લખાણ પર જાઓ

કુમારપાલપડિબોહ

વિકિપીડિયામાંથી

કુમારપાલપડિબોહ (સંસ્કૃત:કુમારપાળપ્રતિબોધ, અપરનામ: જિનધર્મ પ્રતિબોધ) આચાર્ય સોમપ્રભસૂરિ દ્વારા મહારાષ્ટ્રી પ્રાકૃતમાં રચાયેલ કથાગ્રંથ છે. આ કૃતિનો મુખ્ય વિષય હેમચંદ્રાચાર્યનો ઉપદેશ અને તેના પરિણામસ્વરૂપ ચાલુક્યવંશી રાજા કુમારપાળનો જૈન ધર્મનો સ્વીકાર છે.[] કુલ ૫૪ કથાઓની કૃતિમાં પ્રાકૃત સિવાય સંસ્કૃત અને અપભ્રંશનો પણ ઉપયોગ થયેલો છે.[]

આ ગ્રંથનું સંપાદન મુનિ જિનવિજયજીએ કર્યું હતું અને તેને વડોદરાની ગાયકવાડ ઑરિયેન્ટલ સિરીઝમાં ૧૯૨૦માં પ્રસિદ્ધ કર્યો હતો.[]

મૂળ કર્તા તથા રચનાનો સમય

[ફેરફાર કરો]

આ રચનાનું લેખન કુમારપાળ મહારાજાના અવસાન પછી ૧૧ વર્ષે એટલે કે વિક્રમ સંવત ૧૨૪૧માં (ઇ.સ. ૧૧૯૫માં) આચાર્ય સોમપ્રભસૂરિએ કર્યું હતું.[] આ ગ્રંથનું સમાપન લેખકે સંવત ૧૨૪૧ના ભાદરવા માસની સુદ આઠમ તિથિએ રવિવારે કર્યું છે. [] તેઓ હેમચંદ્રાચાર્યના તેમજ કુમારપાલ મહારાજના સમકાલિન હતા.[] કવિ સિદ્ધપાલ કે જેઓ કુમારપાલ મહારાજાના પ્રિતીપાત્ર હતા તેમના ઉપાશ્રયમાં આચાર્ય સોમપ્રભસૂરિ રહેતા હતા.[] કૃતિનું અપરનામ 'જિનધર્મ પ્રતિબોધ' પણ છે જેનો ઉપયોગ સોમપ્રભસૂરિએ ગ્રંથના નામ તરીકે કર્યો હતો.[][]

હસ્તપ્રત

[ફેરફાર કરો]

ગુજરાતની પ્રાચીન રાજધાની પાટણના જૈન ભંડારમાં સાહિત્યના અનેક ગ્રંથો છે અને ત્યાંથી મળી આવેલ તાડપત્ર પરથી આ ગ્રંથનું સંશોધન થયેલું છે.[] વડોદરામાં ગાયકવાડ શાસન તરફથી પ્રગટ થતી શ્રી ગાયકવાડ ઓરીએન્ટલ સીરીઝના ગ્રંથ તરીકે મૂળ પ્રસિદ્ધ થયેલ છે. ગ્રંથના સંદર્ભ તરીકે લીધેલ હસ્તપ્રત ખંભાત ખાતે વિક્રમ સંવત ૧૪૫૮માં (ઇ.સ. ૧૪૦૨માં) લખાયેલી છે. આ હસ્તપ્રતને લિપિબદ્ધ કરવાનું કામ ૧૪૫૮ના દ્વિતીય ભાદરવા સુદ ચતુર્થી શુક્રવારના રોજ શ્રીસ્તંભન તીર્થમાં પૌષધશાળામાં ભટ્ટારક જયતિલકસૂરિના ઉપદેશથી કાયસ્થ જ્ઞાતિના ખેતાશાએ કરેલું છે.[] સંશોધનકર્તા કહે છે કે,"ઉપરોક્ત વર્ષ પછી લખાયેલું કોઈ પણ તાડપત્ર મને એકે જૈન ભંડારમાંથી ઉપલબ્ધ થયેલ નથી, જેથી ગજરાત કે ઉત્તર પશ્ચિમ ભારતમાં લખાયેલ આ છેલ્લુ [sic] તાડપત્ર છે, આ ઉપરથી જણાય છે કે તાડપત્ર લખવાની કળા ચૌદમા સૈકાની શરૂઆતથી મદ થવા લાગી હતી અને કાગળ પર લખવાનો ઉપયોગ શરૂ થવા માંડ્યો હતો." []

પ્રકાશન

[ફેરફાર કરો]

આ ગ્રંથનું સંપાદન મુનિ જિનવિજયજીએ કર્યું હતું અને તેને વડોદરાની ગાયકવાડ ઑરિયેન્ટલ સિરીઝમાં ૧૯૨૦માં પ્રસિદ્ધ કર્યો હતો.[][]

આ ગ્રંથમાં ૫ પ્રસ્તાવ છે અને ૫૪ કથાઓ છે જે પૈકી ઘણી બધી પ્રાચીન છે.[] પ્રથમ પ્રસ્તાવમાં મૂળદેવ, અમરસિંહ, દામન્નક આદિની કથાઓ છે. જ્યારે દ્વિતીય પ્રસ્તાવમાં દેવપૂજાના ફળને બતાવનાર દેવપાળ, સોમ અને ભીમની કથા છે. ત્રીજા પ્રસ્તાવમાં ચંદનબાળા, ધન્ય વગેરેની કથા છે. આ પ્રસ્તાવમાં શીલવતીની કથા "અત્યંત આકર્ષક અને રસપૂર્ણ" છે. તે પછીના ચોથા પ્રસ્તાવમાં અહિંસા, સત્ય વગેરે જેવાં શ્રાવકનાં બાર વ્રતોનું અત્યંત સુંદર વર્ણન છે. તેમજ આ પ્રસ્તાવમાં મકરધ્વજ, પુરંદર અને જયદ્રથની કથા સંસ્કૃતમાં લખાયેલી છે.[]

છેલ્લો અને પાંચમો પ્રસ્તાવ અપભ્રંશમાં લખાયેલો છે જેમાં 'જીવમન:કરણસંલાપકથા’ તરીકે લખાયેલું ધાર્મિક કથાબદ્ધ રૂપકકાવ્ય છે.[] આ કાવ્યમાં જીવન, મન અને ઇન્દ્રિયોનો વાર્તાલાપ છે તથા અપભ્રંશ પદ્યોમાં રડ્ડા, પદ્ધડિયા અને ઘત્તા છંદોનો મુખ્યત્વે પ્રયોગ થયો છે.[]

આ પણ જુઓ

[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. 1 2 3 4 5 6 7 8 પગારિયા, રૂપેન્દ્રકુમાર. "કુમારપાલપડિબોહ (કુમારપાળપ્રતિબોધ) – Gujarati Vishwakosh – ગુજરાતી વિશ્વકોશ". મેળવેલ 2025-09-06. {{cite web}}: Check date values in: |access-date= (મદદ)CS1 maint: url-status (link)
  2. 1 2 3 4 5 6 7 સોમપ્રભાચાર્ય (૧૯૨૭). "પ્રસ્તાવના". Kumarpal Pratibodh. ભાવનગર: જૈન આત્માનંદ સભા. pp. ૧–૨૫.
  3. 1 2 3 Acharya, Somaprabh (1920). Jinvijaya, Muniraja (સંપાદક). Kumapal Pratibodha. Baroda: Curator of State Libraries, the Baroda government. pp. 1–25. {{cite book}}: Check date values in: |year= (મદદ)CS1 maint: date and year (link)