પાત્ર જંબુસ્વામી અને તેમની આઠ પત્નીઓ. તેમણે પોતાની ૮ પત્નીઓને પોતાના સંસાર છોડવા માટે કહેલી ૮ કથાઓનું વર્ણન કથાવલીમાં થયું છે.
- શકો સાથે કાલકાચાર્ય (ઇ.સ. પૂર્વે ૨૪૭-૧૫૧). તેમણે પ્રજ્ઞાપાણ સૂત્રની રચના કરી હતી અને તેમના ચરિત્રનું વર્ણન કથાવલીમાં થયું છે.
- પાંચમી સદીમાં થઈ ગયેલા વિવિધ પુસ્તકોના લેખક સિદ્ધસેન દિવાકરસૂરી. કથાવલીમાં તેમનું પણ ચરિત્ર આવે છે.
વિવેચન
[ફેરફાર કરો]હર્મન જેકોબીના મતે હેમચંદ્રાચાર્યના ત્રિષષ્ઠિશલાકાપુરૂષચરિત્રને કથાવલી મળતી છે અને તેનું સાતત્ય હેમચંદ્રાચાર્યના ગ્રંથ પરિશિષ્ટપર્વને મળતું આવે છે.[૧] પરંતુ કથાવલીનું સાહિત્ય હેમચંદ્રાચાર્યના ગ્રંથોથી ઊંડાણમાં જાય છે કારણ કે તેમાં કાલકથી લઈને હરિભદ્રાચાર્ય સુધીના યુગપ્રધાનાચાર્યોનાં જીવનચરિત્રોનું વર્ણન છે.[૧] જેકોબી જણાવે છે કે, "ભદ્રેશ્વરના કાર્યમાં થોડાક સાહિત્યિક ગુણો છે." જેકોબીના અવલોકન મુજબ આ ગ્રંથ શ્વેતાંબર ફિરકાના ઇતિહાસ માટે અસંબંધિત સામગ્રીના સંગ્રહ કરતાં વધારે મહત્વનો છે તથા તેમાં ચૂર્ણિ અને ટીકાઓમાંથી ભરપૂર સાહિત્ય લેવામાં આવ્યું છે.[૧]
ભારતવિદ્ ફિલિસ ગ્રેનોફ નોંધે છે કે કહાવલીનાં જીવનચરિત્ર વર્ણનોનાં તત્વો પછીનાં ગ્રંથો જેવા કે પ્રભાવકચરિત અને પ્રબંધકોશમાં દેખાય છે.[૪] રમણિકભાઈ મ. શાહના મંતવ્ય પ્રમાણે લેખકની યોજના પોતાના સમય સુધી થઈ ગયેલા મહાન પુરુષોનાં જીવનચરિત્રો આપવાની હતી. જો કે તેઓ આ કાર્ય પૂરું કરી શક્યા નહિ; આથી હરિભદ્રસૂરિના જીવનચરિત્ર પાસે ગ્રંથ અધૂરો રહ્યો જણાય છે.[૨] પરંતુ, શાહના મતાનુસાર, કથાવલીએ પાછળના ઘણાં ચરિત્રાત્મક પ્રબંધોને પ્રેરિત કર્યાં છે.[૨]
આ પણ જુઓ
[ફેરફાર કરો]- કલ્પસૂત્ર, આચાર્ય ભદ્રબાહુએ રચેલો જૈન ધર્મનો મહત્વનો ગ્રંથ
- કુવલયમાલા, ઉદ્યોતન સૂરી દ્વારા રચિત પ્રાકૃતની નવલકથા
- ચઉપ્પન્નમહાપુરિસચરિયં, જૈન ધર્મના ૫૪ શલાકાપુરૂષનાં ચરિત્રોનું વર્ણન કરતો ગ્રંથ
સંદર્ભો
[ફેરફાર કરો]- 1 2 3 4 5 6 હેમચંદ્રાચાર્ય. "Introduction". In જેકોબી, હર્મન (સંપાદક). સ્થવિરાવલીચરિત કે પરિશિષ્ટપર્વન (PDF) (અંગ્રેજીમાં) (૨જી આવૃત્તિ). કોલકાતા: ધ એશિયાટિક સોસાયટી ઓફ્ બેંગાલ. pp. xi–xiv.
- 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 શાહ, રમણિકભાઇ મ. "કહાવલી (કથાવલી) – Gujarati Vishwakosh – ગુજરાતી વિશ્વકોશ". મેળવેલ 2025-09-03.
{{cite web}}: Check date values in:|access-date=(મદદ)CS1 maint: url-status (link) - 1 2 Iyengar, Kodaganallur R. Srinivasa (2005). Asian variations in Ramayana: papers presented at the International Seminar on "Variations in Ramayana in Asia : Their Cultural, Social and Anthropological Significance", New Delhi, January 1981 (અંગ્રેજીમાં). Sahitya Akademi. pp. 74–75. ISBN 978-81-260-1809-3.
- 1 2 3 4 Granoff, Phyllis (1989). "Jain Lives of Haribhadra: An Inquiry into the Sources and Logic of the Legends". Journal of Indian Philosophy. 17 (2): 105–128. ISSN 0022-1791.