જંબુસામિચરિઉ
જંબુસામિચરિઉ (સંસ્કૃત:જંબુસ્વામીચરિત્ર) અપભ્રંશ ભાષામાં ૧૧ સંધિમાં રચાયેલું કાવ્ય છે જે જંબુસ્વામીના જીવનચરિત્ર પર આધારિત છે. વીરકવિએ તેની રચના વિક્રમ સંવત ૧૦૭૬ (ઇસવીસન ૧૦૨૦)માં કરી હતી અને આ રચના તેમની એકમાત્ર ઉપલબ્ધ રચના છે.[૧] જંબુસ્વામી મહાવીર સ્વામીના પંચમ ગણધરના શિષ્ય હતા તથા જૈન પરંપરા અનુસાર આ કાળમાં મોક્ષે જનારા અંતિમ વ્યક્તિ છે.[૧]
જંબુસ્વામી તથા તેમની આઠ પત્નીઓ | |
| લેખક | વીરકવિ |
|---|---|
| દેશ | ભારત |
| ભાષા | અપભ્રંશ |
| વિષય | જંબુસ્વામીનું જીવનચરિત્ર |
| પ્રકાર | કાવ્ય, ચરિયં (ચરિત્ર) |
પ્રકાશન તારીખ | ઇસવીસન ૧૦૨૦ |
રચયિતા
[ફેરફાર કરો]આ કાવ્યની રચના વીરકવિએ વિક્રમ સંવત ૧૦૭૬ના મહા સુદ પાંચમના દિવસે પૂર્ણ કરી હતી.[૧] આ કાવ્યની પ્રશસ્તિમાં કવિએ પોતાનો પરિચય આપતાં કહ્યું છે કે તેમના પિતાનું નામ દેવદત્ત હતું. તેમના પિતા દેવદત્તે પણ અપભ્રંશમાં પધ્ધડિયા બંધમાં ‘વરાંગચરિત’ની રચના કરી હતી. કવિ પોતાના પિતાને સ્વયંભૂ અને પુષ્પદન્તની કક્ષામાં મૂકે છે. કવિએ સાથે જ તેમના ત્રણ નાના ભાઈઓ, અનેક પત્નીઓ અને એક પુત્રનો પણ ઉલ્લેખ કર્યો છે. 'જંબુસામિચરિઉ'ની રચના કરતાં એક વર્ષનો સમય લાગ્યો હતો તેવો પણ કવિએ નિર્દેશ કર્યો છે. સાથે જ, વીરકવિએ અનેક પૂર્વવર્તી કવિઓનો નામનિર્દેશ દ્વારા ઉલ્લેખ કર્યો છે.[૧]
કથાવસ્તુ
[ફેરફાર કરો]પ્રારંભિક સંધિઓ
[ફેરફાર કરો]કાવ્યનો પ્રારંભ મંગલાચરણ, દુર્જન-સજ્જનસ્મરણ, પૂર્વકવિ-વંદના, સ્વઅલ્પજ્ઞતા-જ્ઞાપન વગેરેથી થાય છે.[૧] ત્યારબાદ કથાનો આરંભ મગધના રાજનગરના બગીચામાં વિરાજમાન ભગવાન મહાવીરની મગધરાજ શ્રેણિક દ્વારા કરવામાં આવેલી સ્તુતિથી થાય છે. શ્રેણિક મહારાજા સાથેની વાતચીત દરમિયાન આકાશમાર્ગે ભગવાનને વંદન કરવા આવેલ વિદ્યુન્માલીદેવના પૂર્વજન્મ સંબંધે શ્રેણિક જિજ્ઞાસા કરે છે.[૧] તેના પ્રત્યુત્તરમાં ભગવાન વિદ્યુન્માલીદેવના અગાઉના બે માનવજન્મોનો પ્રસંગ જણાવે છે, જેમાં એક જન્મમાં બ્રાહ્મણપુત્ર ભવદત્ત અને બીજા જન્મમાં રાજકુમાર તરીકે જન્મેલો સંસારથી વિરક્ત થઈ ધર્મપાલન દ્વારા કેવી રીતે વિદ્યુન્માલી દેવ બન્યો છે અને સાત દિવસ બાદ માનવરૂપ ધારણ કરી અંતિમ કેવલી બનશે તેની ભવિષ્યની વાત કહે છે. તે જ પ્રમાણે શ્રેણિકના વિદ્યુચ્ચર નામના ચોર સંબંધિત પ્રશ્નનો પણ ઉત્તર ભગવાન આપે છે. આ પ્રમાણે પ્રથમ ત્રણ સંધિઓમાં જંબુસ્વામીના પૂર્વજન્મોની વાર્તા વર્ણવી કવિ ચોથી સંધિમાં જંબુસ્વામીના જન્મનું નિરૂપણ કરે છે.[૧]
મધ્ય સંધિઓ
[ફેરફાર કરો]અરહદાસ શ્રેષ્ઠીની પત્નીને ગર્ભાવસ્થામાં સુષમા, વિદ્યુન્માલીદેવના પ્રભાવથી સ્વપ્નમાં જંબુફળ ઇત્યાદિના દર્શન થાય છે. યથાસમયે તેણે અત્યંત સુંદર પુત્રને જન્મ આપ્યો. તેનું નામ જંબુકુમાર મૂકવામાં આવ્યું.[૧]
પાંચથી સાત સંધિ સુધી કવિ જંબુકુમારના અનેક પરાક્રમોનું કાવ્યલક્ષી વર્ણન કરે છે. આઠમી સંધિમાં નગરના બગીચામાં પધારેલા સુધર્મસ્વામી પાસેથી પોતાના પૂર્વજન્મનો વૃત્તાંત સાંભળી જંબુકુમારને થયેલા વૈરાગ્યનું નિરૂપણ છે. સંસારથી વિરક્ત જંબુ સાધુ થવા ઇચ્છે છે; પરંતુ માતાના આગ્રહથી આઠ શ્રેષ્ઠીકન્યાઓ સાથે વિવાહ કરે છે.
વૈરાગી જંબુને ભોગવિલાસ માણવા વિનંતી કરતી તેની પત્નીઓ અને જંબુકુમાર વચ્ચે પ્રથમ રાત્રે જ લાંબી વાતચીત થાય છે. પત્નીઓ તેને અનેક વૈરાગ્યવિરોધી વાર્તાઓ દ્વારા વૈરાગ્યથી પાછો ફેરવવા ઇચ્છે છે, જંબુકુમાર વૈરાગ્યપ્રેરક વાર્તાઓ દ્વારા તેમને વૈરાગી બનાવવા ઇચ્છે છે. આ દરમિયાન ચોરી કરવા મહેલમાં પ્રવેશેલો વિદ્યુચ્ચર ચોર જંબુની માતા પાસેથી તેના તીવ્ર વૈરાગ્યની વાત જાણી ચોરીની વાત બાજુ પર મૂકી પ્રતિજ્ઞા કરે છે કે પોતે કાં તો જંબુને વૈરાગ્ય છોડાવશે અથવા તો પોતે વૈરાગી બની જશે![૧]
અંતિમ સંધિઓ
[ફેરફાર કરો]દસમી સંધિમાં જંબુકુમાર અને વિદ્યુચ્ચર સામસામે અનેક વૈરાગ્ય પ્રેરક અને વૈરાગ્યવિરોધી દષ્ટાંતો દ્વારા એકબીજાને પ્રભાવિત કરવાના પ્રયાસોનું વિસ્તૃત નિરૂપણ છે. અંતે જંબુની વિજય થાય છે. જંબુકુમાર સુધર્મસ્વામી પાસે દીક્ષા લે છે. વિદ્યુચ્ચર પણ તેનો શિષ્ય બને છે.
જંબુચરિત વાંચવા-સાંભળવાથી પ્રાપ્ત થતા શુભ લાભનો સંકેત કરી અગિયારમી સંધિમાં કાવ્ય સમાપ્ત થાય છે.
જંબુસ્વામીના સહજ ચરિત્રચિત્રણથી, સુંદર અને અલંકૃત વર્ણનોથી, સરળ અને ક્યારેક-ક્યારેક ગૂઢ ભાષાશૈલીથી, શૃંગાર અને વીરરસના નિરૂપણ છતાં એકંદરે વૈરાગ્ય દ્વારા શાંત રસના નિર્વાહથી, વિવિધ માત્રાછંદો અને પ્રસંગાનુકૂળ વર્ણવૃત્તોના યોગ્ય ઉપયોગથી અને અનેક આડકથાઓથી જંબુસ્વામીચરિઉ અપભ્રંશ ભાષાની એક વિશિષ્ટ સંધિબદ્ધ કાવ્યકૃતિ બની રહે છે.[૧]
આ પણ જુઓ
[ફેરફાર કરો]- કહાવલી, જૈનાચાર્ય ભદ્રેશ્વરસૂરિ દ્વારા રચિત કથાકોશ જેમાં પણ જંબુકુમારનું વર્ણન છે