ચઉપ્પન્નમહાપુરિસચરિયં
| લેખક | વિમલમતિ શીલાચાર્ય (શીલાંકાચાર્ય) |
|---|---|
| મૂળ શીર્ષક | चउप्पन्नमहापुरिसचरियं |
| દેશ | ભારત |
| ભાષા | મહારાષ્ટ્રી પ્રાકૃત |
| વિષય | જૈન શલાકાપુરુષોનાં ચરિત્રો |
| પ્રકાર | ધાર્મિક સાહિત્ય, પુરાણ, મહાકાવ્ય |
| પ્રકાશિત | ઈ. સ. ૮૬૮ (રચના) ઈ. સ. ૧૯૬૧ (આધુનિક પ્રકાશન) |
| પ્રકાશક | પ્રાકૃત ગ્રંથ પરિષદ (આધુનિક) |
| માધ્યમ પ્રકાર | તાડપત્ર હસ્તપ્રત |
| ગ્રંથાગ્ર: ૧૦,૮૦૦ સંપાદક: પં. અમૃતલાલ મોહનલાલ ભોજક ગ્રંથાંક: ૩ (પ્રાકૃત ગ્રંથ પરિષદ) | |
ચઉપ્પન્નમહાપુરિસચરિયં પ્રાકૃત ભાષાનો એક બૃહદ ગ્રંથ છે જેમાં જૈન ધર્મના શલાકાપુરુષોના સમુદિત ચરિત્રનું પ્રથમ વાર વર્ણન થયું છે.[૧] આ ગ્રંથની રચના નિર્વૃતિકુળના આચાર્ય માનદેવસૂરિના શિષ્ય વિમલમતિ શીલાચાર્ય અથવા શીલાંકાચાર્યે ઇ.સ. ૮૬૮માં કરી હતી.[૧]
લેખન
[ફેરફાર કરો]લેખક
[ફેરફાર કરો]આ ગ્રંથના રચયિતા નિર્વૃત્તિકુળના આચાર્ય માનદેવસૂરિશિષ્ય વિમલમતિ શીલાચાર્ય અથવા શીલાંકાચાર્ય હતા; જે સમકાલીન તત્વાદિત્ય શીલાચાર્યથી અલગ હતા. બૃહટ્ટિપ્પનિકા અનુસાર રચના ઈ. સ. ૮૬૮માં આ ગ્રંથની રચના થઈ હતી.[૧]
હસ્તપ્રતો અને પ્રકાશન
[ફેરફાર કરો]આ ગ્રંથની બે મહત્વપૂર્ણ હસ્તપ્રતો મળી છે:
- જેસલમેરની હસ્તપ્રત: જેસલમેરના બડાભંડારમાં સંગ્રહિત તાડપત્રની હસ્તપ્રત, જે ઈ. સ. ૧૧૭૦માં લખાયેલી છે અને તેમાં ૩૨૪ પત્રો છે.
- અમદાવાદની હસ્તપ્રત: વિજયનેમિસૂરીશ્વરજી શાસ્ત્રસંગ્રહની તાડપત્રની હસ્તપ્રત, જે ઈ. સ. ૧૨૬૯માં લખાયેલી છે અને તેમાં ૩૭૬ પત્રો છે.
આ બંને હસ્તપ્રતોને આધારે પં. અમૃતલાલ મોહનલાલ ભોજકે સંપાદન કરી પ્રાકૃત ગ્રંથ પરિષદના ગ્રંથાંક ૩ તરીકે ઈ. સ. ૧૯૬૧માં પ્રકાશિત કર્યું હતું.[૧]
વિષયવસ્તુ
[ફેરફાર કરો]ગ્રંથમાં કુલ ૫૪ મહાપુરુષોનાં ચરિત્રો સમાવિષ્ટ છે: ૨૪ તીર્થંકરો, ૧૨ ચક્રવર્તીઓ, ૯ વાસુદેવો, અને ૯ બલદેવો. શાંતિનાથ, કુંથુનાથ તથા અરનાથ એ ત્રણ તીર્થંકર ચક્રવર્તી પણ હોવાથી વાસ્તવમાં ૫૧ જીવનવૃત્તાંતો થાય છે. પિતા-પુત્ર અને અગ્રજ-અનુજનાં વૃત્તાંતો ભેગાં હોવાથી વસ્તુતઃ ૪૦ ચરિત્રો જ છે. આમાંથી ૨૧ કથાનકો અતિસંક્ષિપ્ત છે, જ્યારે બાકીના ૧૯ ચરિત્રો વિવિધ કારણો જેવાં કે પૂર્વભવવર્ણન, શુભાશુભકર્મવિપાક-ઉપદેશ, પ્રસંગ-વિસ્તાર, અવાન્તરકથાવિસ્તાર, અને કર્મબન્ધ અને દેવનરકગતિ વિષે ઉપદેશના લીધે વિસ્તૃત બન્યાં છે.[૧]
આ પણ જુઓ
[ફેરફાર કરો]- કહાવલી, અન્ય જૈન ગ્રંથ જેમાં તીર્થંકરો, ભાવિ તીર્થંકરો, અને જૈન ધર્મના નાયકોનું વર્ણન થયું છે