લખાણ પર જાઓ

જંબુદ્દીવપણ્ણત્તિ

વિકિપીડિયામાંથી

જંબુદ્દીવપણ્ણત્તિ (સંસ્કૃત: જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ) જૈન ધર્મના શ્વેતાંબર ફિરકાના અર્ધમાગધી આગમોના છઠ્ઠા અંગ નાયાધમ્મકહાઓ-(જ્ઞાતાધર્મકથાઓ)નું છઠ્ઠું ઉપાંગ છે. આ ગ્રંથ તેના નામ મુજબ જંબુદ્વીપનો પરિચય આપે છે અને તેમાં ૧૭૬ સૂત્રો છે. જંબુદ્દીવપણ્ણત્તિ જૈન આગમોમાં ગણિતાનુયોગનો અર્થાત ભૂગોળ-ખગોળને લગતો પ્રાચીન ગ્રંથ છે.

પરિચય અને ટીકાઓ

[ફેરફાર કરો]

ગ્રંથના પૂર્વાર્ધમાં ૪ અને ઉત્તરાર્ધમાં ૩ મળી કુલ ૭ અધ્યાયો (વક્ષસ્કારો) છે. તેમાં મળીને કુલ ૧૭૬ સૂત્રો છે.

આચાર્ય મલયગિરિએ આ ઉપાંગ પર ટીકા લખી હતી અને સમયાંતરે આ ટીકા નાશ પામી. પાછળથી અકબરને પ્રતિબોધ આપનાર આચાર્ય હીરવિજયસૂરિના શિષ્ય શાંતિચન્દ્ર ઉપાધ્યાયે વિક્રમ સંવત ૧૬૫૦માં "પ્રમેયરત્નમંજૂષા" નામે આ ગ્રંથની ટીકા લખી હતી. આ ટીકાનાં અનેક સ્થાનો ત્રુટિગ્રસ્ત હતાં જેની પૂર્તિ જીવાજીવાભિગમ આદિ ગ્રંથોનો આધાર લઈને કરવામાં આવી છે.[]

કથાવસ્તુ

[ફેરફાર કરો]

પ્રથમ અધ્યાય

[ફેરફાર કરો]

આ ગ્રંથના પ્રથમ વક્ષસ્કારમાં જંબુદ્વીપસ્થિત ભરતક્ષેત્ર(ભારતવર્ષ)નું વિસ્તૃત વર્ણન છે. આ અધ્યાયમાં ગંગા-સિંધુ નદી અને વૈતાઢ્ય (વેદ્યર્ધ) પર્વતના લીધે થતા ભારતના ૬ ભાગો, તેમનો વિસ્તાર, વૈતાઢ્ય પર્વતનું વર્ણન, વિદ્યાધરો વગેરે ભારતવર્ષ વિષેની ભૂગોળને વર્ણવી છે.[]

દ્વિતીય અધ્યાય

[ફેરફાર કરો]

જૈન ધર્મમાં અવસર્પિણી અને ઉત્સર્પિણી એમ બે આરાઓ આવે છે. બીજા વક્ષસ્કારમાં આ બંને આરાઓનું વર્ણન કરતાં સુષમા-સુષમા, સુષમા, સુષમા-દુષમા, દુષમા-સુષમા, દુષમા અને દુષમા-દુષમા એ ૬ પ્રકારના કાળનું વર્ણન છે. સુષમા-સુષમા કાળમાં ૧૦ પ્રકારનાં કલ્પવૃક્ષોનું વર્ણન છે. સુષમા-દુષમા કાળમાં ૧૫ કુલકરો અને તેમાં નાભિ કુલકરનું સવિસ્તારે વર્ણન છે. નાભિ કુલકરની પત્ની મરુદેવી અને તેમના પુત્ર પ્રથમ રાજા, પ્રથમ કેવળી, પ્રથમ તીર્થંકર અને જૈન ધર્મ મુજબ પ્રથમ ધર્મવર ચક્રવર્તી એવા આદિનાથનું વિસ્તૃત વર્ણન છે. આ ઉપરાંત આદિનાથે (ઋષભનાથે) કેવી રીતે પ્રજાને ૬૪ કલાઓ અને હુન્નરો શીખવ્યાં તેનું નિરૂપણ છે. આ કાળના અંતમાં તેમની તપસ્યા અને ધર્મોપદેશનું વર્ણન છે. દુષમા-સુષમા નામે ચોથા કાળમાં અરહંત, ચક્રવર્તી અને દશાર વંશોના ૨૩ તીર્થંકર, ૧૧ ચક્રવર્તી, ૯ બળદેવ અને ૯ વાસુદેવોની ચર્ચા અને નિરૂપણ છે[].

અન્ય અધ્યાય

[ફેરફાર કરો]

ત્રીજા વક્ષસ્કારમાં ભગવાન ઋષભદેવના પુત્ર ભરત ચક્રવર્તીનું જીવનચરિત્ર અને તેની વિજયયાત્રાનું વિસ્તૃત વર્ણન છે. અધ્યાયના અંતમાં ભરતને થતા કેવળજ્ઞાનનો પ્રસંગ છે. ચોથા વક્ષસ્કારમાં જંબુદ્વીપનાં અન્ય ક્ષેત્રોનાં વિવિધ પર્વતો, નદીઓ આદિનું વર્ણન છે. પાંચમા વક્ષસ્કારમાં આઠ દિક્કુમારીઓ દ્વારા ઊજવાતા તીર્થંકરના જન્મોત્સવનું વર્ણન છે. છઠ્ઠા વક્ષસ્કારમાં જંબુદ્વીપનાં સાત ક્ષેત્ર અને ત્રણ તીર્થનો ઉલ્લેખ છે. સાતમા વક્ષસ્કારમાં જંબુદ્વીપનાં સૂર્ય, ચન્દ્ર, નક્ષત્ર, ગ્રહો, સંવત્સરો આદિની જ્યોતિષવિષયક માહિતી છે.[]

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. 1 2 3 4 "જંબુદ્દીવપણ્ણત્તિ (જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ) – Gujarati Vishwakosh – ગુજરાતી વિશ્વકોશ" (બ્રિટિશ અંગ્રેજીમાં). મેળવેલ 2025-11-24. {{cite web}}: Check date values in: |access-date= (મદદ)