લખાણ પર જાઓ

દમયંતી

વિકિપીડિયામાંથી
દમયંતી
રાજા રવિ વર્મા દ્વારા હંસ દમયંતી, જેમાં દમયંતીને નળ વિશે દૈવી હંસ સાથે વાતચીત કરતી દર્શાવવામાં આવી છે.
Information
કુટુંબવિદર્ભના ભીમ (પિતા) દામા, દાંતા અને દમણ (ભાઈઓ)
જીવનસાથીનળ
બાળકોઈન્દ્રસેન (પુત્ર)
ઈન્દ્રસેના (પુત્રી)
સંબંધીઓચેદિની રાજમાતા (માસી)
સુબાહુ અને સુનંદા (માતાના પિતરાઇ ભાઇઓ)
પુષ્કર (દિયર)

દમયંતી (સંસ્કૃત: दमयन्ती) પ્રાચીન ભારતીય સાહિત્યમાં નાયિકા છે, જે મુખ્યત્વે નળોપાખ્યાનના પ્રકરણમાં તેની ભૂમિકા માટે જાણીતી છે, જે મહાકાવ્ય મહાભારતના વન પર્વ માં સમાવિષ્ટ છે.[] તે તેની સુંદરતા, બુદ્ધિમત્તા, અતૂટ પ્રેમ અને તેના પતિ, નિષધ રાજ્યના રાજા નળ પ્રત્યેની અડગ ભક્તિ માટે પ્રસિદ્ધ છે.

દમયંતી એ રાજા ભીમ [lower-alpha ૧] ની પુત્રી અને વિદર્ભ રાજ્યની રાજકુમારી છે. દૈવી હંસ પાસેથી નળના ગુણો વિશે સાંભળ્યા પછી તે નળના પ્રેમમાં પડે છે. તેણી પોતાના સ્વયંવરમાં (સ્વ-પસંદગી સમારંભમાં) નળના પ્રચ્છન્ન વેશમાં આવેલા દેવતાઓને નકારી સાચા નળની ઓળખ કરી તેને પોતાના જીવનસાથી તરીકે પસંદ કરે છે. તેમનું સુખ અલ્પજીવી નીવડે છે. દુષ્ટ રાક્ષસ કલિથી પ્રભાવિત નળ પાસાની રમતમાં પોતાનું રાજ્ય ગુમાવે છે અને તેને દેશનિકાલ કરવાની ફરજ પડે છે. નિરાશા અને શરમથી અભિભૂત નળ, દમયંતીને જંગલમાં ત્યજી દે છે. નિરાશા અને વ્યાકુળતાને વિસારે પાડીને, તે ઘણી મુશ્કેલીઓ સહન કરે છે અને છેવટે તેના પિતાના દરબારમાં પહોંચે છે. નળને શોધવાનો નિશ્ચય કરીને તે દ્વિતીય સ્વયંવરનું આયોજન કરીને તેને ખોળી કાઢવાની યોજના ઘડી કાઢે છે. યોજના સફળ થાય છે, અને આનંદમંગલથી તેમનું પુનઃમિલન થાય છે. ત્યારબાદ નળ પોતાનું રાજ્ય પાછું મેળવે છે, અને બંનેને નિષધ રાજ્યના રાજા-રાણી તરીકે પુનઃસ્થાપિત કરવામાં આવે છે. દમયંતીને વિભિન્ન ભારતીય ભાષાઓના અસંખ્ય લેખકો દ્વારા વિવિધ હિન્દુ ગ્રંથોમાં નિરૂપિત કરવામાં આવી છે.[] શ્રીહર્ષ દ્વારા લખાયેલ ૧૨મી સદીના સંસ્કૃત મહાકાવ્ય નૈષધીયચરિતમાં તેણી નળ સાથે કેન્દ્રિય પાત્ર છે. આ કૃતિ સંસ્કૃત સાહિત્યના સિદ્ધાંતના પાંચ મહાકાવ્યોમાંની એક છે.[][]:136

કિંવદંતી

[ફેરફાર કરો]

જન્મ અને પ્રારંભિક જીવન

[ફેરફાર કરો]
સુવર્ણ હંસનો સામનો કરતી દમયંતી, ચિત્રણ ૧૯૧૩

વિદર્ભના રાજા ભીમ લાંબા સમય સુધી નિઃસંતાન રહે છે. એક દિવસ, સંન્યાસી દામા તેના મહેલમાં આવે છે અને તેને અને તેની રાણીને આશીર્વાદ આપે છે, પરિણામે એક પુત્રી, દમયંતી અને ત્રણ પુત્રો - દામા, દંતા અને દામનાનો જન્મ થયો. દમયંતી તેની અસાધારણ સુંદરતા અને ગુણો માટે પ્રસિદ્ધ થાય છે, જે ઘણા પ્રેમીઓની પ્રશંસા આકર્ષિત કરે છે.[]

એક દિવસ, સુવર્ણ હંસોનું એક જૂથ દમયંતીના મહેલના બગીચાઓમાં આવે છે. જ્યારે દમયંતી અને તેની સેવિકાઓ જળક્રીડા કરી રહી હતી, ત્યારે તેઓ આ અસાધારણ પક્ષીઓને જુએ છે. કુતૂહલવશ, તે તેમની પાછળ જાય છે, પરંતુ હંસ ભાગી જતા નથી. તેના બદલે, એક હંસ તેની સાથે વાત કરે છે, જેમાં નિષધના રાજા નળના ગુણો, રૂપ અને વિશેષતાઓનું વર્ણન કરે છે. તે તેણીને કહે છે કે તે શક્તિ, મહાનતા અને ધર્મમાં અજોડ છે, અને એક યોગ્ય પતિ સાબિત થશે. દમયંતી ધ્યાનપૂર્વક હંસની વાતો સાંભળે છે, અને નળ વિશેના તેના વર્ણનોથી મોહિત થયેલી દમયંતીના મનમાં નળ માટે અગાધ ઝંખના ઉત્પન્ન થાય છે. આ સંદેશ પાઠવ્યા બાદ હંસ નિશધ રાજ્યમાં નળ પાસે પરત ફરે છે. હંસ દમયંતી સાથેની તેની મુલાકાતનું વર્ણન કરે છે, તેની સુંદરતા, બુદ્ધિ અને શાલિનતાની વાત કરે છે. નળ, જેણે પહેલેથી જ દમયંતી વિશે સાંભળ્યું હતું, તે હવે તેના તરફ વધુ આકર્ષિત થાય છે. આમ રૂબરૂ મળતાં પહેલાં આ દિવ્ય હંસના શબ્દો દ્વારા પરસ્પર ગાઢ લગાવનો વિકાસ થાય છે.[]

નળનું રૂપ ધારણ કરી સ્વયંવરમાં ઉપસ્થિત તમામમાંથી પોતાના પતિ (નળ)ની પસંદગી કરતી દમયંતી. નંદલાલ બોઝનું એક ચિત્ર.

યોગ્ય સમયે, રાજા ભીમ દમયંતી માટે સ્વયંવરની વ્યવસ્થા કરે છે, જ્યાં તે એકઠા થયેલા રાજાઓ અને રાજકુમારોમાંથી પોતાના પતિને પસંદ કરશે. નળ સમારોહમાં ભાગ લેવા વિદર્ભ જવા રવાના થાય છે. દરમિયાન, ઇન્દ્ર, અગ્નિ, વરૂણ અને યમ દેવતાઓ, નારદ મુનિ પાસેથી દમયંતીના સૌંદર્ય વિશે સાંભળ્યા પછી, તેઓ પણ લગ્નસમારોહમાં તેનો હાથ માંગવાનું નક્કી કરે છે. સ્વયંવરમાં જતાં દેવતાઓનો સામનો નળ સાથે થાય છે. દમયંતી પહેલેથી જ તેના પ્રેમમાં છે તે જાણીને, તેઓ તેને એક સંદેશ આપવા કહે છે, અને તેના બદલે તેમાંથી કોઈ એકને પસંદ કરવા વિનંતી કરે છે. દેવતાઓ નળને અસ્થાયી અદ્રશ્યતા આપે છે, જેથી તે કોઈનું ધ્યાન ગયા વિના દમયંતીના ખંડમાં પ્રવેશી શકે છે. તે તેમનો સંદેશો પહોંચાડે છે, પરંતુ દમયંતી નળ સાથે લગ્ન કરવાના તેના નિર્ણયમાં મક્કમ રહે છે. સ્વયંવરમાં, ચારેય દેવતાઓ નળનું રૂપ ધારણ કરે છે, જેના કારણે દમયંતી માટે વાસ્તવિક નળનો ભેદ પારખવો અશક્ય બની જાય છે. તેણી દૈવી માર્ગદર્શન માટે પ્રાર્થના કરે છે, અને તેના જવાબમાં, દેવતાઓ તેમના સાચા સ્વરૂપોને પ્રગટ કરે છે, જેનાથી તે નળને ઓળખી શકે છે અને પસંદ કરી શકે છે. તેણી તેની પસંદગીને પુષ્ટિ આપીને તેને હાર પહેરાવે છે. દેવતાઓ તેની ભક્તિ અને નળના ગુણોથી પ્રસન્ન થઈને તેને આશીર્વાદ આપે છે – અગ્નિ જ્યારે પણ જરૂર પડે ત્યારે તેની હાજરીની ખાતરી આપે છે, યમ તેને ન્યાયીપણાનું વચન આપે છે, વરુણ પોતાની મરજી પ્રમાણે પાણી પહોંચાડવાનું વચન આપે છે, અને ઇન્દ્ર બલિદાન વિધિ કર્યા પછી મુક્તિની બાંહેધરી આપે છે. લગ્ન પછી, નળ અને દમયંતી નિષધમાં ખુશીથી રહે છે.[][][]

દેશનિકાલ

[ફેરફાર કરો]
રાજા રવિ વર્માનું ચિત્ર - "જંગલમાં દમયંતી".

સ્વયંવરની વાત સાંભળીને રાક્ષસ કલિ ક્રોધિત થઈ જાય છે કે દમયંતીએ દેવતાઓને બદલે માનવ (નશ્વર)ની પસંદગી કરી છે. પાસાની હેરાફેરી કરતા દ્વાપરની સાથે, તે (કલિ રાક્ષસ) નળને બરબાદ કરવાના ઇરાદાથી નિષધનો પ્રવાસ કરે છે. કલિના પ્રભાવ હેઠળ, નળ જુગારમાં ભ્રમિત થઈ જાય છે અને તેના નાના ભાઈ પુષ્કરને પાસાની રમત માટે પડકાર આપે છે જે ઘણા મહિનાઓ સુધી ચાલે છે. પોતાની સામાન્ય બુદ્ધિથી વંચિત નળ જુગારમાં વારંવાર હારી જાય છે.[] દમયંતીની વિનંતીઓ છતાં, જ્યાં સુધી તે પોતાનું રાજ્ય, ધન અને સંપત્તિ ગુમાવે નહીં ત્યાં સુધી તે રમવાનું ચાલુ રાખે છે. અમંગળ ભયનો અહેસાસ થતાં, દમયંતી તેમનાં જોડિયાં બાળકો ઇન્દ્રસેન અને ઇન્દ્રસેનાને સારથિ વર્ષ્ણેયની દેખરેખ હેઠળ વિદર્ભમાં તેના પિતાના મહેલમાં મોકલી આપે છે. તે દરમિયાન, નળ, જેની પાસે કશું જ બચ્યું ન હતું, તેને નિષધમાંથી કાઢી મૂકવામાં આવે છે, અને દમયંતી તેને દેશનિકાલમાં અનુસરવાનું પસંદ કરે છે. નળ અને દમયંતિ એક જ વસ્ત્ર ધારણ કરી નિષધ રાજ્ય છોડી દે છે.[]

તેઓ થાક અને ભૂખથી પીડાતા હોવા છતાં, દમયંતી તેના પતિનો સાથ છોડવાની ના પાડે છે અને નળને તેણીના પિતાના રાજ્યમાં જવાનું સૂચન કરે છે. જો કે, નળ પોતાના વર્તમાન સંજોગોને કારણે આ વિચારને નકારી કાઢે છે. છેવટે, દંપતી એક ખુલ્લી જગ્યામાં આશરો લે છે. કલિના પ્રભાવ હેઠળ, નળ તેની સૂતેલી પત્નીને છોડી દે છે, અને તર્ક કરે છે કે તેણી તેના વિના વધુ સુખી થશે. જ્યારે દમયંતી જાગે છે, ત્યારે તે નળના કાર્યો માટે વિલાપ કરે છે, તેને ક્રૂર કહે છે અને વિચારે છે કે તે તેણીના વિના કેવી રીતે જીવિત રહી શકશે. તેણી તેના પતિની કમનસીબી માટે જવાબદારને શાપ આપે છે, અને તેને નુકસાન પહોંચાડવાની ઇચ્છા રાખે છે. જેમ જેમ તે લક્ષ્ય વિના ભટકતી આગળ વધે છે, ત્યારે એક મોટો સાપ તેને પકડી લે છે અને તેને ગળી જવાનું શરૂ કરે છે. તે મદદ માટે મોટેથી રડે છે, અને એક વનકર્મી આવીને સાપને કાપીને તેણીને બચાવે છે. જો કે, દમયંતીને જોઈને, વનવાસી કામાતુર થઈને તેના પર બળાત્કારની કોશિશ કરે છે. ગુસ્સામાં, તેણી તેને શાપ આપે છે, જેના કારણે તે તરત જ મૃત્યુ પામે છે.[૧૦]

ચેદિ રાજ્ય અને વિદર્ભ

[ફેરફાર કરો]

દમયંતી ગાઢ જંગલમાં ભટકતી રહે છે ત્યાં તેની નજર હાથીઓના ટોળાના હુમલાથી બચવા મથતા વેપારી કાફલા પર પડે છે. તેણી વેપારીઓ પાસે જઈ તેની શાહી ઓળખની વિગતોને બાકાત રાખીને પોતાની વીતકકથાનો એક ભાગ તેમને સંભળાવે છે. વેપારીઓ તેના પર દયા ખાય છે અને તેને ચેદિના રાજ્યમાં પોતાની સાથે લઈ જાય છે.[૧૧] ચેદિ પહોંચ્યા પછી, દમયંતી શેરીઓમાં ભટકતી રહે છે, દર્શકોનું ધ્યાન આકર્ષિત કરે છે. તેને પાગલ સ્ત્રી સમજવાની ભૂલ કરીને, શેરીના છોકરાં તેનો પીછો કરવાનું શરૂ કરે છે અને તેની મજાક ઉડાવે છે. રાણી-માતા, રાજમહેલમાંથી આ નિરીક્ષણ કરે છે, વ્યથિત સ્ત્રી પ્રત્યે કરુણા અનુભવે છે અને તેની દાસીને દમયંતીને અંદર લાવવા મોકલે છે. જ્યારે તેની પૂછપરછ કરવામાં આવે છે, ત્યારે દમયંતી તેની મુશ્કેલીઓ જાહેર કરે છે પરંતુ તેની સાચી ઓળખ જાહેર કરતી નથી. રાણી-માતા તેને આશ્રય આપે છે અને તેની પુત્રી સુનંદાની પરિચારક તરીકે નિયુક્ત કરે છે. જો કે, દમયંતી કડક શરતો મૂકે છે - તે વધેલી વસ્તુઓ ખાવાની ના પાડે છે, બીજાને તેના પગ ધોવા દેશે નહીં, અજાણ્યા પુરુષો સાથે વાતચીત કરશે નહીં, અને માંગ કરે છે કે જે કોઈ પણ તેની તરફ અનુચિત રીતે આગળ વધશે તેને સજા કરવામાં આવે. રાણી-માતા સંમત થાય છે, અને દમયંતી મહેલમાં તેના જીવનની શરૂઆત કરે છે.[૧૨]

બીજી તરફ પુત્રીના ભાગ્યથી અજાણ, વિદર્ભના રાજા ભીમ તેમની પુત્રી દમયંતી અને નળ બંનેની શોધ ચાલુ રાખે છે. તેમની કોઈ પણ માહિતી માટે ઉદાર પુરસ્કારોના વચન સાથે વિવિધ રાજ્યોમાં બ્રાહ્મણોને મોકલે છે. આ બ્રાહ્મણો પૈકીનો એક - સુદેવ, ચેદિ પહોંચે છે અને તેના અવ્યવસ્થિત દેખાવ છતાં તરત જ દમયંતીને ઓળખી જાય છે. જ્યારે તે ખાનગીમાં તેની પાસે જાય છે, ત્યારે તેણી તેની ઓળખની પુષ્ટિ કરે છે. સુદેવ અને દમયંતીની મુલાકાતની સાક્ષી બનેલી સુનંદા તેની માતાને આ બાબતની જાણ કરે છે. રાણી-માતા, સાચી બીના જાણીને જણાવે છે કે તે અને દમયંતીની માતા બહેનો છે, બંને દસરના રાજા સુદામાની પુત્રીઓ છે. ચેદિનો રાજા સુબાહુ સત્ય જાણ્યા પછી, પાલખીમાં દમયંતીના વિદર્ભ પાછા ફરવાની વ્યવસ્થા કરે છે. તે સલામત રીતે તેના પિતાના મહેલમાં પહોંચે છે અને તેના શોકગ્રસ્ત પરિવાર સાથે પુનઃ જોડાય છે.[]

દરમિયાન, નિરાશામાં ગર્ત નળની મુલાકાત જંગલમાં લાગેલી આગમાં ફસાયેલા સર્પ કર્કોટક સાથે થાય છે. તેને બચાવ્યા પછી, સર્પ નળને કરડે છે, જેનાથી નળનો દેખાવ વિકૃત થઈ જાય છે જે તેને શત્રુઓથી બચવામાં અને કલિના પ્રભાવને નબળો પાડવામાં સહાયક બને છે. તે નળને અયોધ્યાના રાજા ઋતુપર્ણના સારથિ તરીકે સેવા કરવાની સલાહ આપે છે અને પછીથી તેનું સાચું સ્વરૂપ પુનઃસ્થાપિત કરવા માટે તેને દૈવી વસ્ત્રો આપે છે. બાહુકના વેશમાં, નળ તેની અદ્વિતીય રથ સંચાલન અને રસોઈ કુશળતાથી ઋતુપર્ણાને પ્રભાવિત કરે છે, અને મહેલમાં સ્થાન મેળવે છે. તેની ફરજોમાં ઉત્કૃષ્ટ હોવા છતાં, તે દુઃખી રહે છે, ઘણીવાર તેની ખોવાયેલી પત્ની માટે વિલાપ કરે છે. [૧૩][૧૪]

પુનર્મિલન

[ફેરફાર કરો]

વિદર્ભ પાછા ફર્યા પછી, દમયંતી અસહ્ય દુઃખમાં રહે છે અને પુનર્લગ્નનો ઇનકાર કરે છે. નળને શોધવાનો નિશ્ચય કરીને, રાજા ભીમ બ્રાહ્મણોને આસપાસના રાજ્યોમાં મોકલે છે. તેમાંથી એક પર્ણદા અયોધ્યા પહોંચે છે અને રાજા ઋતુપર્ણના સારથિ બાહુકને મળે છે. બાહુકની અસાધારણ સારથિ કુશળતા અને દમયંતીના નામ પર ભાવનાત્મક પ્રતિક્રિયાની નોંધ લેતા, પર્ણદા તેણીને નળનો અહેવાલ આપે છે. બાહુકના વેશમાં નળ હોવાની શંકા જતા, દમયંતી એક કસોટી ઘડી કાઢે છે.[]

તે સુદેવને દમયંતીના ખોટા સ્વયંવરની જાહેરાત સાથે અયોધ્યા મોકલે છે, કારણ કે તે જાણતી હતી કે માત્ર એક જ દિવસમાં વિદર્ભ પહોંચી શકે તેટલી ઝડપથી રથ ચલાવી શકવાની ક્ષમતા નળમાં જ છે. સ્વયંવરમાં હાજર રહેવા માટે ઉત્સુક ઋતુપર્ણ બાહુકને રથ ચલાવવાનો આદેશ આપે છે. ત્યાં પહોંચ્યા પછી, તેણી ગુપ્ત રીતે બાહુકનું નિરીક્ષણ કરે છે:[]

  • તેણી પોતાની નોકરાણી કેસિનીને તેની પૂછપરછ કરવા મોકલે છે અને તે દમયંતીના દુઃખ પર ભાવનાત્મક પ્રતિક્રિયા આપે છે.
  • તે તેની અનન્ય શક્તિઓની નોંધ લે છે, જેમ કે તેના માટે દરવાજાનું આપોઆપ ખુલી જવું, પાણીના કુંજાઓનું તેમની જાતે જ ભરાઈ જવું, અને અગ્નિ તેને સળગાવી શકતો નથી.
  • તેની વિશિષ્ટ રસોઈ શૈલીને પીછાણીને, તેણી પુષ્ટિ કરે છે કે તે નળની રાંધણ કુશળતા સાથે મેળ ખાય છે.
  • તે ઈન્દ્રસેન અને ઈન્દ્રસેનાને તેની પાસે મોકલે છે અને તે રડતાં રડતાં તેમને ભેટી પડે છે.

તે નળ જ હોવાની ખાતરી થતાં દમયંતીને તેના સાથે સીધી મુલાકાતની ગોઠવણ કરે છે. તેણીના પરિત્યાગ વિશે સવાલ ઉઠાવે છે. ભાવનામાં ડૂબેલો નળ, કલિના પ્રભાવ હેઠળ તેના દુઃખને સમજાવે છે. તે ક્ષણે, વાયુ દેવતા દમયંતીની અડગ નિષ્ઠા અને અવિરત વફાદારીની ઘોષણા કરે છે.[]

નળ, સર્પ કર્કોટક દ્વારા આપવામાં આવેલા દૈવી વસ્ત્રો પહેરે છે અને તેનું સાચું સ્વરૂપ પાછું મેળવે છે. તેમની ઓળખની પુષ્ટિ સાથે, દમયંતી અને નળ ફરી ભેગા થાય છે. રાજા ભીમ અને વિદર્ભના નાગરિકો આનંદ કરે છે. થોડા સમય પછી, નળ નિષધ રાજ્યમાં પાછો ફરે છે, પુષ્કરને પાસાની બીજી રમતમાં પડકારે છે, અને આ વખતે તે જીતે છે. તે તેના રાજ્ય પર ફરીથી દાવો કરે છે પરંતુ તેના ભાઈને માફ કરવાનું પસંદ કરે છે. દમયંતી અને તેમનાં બાળકો તેની સાથે જોડાય છે. નળ કુશળતાપૂર્વક રાજ કરે છે અને રાજ્યના લોકો માટે સમૃદ્ધિ પુનઃસ્થાપિત કરે છે.[૧૫][૧૬][૧૭]

અનુવાદ

[ફેરફાર કરો]

નોર્મન મોસ્લી પેન્ઝરે ૧૯૨૬ માં નળ અને દમયંતીની વાર્તાનું અંગ્રેજીમાં ભાષાંતર કર્યું હતું. [18]

  1. મહાભારત ના કેન્દ્રીય પાંડવ પાત્ર ભીમથી અલગ

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. J. A. B. van Buitenen (1981). The Mahabharata, Volume 2. University of Chicago Press. પૃષ્ઠ 318–322. ISBN 978-0-226-84664-4.
  2. Roshen Dalal (2010). Hinduism: An Alphabetical Guide. Penguin Books. પૃષ્ઠ 109, 191, 282, 316. ISBN 978-0-14-341421-6.
  3. The Indian Encyclopaedia. Genesis Publishing. 2002. પૃષ્ઠ 5079. ISBN 9788177552577.
  4. C.Kunhan Raja. Survey of Sanskrit Literature. Bharatiya Vidya Bhavan. પૃષ્ઠ 136, 146–148.
  5. ૫.૦ ૫.૧ ૫.૨ ૫.૩ ૫.૪ ૫.૫ ૫.૬ Mani, Vettam (2015-01-01). Puranic Encyclopedia: A Comprehensive Work with Special Reference to the Epic and Puranic Literature (અંગ્રેજીમાં). Motilal Banarsidass. પૃષ્ઠ Damayantī (374). ISBN 978-81-208-0597-2.
  6. Bibek Debroy. The Mahabharata, 10 Volumes by B. Debroy. પૃષ્ઠ 1111–1121.
  7. Doniger, Wendy; Doniger, Mircea Eliade Distinguished Service Professor of the History of Religions Wendy; O'Flaherty, Wendy Doniger (1999-04-15). Splitting the Difference: Gender and Myth in Ancient Greece and India (અંગ્રેજીમાં). University of Chicago Press. પૃષ્ઠ 141–142. ISBN 978-0-226-15641-5.
  8. Hegarty, James (March 2013). Religion, Narrative and Public Imagination in South Asia: Past and Place in the Sanskrit Mahabharata (અંગ્રેજીમાં). Routledge. પૃષ્ઠ 84. ISBN 978-1-136-64589-1.
  9. Shackle, C.; Snell, Rupert (1992). The Indian Narrative: Perspectives and Patterns (અંગ્રેજીમાં). Otto Harrassowitz Verlag. પૃષ્ઠ 30. ISBN 978-3-447-03241-4.
  10. Bibek Debroy. The Mahabharata, 10 Volumes by B. Debroy. પૃષ્ઠ 1121–1141.
  11. Buitenen, Johannes Adrianus Bernardus; Buitenen, Johannes Adrianus Bernardus van; Fitzgerald, James L. (1973). The Mahābhārata (અંગ્રેજીમાં). University of Chicago Press. પૃષ્ઠ 341. ISBN 978-0-226-84664-4.
  12. Bibek Debroy. The Mahabharata, 10 Volumes by B. Debroy. પૃષ્ઠ 1143–1147.
  13. Bibek Debroy. The Mahabharata, 10 Volumes by B. Debroy. પૃષ્ઠ 1147–1149.
  14. Mani, Vettam (2015-01-01). Puranic Encyclopedia: A Comprehensive Work with Special Reference to the Epic and Puranic Literature (અંગ્રેજીમાં). Motilal Banarsidass. પૃષ્ઠ 197. ISBN 978-81-208-0597-2.
  15. Cite book |last=Unbekannt |url=https://books.google.com/books?id=uy2vEAAAQBAJ&dq=damayanti+hundred+yojanas&pg=PT1047 |title=The Mahabharata of Krishna-Dwaipayana Vyasa I |date=2016-08-18 |publisher=anboco |isbn=978-3-7364-1054-1 |pages=1047 |language=en}}
  16. www.wisdomlib.org (2012-11-23). "Section LXXVIII [Mahabharata, English]". www.wisdomlib.org (અંગ્રેજીમાં). મેળવેલ 2023-02-26.
  17. Bibek Debroy. The Mahabharata, 10 Volumes by B. Debroy. પૃષ્ઠ 1156–1180.

પૂરક વાંચન

[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]