ગોપાલમિત્ર
ગોપાલમિત્ર એ નેશનલ પ્રોજેક્ટ ફોર કેટલ એન્ડ બફેલો બ્રીડીંગ (NPCBB) અંતર્ગત રાજ્યના પશુપાલકોના ઘર આંગણે કૃત્રિમ બીજદાનની સેવાઓ પહોંચતી કરવાના હેતુ માટેના ખાનગી કાર્યકરો છે, જેમની પસંદગી ગુજરાત લાઈવસ્ટોક ડેવલપમેન્ટ બૉર્ડ, ગાંધીનગર દ્વારા કરવામાં આવે છે. પસંદ કરવામાં આવેલ ગોપાલમિત્રોને વર્ગખંડ તાલીમ અને પ્રાયોગીક તાલીમ પછી તેમને કૃત્રિમ બીજદાનના સાધનો આપવામાં આવે છે.
ત્યારબાદ કૃત્રિમ બીજદાન માટેના જરૂરી પત્રકો અને રજીસ્ટર ગોપાલમિત્રને આપવામાં આવે છે. દર મહિને લક્ષ્યાંક મુજબ ગોપાલમિત્રએ કાર્ય કરવાનું હોય છે અને તેની નિયત ફી ગુજ. લા. ડે. બોર્ડ, ગાંધીનગર ખાતે જમા કરાવવાની હોય છે. નિયમિત કામ કરનાર ગોપાલમિત્રના કેન્દ્રને દર મહિને પ્રવાહી નાઈટ્રોજન, સીમેન ડોઝ અને જરૂરી સાધનો બોર્ડ દ્વારા પહોંચાડવામાં આવે છે.
ગુજ. લા. ડે. બોર્ડ દ્વારા રાજ્યના પશુપાલન હેઠળના વિશાળ વિસ્તારને જોતાં સરકારી સંસ્થાઓ દ્વારા સમગ્ર રાજ્યને કૃત્રિમ બીજદાન હેઠળ આવરી લેવું કઠીન છે. તેમાં પણ ટાંચી માળખાગત સવલતો તથા ખુબ ઓછો શિક્ષણ પ્રસાર ધરાવતા રાજ્યના છેવાડાના અને અંતરીયાળ પ્રદેશોમાં સંવર્ધન માટે બાંગરા સાંઢ/પાડા (સ્ક્રબ બુલ)નો ઉપયોગ કરવામાં આવે છે, જેમનું જાતિય રોગ પરીક્ષણ કરાયેલુ ન હોવાથી જાતીય રોગ ફેલાવાનું જોખમ રહે છે. આ ઉપરાંત તેની ઉત્પાદકતા ઓછી હોવાથી જનીનીક અવમુલનનું જોખમ રહે છે. આ કારણથી આવા વિસ્તારોમાં ખાનગી કૃત્રિમ બીજદાન કેન્દ્રો દ્વારા ઘરઆંગણે સંવર્ધનની સેવાઓ માટે ગુજ. લા. ડે. બોર્ડ તરફથી આવા ૭૦૦ જેટલા ગોપાલમિત્ર કેન્દ્રની આખા ગુજરાત રાજ્યમાં સ્થાપના કરવામાં આવેલ છે.[૧].