લખાણ પર જાઓ

ગઉડવહો

વિકિપીડિયામાંથી
(ગૌડવધ થી અહીં વાળેલું)
ગઉડવહો
શંકર પાંડુરંગ પંડિતની ગઉડવહો પરની વિવેચનાત્મક આવૃત્તિનું મુખપૃષ્ઠ
લેખકવાક્પતિરાજ
અનુવાદકોનરહરી ગોવિંદ સુરુ
દેશભારત
ભાષાપ્રાકૃત
વિષયોરાજા યશોવર્મનનું જીવન
પ્રકારમહાકાવ્ય
પ્રકાશન તારીખ
૮મી સદી

ગઉડવહો (સંસ્કૃત:ગૌડવધ) એ ઇ.સ.ની ૮મી સદીનું પ્રાકૃત ભાષાનું મહાકાવ્ય છે. વાક્પતિરાજ રચિત આ મહાકાવ્યમાં કવિ પોતાના આશ્રયદાતા અને ઉત્તર ભારતના શાસક રાજા યશોવર્મનના પરાક્રમોનું વર્ણન કરે છે. આ કાવ્ય રાજાને ભગવાન વિષ્ણુના અવતાર તરીકે રજૂ કરે છે અને તેમને ગૌડ રાજાના વધ સહિત અનેક લશ્કરી સિદ્ધિઓનો શ્રેય આપે છે.

આ લખાણમાં ૧૨૦૯ જેટલી ગાથાઓ કેટલીક હસ્તપ્રતોમાંથી જાણવા મળે છે. જ્યોર્જ બુહલર સહિતના કેટલાક વિદ્વાનોના જણાવ્યા અનુસાર, હયાત લખાણ માત્ર મહાકાવ્યની પ્રસ્તાવના છે જેને લખવાનો વાક્પતિનો ઈરાદો હતો પણ સંભવતઃ તે ક્યારેય સમાપ્ત થયું ન હતું.

ગઉડવહોની રચના રાજા યશોવર્મનના દરબારી કવિ વાક્પતિ (પ્રાકૃત: "બપ્પઈ-રા") દ્વારા કરવામાં આવી હતી.[] આ રચના ઇસવીસનની ૮મી સદીના પ્રથમ ભાગમાં થઈ હતી. વાક્પતિ જણાવે છે કે તેઓ કવિરાજ (પ્રાકૃતઃ "કૈરા"[], "કવિઓના રાજા") તરીકે જાણીતા હતા. આ ઉપનામ કદાચ તેમના આશ્રયદાતા યશોવર્મન દ્વારા તેમને આપવામાં આવેલ હતું.[] કલ્હણની રાજતરંગિણી સૂચવે છે કે વાક્પતિ અને ભવભૂતિ બંને લલિતાદિત્યના દરબારી કવિઓ હતા. ગઉડવહો ભવભૂતિના વાક્પતિના સંદર્ભ સૂચવે છે કે જ્યારે ગઉડવહો રચાયું હતું ત્યારે ભવભૂતિ જીવંત નહોતા. વાક્પતિ ભવભૂતિ કરતાં નાના હોવાનું જણાય છે, અને કદાચ ભવભૂતિના શિષ્ય અથવા પ્રશંસક હતા.[]

રાજા યશોવર્મનના સમયના સિક્કાઓ

ભાસ, કાલિદાસ અને સુબંધુ જેવા પૂર્વ કવિઓની કૃતિઓથી વાક્પતિ સારી રીતે પરિચિત હતા.[] તેમણે પ્રાકૃત ભાષાની ખૂબ પ્રશંસા કરી અને તેમાં બે કવિતાઓ રચી: મહુમહ-વિયયો (મધુમથ-વિજય ) અને ગઉડવહો. પહેલી કવિતા ખોવાઈ ગઈ છે પણ વાક્પતિ તેને ગઉડવહો કરતાં ઘણી શ્રેષ્ઠ ગણાવે છે.[]

વલ્લભદેવની 'સુભાષિતાવલી' સૂચવે છે કે વાક્પતિના પિતાનું નામ હર્ષ-દેવ (તેમના પિતાને સંદર્ભિત શ્લોકમાં) હતું. સોદ્ધલની ઉદય-સુંદરી-કથામાં જણાવાયું છે કે વાક્પતિનો જન્મ રાજવી પરિવારમાં થયો હતો. પિંગળની કૃતિ પર હલાયુધ પોતાના ભાષ્યમાં એક શ્લોકમાં કહે છે કે વાક્પતિ એક રાજકુમાર તેમજ કવિ હતા. જોકે દશરૂપાવલોકમાં હલાયુધના શ્લોક પરની એક નોંધમાં જણાવાયું છે કે અહીં ઉલ્લેખિત વાક્પતિ ૧૦મી સદીના પરમાર રાજા વાક્પતિ મુંજનો છે. યશસ-તિલકમાં એક શ્લોકમાં જણાવાયું છે કે વાક્પતિ-રાજાને યશોવર્મન દ્વારા કેદ કરવામાં આવ્યા હતા અને તેમણે કારાવાસમાં તેમની કવિતા રચી હતી. []

ગઉડવહો શ્લોકો (ગાથાઓ)ના સ્વરૂપમાં ગોઠવાયેલ છે જેને કુલિકાઓ અથવા કુલકાઓમાં જૂથબદ્ધ કરવામાં આવ્યા છે.[] કુલકાઓ એક જ વિષય, વિચાર અથવા વિષય સાથેના શ્લોકોનો સમૂહ છે. પણ આ શ્લોકો સર્ગો અથવા પ્રકરણોમાં વિભાજિત નથી: આ સ્વરૂપ પાછળથી કૂતુહલ દ્વારા 'લીલાવતી' માટે અપનાવવામાં આવ્યું હતું. [] પંડિતની ગઉડવહોની વિવેચનાત્મક આવૃત્તિમાં ૧૨૦૯ શ્લોકો છે, ઉપરાંત પરિશિષ્ટમાં ૨૬ શ્લોકો છે. []

ભાષા, અલંકારો અને છંદો

[ફેરફાર કરો]

ગઉડવહોની ભાષાને મહારાષ્ટ્રી પ્રાકૃત તરીકે વર્ણવી શકાય છે અને આ ભાષા ઘડાયેલી અને અર્થગાંભીર્યવાળી છે. [][૧૦] જોકે વાક્પતિની કાવ્ય શૈલીમાં વધારે પ્રમાણમાં "ગૌડી" અને થોડા પ્રમાણમાં "વિદર્ભી"નું મિશ્રણ હોય તેવું લાગે છે. [૧૧] કવિતામાં મોટે ભાગે આર્ય અને ગાથા છંદોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. શ્લોક ૬૦ અને ૬૧ અપવાદરૂપે સમગલિતક છંદનો ઉપયોગ કરે છે. []

વાક્પતિ શ્લેષ અલંકાર ભાગ્યે જ પ્રયોજે છે જ્યારે ઉપમા અને ઉત્પ્રેક્ષા વધારે પ્રયોજે છે. લાંબા સમાસો માટે એમનો પક્ષપાત છે, પણ તે એમના જમાનામાં મહાકવિ માટે જરૂરી લક્ષણ ગણાતું હતું.[૧૦]

વિવેચનાત્મક આવૃત્તિઓ

[ફેરફાર કરો]

૧૮૭૦ના દાયકામાં જર્મન ભારતશાસ્ત્રી જ્યોર્જ બુહલરે જૈસલમેરના જૈન ભંડારમાં ગઉડવહોની હસ્તપ્રત શોધી કાઢી હતી. તેમણે ભારતીય વિદ્વાન શંકર પાંડુરંગ પંડિતને આ ગ્રંથની વિવેચનાત્મક આવૃત્તિ પર કામ કરવા વિનંતી કરી હતી. પંડિતે પશ્ચિમ ભારતના જૈન સંગ્રહોમાંથી વધુ ત્રણ હસ્તપ્રતો તેમજ હરિપાલની ગઉડવહો પરની સંસ્કૃત ભાષાના ભાષ્યનું અવલોકન કર્યું હતું. તેમની વિવેચનાત્મક આવૃત્તિ-બોમ્બે સંસ્કૃત અને પ્રાકૃત શ્રેણી #૩૪-૧૮૮૭માં પ્રકાશિત થઈ હતી.[]

૧૯૨૭માં એન. બી. ઉટગિકરે પંડિતની આવૃત્તિનું પુનઃમુદ્રણ બહાર પાડ્યું હતું, જેમાં બુહલર અને જેકોબીની નોંધો હતી.[૧૨]

૧૯૭૫માં નરહરી ગોવિંદ સુરુએ અંગ્રેજી અનુવાદ સાથે અદ્યતન વિવેચનાત્મક આવૃત્તિ રજૂ કરી હતી. આ આવૃત્તિમાં અનુવાદ વિના મુખ્ય લખાણમાં ૨૬ વધારાની ગાથાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. પંડિતની આવૃત્તિમાં આ ગાથાઓનો પરિશિષ્ટમાં સમાવેશ કરવામાં આવ્યો છે.[૧૩]

કથાવસ્તુ

[ફેરફાર કરો]

પ્રસ્તાવના

[ફેરફાર કરો]
ગૌડવહોમાં બ્રહ્માનું આહ્વાહન સૌથી પહેલાં કરવામાં આવે છે.
ત્યારબાદ વિષ્ણુ અને તેમના અવતારોનું વર્ણન કરવામાં આવે છે.
શિવ અને પાર્વતીના સમન્વય તેવા અર્ધનારીશ્વરનું વર્ણન પણ કરવામાં આવે છે.

વાક્પતિ પહેલા ૬૧ શ્લોકોમાં અનેક દેવતાઓનું આહ્વાન કરે છે. તેઓ બ્રહ્માથી શરૂઆત કરે છે અને પછી વિષ્ણુ અને તેમના અવતારોનો ઉલ્લેખ કરે છે જેમાં નરસિંહ, વરાહ, વામન, કૂર્મ, મોહિની અને કૃષ્ણનો સમાવેશ થાય છે. કવિ આગળના શ્લોકોમાં શિવ અને તેમનાં પાસાંઓ જેમ કે અર્ધનારીશ્વરનો ઉલ્લેખ કરે છે. પછી તેઓ શિવના પુત્ર કાર્તિકેય અને શિવની પત્ની પાર્વતીનો ઉલ્લેખ કરે છે, જેમાં મહિષાસુર મર્દિની, કાલી અને ચામુંડા સહિત તેમના વિવિધ રૂપોનું નામ આપે છે. તેઓ આગળ સરસ્વતી, સૂર્ય, શેષ, ગણપતિ, લક્ષ્મી, કામ અને ગંગાનું આહ્વાન કરે છે.[૧૪][૧૫]

વાક્પતિ તેના પછીના ૩૬ શ્લોકોમાં કવિઓ, તેમની અસર, તેમના પડકારો, તેમના દ્વારા ઉપયોગમાં લેવાતી ભાષા (સંસ્કૃત અથવા પ્રાકૃત), તેમની આકાંક્ષાઓ અને તેમની નિરાશાઓ વિશે વાત કરે છે.[૧૬]

ત્યારબાદ વાક્પતિ તેમના આશ્રયદાતા યશોવર્મનને વિષ્ણુના અવતાર તરીકે દેવતા ગણાવીને તેમને પૃથ્વીના ભગવાન કહીને મહિમા પ્રગટ કરે છે. તેઓ જણાવે છે કે દેવતાઓના રાજા ઇન્દ્ર-યશોવર્મનને તેમની ગાદી વહેંચવા આમંત્રણ આપે છે. કવિ પછી કેવી રીતે ઇન્દ્રએ ઉડતા પર્વતોની પાંખો કાપી હતી તેના પૌરાણિક પ્રકરણનું વર્ણન કરે છે.[૧૭] તે પછી વાક્પતિ યશોવર્મનની ગણિકાઓ પરાજિત દુશ્મનોની સ્નાનગૃહમાં કેવી રીતે જળ રમત રમે છે તે વિશે વાત કરે છે.[૧૭] ત્યારબાદ કવિ પ્રલયનું વર્ણન કરે છે અને કહે છે કે તેના એકમાત્ર જીવિત વ્યક્તિ વિષ્ણુએ યશોવર્મન તરીકે અવતાર લીધો હતો.[૧૮] આગામી ૧૦ શ્લોકો દુશ્મન રાજાઓની વિધવાઓની દયનીય સ્થિતિનું વર્ણન કરે છે.[૧૯]

અભિયાનો

[ફેરફાર કરો]

વાક્પતિ જણાવે છે કે યશોવર્મનના રાજ્યાભિષેક સમારોહ પછી વરસાદની ઋતુ પૂરી થતાં જ રાજાએ વિશ્વવિજય માટે અભિયાન શરૂ કર્યું હતું. દેવતાઓ, દિવ્ય અપ્સરાઓ અને પક્ષીઓએ આ પ્રસંગની ઉજવણી કરી હતી. યશોવર્મનની સેનામાં ચાર એકમોનો સમાવેશ થતો હતોઃ પાયદળ, ઘોડેસવારો, રથ અને હાથીઓ. આ પૈકી વાક્પતિ ઘોડાઓ અને હાથીઓનું વધુ વિગતવાર વર્ણન કરે છે.[૧૯]

કવિ પછી શિયાળાની ઋતુનું વર્ણન કરે છે, જેમાં જણાવે છે કે યશોવર્મને શોણ નદી અને પછી વિંધ્ય પર્વતો તરફ કૂચ કરી હતી. ત્યાંના શબર આદિવાસીઓ તેમને વિંધ્યવાસિની દેવીના મંદિરમાં લઈ ગયા. ત્યાં જઈને રાજાએ દેવીની પૂજા કરી હતી અને વાક્પતિ આ વિધિઓ અને દેવીનું ખૂબ વિગતવાર વર્ણન કરે છે. કવિ દેવી માટે વિવિધ નામો જેવાં કે માધવી, ભૈરવી, ચંડી, નારાયણી, શંકરી, કાલી, શબરી, ગૌરી અને તપસીનો ઉલ્લેખ કરે છે.[૨૦] ત્યારબાદ વાક્પતિ મંદિરના પરિસરમાં મૃતદેહને જોઈને રાજાના વિચારોનું વર્ણન કરે છે.[૨૧] વાક્પતિ ઉનાળાની ઋતુનું કાવ્યાત્મક વર્ણન કરે છે અને તેના પછી વરસાદની ઋતુ આવે છે.[૨૨]

કવિ આગળ ગૌડ રાજાની હત્યાનું વર્ણન કરે છે. ગૌડ રાજાના સાથીઓ શરૂઆતમાં તેને છોડીને ભાગી ગયા હતા, પરંતુ બાદમાં તેઓ ફરીથી જૂથબદ્ધ થયા અને યુદ્ધના મેદાનમાં તેની સાથે જોડાયા હતા. યશોવર્મને તેમને ભીષણ લડાઈમાં હરાવ્યા, ભાગી રહેલા ગૌડ રાજાને પકડી લીધો અને તેને મારી નાખ્યો.[૨૩]

ત્યારબાદ યશોવર્મને દરિયાકાંઠે કૂચ કરી અને વંગ રાજાને હરાવ્યો.[૨૩] તે દક્ષિણ તરફ આગળ વધ્યો, જ્યાં દક્ષિણના રાજાએ તેમની સમક્ષ સૌહાર્દપૂર્ણ રીતે આત્મસમર્પણ કર્યું. તેમની સેના મલય પર્વતો પાર કરીને દરિયાકાંઠે પહોંચી હતી, જ્યાં એક સમયે વાલિ અને રાવણ ફરતા હતા. ત્યારબાદ યશોવર્મને પોતાના વિશ્વ-વિજયના ભાગરૂપે પરાસિકોને ભયંકર યુદ્ધમાં હરાવ્યા, જેમ રઘુએ ભૂતકાળમાં કર્યું હતું (કાલિદાસના રઘુવંશના સંદર્ભમાં).[૨૪] તેમણે પશ્ચિમી પર્વતમાળાઓ તરફ કૂચ કરી અને સ્થાનિક શાસકો પાસેથી ખંડણી એકત્રિત કરી.[૨૫]

ત્યારબાદ વાક્પતિએ શ્રીકંઠ (હાલનું થાનેસર) શહેરના ઉપનગરોમાં યશોવર્મનના આગમનનું વર્ણન કર્યું છે, જ્યાં પ્રાચીન રાજા જન્મેજયએ પોતાના પિતાના મૃત્યુનો બદલો લેવા માટે સાપોના બલિ આપવાની વિધિ કરી હતી. કવિ સમારંભનું સવિસ્તર વર્ણન આપે છે.[૨૬] ત્યારબાદ રાજા કુરુક્ષેત્ર ગયા. તેમણે ભીમ અને દુર્યોધનની જ્યાં લડાઈ થઈ હતી તે તળાવમાં પોતાની પ્રેમિકાઓ સાથે જળ-રમતોનો આનંદ માણ્યો. વાક્પતિ મહાભારતના પ્રસંગોનો ઉલ્લેખ કરે છે, જેમાં કર્ણ અને અર્જુન વચ્ચેની લડાઈનો સમાવેશ થાય છે.[૨૭] કવિના જણાવ્યા અનુસાર યશોવર્મને પછી અયોધ્યાની મુલાકાત લીધી અને એક જ દિવસમાં ત્યાં એક "ભવ્ય મંદિર" બનાવ્યું.[૨૮] અયોધ્યા પછી રાજા મંદાર પર્વતના ઢોળાવ તરફ આગળ વધ્યા, જ્યાં સ્થાનિક સમૃદ્ધ લોકોએ તેમને ભેટો આપી હતી. ત્યારબાદ તેમની સેના ઉત્તર તરફ આગળ વધી અને કૈલાશ પર્વત આસપાસ સહિત હિમાલયના પ્રદેશ મુલાકાત લીધી. વાક્પતિ રાજાની સેના દ્વારા જોવામાં આવેલા કુદરતી દૃશ્યોનું વિગતવાર વર્ણન કરે છે.[૨૯] ત્યારબાદ તે યશોવર્મન દ્વારા પરાજિત રાજાઓની દયનીય સ્થિતિનું વર્ણન કરે છે.[૩૦]

અભિયાનોના અંત પછી

[ફેરફાર કરો]

પછી વાક્પતિ અભિયાનના અંત પછી લશ્કરી સૈનિકો અને તેમની પત્નીઓને સંડોવતા શૃંગારિક દ્રશ્યોનું વર્ણન કરે છે.[૩૧] પછી તે વર્ણન કરે છે કે કેવી રીતે ઉપમાકારો કાવ્યાત્મક અતિશયોક્તિઓનો ઉપયોગ કરીને રાજાનો મહિમા કરતા હતા અને વર્ણવે છે કે કેવી રીતે રાજાની પ્રેમિકાઓ તેમની સાથે સૂતાં પહેલાં કપડાં ઉતારતાં હતાં. વાક્પતિ ઉલ્લેખ કરે છે કે હવે રાજા ફક્ત પ્રેમ પર ધ્યાન કેન્દ્રિત કરતા હતા. મગધ (અથવા ગૌડ)ના રાજાની પત્નીઓ ગુલામોની જેમ રાજા પર ચામર ઢાળવા માટે મજબૂર કરવામાં આવતી હતી, અને તેમની દુર્દશા પર રડતી હતી. [૩૨] પછી કવિ રાજાના પ્રેમ દૃશ્યો અને તેના પ્રેમીઓ સાથે રમતિયાળ પ્રવૃત્તિઓનું વર્ણન કરે છે. [૩૩] આગળ તે સ્નાન પછી આ મહિલાઓની માવજત અને મેક-અપ પ્રવૃત્તિઓનું વર્ણન કરે છે. [૩૪]

આત્મકથા

[ફેરફાર કરો]

ત્યારબાદ કવિ એક આત્મકથાત્મક નોંધ આપે છે જેમાં જણાવે છે કે તેમને "કવિરાજ" (કવિઓનો રાજા) શીર્ષક હતું અને કવિ કમલાયુધ તેમનો ખૂબ આદર કરતા હતા. તેઓ તેમના કાર્યનું વર્ણન "ભવભૂતિની કૃતિઓના સમુદ્રમાંથી નીકળેલ કાવ્યાત્મક અમૃતના કણો" તરીકે કરે છે. તેમને ભાસ, જ્વાલનમિત્ર, કુંતીદેવ, કાલિદાસ, સુબંધુ અને હરિચંદ્ર જેવા કવિઓની કૃતિઓ વાંચવાનો આનંદ માણ્યો. તેમને ગ્રંથો, વ્યાકરણ અને મીમાંસા પરની કૃતિઓ, છંદો, ભરતનું નાટ્ય શાસ્ત્ર, ગૌતમનાં ન્યાય સૂત્રો, મહાકાવ્યાત્મક ગ્રંથો (જેમ કે રામાયણ અને મહાભારત ) અને અન્ય ઉત્તમ કવિઓની કૃતિઓ વાંચવાનો પણ આનંદ આવ્યો. ત્યારબાદ વાક્પતિ પોતાની પ્રશંસા કરે છે અને તેમના કાવ્યાત્મક ભાષણને "ભાવનાથી ભરપૂર, પદાર્થથી ભરપૂર, તેજસ્વી અને વિચારમાં મજબૂત" કહે છે. []

રચના પાછળની વાર્તા

[ફેરફાર કરો]

ત્યારબાદ વાક્પતિ વર્ણન કરે છે કે તેમને ગઉડવહોની રચના શા માટે કરી. તેઓ જણાવે છે કે એક દિવસ સભામાં શ્રોતાઓએ તેમને રાજા યશોવર્મન વિશે ખાસ કરીને ગૌડ રાજાના વધ વિશે જણાવવા વિનંતી કરી. તેથી વાક્પતિ રાજાની પ્રશંસા કરે છે અને તેમને ભગવાન વિષ્ણુનું સ્વરૂપ કહે છે.[૩૫]

ઐતિહાસિકતા

[ફેરફાર કરો]

ગઉડવહો એક પ્રશસ્તિ-કાવ્ય છે, જેનો હેતુ વાકપતિના આશ્રયદાતા રાજા યશોવર્મનનો મહિમા વધારવાનો છે.[] કાવ્યના હયાત લખાણમાં વધુ ઐતિહાસિક કથા નથીઃ તે પૌરાણિક પ્રસંગો અને સામાન્ય રીતે મહાકાવ્યોમાં જોવા મળતા અન્ય વિષયો જેમ કે કુદરતી દૃશ્યો અને સૈન્યની કૂચ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે.[૧૮]

ઇતિહાસકાર વી. વી. મિરાશી આ કાવ્યને "મોટે ભાગે એક કાલ્પનિક કૃતિ" કહે છે, જેમાં કોઈ પણ પરાજિત રાજાનું નામ નથી. આ કૃતિ કાલિદાસના 'રઘુવંશ' અને સમુદ્રગુપ્ત પર હરિષેણ દ્વારા લખાયેલા પ્રશસ્તિ પર આધારિત હોવાનું જણાય છે. પરંતુ યશોવર્મન દ્વારા ગૌડ અથવા મગધ પૂર્વીયના રાજાને તાબે કરવો એ એક સાચી ઘટના હોવાનું જણાય છે.[૩૬]

ટીકાકાર હરિપાલ તેમજ પછીના કેટલાક વિદ્વાનોના મતાનુસાર, આ લખાણમાં એક જ વ્યક્તિનો ઉલ્લેખ કરવા માટે "મગધ રાજા" અને "ગૌડ રાજા" શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સિદ્ધાંત મુજબ, યશોવર્મનના સમય દરમિયાન મગધ ગૌડનો એક ભાગ હતો, અથવા તેનાથી ઊલટું હતું.[૩૭] વી.વી. મિરાશીના જણાવ્યા મુજબ, પરાજિત રાજા કદાચ જીવિતગુપ્ત દ્વિતીય હતા, જે પછીના ગુપ્ત રાજવંશના છેલ્લા જાણીતા શાસક હતા. મગધમાં નાલંદા ખાતે મળેલો એક શિલાલેખ યશોવર્મનને એક પ્રસિદ્ધ રાજા તરીકે વર્ણવે છે જેમણે પોતાની તલવારથી પોતાના તમામ દુશ્મનોને નષ્ટ કર્યા હતા.[૩૬]

આ પણ જુઓ

[ફેરફાર કરો]
  • કહાવલી, જૈનાચાર્ય ભદ્રેશ્વરસૂરિ દ્વારા મહારાષ્ટ્રી પ્રાકૃત ગદ્યમાં રચાયેલ પૌરાણિક કોશ
  • કુવલયમાલા, પ્રાકૃત નવલકથા
  • કંસવહો, રામપાણિવાદનું પ્રાકૃત ખંડકાવ્ય

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. 1 2 N. G. Suru 1975, p. xxix.
  2. 1 2 N. G. Suru 1975, p. xxxviii.
  3. 1 2 3 4 N. G. Suru 1975, p. vii.
  4. N. G. Suru 1975, p. lxx.
  5. N. G. Suru 1975, p. lx.
  6. N. G. Suru 1975, pp. vii, xlix.
  7. N. G. Suru 1975.
  8. 1 2 N. G. Suru 1975, p. i.
  9. N. G. Suru 1975, p. xcviii.
  10. 1 2 "ગઉડવહો (ગૌડવધ) – Gujarati Vishwakosh – ગુજરાતી વિશ્વકોશ" (બ્રિટિશ અંગ્રેજીમાં). મેળવેલ 2025-10-05. {{cite web}}: Check date values in: |access-date= (મદદ)
  11. N. G. Suru 1975, p. lxxxv.
  12. N. G. Suru 1975, pp. vii-viii.
  13. N. G. Suru 1975, p. xii.
  14. N. G. Suru 1975, p. iii.
  15. Nandini Bhowmik 2004, p. 77.
  16. N. G. Suru 1975, pp. iii-iv.
  17. 1 2 N. G. Suru 1975, pp. vi-viii.
  18. 1 2 N. G. Suru 1975, p. viii.
  19. 1 2 N. G. Suru 1975, p. ix.
  20. N. G. Suru 1975, p. x.
  21. N. G. Suru 1975, pp. xi-xii.
  22. N. G. Suru 1975, pp. xiii-xiv.
  23. 1 2 N. G. Suru 1975, p. xv.
  24. N. G. Suru 1975, p. xvi.
  25. N. G. Suru 1975, pp. xvi-xvii.
  26. N. G. Suru 1975, p. xviii.
  27. N. G. Suru 1975, p. xix.
  28. N. G. Suru 1975, pp. xix-xx.
  29. N. G. Suru 1975, pp. xx-xxi.
  30. N. G. Suru 1975, p. xxiv.
  31. N. G. Suru 1975, p. xxv.
  32. N. G. Suru 1975, p. xxvi.
  33. N. G. Suru 1975, pp. xxvii-xxviii.
  34. N. G. Suru 1975, p. xxviii.
  35. N. G. Suru 1975, pp. xxx-xxxi.
  36. 1 2 N. G. Suru 1975, pp. liii-liv.
  37. S. M. Mishra 1971, p. 144.

ગ્રંથસૂચિ

[ફેરફાર કરો]