ગાયત્રી

વિકિપીડિયામાંથી
રાજા રવિ વર્મા નું દોરેલું ચિત્ર, જેમાં ગાયત્રી માતા કમળપુષ્પ પર બિરાજમાન છે. પંચમુખ અને દશ હસ્ત ધારી માતા, પાર્વતી અને સરસ્વતી સાથે

વેદમાતા ગાયત્રીની સાધનાને ઉપાસનામાં સર્વશ્રેષ્ઠ માનવામાં આવેલ છે. ગાયત્રીની દેવીના રૂપમાં પણ પૂજા થાય છે. ગાયત્રીથી જ તમામ વેદોની ઉત્પત્તિ થઈ હોવાનું મનાય છે તેથી તેને વેદમાતા પણ કહે છે. બ્રહ્માના તપથી ગાયત્રી અને સરસ્વતી પ્રકટયાં અને વળી બંનેને બ્રહ્માની પત્નીઓ માનવામાં આવી છે.

ત્રણ સ્વરૂપ[ફેરફાર કરો]

દેવી ભાગવતમાં ગાયત્રીની ત્રણ શકિતઓને બ્રાહ્મી (બ્રાહ્મણી), વૈષ્ણવી અને શાંભવી (રુદ્રાણી) સ્વરૂપમાં દર્શાવવામાં આવી છે. સવારના સમયે કુમારી (બ્રાહ્મી) સ્વરૂપે હોય છે. એમાં ગાયત્રીનું વાહન હંસ હોય છે અને પાંચમુખ તેમજ બે હાથ હોય છે. બપોરના સમયે યુવતી (વૈષ્ણવી)નું સ્વરૂપ માનવામાં આવ્યું છે, આ રૂપમાં તેઓ ગરુડ પર બેઠાં હોય છે અને ત્યારે તેમને એક મોં અને ચાર હાથ હોય છે. સંઘ્યા સમયે પ્રૌઢાના સ્વરૂપમાં (રુદ્રાણી) હોય છે, ત્યારે તેઓનું વાહન બળદ હોય છે. એ વખતે તેમને એક મોં અને ચાર હાથ હોય છે.

ગાયત્રી મંત્ર[ફેરફાર કરો]

બ્રહ્મર્ષિ વિશ્વામિત્ર દ્વારા રચાયેલા ગાયત્રી મંત્રનો ઉલ્લેખ ઋગ્વેદનાં ત્રીજા મંડળમા મળે છે.

ॐ भूर्भुवः स्वः ।
तत् सवितुर्वरेण्यं ।
भर्गो देवस्य धीमहि ।
धियो यो नः प्रचोदयात् ॥

અર્થ[ફેરફાર કરો]

ૐ ભૂર્ભુવ: સ્વઃ તત્ સવિતુર્વરેણ્યમ્ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્|

ૐ - સમસ્ત જીવોને તેમના આત્મા દ્વારા પ્રેરણા આપનાર પરમાત્મા, ઈશ્વર
ભૂ: - પદાર્થ અને ઊર્જા
ભુવ: - અંતરિક્ષ
સ્વ: - આત્મા
  • ૐ ભૂર્ભુવ: સ્વઃ - પદાર્થ, ઊર્જા, અન્તરિક્ષ અને આત્મા માં વિચરણ કરવા વાળા શુદ્ધસ્વરૂપ અને પવિત્ર કરવા વાળા ચેતન બ્રહ્મ સ્વરૂપ ઈશ્વર
તત્ – તે, તેઓ
સવિતુ: - સૂર્ય, પ્રેરક
વરેણ્યં - પૂજ્ય
ભર્ગ: - શુદ્ધ સ્વરૂપ
દેવસ્ય - દેવતાનાં, દેવતાને
  • તત્ સવિતુર્વરેણ્યમ્ ભર્ગો દેવસ્ય - તે પ્રેરક, પૂજ્ય, શુદ્ધ સ્વરૂપ દેવતાને
  • ધીમહિ - અમારૂં મન અથવા અમારી બુદ્ધિ ધારણ કરે, અમે તેમનું મનન, ધ્યાન કરીએ
ધિય: - બુદ્ધિ, સમજ
ય: - તે (ઈશ્વર)
ન: - અમારી
પ્રચોદયાત્ – સારાં કામોમાં પ્રવૃત કરે
  • ધિયો યો નઃ પ્રચોદયાત્ – તે અમારી બુદ્ધિને સારાં કામોમાં પ્રવૃત કરે

સંપૂર્ણ અર્થ – પદાર્થ, ઊર્જા, અન્તરિક્ષ અને આત્મામાં વિચરણ કરવા વાળા તે પ્રેરક, પૂજ્ય, શુદ્ધ સ્વરૂપ દેવતાનું અમે ધ્યાન કરીએ અને તે અમારી બુદ્ધિને સારાં કામોમાં પ્રવૃત કરે.